નૈવેદ્ય

Revision as of 04:05, 19 July 2026 by Artimundra (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



નૈવેદ્ય

ડોલરરાય માંકડ

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો


કૃતિ-પરિચય

નૈવેદ્ય (૧૯૬૨) : ડોલરરાય માંકડનો એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે પ્રગટ થયેલો લેખસંગ્રહ. વિવિધ સામયિકોમાં વિભિન્ન સમયે પ્રગટ થયેલા એમના લેખોને અહીં એકત્રિત કરવામાં આવ્યા છે. વિવિધ વિષયોવાળા આ લેખોમાં ‘અનુશ્રુતિનું યાથાતથ્ય’, ‘કલ્કિ અવતાર’, ‘ઋગ્વેદમાં ઉત્તરધ્રુવ’ એ પુરાતત્ત્વના લેખો છે; તો ‘નાટ્યશાસ્ત્રનાં કેટલાંક રૂપો’, ‘એકાંકી નાટકો’, ‘કાલિદાસની નાટ્યભાવના’ ઇત્યાદિ સંસ્કૃત નાટ્યસાહિત્ય પરના લેખો છે. ‘નવલકથા અને નવલિકા’ જેવો અર્વાચીન સાહિત્યપ્રકારના સ્વરૂપની ચર્ચા કરતો લેખ એક જ છે, પરંતુ ગુજરાતી સાહિત્યકૃતિઓ પરના અભ્યાસલેખોનું ઠીકઠીક પ્રમાણ છે. ‘સરસ્વતીચંદ્ર-સકલકથા’, ‘શર્વિલક’, ‘વસંતોત્સવ - એક ઉપમાકાવ્ય’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ જેવા લેખોમાં લેખકનો મૌલિક દૃષ્ટિકોણ જોઈ શકાય છે. ‘પાંડિત્યમંડિત રસિકતા’ અને ‘દી. બ. કેશવલાલ હ. ધ્રુવની વાઙ્મય સેવાની સૂચિ’ એ કે. હ. ધ્રુવ વિશેના બે મહત્ત્વના લેખો છે. ‘ભાષા’, ‘વાક્યવિચાર’, ‘ગુજરાતીમાં મૂર્ધન્ય ‘ડ’ અને મૂર્ધન્યેતર ‘ડ’, ‘હોળીનું મૂળ’ ઇત્યાદિ ભાષા અને વ્યાકરણના લેખો છે. ‘ભગવજજુકમ્’ એક સંસ્કૃત પ્રહસનનો અનુવાદ છે. ‘નિરુક્તનું ભાષાંતર’માં નિરુક્તના બીજા અધ્યાયના એકથી ચાર ખંડનો અનુવાદ છે. શાસ્ત્રીય સંશોધનાત્મક દૃષ્ટિ, વિશદ રજૂઆત અને અનાક્રમક મતદર્શનને લીધે આ લેખો અભ્યાસીઓને ઉપયોગી નીવડે એવા છે.

— જયંત ગાડીત
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર