ભજનરસ/વા પંખીકી જુગતિ કહાની
વા પંખી મોહે કોણ બતાવે,
જે રે બોલે ઘટમાંહી હો,
અવરણ વરણ રૂપ નહીં રેખા,
બેઠા નામ કી છાયી હો.
એ હી તરવર બિચ એક પૂંછેરા,
જુગત બિપ લઈ ડાર્યા હો,
વા કી સણંદ લખે ના કોઈ,
કોણ ઠોર વા બોલે હો.
ધૂળમાં ઝાડ જાકી ધનછાયા
પીછે વિચાર કો’ ના કીના હો,
આવે સાંજ, ઊડ જાય સવેરા,
મરમ કોઈ ના જાણ્યા હો.
અપરંપાર નિરંતર વાસા,
આવતા જાવત ના દીસે હો,
કહત કબીર સુણો ભાઈ સાધો,
ઈહાં કછુ જુગતિ કહાની હો.
મનુષ્ય-શરીરમાં જ એક અશરીરી અગોચર તત્ત્વ રહ્યું છે તેની વાત કબીરે આ ભજનમાં ઝીણા ઝીણા તારથી વણી છે. વા પંખી... નામકી છાયી હો એ પંખી મને કોણ બતાવી આપે જે મારા આ શરીરમાં જ કૂજન કરી રહ્યું છે? આ પંખી અદ્ભુત છે. એને ‘અવરણ’ એટલે કોઈ પણ રીતે વર્ણહીન, રંગહીન તરીકે કહી શકાય એમ નથી. અને છતાં વળી એને કોઈ રંગ, રૂપ, રેખા છે, આકૃતિ છે એમ પણ કહી શકાતું નથી. એ નિરાકાર છે, અને સાકાર રૂપે તેની ક્યાંક ઝાંખી પણ થાય એમ છે. આ વિચિત્ર પંખી ક્યાં રહ્યું છે? ઊંડે જોતાં એમ જણાય છે કે તે નામની છાયા તળે લપાઈને બેઠું છે. મારું આ નામ, આ રૂપ એ જ એને ઢાંકી રાખતી ઘેરી ઘટા છે. એ હી તરવર... લઈ ડાર્યા હો આ શરીરરૂપી વૃક્ષમાં અત્યંત યુક્તિપૂર્વક એ પંખીને વસાવવામાં આવ્યું છે. એનો વાસો અહીં કેમ થયો તે સમજી શકાતું નથી. ગમનો નહીં, અગમનો કોયડો છે આ પંખી. વા કી સણંદ... કોણ ઠોર વા બોલે હો એ પંખીની ‘સણંદ’ — કોણે તેને પ્રવેશવા દીધું, ક્યારે તે આવ્યું શા માટે આવ્યું તેની સાબિતી પણ કોઈ જાણી શકે એમ નથી. અજબ વ્યાપાર છે આ પંખીની આવન-જાવન. એ ઘટમાં જ છે એ તો જરૂર, પણ કઈ ડાળ પર, કઈ સઘન ઘટામાંથી કૂજી રહ્યું છે એનું સ્થાન નજરે ચડતું નથી. એ અંદર જ રહેલું હોવા છતાંયે અગમ્ય છે. ધૂળમાં ઝાડ... કો’ ના કીના હો. આ શરીર ધૂળમાં ઊગેલું ને ધૂળનું, ગારમાટીનું ઝાડવું જ છે. સાડાત્રણ હાથનું હોવા છતાં એની છાયા ઘણી ઘેરી છે અને એ પણ કેવી ઘનઘોર? જ્યાં જાય ત્યાં એની સાથે એનો આ પડછાયો તો સાથે ને સાથે જ. એમાંથી બહાર નીકળીને જોવાનું જાણે કોઈનું ગજું નહીં. મનુષ્ય-ચિત્તની આ મર્યાદા ને કરુણતા છે. ‘કન્ડીશન્ડ-માઈન્ડ’ ‘સંસ્કાર-બદ્ધ મન’થી મનુષ્ય ઘેરાયેલો છે. પોતાના સંસ્કાર, વિચાર-વલણ, . દૃષ્ટિકોણથી તે મુક્ત બની શકતો નથી. પોતાનો જ પડછાયો પાથરીને એ બધું જુએ છે, મૂલવે છે. આવી માનવ-ચિત્તની છાયાની વાત રવિસાહેબે પણ એક ભજનમાં કહી છે :
આગળ છાંયો ને પાછળ છાંયો,
એ છાંયો છે તમારો,
એ છાંયામાં છુપાઈ રિયો,
છાંયાથી સતગુરુ ન્યારો,
બાવો છે ઝીણો, છે ઝીણો.
આપણે જે કાંઈ આગળ-પાછળનો વિચાર કરીએ છીએ તેમાં આપણા અહંકારની છાયા ઢળેલી છે પણ આ છાયાની જ ભીતર પરમ પ્રકાશ છુપાઈને રહેલો છે. એ પરમ આત્મા ક્યાંય બીજે નથી. પણ આ છાયાથી, આ પૃથ્વીના પડછાયા સમી કાયાથી અલગ થઈ એને જોઈ શકાય? પૃથ્વી પરથી ઊડી મનુષ્ય ચન્દ્ર પર પગ મૂકયો અને નીલ આર્મસ્ટ્રોંગે એનું અદ્ભુત વર્ણન કર્યું. ચન્દ્ર પરથી લીધેલી પૃથ્વીના ફોટા જોયા ત્યારે મારાથી આ ભાવ ઝિલાઈ ગયેલો. કાવ્ય રચાઈ ગયું :
ક્યાંક પૃથ્વીને ઊગતી ભાળું
તો ભાઈ, મારા પડછાયા પંડના છૂટે.
આપણી પાર્થિવતા તે આપણે જ ચણેલું ઘર છે, માળો છે ને કેદખાનું પણ છે. આપણું રક્ષાકવચ છે ને સાથે મર્યાદા પણ છે. પીછે વિચાર’ આ પર્થિવતાથી ગળ વધી કોઈ વિચાર કરતું નથી. પિંજરમાંથી મુક્ત બની પંખી પાંખો ફેલાવી જગતને સાચા સ્વરૂપે નિહાળી શકતું નથી. આવે સાંજ... મરમ ન કોઈ જાણ્યા હો સાંજ ઢળે, જ્ઞાનનો સૂરજ આથમે ને અજ્ઞાનનાં અંધારાં ઊતરે ત્યારે આ પંખી વૃક્ષની સઘન ઘટામાં લપાઈ જાય છે. અને સવાર ઊગે, આત્મજ્ઞાનનાં અજવાળાં ફેલાય ત્યારે તે મુક્ત ગગનમાં ઊડી નીકળે છે. દેહભાવ વખતે આત્મભાવની નિશા જામે છે અને આત્મભાવનું સવાર પડે ત્યાં દેહભાવ ઢળી પડે છે. ગીતાનું જાણીતું વચન : ‘યસ્યામ્ જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ’ જેમાં અજ્ઞાની લોકો જાગે છે તેને પ્રાજ્ઞ પુરુષ રાત્રી તરીકે જુએ છે’. નરસિહનાં પ્રજ્ઞાનેત્ર ખૂલતાં : જાગીને જોઉં તો’ — તે કહે છે : ‘ઊંઘમાં અટપટા ભોગ ભાસે.’ આપણી કહેવાતી જાગૃતિ તો સુષુપ્ત આત્મતત્ત્વ અને ચકળવકળ નજર નાખતા અહંકારના ખેલ સમાન છે. કબીર કહે છે, આનો મરમ કોઈ જાણતું નથી. સાચી જાગૃતિ કોને કહેવાય તેની ઘણાખરાને ખબર નથી. અપરંપાર... ના દીસે હો અહીં વળી એક અજબ વાત કબીર કહે છે. આ પંખી સાંજે આવે સવારે ઊડી જાય એવું કહ્યા પછી તરત જ તે પલટો મારી કહી ઊઠે છે કે ભાઈ, તેનો વાસ કે ઉડ્ડયન બંને બહારના ખાલી દેખાવ માત્ર છે. તેનો નિત્ય નિવાસ, નિત્ય ઉડ્ડયન અપરંપાર છે. તેનો પાર કોઈ પામી શકે તેમ નથી. આવનજાવન, જન્મ-મૃત્યુ એવા ભેદ આ પંખીને ક્યાંયે બંધન કે મોક્ષમાં નાખતા નથી. એ દેહમાં રહે કે દેહાતીત એમાં કાંઈ ફેર પડતો નથી. અહીં શ્રીમદ્ રાજ્યન્દ્રનું કથન યાદ આવી જશે :
દેહ છતાં જેની દશા વરતે દેહાતીત,
તે જ્ઞાનીનાં ચરણમાં વંદન હો અગણિત.’
કહેત કબીર... જુગતિ કહાની હો.
કબીર કહે છે કે હૈ સાધુજનો, સન્માર્ગના યાત્રીઓ, આ પદમાં ‘કછુ’ અમથીક, જરા જેટલી ‘જુગતિ કહાની’, એટલે કે જોગજુગતિની, પ્રયોગાત્મક સત્યની વાત કહી દીધી છે. એ તો પૂરી કહી શકાય તેમ નથી અને પોતાના જીવનમાં ઉતાર્યા વિના સમજાતી નથી. કબીરે જે રહસ્યમય પંખીની વાત કરી છે તે અત્યંત પ્રાચીન કાળથી જાગતા નર’ આપણને કરતા જ રહ્યા છે. તેના અણસારા વૈદિક મંત્રદૃષ્ટા ઋષિઓ પાસેથી મળે છે. આ પંખીને તેમણે સુપર્ણ, સ્પેન, હંસ, હિણ્યવર્ણ શનિઃ તરીકે ઓળખાવેલ છે. મનુષ્યમાં રહેલા મહાપ્રાણ, મહદાત્મા, કે જીવભાવ તળે નિગૂઢ રહેલા પરમાત્માની ઝાંખી તેમણે વિવિધ રીતે વ્યક્ત કરી છે. ક્યાંક:
‘દ્વા સુપર્ણા સયુજા સખાયા
સમાનવૃક્ષ પરિષસ્વજાતે
એક જ વૃક્ષમાં રહેલાં બે મિત્ર-પક્ષીની વાત કરી તેમના એક તત્ત્વનો અણસારો આપ્યો છે. અથર્વવેદના સૂક્ત (૯-૯-૨૦)માંથી શ્વેતાશ્વતર ઉપનિષદે આ મંત્ર (૪-૬) સીધો જ ઉતાર્યો છે. પુરાણોમાં આ અદ્ભુત પક્ષી હુમા, ગરુડ કે કાકભુશંડી જેવાં રૂપ ધરી આવે છે. બૌદ્ધ સિદ્ધોનાં ચર્ચાપદોમાં એના ટહુકા સંભળાય છે. કાયાને તરુવર ને પ્રાણને પંખી તરીકે નિરૂપતાં પદો નાથયોગીઓ તથા નિર્ગુણ-સગુણ સંતકવિઓએ ગાયાં છે. આપણા ઘરની વાત કરીએ તો નરસિંહનું : પઢો રે પોપટ રાજા રામના’, દાદા મેકરણનું : મારી મેના રે બોલે ગઢને કાંગરે’ અથવા દાસી જીવણનું : ‘મોરલો મરતલોકમાં આવ્યો,’ આ આતમપંખીની ઓળખ કરાવે છે. બાઉલ-સાધકો તો આ ‘અર્ચના પાખી’ની વાત કરતાં થાકતા નથી. એક બાઉલગીત છે :
ખાંચાર ભીંતર અર્ચના પાખી
કેમને આસે જાય!
ધરતે પારલે મન-બેડી
દિતામ તારિ પાય.
કોઈ અજાણ પંખી પિંજરમાં કોણ જાણે વી રીતે આવે છે ને ઊડી જાય છે! તેને પકડી શકું તો તેના પગમાં મનની બેડી નાખી દઉં.’ પણ આ મહાપ્રાણ મનના કબજામાં કદી આવે તો ને? અમન અવસ્થા વિના તેને પામી શકાતું નથી. ભારતની પ્રથમ તત્ત્વજ્ઞાન પરિષદના પ્રમુખપદેથી રવીન્દ્રનાથે જે વ્યાખ્યાન આપ્યું હતું તેમાં આ બાઉલ ગીતનો તેમણે માર્મિક પરિચય કરાવ્યો છે. એ સમયે રાધાકૃષ્ણન્ સાથે રવીન્દ્રનાથનો જે વાર્તાલાપ થયો હતો તેમાં પણ ઋષિપરંપરાથી ગામઠી બાઉલ સુધી જે અનુભૂતિ ઊતરી આવી છે તે રવીન્દ્રનાથે દર્શાવી છે. અરે, રવીન્દ્રનાથનું પોતાનું જ એક ગીત છે આ અર્ચના પાખી* વિશે. પંકજ મલ્લિકના કંઠે આ પંખી એવું તો મધુર ટહુકી ઊઠ્યું છે કે આપણા જ હૃદયમાં તેને આપણે ટહુકતું સાંભળી શકીએ. આ ગીતની કેટલીક પંક્તિઓ તમને સંભળાવું. રવીન્દ્રે કાન માંડી સાંભળેલો ટહુકો કદાચ આપણને પણ સાંભળવાનું મન થઈ જાય.