ગુજરાતી કવિતાનો આસ્વાદ/વીરની વિદાય

Revision as of 05:53, 29 June 2021 by MeghaBhavsar (talk | contribs)


વીરની વિદાય

સુરેશ જોષી

મારા કેસરભીના કંથ હો!
સિધાવો જી રણવાટ.
મારા કેસરભીના કંથ હો!

આભ ધ્રૂજે, ધરણી ધમધમે રાજ!
ઘેરા ઘોરે શંખનાદ,
દુન્દુભિ બોલે મહારાજનાં હો!
સામન્તના જયવાદ.
મારા કેસરભીના કંથ હો!

આંગણ રણધ્વજ રોપિયા રાજ!
કુંજર ડોલે દ્વાર,
બન્દીજનોની બિરદાવલી હો!
ગાજે ગઢ મોઝાર.
મારા કેસરભીના કંથ હો!

પૂર પડે, દેશ ડૂલતા રાજ!
ડગમગતી મહોલાત,
કીરત કેરી કારમી હો!
એક અખંડિત ભાત.
મારા કેસરભીના કંથ હો!
નાથ! ચઢો રણઘોડલે રાજ!
હું ઘેર રહી ગુંથીશ
બખ્તર વજ્રની સાંકળી હો!
ભરરણમાં પાઠવીશ.
મારા કેસરભીના કંથ હો!

સંગ લિયો તો સાજ સજું રાજ!
માથે ધરું રણમોડ,
ખડ્ગને માંડવ ખેલવા હો!
મારે રણલીલાના કોડ.
મારા કેસરભીના કંથ હો!

આવતાં ઝાલીશ બાણને રાજ!
ઢાલે વાળીશ ઘાવ,
ઢાલ ફૂટ્યે મારા ઉરમાં હો!
ઝીલીશ દુશ્મનદાવ.
મારા કેસરભીના કંથ હો!
એક વાટ રણવાસની રાજ!
બીજી સિંહાસનવાટ,
ત્રીજી વાટ શોણિતની સરિતે હો!
શૂરાનો સ્નાનઘાટ.
મારા કેસરભીના કંથ હો!

જયકલગીએ વળજો પ્રીતમ!
ભીંજશું ફાગે ચીર,
નહીં તો વીરને આશ્રમ મળશું હો!
સુરગંગાને તીર.
મારા કેસરભીના કંથ હો!
રાજમુગટ! રણરાજવી રાજ!
રણઘેલો! રણધીર!
અધીરો ઘોડલો થનગને નાથ!
વાધો રણે મહાવીર.
મારા કેસરભીના કંથ હો!
– નાનાલાલ દલપતરામ કવિ (કેટલાંક કાવ્યો, 2)

આ કાવ્ય વાંચતાં જ નાનાલાલનાં બીજાં બે કાવ્યોની પ્રતાપી નાયિકાનું સ્મરણ થાય છે. ‘વીરાંગના’ની નાયિકાના વીરનો ગઢ ઊંડા આકાશમાં છે ને એની સાડીના છેડાને શેષ ભીંજવે છે. ને પેલી પંક્તિઓ – ગુજરાતણના મુખમાં આવી પ્રતાપી ભાષા કદાચ મુનશીએ પણ નથી મૂકી! જુઓ, આ રહી એ પંક્તિઓ:

સખિ! મારા ઓઢણામાં ભાતડી કાંઈ યમની ગૂંથી રે,
સખિ! મારી છાંયડીમાં ઝેર લીલું ઊગે છે જો;
સખિ! મારી કાન્તિમાં જો જોગણીનાં ખપ્પર ઝીલે રે,
સખિ! મારાં કંકણોમાં પ્રલયગીત ગાજે છે જો.