zoom in zoom out toggle zoom 

< કવિલોકમાં

કવિલોકમાં/ધ્યાત્મિક અનુભવનો આલેખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 3: Line 3:
{{Heading|  આધ્યાત્મિક અનુભવનો આલેખ |  }}
{{Heading|  આધ્યાત્મિક અનુભવનો આલેખ |  }}


{{Block center|<poem>જાગરણ — પાછલી ખટઘડી, હસમુખ પાઠક, પ્રકા.'''
{{Block center|<poem>જાગરણ — પાછલી ખટઘડી, હસમુખ પાઠક, પ્રકા.
'''એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈ, ૧૯૯૧</poem>}}
એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈ, ૧૯૯૧</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ નાનકડો કાવ્યસંગ્રહ કેવળ અધ્યાત્મભાવનાં કાવ્યોને સમાવે છે. હસમુખ પાઠકની કવિતામાં અધ્યાત્મભાવનાં ઈંગિતો આ પૂર્વે પણ જોઈ શકાય છે - મનુષ્યજીવન અને જગતનો પરમ-અર્થ પામવા એ મથામણ કરતા રહ્યા છે — પણ કેવળ અધ્યાત્મભાવનાં જ આટલાં કાવ્યોનો સંગ્રહ આ પહેલી વાર એમની પાસેથી મળે છે.
આ નાનકડો કાવ્યસંગ્રહ કેવળ અધ્યાત્મભાવનાં કાવ્યોને સમાવે છે. હસમુખ પાઠકની કવિતામાં અધ્યાત્મભાવનાં ઈંગિતો આ પૂર્વે પણ જોઈ શકાય છે - મનુષ્યજીવન અને જગતનો પરમ-અર્થ પામવા એ મથામણ કરતા રહ્યા છે — પણ કેવળ અધ્યાત્મભાવનાં જ આટલાં કાવ્યોનો સંગ્રહ આ પહેલી વાર એમની પાસેથી મળે છે.

Latest revision as of 07:02, 10 April 2025


આધ્યાત્મિક અનુભવનો આલેખ

જાગરણ — પાછલી ખટઘડી, હસમુખ પાઠક, પ્રકા.
એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈ, ૧૯૯૧

આ નાનકડો કાવ્યસંગ્રહ કેવળ અધ્યાત્મભાવનાં કાવ્યોને સમાવે છે. હસમુખ પાઠકની કવિતામાં અધ્યાત્મભાવનાં ઈંગિતો આ પૂર્વે પણ જોઈ શકાય છે - મનુષ્યજીવન અને જગતનો પરમ-અર્થ પામવા એ મથામણ કરતા રહ્યા છે — પણ કેવળ અધ્યાત્મભાવનાં જ આટલાં કાવ્યોનો સંગ્રહ આ પહેલી વાર એમની પાસેથી મળે છે.

'જાગરણ - પાછલી ખટઘડી' એ સંગ્રહનામ સૂચક છે. નરસિંહ મહેતાનું ‘રાત રહે જાહરે પાછલી ખટઘડી’ એ પ્રભાતિયું આપણને યાદ આવે. પાછલી ખટઘડીનું જાગરણ શ્રીહરિને સમરવા માટેનું છે. આ સંગ્રહનાં કાવ્યો પણ પરમાત્મપ્રીતિનાં કાવ્યો છે. એ પરમાત્મતત્ત્વ કૃષ્ણ, ઠાકોરજી, નારાયણ, હરિ એવા નામે કોઈકોઈ વાર ઉલ્લેખાયેલ છે, પણ ઘણેબધે સ્થાને-આરંભના નિવેદનમાં - પણ કવિએ 'તું' એ સર્વનામથી જ કામ લીધું છે. વ્યાપક, ગહન, રહસ્યમય પરમાત્મતત્ત્વની કવિની ભાવનાનો એમાં સંકેત છે. ‘અંગના' કાવ્યમાં કવિ કહે છે -

વ્રજ એ કોઈ દેશ ના
શું સ્થળમાં, શું કાળમાં
તે છતાં હું વ્રજાંગના

એટલેકે કવિને અભિપ્રેત છે તે તો વ્રજાંગનાપણું - પરમાત્મતત્ત્વ માટેનો એક તલસાટ.

સંગ્રહનાં ઘણાંબધાં કાવ્યોને આપણે વિરહભાવનાં કાવ્યો કહી શકીએ. 'જાગરણ'નો આરંભ જ 'ક્યાં છે તું? ક્યાં છે તું?' એ વ્યાકુળતાભરી પ્રતીક્ષાથી થાય છે. આ વિરહભાવ પ્રીતિસંવેદન, આરત, આમંત્રણ, આત્મનિવેદન વગેરે જુદાંજુદાં રૂપ લઈને આવે છે. જેને પ્રાપ્તિ કે મિલનનાં, એકાત્મતાના અનુભવનાં કહી શકાય એવાં કાવ્યો તો બેચાર જ છે. થોડાંક કાવ્યો અન્ય વિષયોનાં પણ છે – આત્મબોધ, જીવનવિચાર કે રહસ્યદર્શન, પરમાત્મતત્ત્વની વિરાટતા, વ્યાપકતા અને રહસ્યમયતાનું વર્ણન વગેરે. મા વિશે પણ એકાદ કાવ્ય છે. એનું અહીં ઔચિત્ય એ રીતે છે કે પરમાત્મપ્રીતિની કવિને દીક્ષા આપનાર એમની મા છે. ઠાકોરજીને પથ્થર રૂપે જ જોતા પુત્રને મા કહે છે – 'મારી સામે જોતો હોય એમ જો!' અને ‘માના શબ્દથી ઠાકોરજી મા થયા.' ('ઠાકોરજી – મા’) પથ્થરની મૂર્તિ વત્સલ ચૈતન્યરૂપ બની ગઈ. ‘મા મારી ગુરુ' એમ કવિ કહે છે અને માને ભગવતીસ્વરૂપે, પરમાત્મસ્વરૂપે આલેખે છે.

'આપકથા'માં કવિએ આછી કુટુંબકથા આલેખી છે — લાગણીભીની, ભાવનારસિત. માની વાત આવે છે ને એ કુટુંબકથામાં ગહનતાનું, ઉત્કટ અનુભૂતિનું તત્ત્વ પ્રવેશે છે :

માએ કહ્યું કે કશુંય તમારું નથી, બધું ય ગોવિંદનું
એટલે જે છે તે એ છે, જે રહેશે તેય એ
રહેશે, માટે સૌ ભાંડુઓ ગમે ત્યાં હશો,
ગમે તે કરશો પણ રહેશે તમારામાં, તમારા
પછીનામાં ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ...

સાવ સાદાસીધા શબ્દોમાં કેવી મોટી વાત થયેલી છે - સકલ સૃષ્ટિ ઈશ્વરની, ઈશ્વરરૂપ હોવાની!

હસમુખ પાઠકની કવિતાની આ જ લાક્ષણિકતા છે. એ કવિતા ઝાઝે ભાગે સીધા કથનમાં જ ચાલે છે. પણ એ કથન અંતરમાંથી એવું ઘૂંટાઈને આવે છે કે એમાં વ્યાપકતાનાં અને ગહનતાનાં પરિમાણો ઊપસે છે. એમની કવિતા અલંકરણનો આશ્રય ઓછો લે છે. લે છે ત્યારે પણ પરંપરાગત અલંકારોથી એમનું કામ ચાલી શકે છે કે અલંકાર ગોપાઈને પણ બેસી જાય છે. ‘બતાવ મને'માં કિરણ-તેજ, સાગર-મોજાં, ચંદ્ર-ચાંદની, કંકણ-સોનું વગેરે એકાત્મતાસૂચક પરંપરાગત દૃષ્ટાંતોની હારમાળા છે. ‘બેઉ બગડે'માં લૌકિક વ્યવહારમાંથી ઉપાડેલાં દૃષ્ટાંતો છે - 'લોટ ફાકવો ને હરિ હરિ ગાવું’ ‘નશો કરવો ને સીધું ચાલવું' વગેરે. પણ બન્ને સ્થાને એની સાથે પોતાની અંગત અનુભૂતિની વાત જોડીને કવિએ રચનાને પોતાનાપણું આપ્યું છે. ક્યારેક મૌલિક માર્મિક અલંકારરચના પણ જડી આવે છે -

માનો સ્તન પકડી રાખતા ઊંઘણટા-બાળ જેમ
નજર નભને વળગી રહે. (‘સ્વપ્ન-જાગૃતિ')

પાઠકની કવિતાને ઝાઝી ચિત્રાત્મકતાથી જરૂરી પડતી નથી. ચિત્રાત્મકતા હોય છે ત્યારેયે કલ્પનાની ભભકવાળી નથી હોતી, સ્વાભાવિકતાભરી હૃદયંગમ રેખાઓથી મંડિત હોય છે. 'ભળભાંખળું'નું આ ચિત્ર જુઓ :

આકાશ હવે થોડા તારા, બાકી સ્વચ્છ સાફ,
વૃક્ષમાં એકાદ જાગી ગયેલા પંખીનો ફફડાટ.
અગાસીમાંથી નીચે આવું, હીંચકા પર,
પારિજાત હજીય ઝરે.
જે સુવાસ સાથે સૂઈ ગયો હતો તે હજી વાતાવરણમાં.

છેલ્લી રેખામાં કવિએ વર્ણનને પોતાને ઈષ્ટ વળાંક આપ્યો છે.

પણ પાઠકની કવિતાનું વૈશિષ્ટ્ય અને એનું બળ છે એની શબ્દછટા ને એનો વાક્યલય. સીધું કથન પણ કાવ્યત્વ પામે છે તે આ રચના-રીતિ દ્વારા. પહેલું જ કાવ્ય ‘જાગરણ' જુઓ. પ્રતીક્ષાભાવની ખાસ પ્રભાવક ન લાગે એવી એ રચના છે. પણ એમાં ‘જાગરણ શીતાવતો (ચંદ્ર)' એ સઘનતાભર્યો વાક્પ્રયોગ રચનાને કાવ્યત્વને ઊંબરે લાવી મૂકે છે. ‘ચરણ ઘરું નાથ હે, આ રહ્યોસહ્યો હું' ('તું હિ તું હિ') એ પંક્તિમાં 'હું'ને 'રહ્યોસહ્યો’ એ તળપદું વિશેષણ લગાડીને ઈષ્ટાર્થની માર્મિક વ્યંજના કરી છે. ‘વિરહ પી જાય, તવ એક જ ચુંબન'માં વિદગ્ધતાપૂર્ણ વક્ર વાણીપ્રયોગ છે.

હસમુખ પાઠકના વાક્યલય-પરિચ્છેદલયની કાર્યસાધકતાનું ઉત્તમ ઉદાહરણ આ પૂર્વે ‘અંતઘડીએ અજામિલ'માં આપણને જોવા મળેલું છે. એમના વાક્યલય-પરિચ્છેદલયનાં ઘટક તત્ત્વો છે શબ્દ/વાક્યખંડ/વાક્યનું બેવડાવવું-તેવડાવવું. એનો ઓઘ રચવો, એને સામસામાં તોળવાં, એને એક દોરમાં પરોવવાં વગેરે. કેટલાંક ઉદાહરણ જુઓ :

  • કોને દોષ દઉં, વહાલા, કોને દોષ દઉં?   ('અ-દોષ')
  • એકબે હોય તો કહું, વહાલા, એકબે હોય તો કહું   ('અ-દોષ')
  • જલતી રહે જ્યોત, સખા,  

તારે માટે, તારે માટે, તારે માટે   (અગ્નિ)

  • એક તારા વિશે હેત, એક તારા વિશે હેત   ('હેત')
  • તને હવે જોયો, જોયો, જોયો   (બોલ)
  • થયો હું ઠાલો, ઠાલો, ઠાલો,   (‘બોલ’)
  • હવે હળુ હળુ હૈયે ડોલ, એટલે

હવા ડોલે, ફૂલ ડોલે, પાન ડોલે,
ઝાડ ડોલે, અરે ફરસ આઘીપાછી થાય,
માટી ઊંચીનીચી થાય, પથ્થર હરખે કૂદે,
તડકો-છાંયો નાચે, બધું હિલોળે
એકએકમાં - હું તારામાં, તું મારામાં,   ('હીંચકા પર')

  • ન આકાશ જેવડી, ન સાગર સરખી, ન પૃથ્વી સરસી.   ('હવેની કવિતા')
  • એને વાપરો, કટકા કરો, વેરવિખેર કરો,

જોડી, ફરી ટુકડા કરો, ફરી જોડો, ઊભા આડા
લીરા કરો, ચૂરા કરી, તેમ તેમ એ વધતો જાય,
ઝીણો ને ઝીણો થતો જાય, પાતળો
મજબૂત અને સૂક્ષ્મ થતો જાય, કઠણ કાતિલ
અને કારણ થતો જાય...   ('શું થાય શબ્દને?')

ભાવને ઘૂંટવો, અર્થ ખોદવો, વાતાવરણને જમાવવું - એ વાક્યલયો-પરિચ્છેદલયોની કામગીરી છે. તો સામે, ‘મન-મહારથીને’ જેવું પરંપરાગત બોધનું કાવ્ય પણ કંઈક ઊગરી જતું હોય તો એની વાક્છટાથી. પાઠકનાં ઘણાંબધાં કાવ્યો અછાંદસમાં વહે છે. એમાં એમને આ પ્રકારની વાક્છટા માટે પૂરતો અવકાશ રહ્યો છે.

કવિના ભાવજગતમાં સરલતા, પારદર્શકતા, વિશદતા છે ને એ ભાવજગત આપણા રસાનુભવનો વિષય અવશ્ય બની શકે તેવું છે. સરલ અભિવ્યક્તિ પણ ક્યારેક માર્મિક બની આવે છે. થોડીક રચનાઓ વધારે પરિપક્વ રૂપે ઊતરી આવી છે, પણ બધી રચનાઓ વિશે એવું કહેવાય એવું નથી. કેટલીક રચનાઓ સપાટ કથનથી ખાસ આગળ વધતી ન હોવાનું પણ અનુભવાય છે.

અંતે આ કાવ્યો કવિના એક અનુભવમાંથી, એમની પીડમાંથી સર્જાયાં છે. પીડ તો ચાલુ રહી છે, પણ કાવ્યસર્જન બંધ થયું છે. આધ્યાત્મિક અનુભવ ને પીડની સાથે કવિતા કદમ મિલાવી શકે એવું હંમેશાં ન જ બને. આ સર્જાયેલાં કાવ્યોમાં પણ એવું ન બન્યું હોય. કવિતાની અનન્ય શક્તિની પિછાન છતાં આ કવિ કહે છે —

  • હું જાણે કવિતા કરું ને વળી તને મેળવું?

પ્રપંચ અને પરમાર્થ બેઉ બગડે.   ('બેઉ બગડે’)

એટલેકે આધ્યાત્મિક અનુભવ પરત્વે તો કવિતાની પહોંચ નથી. કવિતા બંધ થઈ એનું કારણ આ પ્રતીતિ થઈ એ હશે?

છતાં કવિને માટે આ રચનાઓનું પોતાના અનુભવના આલેખ તરીકે એક મૂલ્ય હોય, આપણા જેવા કાવ્યભોગીઓ માટે બીજું.

હસમુખ પાઠકનાં કાવ્યોને સંઘરતા આ પુસ્તકના છેલ્લા પૂંઠા પર સુરેશ દલાલ વિશેનો પ્રશસ્તિલેખ મૂકવાનું ઔચિત્યપૂર્ણ, સુરુચિભર્યું લાગતું નથી.

૨૯ ઑક્ટો. '૯૧

પ્રત્યક્ષ, ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૯૧