સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ઔચિત્યવિચાર

Revision as of 14:55, 4 July 2024 by Meghdhanu (talk | contribs) (+૧)

ઔચિત્યવિચાર

કાવ્યપરીક્ષા માટે એક વિશેષ ધોરણ આનંદવર્ધને આપણી સમક્ષ મૂક્યું છે. એ છે ઔચિત્યનું ધોરણ. આનંદવર્ધન કહે છે કે અનૌચિત્ય સિવાય બીજું કોઈ રસભંગનું કારણ નથી, પ્રસિદ્ધ ઔચિત્યનું નિયોજન એ જ રસની પરમ રહસ્યવિદ્યા છે. આનંદવર્ધન રસવિષયક અને બીજાં ઘણાં ઔચિત્યોની અવારનવાર ચર્ચા કરે છે એ અવશ્ય માર્ગદર્શક બને એવી છે. ક્ષેમેન્દ્રે ઘણાં વિશેષ કાવ્યાંગોના ઔચિત્યની ચર્ચા કરી છે એયે લક્ષમાં લેવા જેવી છે. (જો કે એમાંનું ઘણું તો ધ્વનિના સામાન્ય સિદ્ધાંતમાં સમાઈ જાય છે.) પણ ઔચિત્યનો નિર્ણય શું સરળ છે? આનંદવર્ધનની ચર્ચા જોતાં એવું લાગતું નથી. ઔચિત્ય કેટલીબધી બાબતો પર આધાર રાખે છે? કાવ્યનો પ્રકાર કયો છે, એનું વસ્તુ કયા પ્રકારનું છે, એનાં પાત્રો કેવાં છે, પ્રસંગ કઈ જાતનો છે, રસ કયો આલેખાઈ રહ્યો છે – એ બધું લક્ષમાં લેવાનું હોય છે. દેશકાળ પ્રમાણે પણ ઔચિત્યના ખ્યાલો બદલાય. આનંદવર્ધનના દેશકાળમાં જે વસ્તુ અનુચિત મનાતી હોય તે આજે એવી ન પણ મનાતી હોય. અને છેવટે, આનંદવર્ધને એક મહત્ત્વની વાત કહી છે કે, કવિપ્રતિભા પણ નિર્ણાયક બનતી હોય છે, સામાન્ય રીતે જે વસ્તુ અનુચિત ગણાય તે પ્રતિભાશાળી કવિના આલેખનમાં એવી ભાસતી નથી, કવિપ્રતિભા અનૌચિત્યને ઢાંકી દે છે – નિવારે છે (૩.૬ વૃત્તિ). ઉત્તમ દેવતાઓ પરત્વે લૌકિક કે ગ્રામ્ય – સ્થૂળ સંભોગશૃંગારનું આલેખન આમ તો અનુચિત ગણાય, પણ આનંદવર્ધન બતાવે છે કે કાલિદાસે ‘કુમારસંભવ’માં પાર્વતીના સંભોગશૃંગારનું એ પ્રકારનું આલેખન કર્યું છે તે એવી કુશળતાથી કર્યું છે કે એનું અનૌચિત્ય નજરે ચડતું નથી, એ અવરોધક બનતું નથી. આ જ વસ્તુ પ્રતિભાહીન કવિના આલેખનમાં વિરસતા જન્માવે. ઔચિત્ય એ કોઈ વસ્તુલક્ષી સિદ્ધાંત નથી, પણ એક મૂલ્યનિર્ણય છે એ હરિવલ્લભ ભાયાણીની વાત સાચી છે. (કાવ્યમાં શબ્દ, પૃ.૧૫૯) ઔચિત્યનો નિર્ણય એટલાંબધાં સંયોગો – પરિબળો પર આધાર રાખે છે કે કાવ્યરસિકોના નિર્ણયો જુદા પડે તો એથી આશ્ચર્ય પામવા જેવું નથી. આપણા પ્રાચીન કાવ્યશાસ્ત્રમાં એક જ નિરૂપણના ઔચિત્ય-અનૌચિત્ય પરત્વે જુદા અભિપ્રાયો મળવાના. મને પોતાને ક્ષેમેન્દ્રનાં અનૌચિત્યનાં બધાં ઉદાહરણો પ્રતીતિકર લાગ્યાં નથી. તેમ છતાં કાવ્યાસ્વાદમાં ઔચિત્યનો ખ્યાલ પ્રવર્ત્યા વિના રહેતો નથી, કાવ્યવિવેચનમાં ઔચિત્યનો નિર્ણય ટાળી શકાતો નથી અને આપણા કાવ્યશાસ્ત્રીઓએ એ માટે જે આધારો આપણને સંપડાવ્યા છે તેની ઉપકારકતા અવગણવા જેવી નથી. સ્વસ્થ ને સદ્ધર કાવ્યસમજ તરફ એ આપણને લઈ જાય છે. રસપ્રકરણમાં ઔચિત્ય વિશે વિશેષ વાત કરવાનો પ્રસંગ આવશે.