કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/સાચા શબદ

Revision as of 17:10, 30 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)


૨. સાચા શબદ


આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ.
સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ.
કોયલ ટહુકે આંબાડાળે
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ
એ સાચા શબદનાં પરમાણ.
ફૂલ ખીલે નિત નવ કેમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબદનાં પરમાણ.

(રામરસ, ૧૯૫૬, પૃ. ૮)