અવતરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 321: Line 321:
{{સ-મ||સુરેશ જોષી}}
{{સ-મ||સુરેશ જોષી}}
{{સ-મ||'''[અધ્યાપકસંઘનું અધ્યક્ષીય વક્તવ્ય, ‘અધીત’(1974)માંથી]'''}}
{{સ-મ||'''[અધ્યાપકસંઘનું અધ્યક્ષીય વક્તવ્ય, ‘અધીત’(1974)માંથી]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૨૭.<br>રૂઢિગ્રસ્તતા સામે સંવાદિતા'''</big>|
{{Poem2Open}}
લગભગ અઢી હજાર વર્ષ ઉપર ઈશોપનિષદે પરમ સત્યના દર્શનાભિલાષીને વિદ્યા અને અવિદ્યા બન્નેના પ્રદેશો વચ્ચે સંવાદિતા સાધવાનો ઉપદેશ કર્યો હતો. પણ પ્રજા એ ઉપદેશને ભૂલી ગઈ હતી અને તેણે વિદ્યાનાં, પરમ તત્ત્વના જ્ઞાનનાં આત્યંતિકગૌરવ અને પ્રતિષ્ઠા કરી ઈહલૌકિક જીવનના સંકુલ અને મૂંઝવતા પ્રશ્નોની ઉપેક્ષા કરી હતી. એ પ્રશ્નોને સ્વતંત્ર બુદ્ધિથી વિચારવાને બદલે તેણે શાસ્ત્રના શબ્દાર્થનો મહિમા કર્યો હતો અને બધી બાબતોમાં રૂઢિને પ્રમાણ ગણી હતી. એમ બુદ્ધિના અંતરપ્રકાશની જ્યોત ક્ષીણ થઈ જતાં ભારતીય સમાજ સદીઓથી સ્થગિત, રૂઢિગ્રસ્ત થઈ ગયો હતો, તેનું ઉત્પાદનકૌશલ જૂના-પુરાણા સ્તરે રહ્યું હતું અને નવા હુન્નરઉદ્યોગોનો વિકાસ અટકી પડ્યો હતો.
{{સ-મ||ચી. ના. પટેલ}}
{{સ-મ||'''[‘બુદ્ધિપ્રકાશ : સ્વાધ્યાય અને સૂચિ’ (1990)માંથી]'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}

Revision as of 08:59, 21 September 2022

Avataran title-350x557.jpg


અવતરણ

રમણ સોની



‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.



લેખક-પરિચય


ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે. રમણ સોની





પુસ્તક-પરિચય


આ પુસ્તક(2016)માં ઉત્તમ વિવેચકો, વિચક્ષણ વિચારકો અને પ્રતિભાવંત સર્જકોના વિવિધ વિષયો પરના વિચારઅંશો ઝિલાયેલા છે. એથી આ નાનું પુસ્તક ખૂબ સમૃદ્ધ બન્યું છે. આ વિચારોની પસંદગી તથા વિષયક્રમને આધારે ઇચ્છિત મુદ્દો શોધીને વાંચી શકવાની યોજના આ સંગ્રહને વિશિષ્ટ બનાવે છે. એક બીજા અર્થમાં આ સંપાદન મુક્ત સંચય છે. એથી નિજાનંદે કોઈપણ પાનું ખોલીને કોઈપણ વિચારને માણવાની અહીં સગવડ છે. વૌવિધ્ય અને વ્યાપ એકસાથે રજૂ થયાં હોવાથી વિવેચન અને વિચારનું એક ગતિશીલ ચિત્ર અહીં પ્રાપ્ત થાય છે.

વળી દરેક પાને તે તે વિચારના લેખક, એ અંશ જેમાંથી લીધેલો છે એ પુસ્તકનું નામ, પ્રકાશન વર્ષ – જેવી વિગતો નોંધેલી હોવાથી વધુ જિજ્ઞાસુ અભ્યાસીને મૂળ ગ્રંથ સુધી જવાની સગવડ પણ મળે છે. પુસ્તકને અંતે આપેલી લેખક-અનુવાદકોની અને ગ્રંથ-સામયિકોની સૂચિ વાચકને સહાયક બને એવી છે. આ પુસ્તક સંપાદનની શાસ્ત્રીયતાનું અને સંપાદકની સજ્જતાનું નિદર્શન આપે છે. પુસ્તકની મુદ્રણ-સજાવટ પણ કલાત્મક છે. રમણ સોની




Avataran (Quotations by Prominent writers)
Edited by Raman Soni
Pratyaksha Prakashan, Vadodara, 2016


મુદ્રણ-અધિકાર : રમણ સોની
પ્રત : 500
પૃષ્ઠ : 12 + 100
કિંમત : રૂ. 80/-


પ્રકાશક :
શારદા સોની
પ્રત્યક્ષ પ્રકાશન,
18, હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, વડોદરા-15


મુદ્રણ-અંકન :
'મહેશ ચાવડા
દિયા અક્ષરાંકન, વાસણા(બો), તા. બોરસદ, જિ: આણંદ-388540
મો. 99091 00127


મુદ્રક :
ભગવતી મુદ્રણાલય અમદાવાદ 16.
ફોન 079 22167603



અર્પણ


હેમન્ત દવે અને હર્ષવદન ત્રિવેદીને –






આરંભે બે વાત …


ગુજરાતી તેમજ અન્યભાષી વિવેચકો-વિચારકો-સર્જકોના પ્રભાવક અને વિશિષ્ટ વિચારઅંશોનો આ સંકલિત સંચય છે. ‘પ્રત્યક્ષ’ના છેલ્લા પૂંઠે, આવા વિચારખંડો મૂકવાનું રાખેલું અને વાચકોને એમાં રસ પડેલો – એકાદ વાર, કોઈ કારણસર એ ખંડ મૂકવાનો રહી ગયેલો ને તરત કેટલાકે પૂછેલું, આ વખતે વિચારખંડ કેમ નથી? ત્યારથી વિચારેલું કે આ બધા વિચારખંડોનું સંપાદન કરવું જોઈએ.

છેક 1991થી આ ક્રમ ચાલતો રહ્યો છે – પહેલો જ વિચારખંડ નર્મદનો જાણીતો ‘ટીકાવિદ્યા’ વિશેનો હતો. વચ્ચે પાંચ-સાત અંકોમાં, છેલ્લે પાને જાહેરખબરો લીધેલી ત્યારે, એ ક્રમ અટકી ગયેલો તે (જાહેરાતો ત્રીજે પૂંઠે લેવાનું રાખીને) ફરીથી તરત શરૂ કરેલો.

*

24 વર્ષમાં આવા અવતરણ-ખંડોનું પ્રમાણ ઠીકઠીક થયેલું. સંકલિત કરવાનું આવ્યું ત્યારે જોયું કે એમાંનાં કેટલાંક અવતરણો, પ્રાસંગિક હોવાથી, ન સાચવીએ તો ચાલે એમ હતાં. એટલે એને સ્થાને કેટલાંક નવાં ઉમેરી લીધાં. ને એમ 96 અવતરણો સંકલિત કર્યાં.

અવતરણો એકસાથે સામે આવ્યાં ત્યારે ખ્યાલ આવ્યો કે વિચારોનું, વિષયોનું, અભિવ્યક્તિનું કેટલું બધું ચિત્તાકર્ષક વૈવિધ્ય એમાં આવેલું છે! વળી, એ વિષયોની – લેખકોનાં વક્તવ્યોમાંથી પ્રગટતા મુખ્ય સૂરોની – યાદી કરી ત્યારે એમ થયું કે આનો જો વિષયક્રમ કર્યો હોય તો અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી પણ નીવડે. આ વિષયક્રમને આધારે તે તે અવતરણ-ઘટક સુધી પહોંચી શકાય અને અભ્યાસની જરૂરિયાત મુજબ એ વિચારોનું સંકલન કરી શકાશે.

જોકે, આ અવતરણ-સંચયનો પહેલો અને રસપ્રદ ઉપયોગ તો નિજાનંદી વાચનનો જ છે. કોઈ પણ પાનું ખોલતા જાઓ અને એમાંના વિચાર-વિશેષને માણતા જાઓ.

પરંતુ, એમ યથેચ્છ વાંચતાંવાંચતાં પણ અભ્યાસી-વિદ્યાર્થીઓના મનમાં આપણાં વિચાર-વિવેચનની સમૃદ્ધિનો તૃપ્તિકર સંચાર થતો જાય, એ પ્રયોજન અગ્રસ્થાને રહ્યું છે. પછી એમાંથી જ સંદર્ભો તરફ જતો રસ્તો ખૂલે એવી વ્યવસ્થા કરી છે. પ્રત્યેક અવતરણમાં લેખકનામની નીચે પુસ્તક-નામ, એનું વર્ષ, બન્યું ત્યાં એનો પૃષ્ઠક્રમ પણ મૂકેલાં છે. એનો આધાર લઈને મૂળ સ્રોત સુધી પહોંચી શકાશે.

છેલ્લે બે સૂચિઓ પણ મૂકી છે. લેખક (કર્તા, અનુવાદક) સૂચિ અને ગ્રંથ-સામયિક સૂચિ. આ અવતરણ-સંકલનનો વ્યાપ એનાથી સૂચવાય છે ને વળી, એમાં એક પ્રકારની વાચક-સહાયકતા પણ છે – લેખક કે પુસ્તકના તંતુએ પણ વાચક અવતરણ-ઘટકોમાં જઈ શકશે.

એક હાથવગી પુસ્તિકારૂપે આ સંપડાવવું હતું, એથી પુસ્તકનું નામ પણ કશા ભારવાળું નહીં, પણ સહજભાવે જ ‘અવતરણ’ રાખ્યું છે.

આશા છે કે વાચકોનાં ચિત્તહૃદયમાં આ અવતરણો પ્રસન્નતાપૂર્વક ઝમતાં રહેશે.

– રમણ સોની

વડોદરા; નવું વર્ષ 2072; તા. 12 નવે. 2015

ramansoni46@gmail.com

ફોન 922 821 5275




અ વ ત ર ણ
સંપાદક
રમણ સોની



પ્રત્યક્ષ પ્રકાશન, વડોદરા

અ વ ત ર ણ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૧.
ટીકાવિદ્યાનું મહત્ત્વ

જે ગ્રંથો ઉપર ટીકા થાય છે, તે ગ્રંથો જો સારા હોય છે તો તે વધારે ખપે છે. અલબત્ત, થોડી સમજના અને થોડી વિદ્યાના પુરુષો ચોપડી કહાડીને મોટું માન મેળવી જાય તેનો અટકાવ થવો જોઈએ. જે ડાહ્યો ગ્રંથકાર છે અને જેને સુધરવાની ઇચ્છા છે, તે તો પોતાના ગ્રંથો પર સારી અથવા નરસી ટીકા થઈ જોવાથી ટીકા કરનાર ઉપર દ્વેષ રાખતો નથી, પણ ઊલટો એનો આભાર માને છે. જે ટીકા કરાવવાથી બીહે છે, તે અધૂરો છે. પણ ટીકા કોણે કરવી? જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી, તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય.

નર્મદ
[‘ટીકા કરવાની રીત’ – ‘નર્મગદ્ય’(1865)માંથી]




૨.
વિવેચકનું કર્તવ્ય

વિવેચક જૂના શિષ્ટ ગ્રંથોનું ઉત્તમ વિવેચન આપે એટલું જ પૂરતું નથી, એની શક્તિની કસોટી તો રચાતા આવતા સાહિત્યને તારતમ્ય બુદ્ધિએ તપાસી એની અંતર્ગત શક્યતાઓ અને સિદ્ધિઓ પોતાની ઘડાયેલી રુચિ વડે ઓળખી કાઢી એની સાચી મુલવણી કરવામાં છે. પ્રચલિત પરંપરાગત રૂપોની ઓળખ તો સામાન્ય ભાવકોને પણ હોય. પણ પરંપરાના શેરડા કાળે કરીને ઊંડા ચીલા બની ગયા હોય ત્યારે આડેધડે રસ્તો કરતા નવયાત્રીઓની પ્રવૃત્તિઓ પર જે નજર રાખતો રહે અને એ પ્રવૃત્તિઓ કેટલે અંશે ખરેખર કાર્યસાધક છે એ દર્શાવતો રહે એ સૌ ભાવકોનો અગ્રેસર એવો વિવેચક ગણાય.

ઉમાશંકર જોશી
[‘શૈલી અને સ્વરૂપ’(1960)માંથી]



3.
વિવેચન અને ગ્રંથકાર

આપણામાંના ઘણાને વારંવાર જે વિચારો આવતા હોય છે, પણ મન મોકળું મૂકીને કહી નાખવાની હિંમત ચાલતી નથી, તે વિચારો રોબર્ટ લિન્ડના નીચે લખ્યા લેખમાંથી સાંપડે છે :

ગ્રંથકાર બનવાનો પ્રારંભ કરતાં પહેલાં છાતી લોખંડે મઢી લેજો. આટલી વાતની ગાંઠ વાળજો :

1. જેમ લેખકને, તેમ વિવેચકને પણ છૂટથી બોલવાનો હક છે.

2. જેમ લેખકોમાં, તેમ વિવેચકોમાં પણ સારા, નરસા ને વચલા એવા ત્રણેત્રણ વર્ગો હોય છે.

3. વિવેચક દ્વેષ કે કૂડ વગર ગ્રંથકાર પર કડક કલમ ચલાવી શકે છે.

4. રાજકારણમાં આપણે સૌએ એકમત બનવું જોઈએ એમ કહેવું જેટલું હાસ્યાસ્પદ છે, તેટલું જ હાસ્યાસ્પદ આપણે સાહિત્યમાં એકમત બનવું એમ માનવા-મનાવવા નીકળવું તે છે.

5. ટીકા કે વિવેચનથી મુક્ત રહેવાનો ઘમંડ આજે તો સરમુખત્યાર સિવાય કોઈ ન સેવી શકે.

ઝવેરચંદ મેઘાણી
[‘કલમ અને કિતાબ’, સંપા. મહેન્દ્ર મેઘાણી (1987)માંથી]



૪.
વિચારપરિવર્તન માટેના તરીકા

સાહિત્યના કેટલાક વૈષમ્યવીરોની એક દલીલ એવી હોય છે કે ગુજરાતની આ ઊંઘાળવી જડ પ્રજામાં જાગૃતિ આણવા માટે તેને શબ્દાર્થના વિષમ આઘાતો કરવાની આજકાલ ભારે જરૂર છે. એને લીધે કંઈક જાગૃતિ આવે છે, જીવન પ્રગટે છે, સજીવતાનો ફાલ તો ઊતરે છે, માટે અમે આઘાત કરીને પણ પ્રજોદ્ધાર જ કરીએ છીએ એવું કંઈક એ પક્ષનું મંતવ્ય છે. એ પદ્ધતિ ઊંઘતા માણસને ઉઠાડવા માટે ધોકાનો ઉપયોગ કરવા જેવી છે. અને તેમ કરતાં છતાંયે, શું આવા આઘાતો કદી પ્રજામાં સંગીન કે ચિરકાલીન જાગૃતિ આણી શકે ખરા? ન આણી શકે. એથી ઊલટું, જેમ જીવશાસ્ત્રના અભ્યાસી મૂએલા દેડકામાં વીજળીના પ્રવાહનો સંચાર કરીને તેને ચોમેર પગ ઉછાળતો બનાવી શકે છે, અને પ્રવાહ થંભતા એવી ‘સજીવતા’વાળા દેડકામાંથી પાછું મુડદું જ છેવટ થઈ જાય છે, તેમ સમાજના સૂક્ષ્મ શરીરને વીજળિક સાહિત્ય દ્વારા ઝટકા દેનારા માણસો ફક્ત નકામો તાત્કાલિક ખળભળાટ કરી જાય છે. જડ પ્રજાશરીરો અનામય બને છે તે એવા ઝટકાઓથી નહિ પણ વિચારનાં સાત્ત્વિક અને સંશુદ્ધિવંત પરિવર્તનોથી જ.

વિજયરાય ક. વૈદ્ય
[‘કૌમુદી’ સં. 1983, વૈશાખ (ઇ.1927)]



૫.
વિવેચકની સત્યનિષ્ઠા

વિવેચકમાં સત્યનિષ્ઠા હશે અને સારી સાહિત્યભક્તિ હશે તો સૌ સાહિત્યસર્જકો સાથે ભળતો છતાં તેમની કૃતિને મૂલવવાનું આવશે ત્યારે કૃતિને એમનાથી અલગ પાડીને એને વિશે વિચારશે અને કહેવા જેવું લાગે તે કહેશેય તે. એ કોઈની શેહ-શરમમાં પોતાનો ધર્મ ચૂકશે નહીં. નિષ્પક્ષતા, તટસ્થતા, સમતોલપણું, સ્પષ્ટ-વક્તૃત્વ, નીડરતા ઇત્યાદિ ગુણનામોનો જાપ ઘણીવાર વિવેચકનાં ગુણલક્ષણો વિશે બોલતાં-લખતાં થાય છે. એ બધા ગુણો સત્યનિષ્ઠામાં સમાઈ જાય. સત્યનિષ્ઠ હશે જો વિવેચક, તો એ નિષ્પક્ષ રહેવાનો અને સમતોલ પણ રહેવાનો. ‘સમતોલ રહેવાનો’ એનો અર્થ સમતોલ દેખાવા માટે ગુણ અને દોષ સામસામાં પલ્લાંમાં મૂકી વચ્ચેથી ત્રાજવાની દાંડી તે ઝાલવાનો, એમ નહીં; એનો અર્થ એટલો જ કે જો એને બીજી રીતે સત્ત્વશાળી કૃતિમાંય બેચાર દોષ દેખાયા હોય, અને કોઈ દોષપ્રધાન કૃતિમાં કંઈ ગુણાંશ દેખાયો હોય તો તે નિર્દેશ્યા વિના એ રહે નહીં.

અનંતરાય રાવળ
[‘સાહિત્યનિકષ’ (1958)માંથી]



૬.
સંપાદનનું મહત્ત્વ

મારી કૃતિઓ ‘કુમાર’ જેવાં અગ્રગણ્ય માસિકોમાં છપાવી શરૂ થઈ તે પ્રારંભિક કાળમાં હું પ્રેરણા ઉપર ખૂબ મદાર બાંધતો. એક જ બેઠકે કોઈ ચેકાચેકી કર્યા વિના કૃતિ સર્જવાની શક્તિનો મને ફાંકો હતો. અને એ લખાયા બાદ ક્યારેય એક કાનોમાતર કે અલ્પવિરામ ફેરવવાની જરૂર ન પડી તે વાતનો વળી વધારે ફાંકો હતો. મને દહેશત છે કે આવી શક્તિનો ફાંકો હજી પણ કોઈ પુખ્ત ઉંમરના હિંદીઓ રાખે છે. પ્રેરણા જેવું સર્જનમાં બીજું કંઈ બળ નથી એ તો પુરવાર છે. અને પહેલા જોશમાં લખાયેલા પદ્યમાં કે ગદ્યમાં વસ્તુ અને શૈલીનો નૈસગિર્ક વિનિમય હોય છે. પણ તેમ છતાં સંપાદનનું મહત્ત્વ બહુ જ મોટું છે તે હું મારા આધુનિક અંગ્રેજી સાહિત્યપ્રવૃત્તિના સમાગમથી પકડી શક્યો. વાચકને મન, વિવેચકને મન તો અંત-કડીની જ, એટલે કે સર્વ પ્રયત્નોને અંતે પાકા માલની જેમ જે રજૂ થાય છે તેની જ સાથે નિસબત છે. લેખકે એ એક જ બેઠકે સર્જી હોય કે એ કૃતિના અનેક પાઠ બનાવ્યા હોય, એમાં કાપકૂપ કે ઉમેરણી કરી હોય, વાક્યોને અહીંતહીં સમાર્યાં હોય, ફકરાઓનું કે કડીઓનું શિલ્પ સુઘટિત કર્યું હોય – એ મુદ્દાની હોડ નથી. મૂલ્યાંકન તો થવાનું અંતે છપાયેલી, પીરસેલી, પ્રત ઉપરથી.

કૃષ્ણલાલ શ્રીધરાણી
[‘પુનરપિ’ (1961)ને અંતે ‘કાવ્યવસ્તુવિસ્તાર’ માંથી]



૭.
બાળવાર્તાની શોધ

બાલવાર્તાની શોધમાં ફરતાં હું બીજા દેશોના લોકસાહિત્યમાં પ્રવેશ્યો. વિશ્વના વિદ્વાનો ભારતને વાર્તાનું પિયર માને છે. દરિયો ખેડનારાઓ, કાફલાઓ લઈને હજારો ગાઉની ધરતીની ખેપ કરનારાઓ પોતાની સાથે કેવળ ધનમાલ નહિ, વાર્તા-સમૃદ્ધિ અને વાર્તા-સંસ્કૃતિ પણ લઈ જતા. મેં મનથી સાગરખેડુ, રણખેડુ, પહાડખેડુ બનીને દેશ-વિદેશની યાત્રાઓ કરી અને એમાં જે રત્નો મળ્યાં તે મેં પહેલ પાડીને, વાન અને વાઘો બદલવો પડે તો બદલીને ગુજરાતી બાળકોની આગળ રજૂ કર્યાં. આ વાર્તાઓમાંની ભાગ્યે જ કોઈ વાર્તા જે રૂપમાં મળી તે રૂપમાં મેં જેમની તેમ રજૂ કરી હશે, કારણ કે મારો એ ઉદ્દેશ નહોતો. હું પુરાતત્ત્વનો સંશોધક નથી કે લોકસાહિત્યનો તુલનાત્મક અભ્યાસી નથી. હું તો માત્ર બાળસાહિત્યનો લેખક છું. વસ્તુ બાળકની આગળ રજૂ કરવા જેવું છે કે કેમ તે હું પહેલું જોઉં. પછી તે કેવી રીતે રજૂ કરવું અને તેનો સંદેશો કેવી રીતે વ્યક્ત કરવો – ગૂઢ રાખીને કે અગૂઢ રાખીને, બોધનો ભાર મારા કે બાળકના માથે રાખ્યા વિના જ – તે વિચારી લઉં અને તે પ્રમાણે લખું.

રમણલાલ સોની
[‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (1997)નું સ્વીકાર-વક્તવ્ય]



૮.
યંત્રવિજ્ઞાનની પરંપરા

યંત્રવિજ્ઞાનનો આ ઇતિહાસ પરિવર્તન, સર્જન અને સ્થળાંતરની એક અખંડ પરંપરા છે, આગળ કહ્યું તેમ યંત્રવિજ્ઞાન ભૌતિક વિશ્વનું, પ્રકૃતિનું, પદાર્થોનું પરિવર્તન કરે છે અને એ દ્વારા કૃત્રિમ પદાર્થોનું સર્જન અને સ્થળાંતર કરે છે. યંત્રવિજ્ઞાનની આ પ્રક્રિયા કોઈ કાળમાં, સંસ્કૃતિ યુગ પૂર્વે અને ઔદ્યોગિક યુગ પછી થયું હતું તેમ, ત્વરિત ગતિથી થાય છે તો કોઈ કાળમાં, સંસ્કૃતિ યુગથી ઔદ્યોગિક યુગ લગી થયું હતું તેમ, મંદ ગતિથી થાય છે – પણ એની એક અખંડ પરંપરા છે.

નિરંજન ભગત
[‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (1975)]


૯.
વિવેચકનો કાવ્યવિવેક

અલબત્ત, દરેક વિવેચકની કવિતાવિવેકની વ્યવહારુ પ્રવૃત્તિની પાછળ એને અભિપ્રેત કાવ્યસિદ્ધાન્ત ડોકિયું કરવાનો જ. વારંવાર એને કોઈ ને કોઈ કાવ્યસિદ્ધાંતો સાથે મેળ કે વિરોધ દાખવવાના પ્રસંગો પણ આવવાના. ક્યાંક સીધી સિદ્ધાન્તચર્ચામાં ઊતરવાનો પણ પ્રસંગ આવે એ અસંભવિત નથી. વિવેચક હંમેશાં કાવ્ય ‘વિશે’ નહિ પણ કાવ્ય ‘સાથે’ મથામણ કરી રહ્યો હોય છે, એટલે કાવ્ય સાથેની પ્રત્યક્ષ મથામણમાં જેટલાં કાવ્યવિચારમંથનો મદદરૂપ થાય એવાં હશે તે બધાંનો એ જરૂર આદર કરવાનો. પણ સતત એણે કાવ્ય સાથે હાથ મિલાવેલા હશે અને એની ઉષ્મા અનુભવતાં અનુભવતાં જ – બલકે એ ઉષ્માધબકનો આનંદ બીજાઓને ઓળખાવવા-પહોંચાડવામાં ઉપકારક થાય એ પૂરતી – પરોક્ષ ચર્ચાને એ આવકારશે. કાવ્ય સાથેના પ્રત્યક્ષ સંબંધ સાથે સંકળાયેલા અનેક નાનામોટા પ્રશ્નોને તાત્ત્વિક દૃષ્ટિએ એણે ચર્ચવાના રહેવાના. પણ કાવ્યથી દૂર ચાતરી પરોક્ષ ચર્ચામાં જ વિવેચક ગૂંચાઈ જાય તો એણે સમજવું જોઈએ કે વિવેચનની નહિ પણ તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ એ કરી રહ્યો છે. આ ભેદ ખ્યાલમાં રહેવો જોઈએ.

ઉમાશંકર જોશી
[ઠક્કર વસનજી વ્યાખ્યાનો, 1959: ‘કવિતાવિવેક’(1997)માંથી]


૧૦.
હકીકતની શુદ્ધિ

હકીકતની શુદ્ધિ માટે આપણે પૂરતો આગ્રહ કેળવી શક્યા નથી. આ વાતનું સમર્થન હું એક બીજી રીતે પણ કરવા ઇચ્છું છું. કોઈ પણ કામ સંપૂર્ણ શુદ્ધ રીતે કરવું ઘણું મુશ્કેલ હોય છે. નાનીમોટી થોડી ભૂલો રહી પણ જાય. પણ એ ભૂલોની જાણ થયા પછી એ સુધારવા માટે જે કંઈ ઉપાયો હાથમાં હોય તે ઉપાયો કરવાની તત્પરતા આપણે બતાવીએ છીએ ખરા? ભૂલો વધારે હોય તો થયેલા કામને રદ કરવાની આપણામાં હિંમત હોય છે ખરી? ગાંધીજીએ ગોખલેના લેખોના નબળા અનુવાદની છપાયેલી નકલો પસ્તીમાં પણ ન કાઢતાં બળાવી દીધેલી. અને આ એ ગાંધીજી હતા જે વપરાયેલાં કવરોને પણ ફાડીને ઉપયોગમાં લેતા હતા. પ્રજાને સાચું જ્ઞાન, સાચી માહિતી ન આપી શકીએ પણ ખોટું જ્ઞાન, ખોટી માહિતી તો કેમ અપાય?

જયંત કોઠારી
[‘સાહિત્યિક તથ્યોની માવજત’ (1989)માંથી]
૧૧.
સર્જનનો મહિમા

કલાકારની આ સાધના અત્યંત દુષ્કર છે. પરંતુ અંતે જ્યારે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે તે ખરેખરો ચમત્કાર સર્જાઈ જાય છે, જીવનનું સમસ્ત ઋત – અંતસ્તત્ત્વ (દર્શન, સંવેદન, અનુભૂતિ સહિતનાં તમામ સત્ત્વો) પોતે જ વિરલ સૌંદર્યરૂપે પ્રગટ થાય છે. આમ ‘content’ પોતે જ રૂપાંતર પામી રચનારૂપે પ્રગટ થાય છે, ત્યારે પેલો પાગલ માનવી વિશ્વકર્માને આસને બેઠેલો દેખાય છે. અલબત્ત, આનો અર્થ એવો નથી કે સાહિત્ય યા કલાનું સર્જન જીવનનિરપેક્ષ છે, અથવા કલાકાર જીવનથી પર એવાં કોઈ મૂલ્યો સર્જે છે. પરંતુ આનો અર્થ એટલો તો ખરો જ કે આવું સર્જન વ્યવહારજીવનથી નિરપેક્ષ છે, એ જીવનની સમાંતરે તેનો સ્વતંત્ર લીલા-વિસ્તાર છે; અને વ્યવહાર-જીવનથી સાવ અનોખાં, ભિન્ન રૂપો અને રચનાઓ દ્વારા તે સૌંદર્યનું આગવું મૂલ્ય પ્રગટ કરે છે.

ભોગીલાલ ગાંધી
[મૂલ્યાંકનની કસોટી–લેખ,1961 : ‘મિતાક્ષર’(1970)માંથી]


૧૨.
અવલોકન વાંચવાં, શાને માટે?

‘ગ્રંથ’ ચલાવતાં મને ઘણી વાર એવો વિચાર પણ આવતો કે લોકો અવલોકનો શા માટે વાંચતા હશે? એના ઘણા જવાબ હોઈ શકે. પણ હું આટઆટલાં વર્ષોથી અવલોકનો શા માટે વાંચતો હતો? મારા પૂરતું તો એમ કહી શકું કે જેમ કોઈ વાર્તા વાંચતા આનંદ પ્રાપ્ત થાય તેમ અવલોકન વાંચતાં પણ મને આનંદ પ્રાપ્ત થાય છે. અવલોકન વાંચવા માટેનાં અનેક કારણો મેં પ્રસંગાનુસાર આગળ ધર્યાં હશે, પણ સાચું કારણ આનંદ છે. ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં જે જે સામયિકો વાંચું છું તેમાં પહેલી નજર પુસ્તકોનાં અવલોકનો ઉપર પડે છે. એવું નથી કે વાર્તા-નવલકથાનાં અવલોકનમાં રસ પડતો હોય. ખરી રીતે એમાં ઓછો રસ પડે છે. કવિતા, વિવેચન, ચરિત્ર અને અન્ય ગંભીર વિષયોનાં પુસ્તકોનાં અવલોકનોમાં વધુ રસ પડે છે. કેટલાંક અવલોકનો મારે માટે પુસ્તકની અવેજીની ગરજ સારે છે. એ પુસ્તકો સારાં છે કે ખરાબ તેનો સવાલ હોતો નથી. અવલોકનો જ એવાં હોય છે કે હું તેનાથી જ કામ ચલાવી લઉં છું. બીજાં કેટલાંક અવલોકનો પ્રસ્તુત પુસ્તકો વાંચવાં પ્રેરે છે. કેટલાંક વાંચેલા પુસ્તકોનાં અવલોકનો પણ વાંચું છું. – કદાચ સમીક્ષકનાં મૂલ્યાંકનો સાથે મારાં મૂલ્યાંકનોને સરખાવી જોવા.

યશવંત દોશી
[‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ સંપા. રમણ સોની, 1996-માંથી]


૧૩.
પ્રશિષ્ટ ગ્રંથો

પ્રશિષ્ટ સાહિત્યગ્રંથો એ નૃંવશશાસ્ત્રીઓને ઉપયોગી સાહિત્યિક વા સાંસ્કૃતિક માહિતી મેળવવા પૂરતા જોઈ જવા માટેના દસ્તાવેજો નથી. એમનો સાચો અને ચિરંતન મહિમા એમનામાં સંગ્રહિત સૌંદર્ય તેમ જ એ સૌદર્ય- માંથી ફલિત જીવનદર્શન એ છે. ભિન્નભિન્ન પ્રકારના અને સંકટમય એવા સામાજિક સંદર્ભોમાં મુકાયેલાં સ્ત્રી-પુરુષોના હર્ષ-ક્લેશમાં, વૃત્તિઓમાં, સંવેગોમાં ભાવક પોતે સંવૃત થઈ જાય છે, પણ એટલું જ સર્વ કંઈ નથી કે નથી એ વસ્તુ સર્વાધિક મહત્ત્વની, કારણ કે ભાવક અહીં જ અટકી નથી જતો; એ તો સૌંદર્ય અને પ્રેરણાના રહસ્યમય પ્રભાવ દ્વારા એક સર્વથા નવીન જ જીવન અને અનુભૂતિની ભૂમિકા ઉપર વિચરતો થાય છે.

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
[‘સાહિત્યસંસ્પર્શ’ (1979)માંથી]


૧૪.
કળાકારની પસંદગીઓ

જેના વિના પોતાને ચાલતું નથી એ સૌંદર્ય અને જેનાથી પોતાને ઉતરડી શકાતો નથી એ જનસમૂહ એ બે વચ્ચેથી કળાકારે પોતાનો માર્ગ કરવાનો હોય છે. એટલે, જ, સાચા કળાકારો કશાયનો તિરસ્કાર કરતા નથી, કોઈપણ બાબત અંગે ચુકાદો આપવા કરતાં તેને સમજવાનો તેમનો પ્રયત્ન હોય છે. આ વિશ્વમાં તેમણે જો કોઈ એકનો પક્ષ લેવાનો હોય તો એ માત્ર સમાજનો પક્ષ લે – એવા સમાજનો જેમાં, નિત્શે કહે છે એમ, ન્યાયાધીશ નહીં પણ સર્જક અગ્રેસર હોય, પછી ભલેને એ જીવ શ્રમજીવી હોય કે બુદ્ધિજીવી.

આલ્બેર કામૂ
[અનુ. પ્રમોદકુમાર પટેલ, ‘તત્ત્વસંદર્ભ’(1999) પૃ. 188]


૧૫.
કળાકાર અને ભાષા

મનુષ્યોને જે હૃદયની ભૂમિકાએ સંબોધવા મથે છે તે શબ્દના કલાકારનું કામ વિકટ બન્યું છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સેતુ રચવા માટે જે ભાષા ખપમાં આવતી હતી તે હવે કામ આપતી નથી. ભાષાની કટોકટી સરજાઈ છે. બે કારણે : આજની પરિસ્થિતિ અંગે તીવ્ર સંવેદનો અનુભવતા શબ્દના કલાકારને એ સંવેદનો પહોંચાડનારી ભાષા સુલભ થઈ નથી. પિરાન્દેલોના ‘સિક્સ કૅરેક્ટર્સ’માંનો ફાધર કહે છે તેમ, શબ્દથી વ્યક્ત થતા અર્થનો આપણે સહિયારો આસ્વાદ લઈ શકીશું એવો ખ્યાલ એક ભ્રમણા છે. આપણે માનીએ છીએ કે આપણે એકબીજાને સમજીએ છીએ પણ ખરેખર આપણે સમજ્યાં હોતાં જ નથી. પ્રત્યાયન કોઈ વાસ્તવિક અર્થમાં સધાયું હોતું જ નથી. અને આ વિષાદપૂર્ણ અનુભવને લીધે મનુષ્ય વ્યક્તિ પોતે એકલી પડી ગઈ હોવાનું વિશેષ અનુભવે છે.

યશવંત શુક્લ
[સાહિત્ય પરિષદનું પ્રમુખીય વક્તવ્ય, સુરત, 1983]


૧૬.
કાવ્યધ્વનિનું સ્વરૂપ

એટલા માટે ધ્વનિનું સ્વરૂપ સ્પષ્ટરૂપે નિરૂપવાની જરૂર છે. કેટલાકે ધ્વનિનું લક્ષણ એ રીતે બાંધ્યું છે કે જે કાવ્યમાં કેટલાક શબ્દોની અને અર્થની ચારુતા, રત્નોની ઉત્કૃષ્ટતાની પેઠે, અમુક વિશેષજ્ઞોને જ સમજાય એ રીતે – વર્ણવી ન શકાય એ રૂપમાં – પ્રતીત થતી હોય તેને ધ્વનિ કહે છે, તે યોગ્ય નથી. કેમકે, શબ્દની સ્વરૂપગત વિશેષતા એ છે કે તે અક્લિષ્ટ હોય એટલે કે તેમાં શ્રુતિકટુત્વ વગેરે દોષો ન હોય, અને વળી, તેનો વારેવારે પ્રયોગ ન થયો હોય. તેની વાચકત્વગત વિશેષતા એ છે કે તેમાં પ્રસાદ ગુણ હોય અને વ્યંજના હોય. અર્થની વિશેષતા એ છે કે તે સ્પષ્ટરૂપે પ્રગટ થતો હોય, વ્યંગ્યાર્થપરક હોય અને વ્યંગ્યાંશ વિશિષ્ટ હોય. એ બંનેની, એટલે કે શબ્દગત અને અર્થગત વિશેષતાની વ્યાખ્યા થઈ ન શકે એવું નથી. એ ઉપરાંત, કોઈ અનાખ્યેય વિશેષતાની સંભાવના કલ્પવી એ વિવેકબુદ્ધિ મરી પરવાર્યાનું જ લક્ષણ છે. કારણકે કોઈ વસ્તુ એવી તો હોઈ શકે જ નહિ, જે અનાખ્યેય હોય, અર્થાત્ શબ્દો દ્વારા જેનું વર્ણન જ ન થઈ શકે એવી હોય.

આનંદવર્ધન
[‘ધ્વન્યાલોક’, અનુ. નગીનદાસ પારેખ(1981)-માંથી]


૧૭.
સાંસ્કૃતિક પરંપરા

આપણે જગતની પ્રત્યેક ચીજનું અર્થઘટન કર્યું છે, સિવાય કે આપણું પોતાનું. કૃતિપાઠના નિગૂઢ અર્થોનું ‘ડિકન્સ્ટ્રક્શન’(અપોદ્ગ્રથન) કરવાનું હોય કે પછી કોઈ વિવેચનપદ્ધતિની અંધતાને ખોલી બતાવવાની હોય – એવા બધામાં તો આપણે આપણી પ્રજ્ઞાનો ઘણો બધો ઉન્મેષ બતાવી રહ્યા છીએ, પરંતુ એ કૃતિઓનું જગતમાં જે ખરેખરું જીવન છે, એમની જે વસ્તુતા છે, દૈન્ય કે મુક્તિ આપવાનું એમનામાં જે સામર્થ્ય છે, એમની જે કાલાતિક્રાન્તતા છે – એ માટે આ તપાસપદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આપણે આપણું અસામર્થ્ય પ્રકટ કર્યું છે. આનું પરિણામ શું આવ્યું? જગત પ્રત્યે અંધ બનીને મુગ્ધપણે આપણે કહી રહ્યા છીએ કે કૃતિપાઠ એ માત્ર કૃતિપાઠ છે, તે સિવાય કશું નહીં. સાચી વાત તો એ છે કે કૃતિપાઠ જેટલા અંતર્મુખ હોય છે, તેટલા તે જગત પ્રત્યે પણ અભિમુખ હોય છે. આ સાહિત્યકૃતિઓ અનિવાર્યપણે પરિસ્થિતિ, કાળ, સ્થળ અને સમાજમાં – અર્થાત્ જગતમાં નિવિષ્ટ હોય છે, અને વ્યવહારજગત સાથે તેમનો અવિચ્છિન્ન સંબંધ જોડાયેલો રહે છે. કોઈપણ કૃતિપાઠને સમજવા માટે તેને તેની સાંસ્કૃતિક પરંપરામાં મૂકીને જોવા આવશ્યક છે.

હરિવલ્લભ ભાયાણી
[‘ભારતીય સંસ્કારપરંપરા અને આપણો વર્તમાન’(1994)]


૧૮.
સંપૂર્ણ સાહિત્ય

આપણે જાણીએ છીએ કે મધ્યકાલીન સાહિત્ય કંઈ એકાંતમાં અંગત વાચન માટેનું સાહિત્ય ન હતું. પ્રત્યક્ષ રજૂઆત અને સમૂહભોગ્યતાની દૃષ્ટિથી એ રચાતું હતું અને એનો એના સ્વરૂપનિર્માણમાં મહત્ત્વનો ફાળો હતો. લોકોની મધ્યકાલીન સાહિત્યના સર્જનમાં પરોક્ષ સામેલગીરી હતી. લોકોની વિવિધ જરૂરિયાતો સંતોષવા નિર્માયેલું, સર્વ પ્રકારનાં કાવ્યચાતુર્યોનો આશ્રય લેતું અને ગાનાદિ કળાને પણ પોતાની સહાયમાં લેતું મધ્યકાલીન સાહિત્ય શુદ્ધ સાહિત્ય નહોતું પણ, કહો કે, સંપૂર્ણ સાહિત્ય હતું. હા, જેમ સંપૂર્ણ રંગભૂમિ (ટોટલ થિએટર) જેવી કોઈ વસ્તુ છે, તેમ સંપૂર્ણ સાહિત્ય (ટોટલ લિટરેચર) જેવી કોઈ વસ્તુ પણ હોઈ શકે. મધ્યકાલીન સાહિત્યને સંપૂર્ણ સાહિત્યનાં ધોરણોથી માણવું-નાણવું જોઈએ.

જયંત કોઠારી
[‘મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ’(1995)માંથી]


૧૯.
સાહિત્ય અને વાસ્તવ

જેમ જેમ અમે શિષ્ટ લેખકોનું ગદ્ય વાંચતા જઈએ છીએ, તેમ તેમ અમારી ખાતરી થતી જાય છે કે સારું ગદ્ય લખવા કરતાં સારું પદ્ય લખવું વધારે સહેલું છે. અહીં અમે ‘સારું ગદ્ય’ અને ‘સારું પદ્ય’ એ શબ્દોથી પ્રતિભાશાળી ‘કલાવિધાન’ વાળા ગદ્ય કે ઉચ્ચ પ્રકારની કવિતાનો નિર્દેશ કરવા માગતા નથી. અમે તો ફક્ત સીધાં, સાદાં, સચોટ, ગડમથળ કે ગોટા વગરનાં અને શબ્દ કે અર્થની ખેંચતાણ વિનાનાં ગદ્ય-પદ્ય માટે લખીએ છીએ. અમે શિષ્ટ લેખકો પાસેથી ફક્ત એવું ગદ્ય માગીએ છીએ કે જેના અર્થ બાબતે સંદેહ પડે નહીં, જેનો એકએક શબ્દ સાર્થ હોય, જેના અન્વય કે સંબંધ બાબતે જરાપણ શકશુબો રહે નહીં. દુર્ભાગ્યે આવું સાદું, સરળ અને સહેલું ગદ્ય આપણે ધારી શકીએ એટલું સાધારણ નથી.

જ. એ. સંજાના
[ ‘અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’(1955) ]


૨૦.
સામયિકનું શહૂર

દર મહિને અનેક નવાં સામયિકો પ્રગટ થયે જાય છે. તે સાથે જ વાચકોની ઉપેક્ષારૂપી પાનખરનાં ચિહ્નો પણ દેખાવા માંડ્યાં છે. નવાં નીકળતાં સામયિકો પ્રત્યે કેટલાંક ચાલુ સામયિકો અકળામણ પ્રગટ કરે છે તે બરાબર નથી. જો અકળામણ કોઈ વસ્તુ સામે પ્રગટ કરવા જેવી હોય તો તે કેમ બહુ સામયિકો નીકળે છે, અથવા બંધ થાય છે એ સામે નહીં, પણ ગુજરાતી ભાષાનાં તમામ સામયિકોમાં થઈને પણ થોડાંઘણાં વાંચવા જેવાં પાનાં કેમ મળતાં નથી તેની સામે કરવા જેવી છે. સર્જન તો પ્રતિભાનાં સ્વૈર સ્ફુરણની પ્રસાદી છે. સર્જનની ઓટ સામે ફરિયાદ ક્યાં કરવા જઈએ? પણ વિચારપૂર્ણ અને વિચારપ્રેરક લેખો વરસેદહાડે થઈને પણ કેમ ગણ્યાગાંઠ્યા પણ મળતા નથી એ જરૂર ચિંતા ઉપજાવે એવો પ્રશ્ન છે.

ઉમાશંકર જોશી
[‘સંસ્કૃતિ’, મે, 1948; ‘સમયરંગ’(1978)માંથી]


૨૧.
આનંદની વહેંચણી

આનંદ એ વસ્તુ જ એવી છે કે એનો અનુભવ લેવા માટે બીજાને નોતરવાથી તે બેવડાય છે. દુ:ખોનો સંવિભાગ કરવાથી એની વેદના સહન કરવા જેટલી હળવી થાય છે અને સુખમાં કોઈનો ભાગ પાડવાથી તે બેવડાય છે, ઘણીવાર સાત્વિક બને છે અને એમાંથી સુખથીયે નિરાળો એવો નવો જ આનંદ પ્રાપ્ત થાય છે. સૌને આવા આનંદના સંવિભાગી કેમ કરાવાય? દરેકનું જીવન અલગ અલગ સ્વતંત્ર વહેણમાં વહે છે. તમામ દુનિયાને કાંઈ આપણે આપણા જીવનના સાથી બનાવી શકવાના નથી. પણ કળા દ્વારા – સાહિત્ય, સંગીત, ચિત્ર, સ્થાપત્યરચના દ્વારા આપણે અસંખ્ય લોકોને આપણા આનંદની ઝાંખી કરાવી શકીએ છીએ, અને જો વિશિષ્ટ જાતની શક્તિ કેળવેલી હોય તો જ્યાં અસંખ્ય લોકોને આનંદપ્રતીતિ થતી નહોતી ત્યાં આનંદ ગ્રહણ કરવાની શક્તિ અથવા ક્ષમતા અર્પી શકીએ છીએ. એને જ કલાદૃષ્ટિ કહે છે.

કાકા કાલેલકર
[‘જીવનનો આનંદ’(1936) પ્રસ્તાવનામાંથી]


૨૨.
વિવેચનનો પરિપ્રેક્ષ્ય

કવિતાએ વિવેચનને સંવેદના આપી છે તો વિવેચને કવિતાને પરિપ્રેક્ષ્ય પૂરું પાડ્યું છે. મેં ગુજરાતી સાહિત્યમાં લખ્યું છે ત્યારે વિશ્વસાહિત્યના પ્રવાહો વચ્ચે રહેલા ગુજરાતી સાહિત્યમાં લખ્યું છે. આમેય સાહિત્યનું પ્રાથમિક કાર્ય આપણી જાતની ઓળખ આપવાનું કે જાત અંગે આપણને સભાન કરવાનું છે એટલે આ તબક્કે જો મને પ્રશ્નો પૂછવામાં આવે કે તમે કોણ છો, તમે કોને માટે લખો છો, તમે શા માટે લખો છો, અને એ બધું ક્યાંથી આવ્યું છે – તો એના ઉત્તરમાં હું એટલું કહીશ કે હું કોણ છું એ જાણવા હું લખું છું અને એટલે મૂલત: મેં મારે માટે જ લખ્યું છે, મારી શોધ માટે લખ્યું છે અને એ જે મારામાંથી આવ્યું છે એમાં હું પ્રસિદ્ધ ફ્રેંચ ચલચિત્ર-દિગ્દર્શક ઇંગમાર બર્ગમૅનથી ઊંધું કહીશ કે ‘હું અંદર ઊભો છું બહાર જોતો.’ બર્ગમૅન કહે છે ‘I stood on the outside looking in.’ મારી શોધમાં હું સતત અંદર રહીને બહાર જોતો રહ્યો છું. આ જ કારણે ભાષા કે કલાસાહિત્ય અંગેના કોઈ એકપાર્શ્વ વિચારને બદલે હું બહુપાર્શ્વ વિચારનો પુરસ્કર્તા રહ્યો છું. મને ખબર છે કે કોઈ પણ એકપાર્શ્વ વિચાર પાછળ મનુષ્યની ક્યારેક ઉદ્ધતાઈ રહેલી છે, તો બહુપાર્શ્વ વિચાર પાછળ એનું દૈન્ય ડોકાતું હોય છે; તેમ છતાં કલાસાહિત્યના બહુપાર્શ્વ રૂપની મને ખેવના છે.

ચંદ્રકાન્ત ટોપીવાળા
[‘રણજિતરામ સુવર્ણચંદ્રક’(2002), સ્વીકાર-વક્તવ્યમાંથી]


૨3.
જીવંતતા

ખરું જોતાં, ઉચ્ચ કલાકૃતિઓ – પછી તે સંગીતના રાગો હોય, શિલ્પની મૂતિર્ઓ હોય, સ્થાપત્યના પ્રાસાદો હોય, સામાજિક તહેવારો અને ઉત્સવો હોય, નાનાં કે મોટાં કાવ્યો હોય કે સાહિત્યની અનેકવિધ કૃતિઓ હોય, એ બધી જીવતી વસ્તુઓ છે. જેમ આપણે ઐતિહાસિક પુરુષો વિશે વિચાર કરીએ છીએ, અને સમાજમાં એમનું સ્થાન કયું એ નક્કી કરીએ છીએ; એમના પ્રત્યે કૌતુક, આદર, ભક્તિ, તિરસ્કાર, ઉપેક્ષા કે જુગુપ્સા કેળવીએ છીએ, તે જ રીતે કલાકૃતિઓ પ્રત્યે પણ એમના જીવંતપણાને કારણે આપણાથી તેમ કર્યા વગર રહેવાતું નથી. જો મારે શ્રાદ્ધ કે બ્રહ્મયજ્ઞ કરવો હોય, તો હું કેવળ સેનાપતિઓ, તત્ત્વવિવેચકો, ઋષિઓ, કવિઓ, સુધારકો અને સંતોનું જ તર્પણ કરવા નહિ બેસું, પણ પોતાના વ્યક્તિત્વથી મારું અને મારા સમાજનું વ્યક્તિત્વ ઘડનાર સાહિત્યકૃતિઓનું પણ હું અવશ્ય તર્પણ કરું. મારા પૂર્વજોએ પહાડો, નદીઓ, વૃક્ષો, પશુપક્ષીઓ અને આકાશની જ્યોતિઓ તેમજ વાદળાંઓનું પણ તર્પણ નથી કરેલું? સાહિત્યકૃતિઓને પણ જો હું પૂજ્ય પિતરોને સ્થાને કલ્પું તો એમાં હું કશું અજુગતું નથી કરતો.

કાકા કાલેલકર
[‘જીવનભારતી’(1937)-માંથી]


૨૪.
મંત્રભાષા

સંસ્કૃત એ તો મંત્રભાષા છે. હું શબ્દપસંદગીમાં ઘણો જ સાવધ રહું છું. કેમકે મને પ્રત્યેક વર્ણના આંદોલનનો ખ્યાલ છે. ખરા ભાવકને તે જ ઝણઝણાવે છે. આપણા બીજમંત્રનો અર્થ શું છે? મંત્રશક્તિ જ બધાંને આંદોલિત કરે છે. ભાવકમાં જો પરંપરાનું અનુસંધાન જ ન હોય તો મુશ્કેલી પડે એમાં નવાઈ નથી. […] છંદમાં બધા શબ્દો યથાસ્થાને જ હોવા જોઈએ. મારે ક્યાંય લઘુ-ગુરુ મરોડવા પડતા નથી, એ શું બતાવે છે? […] ભાવક પોતે જો સજ્જ હોય ને એના ચિત્તમાં આપણા સાહિત્યવારસાના સંસ્કારો પડ્યા હોય તો મુશ્કેલી ન જ પડે. આટલી તૈયારી હોય એ પછી જ પ્રત્યાયનની વાત આવે. હું નથી ધારતો કે કોઈ અગવડ પડે. ઊલટું, નાદમાધુર્ય અને એમાં રહેલા સંગીતથી વિશેષ આનંદ પ્રાપ્ત થાય.

રાજેન્દ્ર શાહ
[‘તપસીલ’(સર્જક-કેફિયતો), સંપા. હર્ષદ ત્રિવેદી(1998)માંથી]


૨૫.
કવિતા અંગે દૃષ્ટિકોણ

કવિએ કેટલાં કાવ્યો લખ્યાં, કેટલી પંક્તિઓ લખી, કેવી ભાષા વાપરી, કેવા વિષયો લીધા, તેનાં કેટલાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં અને તેની કેટલી આવૃત્તિઓ થઈ એ ઉપરથી કવિની કવિતાને મૂલવવાના પ્રયત્ન હજી પણ આપણે ત્યાંથી નામશેષ છે એમ નહિ કહેવાય. આવી એકાંગી દૃષ્ટિ, સ્થૂલપ્રધાન વલણો, કાવ્યના એકાંશનું અને તે ય વિશેષે કોઈ સ્થૂલ અંશનું જ ઐકાન્તિક અનુસરણ નવીનોમાં પણ છે. હજી પણ છંદને ખાતર છંદ, પ્રાસને ખાતર પ્રાસ, અલંકારને ખાતર અલંકાર, શૈલીને ખાતર શૈલી કે વિષયને ખાતર વિષય પ્રયોજાય છે; કાવ્યના એકાદ અંગનો નિતાન્ત અતિરેકભર્યો પ્રયોગ થાય છે. નવીનોમાંના પ્રાય: દરેકની કોઈ ને કોઈ કૃતિમાં આવી કોઈ ને કોઈ ક્ષતિ આવેલી છે. અને તેટલે અંશે હજી આપણી કવિતાની દૃષ્ટિ તલગામી અને સમજભરેલી નથી થઈ એમ કહેવું પડશે.

સુંદરમ્
[‘અર્વાચીન કવિતા’(1946)માંથી]


૨૬.
વિવેચક – સાહિત્યમૂલ્યનું સ્થાપન

વિવેચકોએ શું કરવું એ વિશે કોઈ ધર્માચાર્યની અદાથી આદેશ આપવાનો આ સમય નથી. છતાં સાહિત્યનું મૂલ્ય આજના સમાજમાં સ્થાપવાનો પુરુષાર્થ એણે કરવાનો જ છે એ વિશે કોઈ અસંમત નહીં થાય. લોકશાહીના સિદ્ધાંતનું સર્વ ક્ષેત્રોમાં થતું આરોપણ, પ્રવર્તમાન સામાજિક સંદર્ભ સાથેની સાહિત્યની પ્રસ્તુતતાનો આગ્રહ, પરંપરાગત ઉત્કર્ષનાં ધોરણો પરત્વેની ડામાડોળ પરિસ્થિતિ અને ‘High Culture’નાં મૂલ્યો વિશે ઊભી થયેલી સંદેહવૃત્તિ – આ બધાંને કારણે જે વાતાવરણ ઊભું થયું છે તેમાં આજના સાહિત્યકારે, વિવેચકે અને સાહિત્યના અધ્યાપકે પ્રવૃત્ત થવાનું છે.

સુરેશ જોષી
[અધ્યાપકસંઘનું અધ્યક્ષીય વક્તવ્ય, ‘અધીત’(1974)માંથી]


૨૭.
રૂઢિગ્રસ્તતા સામે સંવાદિતા

લગભગ અઢી હજાર વર્ષ ઉપર ઈશોપનિષદે પરમ સત્યના દર્શનાભિલાષીને વિદ્યા અને અવિદ્યા બન્નેના પ્રદેશો વચ્ચે સંવાદિતા સાધવાનો ઉપદેશ કર્યો હતો. પણ પ્રજા એ ઉપદેશને ભૂલી ગઈ હતી અને તેણે વિદ્યાનાં, પરમ તત્ત્વના જ્ઞાનનાં આત્યંતિકગૌરવ અને પ્રતિષ્ઠા કરી ઈહલૌકિક જીવનના સંકુલ અને મૂંઝવતા પ્રશ્નોની ઉપેક્ષા કરી હતી. એ પ્રશ્નોને સ્વતંત્ર બુદ્ધિથી વિચારવાને બદલે તેણે શાસ્ત્રના શબ્દાર્થનો મહિમા કર્યો હતો અને બધી બાબતોમાં રૂઢિને પ્રમાણ ગણી હતી. એમ બુદ્ધિના અંતરપ્રકાશની જ્યોત ક્ષીણ થઈ જતાં ભારતીય સમાજ સદીઓથી સ્થગિત, રૂઢિગ્રસ્ત થઈ ગયો હતો, તેનું ઉત્પાદનકૌશલ જૂના-પુરાણા સ્તરે રહ્યું હતું અને નવા હુન્નરઉદ્યોગોનો વિકાસ અટકી પડ્યો હતો.

ચી. ના. પટેલ
[‘બુદ્ધિપ્રકાશ : સ્વાધ્યાય અને સૂચિ’ (1990)માંથી]