ધીરેન્દ્ર મહેતાની કવિતા/તારા ગયા પછી

From Ekatra Foundation
Revision as of 02:05, 5 May 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩.
તારા ગયા પછી...

મુજ દૃષ્ટિ પાછી ના વળે તારા ગયા પછી,
રસ્તા બધાય ઓગળે તારા ગયા પછી!

ક્યાંથી જ સૂર નીકળે તારા ગયા પછી?
બાઝી ગયાં ગીતો ગળે તારા ગયા પછી!

જે પળને નામ પ્રેમનું આપ્યું’તું આપણે,
અશ્રુ બની એ ઊછળે તારા ગયા પછી!

પોલાણ મારી જિંદગીનું થઈ ગયું છતું,
કે કોણ આવીને ભળે તારા ગયા પછી!

શબ્દોની નાવ ડૂબી ગઈ છે ઘડીકમાં,
ખામોશી ખાલી ખળભળે તારા ગયા પછી!

ભીંતો બધીય આજ બહેરી બની ગઈ,
કોના જ શ્વાસ સાંભળે તારા ગયા પછી?

આકાશનું પંખીય રહે બેસી ટોડલે,
કોને ભલા ઊડી મળે તારા ગયા પછી?

પડદા પડી રહ્યા છે બધે અંધકારનાં,
આ સૂર્ય કેમ ના ઢળે તારા ગયા પછી?
૧૭-૧-’૭૦