સરળ અલંકાર-વિવેચન/અપ્રસ્તુતપ્રશંસા

From Ekatra Foundation
Revision as of 02:50, 23 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(૧૦) અપ્રસ્તુતપ્રશંસા :

સંસ્કૃત અલંકાર--શાસ્ત્રમાં અપ્રસ્તુતપ્રશંસાના પાંચ પ્રકાર ગણવામાં આવ્યા છે. આપણે તેનો એક જ પાંચમો પ્રકાર અહીં જોઈશું. ‘પ્રશંસા’ એટલે કથન એવો જ અહીં અર્થ છે. જ્યારે અપ્રસ્તુત વસ્તુના વર્ણન દ્વારા કવિને જેના વિશે ખાસ કહેવું છે તે પ્રસ્તુત વસ્તુનું સૂચન થાય, ત્યારે અપ્રસ્તુતપ્રશંસા બને છે. કવિને જ્યારે સીધે સીધું પ્રસ્તુત વિશે ન કહેવું હોય, ગોપાવીને કહેવું હોય, ને એ રીતે કહેવાથી એનું વક્તવ્ય વધારે ચમત્કૃતિવાળું, રમણીય કે સરહસ્ય બનતું હોય, ત્યારે કવિ આ અલંકારનો આશરો લે છે. આપણે આને અન્યોક્તિ પણ કહી શકીએ; કેમકે અન્યોક્તિમાંયે એકનું વર્ણન કરીને તે દ્વારા અન્યને જ તે લાગુ પડાતું હોય છે. થોડાં ઉદાહરણો જોઈએ : હે ચાતક ! જરા સાવધાન થઈને થોડીક મારી વાત સાંભળ. ગગનમાં તો ઘણા યે મેઘ ગાજે છે. પણ કંઈ બધા જ વરસતા નથી. તેથી તું જેટલા મેઘને દેખે તેટલા બધાયની પાસે દીન વદને યાચના કર્યાં કરે તે શું યોગ્ય છે ભલા ? અહીં ચાતકને આમ કહેવું ખરું જોતાં નિરર્થક છે. ચાતક કવિની–માણસની-ભાષા ક્યાંથી સમજે ? વળી ચાતકનો તો આ સ્વભાવ જ છે. પછી ચાતકને આમ કહેવામાં શો અર્થ છે? એટલે અહીં અપ્રસ્તુત-પ્રશંસા અથવા અન્યોક્તિ દ્વારા કવિ કોઈ દીન યાચકને કહેવા માંગે છે કે ભાઈ! આવી જ્યાં ત્યાં બતાડાતી દીનતા સારી નહિ. કંઈ પાત્ર-અપાત્રનો, તારા ગૌરવનો, વિચાર તો તારે કરવો જ જોઈએ. એવું જ કવિ નીચેની ઉક્તિમાં, સાગર દ્વારા, કોઈ મહાન વૈભવી પણ જેને હાથેથી કશું છૂટતું નથી તેવાને ઉદ્દેશીને કહે છે :

તારો મહાબ્ધિ ! જલ-વૈભવ વ્યર્થ આ કે
નાનાં ખગોય તરસે ટવળે તું પાસે.

શ્રી. ઉમાશંકર જોષીનું ‘બળતાં પાણી’ અન્યોક્તિ કાવ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તે લાંબું હોવાથી અહીં થોડી જ પંક્તિઓ ટાંકીશું :

નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગર-વનો,
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી.
.........
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી,
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બુઝવવા !
પછી ત્યાંથી કોદી, જલભર ભલે વાદળ બની,
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્હે !
અરે! એ તે ક્યારે ? ભસમ સહુ થૈ જાય પછીથી?

(ગંગોત્રી)

વસ્તુત : નદીમાં કશો આવો ભાવ જન્મવો જ અસ્વાભાવિક છે. ત્યારે કવિ શા માટે આમ નિરૂપે છે? કવિને ઉદ્દિષ્ટ છે વિશિષ્ટ માનવભાવ. સમાજની, સ્વતંત્રતાની વેદી ઉપર પોતાનું જીવન હોમી દેવા તત્પર થતો જુવાન કયું સંવેદન અનુભવે છે તે કવિએ ભારે માર્મિકતાથી અહીં સૂચવ્યું છે. નદી દૂર દૂર સિંધુના અદીઠ વડવાગ્નિ બુઝવવા જાય છે. પણ પાસેનાં જ ડુંગરવનો ભડભડ બળે છે તે બુઝાવવા કંઈ કરી શકતી નથી. દેશને માટે મરી ફીટતો જુવાન ઘણુંયે ઇચ્છે તો પણ પોતાનાં અપંગ માબાપને માટે કશું કરી શકતો નથી, એ કેવી કરુણા છે? કવિએ આ ભાવ અન્યોક્તિ દ્વારા ભારે સામર્થ્યથી પ્રગટ કર્યો છે. પક્ષિરાજને સંબોધીને ‘સરસ્વતીચંદ્ર’માં કુમુદ જે ભાવો પ્રદર્શિત કરે છે તે વસ્તુત: સરસ્વતીચંદ્રને જ ઉદ્દેશીને છે; ને માટે એ પણ અન્યોક્તિ અથવા અપ્રસ્તુતપ્રશંસાનું ઉદાહરણ છે. આપણે તેની થોડીક પંક્તિઓ જોઈએ :

અવની પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં;
ટૂંકું કર્મ ટૂંકું રહેવાને સરજાયું આ ધરતીમાં.
નભ વચ્ચોવચ રંગીન થાતાં ગરુડરાજની પાંખ થકી,
સુભગ ઘડીક એ બન્યું: નવાઈ ન, એ દશા જે ના જ ટકી.
પણ ઊંચા નભના સંચારી પક્ષિરાજ ! તું આવ્યો આ
ધરતી પર, ત્યાંથી ઊડ પાછો; પક્ષહીનનો દેશ જ આ.
નહિ ઉડાયે પોતાથી પણ પ્રિયની વિમાનગતિ જોઈ
રાચવું એટલું રહ્યું ભાગ્ય તે રાખ ! નીકર રહીશું રોઈ

એ જ પ્રમાણે ‘સરસ્વતીચંદ્ર’માં આવતી ગંગાના પતનની કવિતા પણ અન્યોક્તિ છે. નવીનચંદ્રને પતનમાંથી ઉગારવા આ પંક્તિઓ કુમુદ સારંગી સાથે ગાતી હોય છે. ગંગાના પતનદ્વારા કોઈ વ્યક્તિનું પતન જ અહીં સૂચિત છે :

શુભ્ર સ્વર્ગમાં વસનારી તે ચળી પડી હરશિરે,
પડવા માંડેલી પડી પાછી! ટકી ન હર ! હર-શિરે.
પડી ગિરિ પર: ઉચ્ચ ગિરિવર મૂકી પડી એ પાછી,
અવની પર આળોટતી ચાલી ધૂળવાળી ઘણી થતી...

‘શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી !’ નામની સરસ્વતીચંદ્રની ઉક્તિ પણ અન્યોક્તિ જ છે.