ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ભટ્ટશ્રી ગિરિધરશર્માજી

Revision as of 02:28, 30 January 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ભટ્ટશ્રી ગિરિધરશર્માજી નવરત્ન રાજગુરુ સાહિત્યશિરોમણિ

એઓ જ્ઞાતે પ્રશ્નોરા નાગર, જુનાગઢના મૂળ વતની, હાલમાં ઝાલરાપટ્ટણમાં નિવાસ કરી રહ્યા છે. એમનો જન્મ વિક્રમ સંવત ૧૯૩૮ ના જેઠ સુદ ૮ સિંહલગ્નમાં ઝાલરાપાટણ શહેરમાં થયો હતો. એમના પિતાનું નામ વ્રજેશ્વર ગણેશરામ બળદેવજી ભારદ્વાજ અને માતાનું નામ પાનકોર ઉર્ફે પન્નીબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૬૩ માં જયપુરમાં શ્રીમતી રતનજ્યોતિ સાથે થયું હતું.

આપણું જુની પદ્ધતિએ એમણે અભ્યાસ કર્યો છે; હિન્દી, સંસ્કૃત પ્રાકૃત, પાલી, બંગાળી, ફારસી, ઉર્દૂ વગેરે ભાષાઓનું સારૂં જ્ઞાન ધરાવે છે. વળી દર્શન અને સાહિત્ય ગ્રંથોનું અધ્યયન કાશીમાં મહામહોપાધ્યાય ગંગાધરજી પાસે કર્યું હતું; અને એમની એ વિદ્વતાને લઈને તેઓ સંસ્કૃત કૉલેજમાં પરીક્ષક પણ વખતોવખત નિમાય છે.

સાહિત્ય, દર્શનશાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર એમના પ્રિય વિષયો છે. ગુજરાતીમાં કવિવર ટાગોરકૃત “Cresent Moon ”નો તરજુમો એમણે કરેલો છે. પ્રસંગોપાત ગુજરાતી માસિકોમાં, સાપ્તાહિકોમાં લેખો લખે છે; ગુજરાતથી દૂર રહેવા છતાં ગુજરાતી સાહિત્ય સાથેનો સંપર્ક એમણે છોડ્યો નથી. ખુશી થવા જેવું એ છે કે ગુજરાતી પુસ્તકો હિન્દીમાં ઉતારી, ગુજરાતી સાહિત્યની બહુ સ્તુત્ય સેવા એઓ કરે જાય છે.



—:એમની કૃતિઓ:—

(૧) બાલચંદ્ર
(૨) અમર વચનસુધા (ઉમર ખય્યમની રૂબાઈઓનું ભાષાન્તર)
(૩) રાઇકા પર્વત (હિન્દી ભાષાન્તર)
(૪) જયા જયન્ત (હિન્દી ભાષાન્તર)
(૫) સરસ્વતીચંદ્ર (હિન્દી ભાષાન્તર)
(૬) યુગપલટો (હિન્દી ભાષાન્તર)
(૭) મહાસુદર્શન (હિન્દી ભાષાન્તર)
(૮) પ્રેમકુંજ (હિન્દી ભાષાન્તર)
(૯) ઉષા (હિન્દી ભાષાન્તર)
(૧૦) નીતિશાસ્ત્ર (ગુજરાતી ભાષાન્તર)
(૧૧) ગંગાલહરી (ગુજરાતી ભાષાન્તર)

ગુજરાતી સાથે સંબંધ ધરાવતાં એ પુસ્તકો ઉપરાંત ૧ अभेदरसः, नीतिवदत्रइ, जापानविजयः, सौरभण्डलम्, काव्यनिकुञ्जः, पद्यरत्नप्रभा, न्यायवाक्सुधा, जारकरलम्, सद्दत्तपुष्पगुच्छः, योगी, अमरसूक्तिसुधाकरः, कविताकुसुम, चित्राङ्गदा, बागवान, गीतावलि, शुश्रूषा વિગેરે સંસ્કૃત અને હિન્દીની ઘણીયે કૃતિઓ છે. એમનું અમર- ભૂમિસુધાકર બર્લિન યુનીવર્સિટી તથા ફ્રેંચ એકડેમીથી માન પામવા ઉપરાંત હર્મન જેકોબી, બ્રીટીશ મ્યુઝીયમના સંસ્કૃત પ્રોફેસર બરનેટ, કેંબ્રિજ યુનીવર્સિટીના પ્રો. રેપ્સન વિગેરે વિદ્વાનોથી ખુબ વખણાયું છે. ઝાલાવાડ રાજ્યે એમને સૌથી મ્હોટો સાહિત્યશિરોમણિનો ઈલ્કાબ આપ્યો છે.