ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/૫ત્ર

Revision as of 01:26, 8 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પત્ર

આ દાયકે પ્રગટ થયેલા પત્રસંગ્રહોમાં મુખ્યત્વે ગાંધીજીના પત્રોનો ફાલ વિપુલ છે. ‘બાપુના પત્રો'ના વિવિધ સંગ્રહો પ્રગટ થયા છે, એમાં સરદાર વલ્લભભાઈને ઉદ્દેશીને લખાયેલા પત્રો, એ સમયના ભારતના ઇતિહાસના હૃદય સુધી આપણને ખેંચી જાય છે. ‘બાપુના પત્રો' (સંપાદક શ્રી મણિબહેન પટેલ), આ રીતે, ગાંધીસાહિત્યમાં મૂલ્યવાન ફાળો આપે છે. એનો પાંચમો ખંડ આ દશકાના છેલ્લા વર્ષમાં પ્રકટ થયો છે. આ માળામાં ગં. સ્વ. ગંગાબહેનને તેમ જ કુસુમબહેન દેસાઈને ઉદ્દેશીને લખાયેલા પત્રો, છેવટે તો, ગાંધીજીના આંતર વ્યક્તિત્વની રેખાઓને જ ચમકાવે છે. શ્રી વલ્લભભાઈ પટેલના પત્રોનો સંચય 'સરદારની શીખ' પણ આ ગાળામાં પ્રકાશિત થયો છે. સ્વજનો પ્રતિની એમની કાળજી અને એમનાં મંથનો, એમનો દેશપ્રેમ અને શ્રદ્ધાન્વિત દૃષ્ટિ-આ સઘળું એમાં પ્રકટ થાય છે. આ બધા પત્રસંચયોનું દસ્તાવેજી મૂલ્ય પણ સ્મરણમાં રાખવું ઘટે. શ્રી કાકાસાહેબ કાલેલકરના પત્રોના બે સંગ્રહો પણ પ્રકાશિત થયા છે. કુ. પ્રેમાબહેન કંટકને અને ચિ. ચંદનને ઉદ્દેશાયેલા આ પત્રોથી આપણું પત્રસાહિત્ય સમૃદ્ધ થયું છે. ‘સંસ્કૃતિ'માં પ્રકટ થયેલા એમના પ્રવાસપત્રો પણ અહીં સ્મરણે ચડે છે. કાકાસાહેબનું હૃદયમધુ એમના આ પત્રોમાં સુભગ રીતે ઝિલાયું છે અને આ સ્વરૂપમાં પણ આપણા આ ઉત્તમ ગદ્યકારનું દર્શન થાય છે. આ સિવાય પ્રવાસ નિમિત્તે લખાયેલ પત્રોમાં શ્રી છોટુભાઈ અનડાના પ્રવાસપત્રો, એમાંની ઝીણીમોટી વિગતો અને પ્રવાસીના કવિહૃદયથી ધ્યાન ખેંચી રહે છે, તો બીજી બાજુ શ્રી ચંપકભાઈના ‘પરમાનંદના પત્રો’ ભક્તિમાર્ગના ઉપાસકના પત્રો હોઈ શાસ્ત્રના અભ્યાસને બદલે ઈશ્વરમાં મગ્ન રહી ભક્તિ કરવાનું ઉદ્બોધન કરે છે. એમ તો કૃષ્ણચંદ્રના 'બાવન પત્રો'નો શ્રી હરીશ નાયકે કરેલો અનુવાદ પણ અહીં સંભારવો જોઈએ. પત્ર-સ્વરૂપમાં, આમ, હૃદયના અને ચિત્તના વિવિધ વ્યાપારો પ્રકટ્યા છે. રાજકારણ કે ઇતિહાસ, સમાજજીવનનો સંદર્ભ કે સંરકારની મુલાયમતા, પ્રકૃતિની ચારુતા કે ભક્તિની નિષ્ઠા: આવું ઘણું બધું અહીં આત્મીયતાનાં આંદોલનો ઝીલીને લેખકના અપરોક્ષ અવાજમાં સાંભળવા મળે છે. આપણું પત્રસાહિત્ય હજી વિશેષ વિકસી ફૂલીફાલી અને અકૃત્રિમ-સ્વાભાવિક હૃદયશ્રીને રેલાવી આપણી સંસ્કારસંપત્તિને સમૃદ્ધ કર્યા કરશે એવી આશા અત્યારે તો પડે છે.