ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/પ્રસ્તાવના

From Ekatra Foundation
Revision as of 01:38, 3 February 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પ્રસ્તાવના

ગ્રંથ અને ગ્રંથકારનું આ છઠ્ઠું પુસ્તક પ્રસિદ્ધ થાય છે. તેની ઉપયોગિતા વિષે બે મત નથી; પણ ગુજરાતી સાહિત્યના અભ્યાસી સારૂ તે સ્થાયી રેફરન્સનું પુસ્તક થઈ પડે તે માટે હજુ તેમાં ઘણા સુધારા વધારાનો અવકાશ રહે છે; અને તે પદ, લેખકબંધુઓનો પુરતો સહકાર મળે જ, તે પ્રાપ્ત કરી શકે. આ વર્ષે ગુજરાતી ભાષાના કેટલાક જુના ખતો, દસ્તાવેજો વગેરે આપ્યા છે, તે આપણી ભાષાનો પદ્ધતિસર અભ્યાસ કરવામાં ઉપયોગી જણાશે. તેનું સંપાદન ભાઈશ્રી ભોગીલાલ જ. સાંડેસરાએ કાળજીપૂર્વક કરી આપ્યું છે, તે બદલ અમે તેમનો ખાસ ઉપકાર માનીએ છીએ. વર્ષનાં ઉત્તમ કાવ્યોની પસંદગી જુદા જુદા હસ્તે પ્રતિ વર્ષ કરાવવા આપણા એક પ્રતિષ્ઠિત સાક્ષરબંધુએ સૂચના કરી હતી, જેથી હર વખતે તેની ચૂંટણીમાં નવું દૃષ્ટિબિંદુ મળતું રહે. તે પરથી આપણા જાણીતા યુવક કવિ શ્રીયુત સુન્દરમને સન ૧૯૩૪નાં ઉત્તમ કાવ્યો પસંદ કરી આપવાની અમે વિનંતિ કરી હતી, જે તેમણે ખુશીથી સ્વીકારી હતી. શ્રીયુત બચુભાઈ રાવત આ વખતે કેટલીક અનિવાર્ય અડચણોને લઈને, લેખ લખી શક્યા નથી, એ ઉણપ, ગ્રંથકારોના વાચકને, અમારી પેઠે, જરૂર ખુંચશે; જો કે પ્રસ્તુત પુસ્તકના સંપાદન કાર્યમાં તેમનો સહકાર ચાલુ મળતો રહેલો છે. પ્રકીર્ણ વિભાગમાં દી. બા. કેશવલાલભાઈના બે નિબંધો, જે માટે વારંવાર માગણી થતી હતી, તે ફરી છાપ્યા છે. તેમાં ઘટતા ફેરફાર અને સુધારા, આંખે વાંચવાની મુશ્કેલી હોવા છતાં, કરી આપ્યા છે, તેને અમે એમની કૃપા જ લેખીએ છીએ.

ગ્રંથકાર ચિત્રાવળી–પ્રથમ શતક–ચાલુ વર્ષમાં આપવાનો અમે નિર્ધાર કર્યો હતો પણ કેટલાક ગ્રંથકારોની છબી મેળવવામાં બહુ વિલંબ થવાથી અને બીજી કેટલીક નહિ મળવાથી, તે યોજના આવતા વર્ષ પર મૂલતવી રાખવી પડી છે. સન ૧૯૩૬માં તે પ્રકાશન બહાર પડી શકશે એમ અમે માનીએ છીએ. ગ્રંથ અને ગ્રંથકારના સંપાદન કાર્યમાં જે બંધુઓએ સહાયતા આપેલી છે તે સર્વનો, અમે અંતઃકરણપૂર્વક ઉપકાર માનીએ છીએ. વિશેષ કરીને લેડી વિદ્યાબ્હેન એ કાર્યમાં અંગત રસ લઈને જે પ્રોત્સાહન આપે છે, તેનું મૂલ્ય અમારે મન બહુ મ્હોટું છે.

તા. ૭–૧૦–૧૯૩૫.
અમદાવાદ

હીરાલાલ ત્રિ. પારેખ
સંપાદક