કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૨૮. ગામને કૂવે

From Ekatra Wiki
Revision as of 15:18, 14 December 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૨૮. ગામને કૂવે

કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી


ગામને કૂવે પાણીડાં નહિ ભરું,
          કૂવે કળાયલ મોર, મોરી સૈયરું,
                   ગામને કૂવે પાણીડાં નહિ ભરું.

ગામને સરવરિયે ઝીલણ નહિ કરું,
          સરવરિયે ચિત્તડાનો ચોર, મોરી સૈયરું,
                   ગામને...

ગામની વાડીમાં કદી નહિ ફરું.
          વાડીમાં પિયુનો કલશોર, મોરી સૈયરું,
                   ગામને...

ગામને ચૌટે ઘડીભર નહિ ઠરું,
          ચૌટામાં ચમકે ચકોર, મોરી સૈયરું,
                   ગામને...

ગામમાં રહીને જઈ ક્યાં ઠરું?
          ઠાલો એકે ન મૂકે ઠોર, મોરી સૈયરું,
                   ગામને...

ગામમાં માતી હું ન’તી ઘૂમતાં,
          તોડ્યો એણે મનડાનો તોર, મોરી સૈયરું,
                   ગામને કૂવે પાણીડાં નહિ ભરું.

અમદાવાદ, ૨૨-૫-૧૯૪૫
(સમગ્ર કવિતા, પૃ. ૪૩૫)