ઋણાનુબંધ/બે માળા
Revision as of 08:51, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બે માળા|}} <poem> અમારા વૈષ્ણવ કુટુંબમાં થતી ઠાકોરજીની માળા અન...")
બે માળા
અમારા વૈષ્ણવ કુટુંબમાં થતી
ઠાકોરજીની માળા
અને બાએ આપેલી
જડતરના ફૂલવાળી મોતીની માળા વચ્ચે
ક્યારેક ભેળસેળ થઈ જાય છે.
મારો નિત્યક્રમ હતો
સવારે ઊઠીને
બા બાપાજીને પગે લાગી,
ન્હાઈ ધોઈ
ઘરને ફરતા બગીચામાંથી
મોગરા જૂઈ પારિજાત વીણી
ઠાકોરજી માટે
માળા પરોવવાનો.
વચ્ચે પારિજાતની કેસરી દાંડી
ને આજુબાજુ મોગરાનાં ફૂલ.
પછી બા ઠાકોરજીને માળા ધરાવી ઊઠતાં ત્યારે
મારો વાંસો થાબડતાં કહેતાં હોય છેઃ
“સુખી થાજે, બેટા.”
બાને શ્રીજીચરણ થયે
ચાર દાયકા વીતી ગયા.
આજે જડતરના ફૂલવાળી મોતીની માળા
પહેરતાં પહેલાં
અમેરિકા આવી
ત્યારે બાએ આપેલી
ચાંદીની ફ્રેમમાં મઢેલી
શ્રીનાથજીની છબિને
જોતી હોઉં છું ત્યારે
મને પ્રશ્ન થાય છે:
‘હું સુખી થઈ?’