પ્રતિપદા/૧૪. ઉદયન ઠક્કર

Revision as of 10:17, 15 July 2021 by KhyatiJoshi (talk | contribs) ()
૧૪. ઉદયન ઠક્કર

કાવ્યસંગ્રહોઃ

એકાવન, સેલ્લારા, જુગલબંદી, ચૂંટેલાં કાવ્યો.

પરિચય:

વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ-કોસ્ટ એકાઉન્ટન્ટ, સ્વ-ભાવે કવિ. સ્વરૂપ લેખે મુખ્યત્વે અછાંદસ અને ગઝલમાં પ્રવર્તન. વ્યંગ વિડંબનાદિના સમુચિત ઉપયોગથી માનવીય વેદનાને ઉપસાવી આપતા, લગાર મશ્કરા કવિ. હાથમાં કાગળિયું પકડ્યા વિના પ્રભાવી કાવ્યપાઠ એમની આગવી ખાસિયત છે. દેશનાં વીસેક નગરો ઉપરાંત યુએસએ, બેલ્જિયમ, યુકે, કેન્યા, દુબઈ, મસ્કત, પોર્ટુગલમાં કવિતાઓ વાંચી ચૂક્યા છે. ગુજરાતી કવિતાઓના મરાઠી અનુવાદના ગ્રંથ ‘અનુભૂતિ’ના સહસંપાદક. આ વર્ષે જેના શ્રીગણેશ મંડાયા છે એ પોએટ્રીઇન્ડિયા ડોટ કોમના સંપાદક. આ વેબસાઈટ ગુજરાતી કવિતાને અંગ્રેજી અનુવાદોના આલંબને વૈશ્વિક મંચ સંપડાવી આપે છે. બાળસાહિત્યમાં પણ નોંધપાત્ર પ્રદાનઃ એન મિલાકે ટેન મિલાકે છૂ, તાક ધિનાધિન (બાળવાર્તાઓ) અને હાક છિ હિપ્પો (બાળકાવ્યો), ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી સમેત વિવિધ શૈક્ષણિક સાહિત્યિક સંસ્થાઓ સાથે એક યા બીજા કાળે સંલગ્ન.

કાવ્યો:

૧ મથુરાદાસ જેરામ

મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઇસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.

હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલિ આપું
એની કરુણભવ્ય ગાથા રચું
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો
ભડનો દીકરો હતો એ
તડ ને ફડ હતો એ
મને એકંદરે ગમતો

શરૂઆતરૂપે કહી શકું કે
મથુરાદાસને ધરતીનો લગાવ હતો
એ વિધવિધ ફૂલોને રોપતો, ઉછેરતો
મન મૂકીને ખડખડ હસતો
તક મળ્યે બહારગામ જઈ
વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો
ઝનૂની ઘોડા પલાણતો
ઉનાળાની રાત્રિએ
તારાઓની નિકટમાં સૂઈ જતો

(ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી જુઓને, થોરો નામનો ફિલસૂફ શહેર મૂકી દઈ એકાંત સરોવર-તીરે વસતો એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ ફિક્કો પડી જાય.)

પણ હા, મથુરાદાસ વેપારી બળૂકો, હોં
ત્રીસ વરહ સુધી દર્રોજના દહ દહ કલાક
પેઢી પર રચ્યોપચ્યો ’રે
દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં
ફેક્ટરી નાખવી, રેતીવાળા રોટલા
ખાઈને પડી રે’વું
કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડો
ફિકર, પ્રામાણિકતા, ઝઘડા, મહત્ત્વાકાંક્ષા
અજવાળું વિખેરાતું હતું
મથુરાદાસનું કોડિયું બે વાટે બળતું હતું

(તમે ઇમ્પ્રેસ નહીં થાઓ
કદાચ તમારો બોસ
સામાન્ય ગુમાસ્તામાંથી
કરોડોનો વેપાર સુધી પહોંચ્યો હોય
તમે કહેશો કે યાર, સફળતા એને કહેવાય
મથુરાદાસનું તો જાણે... સમજ્યા)

જો કે મારે ઉમેરવું જોઈએ કે
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું
શરીરે
એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં
વગડાઉ કાગડાનો પગ તૂટી જાય
પછી ન વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે
ન પિંજરે બેસીને લોકોનું મનોરંજન
એવી સ્થિતિ થઈ હતી
પણ લાચારીને મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહ્યો
આ મોત સાથેનો પ્રવાસ હતો
અને તેણે સહપ્રવાસીની
ઠેકડી ઉડાવી
(માળુ, આયે તમને નહીં જામે
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાખી
જેમાં કેન્સરની ગ્રસ્ત હીરો
હસતો-હસાવતો મોતને ભેટતો હોય
ના, હવે આ ફોર્મ્યુલા તમને નહીં ચાલે)
તો, માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ
હું તારા માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી
વાતચીત કે વર્ણનોથી
વાઙ્મય મંદિર ચણી શકતો નથી
જેમાં તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
શબ્દોનાં પીંછાં ઓઢાડી શકતો નથી
તારાં સંદર્ભનાં નગ્ન ડિલ પર
એક પ્રામાણિક વેદના સિવાય કશુંય આપી શકતો નથી
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા