આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/N

From Ekatra Foundation
Revision as of 12:59, 21 November 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સંજ્ઞાકોશ
N

Naive-Sentimental નૈસર્ગિક-ઉપનૈસર્ગિક

સૌંદર્યશાસ્ત્રની યુરોપીય વિચારધારાના બે મહત્ત્વના પક્ષોનું સૂચન કરતી આ સંજ્ઞા જર્મન કવિ અને વિચારક ફેડ્રિક શિલરે ૧૭૯૫માં સૌપ્રથમ પ્રયોજી. શિલર કાવ્યસર્જનની વાસ્તવવાદી અને આદર્શવાદી પ્રણાલીઓને અનુક્રમે નૈસર્ગિક (Naive) અને ઉપનૈસર્ગિક (Sentimental) તરીકે ઓળખાવે છે. તેના મત અનુસાર શેક્સપિયર, હોમર વગેરે કવિઓ કુદરત સાથે તાદાત્મ્ય ધરાવે છે અને કાવ્ય દ્વારા તેની વાસ્તવિકતા અભિવ્યક્ત કરે છે, જ્યારે અન્ય આધુનિક કવિઓ કુદરત સાથે સીધું અનુસંધાન ન ધરાવતા હોઈ કુદરતને તેમનો આદર્શ ગણી તેને પામવા, શોધવાની પ્રક્રિયાને તેમના સર્જનમાં નિરૂપે છે. પ્રથમ પ્રકારના કવિઓએ કુદરતને આત્મસાત કરેલી હોઈ કલ્પનાનું ઊર્ધ્વીકરણ (Transcendence) સાધી શકતા નથી, જ્યારે બીજા પ્રકારના કવિઓનું દર્શન ઊર્ધ્વીકૃત થયું હોય છે.
શિલરની આ વિચારધારાનો પડઘો ૧૯મી અને ૨૦મી સદીની સૌંદર્યશાસ્ત્રીય વિચારધારામાં રંગદર્શી (Romantic) અને પ્રશિષ્ટ (Classical), એપોલોનિયન અને ડાયોનિઝિયન એમ દ્વિપક્ષી વિચારધારાની વિવિધ સંજ્ઞાઓ દ્વારા થયેલા સ્વીકારમાં પડે છે.

Narrative નિરૂપણ-કથા

અમુક સમયાનુક્રમમાં ઘટનાઓનું જે રચનામાં નિરૂપણ થયું હોય તેવી રચનાને નિરૂપણકથા કહે છે. નિરૂપણકથામાં કથા અને કથા કહેનાર કથક હોય છે. કવિતાની પ્રકૃતિ ભાવાત્મક છે, નાટકની પ્રકૃતિ પ્રતિભાવાત્મક છે, જ્યારે કથાની પ્રકૃતિ નિરૂપણાત્મક છે.
રૉબર્ટ શોલ્સ અને કેલોગે નિરૂપણ-કથાના બે વ્યાપક વિભાગ પાડ્યા છે : અનુભવનિષ્ઠ (Empirical) અને કલ્પનાનિષ્ઠ (Fictional) કથા, અનુભવનિષ્ઠ કથા વસ્તુરચનાની વફાદારીની જગ્યાએ વાસ્તવની વફાદારી ધરાવે છે, જ્યારે કલ્પનાનિષ્ઠ કથા આદર્શ પ્રત્યેની વફાદારીની જગ્યાએ વસ્તુરચનાની વફાદારી ધરાવે છે.
સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્ર વગેરે સંખ્યાબંધ કલા-સ્વરૂપો પર નિરૂપણ કથાનો પ્રભાવ જાણીતો છે, સાહિત્યમાં નિરૂપણ-કથાની ઊંચી પ્રતિષ્ઠા છે, અને ચલચિત્રના પર્યાયરૂપ ગણાય છે.

Narrative Poetry કથાકાવ્ય-વર્ણનકવિતા

કવિતાના ત્રણ વર્ગ વિચારી શકાય : ઊર્મિકાવ્ય નાટ્યકાવ્ય અને કથાકાવ્ય. કથાકાવ્ય પદ્યમાં કથાને નિરૂપે છે. પદ્યના લયની સંમોહક તરેહોને કથાકાવ્ય ઉપયોગમાં લે છે. પદ્યમાં નિરૂપાતી કથા કેટલેક અંશે સ્મૃતિમાં વધુ દૃઢ રીતે સ્થિર થવા સંભવ છે.
મહાકાવ્ય અને ખંડકાવ્ય કથાકાવ્યના મૂર્ધન્ય પ્રકારો છે. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં રાસો, પ્રબંધ, આખ્યાન, પવાડુ કથાકાવ્યના નમૂનાઓ છે.

Narratology નિરૂપણવિજ્ઞાન

નિરૂપણાત્મક કથાસાહિત્યનો સંરચનાવાદી અભિગમથી અભ્યાસ કરતી ભાષા-વૈજ્ઞાનિક સાહિત્યવિચારની શાખા. ૧૯૬૯માં તોદોરોવે આ પ્રકારના અભ્યાસ માટે ‘નિરૂપણવિજ્ઞાન’ સંજ્ઞા પ્રયોજી. આ શાખાના વિદ્વાનો એવું માને છે કે નિરૂપણાત્મક કથાસાહિત્યની સમસ્યાઓ અને વર્ણનાત્મક ભાષાવિજ્ઞાનની સમસ્યાઓ વચ્ચે ઘણું સામ્ય છે, તેથી ભાષાવિજ્ઞાનનાં પ્રતિમાનો આવા સાહિત્યવિચારને લાગુ પાડી શકાય. લોકકથાવિદ ઍલન ડંડિસે (Dundes) ૧૯૬૪માં વ્યાદિમિર પ્રોપની પરીકથાઓ અંગેની સૈદ્ધાન્તિક વિચારણાને નિરૂપણાત્મક કથાઓના અભ્યાસ પરત્વે પ્રયોજવાનો પ્રયાસ કર્યો. તાજેતરનાં વિશ્વમાં અસ્તિત્વમાં આવેલો નિરૂપણ-સંરચનાઓનો આ અભ્યાસ બે મુખ્ય મુદ્દાઓ ઊભા કરે છે : સિદ્ધાંતની પુનર્વ્યાખ્યા કરવી તથા સિદ્ધાંત જેની સાથે કામ પાડે છે તે હેતુઓના ક્ષેત્રનું વિસ્તરણ કરવું. આ શાખા સંરચનાવાદ, સંકેતવિજ્ઞાન, પાઠ ભાષાવિજ્ઞાન વગેરે અનેક ઉપશાખાઓની સહાય લે છે. વૅન ડીક, જૂલ્ય ક્રિસ્તેવા, લેવિ સ્ત્રાઉસ, પ્રોપ, ટૉમસ પાવલ, ગ્રેમા, બ્રેમોં વગેરે આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓ છે.

Narrator નિરૂપક

કથાસાહિત્યમાં કથાનું નિરૂપણ કરનાર. સામાન્ય રીતે કથાસાહિત્યમાં કથાનું નિરૂપણ પ્રથમ પુરુષ દ્વારા કે ત્રીજા પુરુષ દ્વારા થતું હોય છે. નિરૂપક ઘણીવાર કથાની બહાર પણ રહે છે. આના સંદર્ભમાં ઝેરાર જેનેત નિરૂપકના ત્રણ પ્રકારો વર્ણવે છે : પોતે કરેલા નિરૂપણમાં પોતાની અનુપસ્થિતિ હોય એવો વિષમવૃત્તાંત્તશીલ (Heterodiegetic) નિરૂપક : પ્રથમ પુરુષમાં લખાયેલી વાર્તાઓની જેમ એના પોતાના નિરૂપણમાં ઉપસ્થિત હોય એવો સમવૃત્તાંતશીલ (Homodiegetic) નિરૂપક અને પોતે કરેલા નિરૂપણમાં માત્ર ઉપસ્થિત જ નહીં પણ મુખ્ય પાત્ર તરીકે કાર્ય બજાવતો હોય એવો સ્વયંવૃત્તાંતશીલ (Antodiegetic) નિરૂપક.

Nationalism રાષ્ટ્રવાદ

સાહિત્યકૃતિમાં માત્ર પોતાના દેશ પ્રત્યેની ભાવનાની પ્રતિષ્ઠા કરવાનું સર્જકનું વલણ. દરેક ભાષામાં રાષ્ટ્રવાદી સાહિત્ય અસ્તિત્વ ધરાવે છે. માતૃભૂમિ માટેના પ્રેમ કે સ્વદેશાભિમાનની ભાવનાને રજૂ કરતું સાહિત્ય વિપુલ પ્રમાણમાં લખાયું છે. જેમકે, ૨. વ. દેસાઈની નવલકથા ‘દિવ્યચક્ષુ’.

Naturalism પ્રકૃતિવાદ

કલા અને સાહિત્યમાં જીવનનું પ્રથમદર્શી, વાસ્તવિક ચિત્રણ કરવાનું વલણ ધરાવતી વિચારધારા. આ વિચારધારા કલાકૃતિમાં જીવનના આદર્શવાદી, આધિભૌતિક કે કપોલ કલ્પિત ચિત્રણનો વિરોધ કરે છે.
બહોળા અર્થમાં વિવેચકો આ સંજ્ઞાને વાસ્તવવાદ(Realism)ના પર્યાય તરીકે પણ પ્રયોજે છે, તો કુદરત વિશેના પ્રેમની મહત્તાની સ્થાપના કરતું સાહિત્ય સર્જન (જેમ કે વડર્‌ઝવર્થની પ્રકૃતિ-કવિતા) પણ આ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે. જોકે પ્રકૃતિસૌંદર્યનું નિરૂપણ કરતી સાહિત્યકૃતિઓ Naturism નામે ઓળખાતી અલગ વિચારસરણીનું પરિણામ ગણાય છે. આ બંને વિચારસરણીઓ-Naturalism, Naturism-૧૯મી સદીના પૂર્વાર્ધમાં વાસ્તવવાદ (Realism)માંથી જ ઉદ્‌ભવી છે.
પ્રકૃતિવાદને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદથી અસ્તિત્વમાં આવેલી વૈચારિક ક્રાંતિના પરિણામરૂપે પણ તપાસી શકાય. એમિલ ઝોલાએ નવલકથાક્ષેત્રે આ વાદની પ્રતિષ્ઠા કરી. ત્યાર બાદ જર્મનીમાં આ વાદ ‘જર્મન પ્રકૃતિવાદ’ના નામે આગવી રીતે પ્રતિષ્ઠા પામ્યો. ગાલ્ઝવર્ધી, ઇબ્સન, ચૅખોવ, તોલ્સ્તોય, ગૉર્કી વગેરે નાટ્યકારોનાં સર્જનમાં આ વાદનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. આ પ્રકારનાં નાટકો પ્રકૃતિવાદી નાટ્યસાહિત્ય (Naturalislic Drama) તરીકે ઓળખાયાં.
નવલકથામાં પ્રકૃતિવાદના વિનિયોગનો ટોમર્સ હાર્ડીએ વિરોધ કર્યો હતો.

Naturalization સ્વાભાવિકીકરણ

લેખનની રીતિ વાચકની સ્વાભાવિકીકરણના અને નિર્દેશનબિન્દુ રૂપ સામાન્ય જગતના અભિજ્ઞાનના સામર્થ્ય પર અવલંબિત છે. સાહિત્યની સંસ્થા કૃતિ અને જગત વચ્ચેના જુદા પ્રકારના સંબંધની સંમતિ આપે છે અને ગદ્યમાં જે પ્રવેશપાત્ર નથી એવા વાચનનાં પરિચાલનો કે સ્વાભાવિકીકરણના ચોક્કસ પ્રકારોને સંગત બનાવે છે. ઉદાહરણ તરીકે અલંકારો આમ તે નિરર્થક છે, પરંતુ કાવ્યનિરૂપકને માટે એ સંવેગની પ્રબળતા કે કલ્પનાની તાજગીનાં સૂચક છે. આમ પરંપરા અને અપેક્ષાના નિશ્ચિત ગણ દ્વારા વાચક કૃતિને સ્વાભાવિક બનાવે છે.

Negative Capability નિષેધાત્મક ક્ષમતા

પોતાના અહંને વિગલતિ કરી અન્યના અહંમાં, અન્યની ચેતનામાં રોપાવાની આવડતને આંગ્લ કવિ કિટ્‌સ ‘નિષેધાત્મક ક્ષમતા’ કહે છે. આ જ કારણે ગ્રેબિયલ માર્શલ સાહિત્યના અભિજ્ઞાનની પ્રક્રિયાને આંતર પ્રાણત્વ(Intersubjectivity)ની પ્રક્રિયા કહે છે.

Neoclassicism નવ્ય પ્રશિષ્ટવાદ

અંગ્રેજી સાહિત્યમાં ૧૭મી અને ૧૮મી સદી દરમ્યાન ડ્રાયડન, પોપ, સ્વિફ્ટ, એડિસન, અને જ્હૉનસન જેવા લેખકો દ્વારા પ્રાચીન ગ્રીક અને રોમન સર્જકોનાં જીવનદર્શનનું અને એમની શૈલીનું જે પુનઃપ્રવર્તન થયું તેને એાળખાવતી સંજ્ઞા. પ્રાચીન પ્રશિષ્ટ કૃતિઓના નિયમોનું ચુસ્ત અનુપાલન આ વાદની અંતર્ગત અપેક્ષિત છે.

Neologism નવશબ્દઘટન

નવા શબ્દો કે નવા વાક્યખંડોનું ઘડતર, એનો ઉપયોગ, નવશબ્દઘટન ભાષાઓમાં સતત ચાલ્યા કરતું હોય છે. જેમ કે, સિતાંશુ યશશ્ચન્દ્રના ‘જટાયુ’ની પંક્તિઓ જુઓ : “હાથવા ઊંચો ઊડે જટાયુ તો વાંસવા ઠેકે વન.”

Nemesis પ્રતિફલિત ન્યાય

વિદ્વેષની ગ્રીક દેવીના નામ પરથી આવેલી સંજ્ઞા. આ સંજ્ઞા કરુણ-કવિન્યાય (Tragic Poetic Justice)ના સિદ્ધાંતમાં પ્રયોજાય છે. આ સિદ્ધાંત પ્રમાણે આસુરી તત્ત્વો પોતાના જ કારણે પતન પામે છે.

Neo Humanism નવ્ય માનવતાવાદ

૧૯૧૫થી ૧૯૩૩ દરમિયાન ખૂબ પ્રભાવક નીવડેલો અમેરિકી વિવેચનનો વાદ. મુખ્યત્વે આ વાદે ૧૯મી સદીના રંગદર્શીઓ, ઉદ્દામો અને અનુભવવાદીઓ સામે સંરક્ષક, નૈતિક, રાજકીય અને સૌંન્દર્યનિષ્ઠ ધોરણો પુરસ્કારેલાં. સૌન્દર્ય-નિષ્ઠ ધોરણોને બદલે નૈતિક ધોરણોથી સાહિત્યકૃતિઓની મૂલવણી થાય એ તરફનો એનો મુખ્ય ઝોક હતો. મેથ્યુ આર્નોલ્ડ આ વાદનો વૈતાલિક ગણાય છે. આ વાદ પર એનું વધુમાં વધુ ઋણ છે. અરવિંગ બૅબિટ પૉલ એલ્મર મોરની સાથે રહી આ વાદનો કાર્યક્રમ ઘડેલો.

New Criticism નવ્ય વિવેચન

સાહિત્યનું વર્ણન અને તેનું મૂલ્યાંકન તેની પોતાની અંતર્ગત કોટિઓ વડે જ થવું ઘટે તેવો મત ધરાવતો વિવેચનાત્મક અભિગમ, પશ્ચિમમાં અમેરિકી નવ્ય વિવેચનના ઉદય પહેલાં સાહિત્યકૃતિને ઇતિહાસ, મૂળસ્રોત, કર્તાનું જીવન-ચરિત્ર કે મનોભાવ, યુગદૃષ્ટિ કે પ્રવર્તમાન વિચારધારા વગેરે સાહિત્યકૃતિના બહારનાં ધોરણોથી તપાસવા-મૂલવવાની જે પૂર્વવતી પરંપરા હતી તેના વિરોધમાં ‘નવ્ય વિવેચને’ કૃતિનું કેવળ સાહિત્યિક ધોરણોએ વિવેચન કરવા પર ભાર મૂકી અને તે માટે કૃતિની બહારથી કશું આયાત કર્યા વિના, સ્વયં કૃતિનું ઘનિષ્ઠ વાચન કરવાનો અને એમ કેવળ કૃતિગત સંદર્ભોને જ આધાર લઈને કૃતિનું અર્થઘટન કરવાનો આગ્રહ રાખ્યો, જૉન કે રેન્સમ, રિચર્ડઝ, વિલ્યમ એમ્પસન, કૅનિથ બર્ક, ઍલન ટેય્‌ટ, વિમ્સેટ અને બ્રૂક્સ વગેરે આ અભિગમના મુખ્ય પુરસ્કર્તાઓ છે.

Nihilism નેતિવાદ

સ્થાપિત મૂલ્યોના સંપૂર્ણ અસ્વીકારનું વલણ દર્શાવતી આ વિચારધારા અશ્રદ્ધાવાદના અંતિમ દૃષ્ટિબિંદુનું સૂચન કરે છે. સત્ય અને શ્રદ્ધાના કોઈ પણ આધારનો વિરોધ કરતા આ વાદ સાહિત્યમાં અસ્તિત્વવાદના સ્વરૂપમાં દાખલ થયો. આમ માનવઅસ્તિત્વની હેતુવિહીનતાની ચર્ચા કરતી ‘વેઇટિંગ ફોર ગોદો’ જેવી સાહિત્યકૃતિઓ અસ્તિત્વમાં આવી.

Noh (No) નૉ

જપાનનો પ્રશિષ્ટ નાટકનો એક પ્રકાર. શિન્ટોની ધર્મપૂજાના વિધિના ભાગરૂપે આ નાટ્યપ્રકાર ૧૪મી સદીમાં જપાનમાં અસ્તિત્વમાં આવ્યો. એક કે બે અંકનાં આ ટૂંકાં નાટકોમાં ધાર્મિક વસ્તુની નીતિમૂલક મીમાંસા કરવાનું વલણ હતું.
જુઓ : Kabuki.

Nom de Plume તખલ્લુસ

જુઓ : Pseudonym, Allonym, Penname.

Nominalism નામવાદ

સાર્વત્રિકો કે અમૂર્ત સંજ્ઞાઓને વાસ્તવ જોડે સાંકળ્યા વગર માત્ર નામ તરીકે જ ગણતરીમાં લેનારો મત. આ વાદના પિતા ગણાતા વિલ્યમ ઑવ ઑખામે-(William of Okham ૧૨૮૦-૧૩૪૯) નામવાદની નિર્થકતાઓ સ્વીકાર્યા વગર વાસ્તવના સિદ્ધાંતની ટીકા કરી હતી.
યુરોપના મધ્યયુગમાં નામવાદીઓએ પ્લેટોના જાતિવાદનો પ્રતિકાર કરવાનો પ્રવાસ કર્યો હતો. તેના મતે જાતિ તો નામ માત્ર છે, સત્તા કેવળ વ્યક્તિઓની જ હોય છે.

Nonce-word એકાવસરી શબ્દ

વિશિષ્ટ પ્રસંગ માટે શોધાયેલો અને માત્ર એક જ વાર પ્રયોજાયેલો શબ્દ લૂઈ કૅરલ, જેમ્ઝ જોય્‌સ જેવા સર્જકોમાં આ પ્રકારના શબ્દો જોવા મળે છે.

Non-Fiction કથા-ઇતર સાહિત્ય, અ-કથા

જીવનકથા, ઇતિહાસ અને નિબંધ જેવાં તથ્યો અને વાસ્તવો સાથે કામ પાડતાં નિરૂપણાત્મક ગદ્ય લખાણો આ સંજ્ઞા દ્વારા ઓળખાવાય છે.
આધુનિક ફ્રેન્ચ સાહિત્યમાં આ સંજ્ઞા વિશિષ્ટ રીતે પ્રયોજાય છે. અ-કથા એ આધુનિક ફ્રેન્ચ કથાસાહિત્યનો એક પ્રવાહ છે. આ નવલ-પ્રકાર અનુભવનિષ્ઠતાનો પુરસ્કાર કરે છે અને માત્ર પાત્રો તથા કાર્ય જેવાં કલ્પનાશીલ તત્ત્વોને જ નહીં, પણ વિશ્વ પ્રત્યેની માનવ-કેન્દ્રિત દૃષ્ટિનો પણ ત્યાગ કરે છે. નોર્મન મેયલર, બી. એસ. જોન્સન રોબ-ગ્રિયે જેવાની નવલકથાઓ આના ઉદાહરણરૂપ છે.

Nonsense Verse અર્થમુક્ત પદ્ય

હળવા કાવ્યનું એક સ્વરૂપ; જેમાં અર્થનું નહિ, પણ ધ્વનિ અને આંદોલનોનું મહત્ત્વ હોય છે. લૂઈ કૅરલ અને એડવર્ડ લિર આ મનોરંજક અસંગતતાના પ્રમુખ સર્જકો છે.
જેમ કે દલપતરામની પંક્તિઓ :

પાડો ચડ્યો લીમડે લબલબ લીંબુ ખાય
ત્યાંથી આવ્યો ચોકમાં જાણે કળાયેલ મોર.

Nostalgia અતીતઝંખના

ઘર કે વતન, કે ભૂતકાળના કોઈ સમયની ઝંખના.

Noumenon નિરીન્દ્રિય

કૅન્ટવાદી તત્ત્વજ્ઞાનમાં આ સંજ્ઞા ઇન્દ્રિયોની સહાય વગર થતી બૌદ્ધિક સહજ સ્ફુરણાની વસ્તુ છે. કૅન્ટ આ સંજ્ઞાને પ્રતિભાસ(Phenomenon)ના વિરોધમાં પ્રયોજે છે.

Nouvelle Vague નવી ધારા

૧૯૫૦ થી ૧૯૭૦ના બે દાયકા દરમ્યાનની ફ્રેન્ચ કલાઝુંબેશ, રૉબ-ગ્રિયે, નાતાથી સાંરોત, અને માય્‌કલ બુતોર જેમાં પ્રતિનવલકથાકારોની નવી નવલકથાઓનો તેમજ આલાં રેને, ઝર્યાં લુક ગોદાર અને ફાંકો ત્રૂફો જેવાની પ્રયોગશીલ ફિલ્મોનો એમાં સમાવેશ થાય છે.

Novel નવલકથા

નિરૂપણાત્મક પદ્ધતિએ ગદ્યમાં લખાતી કાલ્પનિક કથા. એમાં અમુક સમયગાળાનાં માનવ-પાત્રોની ક્રિયાઓનું જીવનના સંદર્ભમાં ચિત્રણ હોય છે. વિવિધ પાત્રો અને ઘટનાઓનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. અહીં પાત્રો અને ઘટનાઓનો પરસ્પરના નિરૂપણ માટે ગાઢ સંબંધ હોય છે.
નવલકથાના સ્વરૂપમાં વસ્તુસંકલના એ કથાના રૂપાન્તરની અનિવાર્ય પ્રક્રિયા છે. નવલકથાના વસ્તુ અને સ્વરૂપ અનુસાર તેના અનેક પ્રકારો પાડવામાં આવે છે. જેમકે : ઐતિહાસિક નવલકથા, રહસ્યકથા વગેરે.

Novelette લઘુનવલ

ટૂંકી વાર્તાથી વધુ અને નવલકથાથી ઓછા કદની કૃતિઓને અલગ તારવી આપતો કથાસાહિત્યનો એક પ્રકાર. યુરોપમાં આ સંજ્ઞા ક્યારેક ‘સસ્તી’, ચીલાચાલુ, અસાહિત્યિક કૃતિ માટે પણ વપરાય છે. અમેરિકામાં મુખ્યત્વે આ સંજ્ઞા લાંબી ટૂંકી વાર્તા માટે પ્રયોજાય છે અને તેને ટૂંકી વાર્તા અને નુવેલાની વચમાં મૂકવામાં આવે છે.
જુઓ : Novella

Novella લાંબી-ટૂંકી વાર્તા

લાંબી ટૂંકી વાર્તા કે ટૂંકી નવલકથાનું સૂચન આ સંજ્ઞા દ્વારા થાય છે. બોકૉચિયોના વાર્તાસંગ્રહ ‘ડૅકામૅરોન’ માટે આ ઇટાલિયન સંજ્ઞા પહેલી વાર ૧૪૭૧માં પ્રયોજવામાં આવી. આ સ્વરૂપની કેટલીક વસ્તુલક્ષી લાક્ષણિકતાઓ છે : કૃતિમાં એક જ ઘટનાનું સળંગ નિરૂપણ, ઘટનામાં નિરૂપાતો અણધાર્યો વળાંક, ચમત્કૃતિપૂર્ણ અંત.
કથાસાહિત્યના આ સ્વરૂપનો સૌથી વધુ વિકાસ ૧૯મી સદીથી જર્મનીમાં થયો. ઉપરાંત અમેરિકા, ઇટલી તથા ઇંગ્લૅન્ડમાં પણ એનો પ્રસાર થયો. જેમ કે ‘કોન્જ્યુગલ લવ’ (મોરેવીઅ), ‘ધી ઓલ્ડમૅન ઍન્ડ ધ સી’ (હેમિન્ગ્વે).

Novel of the Soil ધરતીની કથા

કુદરત સાથેના મનુષ્યના સંઘર્ષનું નિરૂપણ કરતી નવલકથા. આ પ્રકારની નવલકથામાં મનુષ્યની શક્તિને પડકારતી કુદરતી આફતો કે વાવાઝોડું, દુષ્કાળ વગેરેનું ચિત્રણ જોવા મળે છે. જેમ કે, ‘ગ્રેપ્સ ઑવ રૉથ’ (જ્હૉન સ્ટાઈનબેક) ‘માનવીની ભવાઈ’ (પન્નાલાલ પટેલ).

Nursury Rhymes બાળ ગીતો

નાનાં બાળકો માટેનાં પરંપરિત ગીતો અને કથાઓવાળાં લઘુકાવ્યો.