પ્રાપ્ય પ્રતો
અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’ની નીચે પ્રમાણે કુલ ૧૨ હસ્તપ્રતો જાણવા-જોવા મળી છે : ૧. ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી, ૧૯૩૯ (પૃ. ૩)માં નોંધાયેલી હસ્તપ્રતોઃ દ. ૬૨૬, ૭૫૪ક; ફા. ૨૦૬ ગ (ઉ.સાં. ૧૯૦૪), ૩૩૬ઘ, ૩૪૯ ક, ૩૬૨ ગ (ઉ.સાં. ૧૮૬૪); ઇ. ૨૦૪ ઙ, ૩૧૨ (તૂ. ઉ. સાં. ૧૮૨૮). ૨. ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, ૧૯૫૬માં નોંધાયેલી હસ્તપ્રતો : ઉપર ફા.થી નિર્દિષ્ટ ચાર હસ્તપ્રતો, અનુક્રમે પૃ. ૫૭, ૮૭, ૯૧ અને ૯૩ ઉપર. ૩. ડિસ્ક્રિપ્ટિવ કૅટલોગ ઑવ્ ગુજરાતી, હિન્દી ઍન્ડ મરાઠી મૅન્યુસ્ક્રિપ્ટસ ઑવ્ બી. જે. ઇન્સ્ટિટ્યૂટ મ્યૂઝિયમ પાર્ટ ૧, ૧૯૮૭માં નોંધાયેલી હસ્તપ્રતોઃ ૧૧૫૪ (પૃ. ૩૧૬, અનુક્રમાંક ૧૭૪૪), ૭૫૪/૧ તથા ૧૧૬/૫ (પૃ. ૫૫૨, અનુ-ક્રમાંક A ૨૮૫ તથા ૨૮૬). આમાંથી ૭૫૪ ક્રમાંકવાળી પ્રત ૧.માં દ. સંજ્ઞાથી નોંધાયેલી છે પણ અહીંની બાકીની બે પ્રતો ત્યાં નોંધાઈ નથી અને ત્યાંની ૬૨૬ ક્રમાંકવાળી પ્રત અહીં નોંધાયેલી નથી. એટલે બંને યાદીઓ ખામીવાળી છે એમ નક્કી થાય છે. ૪. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈની હસ્તપ્રત ક્રમાંક ૮૨૬. ઉપર ૧.માં ઇ.થી નિર્દિષ્ટ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ, ગુજરાતી પ્રેસની હસ્તપ્રતો ફાર્બસ ગુજરાતી સભાને સોંપવામાં આવી છે તે જોતાં આ પ્રત ઇ.૨૦૪ હોવાનું સમજાય છે કેમકે બંનેમાં ‘ચિત્તવિચારસંવાદ’ પાંચમી કૃતિ છે. ૫. પ્રાચ્ય વિદ્યા મંદિર, વડોદરાની હસ્તપ્રતક્રમાંક ૨૬૪૫૨. ૬. ડૉ. યોગીન્દ્ર ત્રિપાઠી, વડોદરાના સંગ્રહની હસ્તપ્રત ક્રમાંક ૨૪ (લે. સં. ૧૮૬૭). આ એમના પુત્ર કનુભાઈ યોગીન્દ્ર ત્રિપાઠી પાસેથી પ્રાપ્ત થઈ છે. આમ કુલ ૧૨ હસ્તપ્રતો જાણવા મળી છે : ૧ થી ૪ : દ. કે બીજે. ૧૧૬, ૬૨૬, ૭૫૪, ૧૧૫૪ ૫ થી ૮ : ફા. ૨૦૬, ૩૩૬, ૩૩૯, ૩૬૨ ૯ : ઇ. ૨૦૪ અથવા ફા. ૮૨૬ ૧૦ : ઇ. ૩૧૨ ૧૧ : પ્રાવિ. ૨૬૪૫૨ ૧૨ : યોત્રિ. ૨૪. આમાંથી ઇ. ૩૧૨ અનુપલબ્ધ રહી છે. ઇચ્છારામના સંગ્રહની એ પ્રત ફાર્બસ ગુજરાતી સભામાં ગઈ હોવી જોઈએ પણ એ શોધી શકાઈ નથી. બાકીની ૧૧ પ્રતોમાંથી નીચેની ત્રણ પ્રતોનો અહીં ઉપયોગ કર્યો નથીઃ ૧. દ. કે બીજે. ૧૧૬ : આ પ્રત આ શોધનિબંધની છેવટની હસ્તપ્રત તૈયાર થતી હતી ત્યારે જ જાણવા મળી કેમકે ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’એ એ નોંધેલ ન હતી, તેમ મ્યૂઝિયમના સૂચિકાર્ડ પર પણ એ નોંધાયેલ ન હતી. અક્ષરોના મરોડ પરથી પ્રત ઘણી અર્વાચીન સં. ૧૯૫૦ આસપાસની જણાય છે. આથી એ પ્રતનો ઉપયોગ અનિવાર્ય ન ગણાય. ૨. દ. કે બીજે. ૧૧૫૪ : આ પ્રત આગળપાછળ ખંડિત છે. પહેલાં બે પૃષ્ઠ નથી. કૃતિ ૨૯મી કડીથી શરૂ થાય છે અને ૩૭૧મી કડી આગળ અટકે છે. પ્રત એક બાજુ પાણીથી ભીંજાયેલી છે અને બધાં પાનાં ડાબી બાજુના નીચેના ભાગે થોડાં કપાયેલાં છે. પ્રત સંવત ૧૯૫૦ આસપાસ કે તેથી થોડી વહેલી લખાયેલી હોવાનું અનુમાન થઈ શકે છે. પાઠ ઓછા શ્રદ્ધેય અને ફેરફાર પામેલા જણાય છે. આ પ્રતનો ઉપયોગ કરવો જરૂરી લાગ્યો નથી. ૩. ફા. ૨૦૬ : આ પ્રતનાં પાનાં બળેલાં જેવાં છે તેથી તેનો ઉપયોગ પણ થઈ શકે તેમ નથી. બાકીની આઠ પ્રતોનો અહીં સંશોધિત વાચના તૈયાર કરવામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. બે મુદ્રિત પ્રતોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બધી પ્રતોનો હવે પછી વીગતે પરિચય કરાવવામાં આવ્યો છે.