ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/મહાસુખભાઈ ચુનીલાલ શેઠ

From Ekatra Foundation
Revision as of 02:45, 12 January 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મહાસુખભાઇ ચુનીલાલ શેઠ

એઓ જ્ઞાતે વીશા પોરવાડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન અને વિસનગરના વતની છે. તેમનું મૂળ વતન પાટણ છે અને અત્યારે પણ પાટણ સાથેજ સંબંધ ધરાવે છે. એમનો જન્મ વિસનગરમાં સં. ૧૯૩૩ના જેઠ સુદ ૯ ને દિવસે થયો હતો. એમના પિતાનું નામ ચુનીલાલ દલછારામ અને માતાનું નામ બાઇ કીલી છે. એમનું પ્રથમ લગ્ન સં. ૧૯૪૮ માં બાઇ લક્ષ્મી સાથે થયું હતું અને તે દેવલોક પામતાં, બીજી વારનું લગ્ન બાઇ શાન્તા સાથે સં. ૧૯૫૭ માં થયું હતું. તે હાલ હયાત છે. એમણે મેટ્રીક્યુલેશન અને સ્કૂલ ફાયનલની પરીક્ષાઓ સંવત્‌ ૧૯૫૪ માં પાસ કરી હતી. ત્યાર બાદ તેઓ સામાજિક કાર્યમાં અને પોતાની શરાફી પેઢીના વહીવટમાં રોકાયા. વડોદરા રાજ્યની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ રસપૂર્વક તેમજ આગળ પડતો ભાગ લે છે; એટલુંજ નહિ પણ સ્વકોમ જૈનોના સુધારાર્થે તેઓ એટલાજ તત્પર રહે છે. અઘટિત દીક્ષા વિરુદ્ધ પોકાર કરનાર એઓ પ્રથમ છે. સાત વરસથી અયોગ્ય દીક્ષા અટકાવવા પ્રજામત મેળવવા જાહેર વર્તમાનપત્રોમાં લેખો લખે છે અને એ પ્રશ્નની ચર્ચા કરતી ‘અમૃત સરિતા’ નામની નવલકથા બે ભાગમાં એમણે લખીને છપાવી છે. વડોદરા રાજ્ય બેન્કિંગ કમિટીમાં અને વડોદરા રાજ્ય સ્ત્રી ધન હક્ક તપાસ સમિતિમાં તેઓ એક સભ્ય હતા. હમણાં ઉંઝામાં મળેલી મહેસાણા પ્રાંત પુસ્તકાલય પરિષદના તેઓ પ્રમુખ નિમાયા હતા. વડોદરા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સ્થાપના થઈ ત્યારથી તેઓ એક સભ્ય નિમાયા હતા; અને વડોદરા રાજ્ય ધારાસભાના પણ તેઓ દસ વરસ સભ્ય હતા. એ પરથી એમની વિધવિધ પ્રવૃત્તિઓનો ખ્યાલ આવશે. નરસિંહરાવનાં ‘કુસુમમાળા’ અને ‘હૃદયવીણા’ એ તેમજ ‘દલપતકાવ્ય’, ‘નર્મકવિતા‘ અને કેશવલાલ અને હરિલાલ ધ્રુવનાં કાવ્યોએ એમને કાવ્ય રચવામાં પ્રોત્સાહન આપ્યું હતું. કવિતા લખવાનો શોખ છેક ન્હાનપણથી હતો. હરિલાલ ધ્રુવના ‘ચંદ્ર’ માં તેઓ કવિતા લખી મોકલતા. તે પછી કાજી અનવરમિયાંના સમાગમમાં આવતાં, એમનાં કાવ્યોનો અભ્યાસ કરી તે સંગ્રહ ટીકા અને વિવેચન સહિત એમણે બહાર પાડ્યો છે, જેની છ આવૃત્તિઓ થઈ છે. આમ સાહિત્ય, સમાજ, ધર્મ અને રાજકારણ એ સઘળા ક્ષેત્રોમાં એમની પ્રવૃત્તિ રહેલી છે.

: : એમની કૃતિઓ : :

૧. કાવ્ય સરિતા (બે આવૃત્તિ) સં. ૧૯૫૪ થી ૧૯૭૨ ૨. અનવર કાવ્ય (છ આવૃત્તિ) સં. ૧૯૫૪ થી ૧૯૮૩ ૩. કમનસીબ કુમારિકા સં. ૧૯૮૦ ૪. વીસનગર અને વડોદરા રાજ્યની ટૂંક હકીકત ,, ૧૯૮૧ ૫. અમૃતસરિતા–પ્રથમ તરંગ ,, ૧૯૮૭ ૬. ,, –દ્વિતીય તરંગ ,, ૧૯૮૭

: : એમની કૃતિઓ : :

૧. કાવ્ય સરિતા (બે આવૃત્તિ) સં. ૧૯૫૪ થી ૧૯૭૨
૨. અનવર કાવ્ય (છ આવૃત્તિ) સં. ૧૯૫૪ થી ૧૯૮૩
૩. કમનસીબ કુમારિકા સં. ૧૯૮૦
૪. વીસનગર અને વડોદરા રાજ્યની ટૂંક હકીકત ”  ૧૯૮૧
૫. અમૃતસરિતા–પ્રથમ તરંગ ”  ૧૯૮૭
૬. –દ્વિતીય તરંગ ”  ૧૯૮૭