અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૈફ પાલનપુરી/દિલનું નિવેદન

Revision as of 07:48, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
દિલનું નિવેદન

સૈફ પાલનપુરી

નિસ્બત છે અમારે ધરતીથી,
         તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે?
ઘર-દીપ બુઝાવી નાખીને,
         નભ-દીપને રોશન કોણ કરે?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ,
         હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક,
મારાથી વધુ મુજ કિસ્મતનું
         સુંદર અનુમોદન કોણ કરે?

વિખરેલ લટોને ગાલો પર,
         રહેવા દે, પવન! તું રહેવા દે,
પાગલ આ ગુલાબી મોસમમાં,
         વાદળનું વિસર્જન કોણ કરે?
આ વિરહની રાતે હસનારા,
         તારાઓ બુઝાવી નાખું, પણ;
એક રાત નિભાવી લેવી છે,
         આકાશને દુશ્મન કોણ કરે?

જીવનની હકીકત પૂછો છો?
         તો મોત સુધીની રાહ જુઓ,
જીવન તો અધૂરું પુસ્તક છે,
         જીવનનું વિવેચન કોણ કરે?
લાગે છે કે સર્જક પોતે પણ
         કંઈ શોધી રહ્યો છે દુનિયામાં,
દરરોજ નહિ તો સૂરજને,
         ઠારી, ફરી રોશન કોણ કરે!

છે હોઠ ઉપર એક સ્મિત સતત
         ને આંખ હસે છે ‘સૈફ’ સદા,
દિલને તો ઘણાં દુ:ખ કહેવાં છે
         પણ દિલનું નિવેદન કોણ કરે?