સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/બળવંતરાય ઠાકોરકૃત ‘આરોહણ’
૧
કૃતિપાઠ એ સંસ્કૃતિનો અંતર્ગત ભાગ છે. સંસ્કૃતિ સાથે તે અવિનાભાવે જોડાયેલો છે. કૃતિપાઠ વિવિધ સમયોને સંસ્કૃતિની અલગઅલગ સંરચનાઓ જોડે સાંકળતો હોય છે અને એમાંથી જ કોઈ પણ કૃતિની ભાત રચાતી હોય છે. Texts cannot exist outside culture. આજે ‘સાહિત્ય’ અને ‘સંસ્કૃતિ’ બે સંજ્ઞાનો અર્થવિસ્તાર થયો છે. આપણને હવે વારંવાર એ પ્રશ્ન પણ મૂંઝવે છે કે culture text એ literary text ક્યારે બને? સાહિત્ય વિના કે સંસ્કૃતિ વિના કૃતિપાઠ સર્જાવવો અશક્ય છે. આમ જેને outside ‘બહાર’ કહીને ઓળખાવીએ છીએ તે ‘સંસ્કૃતિ’ અને જેને વાસ્તવ, કલ્પનાનું વિશ્વ જે આ જગતના પ્રતિકારમાંથી કે જગત સાથેના સંવાદમાંથી રચાય છે તે સાહિત્ય – એવાં બે ચોખ્ખાં ખાનાંઓમાં વહેંચી ન શકાય. સંસ્કૃતિ અને સાહિત્ય બે અલગ ઘટકો નથી. આ દ્વૈત નથી. આપણને બધું તારવી-તારવીને, સામ્ય-વિરોધો રચી-રચીને વિચારવાની ટેવ પડી ગઈ છે અને તેમાંથી એક કેન્દ્ર શોધી કાઢી તેને સર્વસ્વ સમજીને વિચારણા ચાલ્યા કરે છે, પણ બે બિંદુઓની વચ્ચેય અનેક નાનાંમોટાં બિંદુઓની અવરજવર ચાલ્યા કરતી હોય છે તે વિસરી જવાય છે. સાહિત્ય અને સંસ્કૃતિ બન્ને એકબીજાની સીમમાં પ્રવેશે છે એ અર્થમાં સંસ્કૃતિ એ કૃતિ છે અને કૃતિમાં સંસ્કૃતિની અનેક સંરચનાઓના તાણાવાણા ગૂંથાયેલા હોય છે. અહીં કૃતિ એટલે work અને કૃતિપાઠ એટલે text એ અર્થ લઈને ચાલવું જોઈએ. આજે અનેક વિદ્યાશાખાઓના સંદર્ભ સાથે સાહિત્યનો અભ્યાસ કરવાનું વલણ છે, છતાં આ વિદ્યાશાખાઓએ પણ ‘સાહિત્ય’ હોવાની શરતે સાહિત્યની સામગ્રી તરીકે જ આવવાનું છે. પણ ‘સાહિત્ય’ પર એનું શાસન સ્થાપવાનું નથી. જેમ અનેક સમાજવિદ્યાઓ પોતાના સિદ્ધાંતોની સ્થાપના માટે એને સમજાવવા માટે સાહિત્યકૃતિનો વિનિયોગ પોતાના અભ્યાસમાં કરે છે એવી જ રીતે જ્યાં સર્જનની આંતરિક અનિવાર્યતા લેખે સર્જક પણ એની કૃતિમાં આ વિદ્યાશાખાઓનો ઉપયોગ કરી શકે છે. આ સ્પષ્ટતા એટલા માટે કરી કે ૧૯૬૦-૭૦ પછી ખાસ કરીને ‘સંસ્કૃતિ’ સંજ્ઞાનો વિશાળ અર્થ લેવામાં આવે છે. એ મૂંઝવતી, અકળાવતી અને કેટલાક વિચારકોને મન તો હવે એ માત્ર પ્રશ્નાર્થ બની ગયેલી સંજ્ઞા છે તો ૧૯૬૦-૭૦ પહેલાં ‘સાહિત્ય’નો જે દરજ્જો કે મોભો હતો તે વિશે હવે જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવાનું શરૂ થયું છે. પહેલાં ‘સંસ્કૃતિ’નો અર્થ એટલો જ હતો કે કળા, સાહિત્ય અને શાસ્ત્રીય સંગીતનો તમે અભ્યાસ કરો કે એમાં તમે રસ લો એટલે તમે સંસ્કૃત ગણાવ, સભ્ય ગણાવ, જ્યારે નૃવંશશાસ્ત્ર ‘સંસ્કૃતિ’ સંજ્ઞાને એના વિશાળ અર્થમાં પ્રયોજે છે. જીવાતા જીવનની તથા સમાજજીવનની વિવિધ સંરચનાઓ જેવી કે ભોજન સમયે, એકબીજા જોડે વાતચીત કરતી વખતે અને પોતાના બેડરૂમના સાથી સાથે લોકો કેવું વર્તન કરે છે તેનો અભ્યાસ કરવો તે સંસ્કૃતિનો અભ્યાસ ગણાય. આમ આપણા રીત-રિવાજો, ખાવા-પીવાની રીતભાતો, ફૅશન ઇત્યાદિનો વિધિસરનો અભ્યાસ કે જેમાં સાહિત્યકળા અને ભાષાનો અભ્યાસ પણ આવી જાય તે સંસ્કૃતિ. માર્ક્સવાદી વિચારધારાના આગમન સાથે ‘રાજકીય સંસ્કૃતિ’, ‘સત્તા’, વર્ગભેદ, જાતિભેદ, સમૂહ-માધ્યમો જેવાં કે રેડિયો, ટેલિવિઝન, ફિલ્મ, ઇન્ટરનેટ, જાહેરાતો, મૂડીવાદને કારણે આવેલાં સામાજિક કે આર્થિક પરિવર્તનો પણ સંસ્કૃતિના અભ્યાસ હેઠળ આવરી લેવાય. ટૂંકમાં, અનેક વિદ્યાશાખાઓના સંદર્ભમાં સાહિત્યનો અભ્યાસ શક્ય બને છે. સાહિત્ય હવે સ્વાયત્ત નથી, તેની વાચના અનેક કેન્દ્રોથી, સંસ્કૃતિની અનેક સંરચનાઓથી થાય એવો આગ્રહ રાખવામાં આવે છે. આથી શેક્સપિયરનો અભ્યાસી આજે ટી.વી. સિરિયલ્સમાં આવતી હિંસા અને જાતીયતાનો અભ્યાસ કરે; મિલ્ટનનો અભ્યાસ કરનાર મેડોનાનો અભ્યાસ કરે. તેથી સ્વાભાવિક છે કે કેટલાકનાં નાકનાં ટીચકાં ચઢે. ભલે! આમ જેને કેટલાક high culture કહે છે ને કેટલાક low culture કહે છે તે વચ્ચે સાર્થક સંવાદ શક્ય છે ખરો? તેથી શુદ્ધ સંસ્કૃતિ, શુદ્ધ સાહિત્ય સામે ઘણા પ્રશ્નાર્થો ઊભા થયા છે. આજે સાંસ્કૃતિક અભ્યાસને નામે વ્યક્તિગત સાહિત્ય-કૃતિની શક્તિને ઓછી આંકવામાં આવે છે અને સંસ્કૃતિના પ્રભાવનાં લક્ષણોનું આધિપત્ય જાણે કે વિશેષ રહ્યું છે. આથી વ્યક્તિગત કૃતિના અભ્યાસની ઉપેક્ષા કરી, બહુજન સમાજહિતાય સાંસ્કૃતિક અભ્યાસનું કેટલું મહત્ત્વ? જે. હિલીસ મિલર એના એક લેખ ‘Cultural Studies and Reading’માં કહે છે કે “For cultural studies literature is no longer the privileged expression of culture... Literature is now viewed as just one symptom or product of culture among others’ઃ આવી પરિસ્થિતિ જ્યાં પ્રવર્તતી હોય ત્યાં ૨૦૦૧માં પંડિતયુગની એક અત્યંત સજીવ અને મહત્ત્વની કૃતિ ‘આરોહણ’નો સાહિત્યિક અને સાંસ્કૃતિક અભ્યાસ virtually empty exercise બની રહેવાની સંભાવના છે. આ મુશ્કેલી અને મૂંઝવણ છે છતાં પ્રયત્ન કરીએ.
૨
પંડિતયુગના કેટલાક સર્જકોની મૂળ સમસ્યા પોતાનાં મૂળિયાંની શોધની હતી એવું સિતાંશુ યશશ્ચંદ્રનું એક નિરીક્ષણ છે. એક બાજુથી સંસ્થાનવાદનો પ્રભાવ અને બીજી બાજુથી ભારતીય દર્શનમાં પોતાનાં મૂળિયાંની શોધ – આ દ્વિધાનો સામનો ગોવર્ધનરામ, મણિલાલ, કાન્ત અને બ.ક.ઠાકોર જેવા સર્જકોએ પોતાના સર્જનમાં વારંવાર કર્યો છે. આજે પંડિતયુગના આ સર્જકોની મથામણ તપાસીએ છીએ ત્યારે રોમાંચનો અનુભવ થાય છે. જોકે દરેકના પોતાના મેટાફિઝિક્સના બીજા પ્રશ્નોય હતા. કેટલીક વાર જીવનદર્શનની પાછળ કળાકૃતિ ઢંકાઈ જતી હતી. આજે એ સમયને આપણે આપણા વર્તમાનથી વાંચવો રહ્યો. કૃતિપાઠની વાચના આમ પણ બે સમયને જોડે છે અને સાથે-સાથે બે સમય સાથે આપણો વિચ્છેદ પણ કરાવે છે. ને એ પણ યાદ રાખીએ કે આપણું દરેક વાચન અપૂર્ણ હોય છે. હવે ‘આરોહણ’ના થોડા જાણીતા ઇતિહાસ તરફ વળીએ. ‘ભણકાર’ની બીજી આવૃત્તિના ટિપ્પણમાં ‘આરોહણ’ને ઉદ્ગારકાવ્ય તરીકે બ.ક.ઠાકોરે ઓળખાવ્યું હતું. તો ત્રીજી આવૃત્તિમાં તેઓ એને ‘મનનકાવ્ય’ કહે છે. નિરંજન ભગત એને ‘ચિંતનોર્મિ કાવ્ય’ કહે છે. ‘આરોહણ’ પ્રથમ પ્રગટ થયું ‘સુદર્શન’ના જાન્યુઆરી ૧૯૦૨ના અંકમાં. પણ કૃતિ ગ્રંથસ્થ થઈ ૧૯૧૭માં ‘ભણકાર’માં. વચ્ચેવચ્ચે ૧૯૫૨ સુધી એનાં સતત પાઠાંતરો થતાં રહ્યાં. આ કૃતિના કુલ પાંચ પાઠ છે. તેના આંતર-કૃતિત્વનો ઇતિહાસ પણ રસપ્રદ છે. એક કાવ્ય ૬૩ વર્ષ સુધી કવિના ચિત્તને સતત જાગ્રત રાખે, મૂંઝવ્યા કરે; સમયના પ્રવાહની સાથે એ રચના સતત કવિના ચિત્તમાં ઘૂંટાયા કરે, એમાં વારંવાર છેક-ભૂંસ અને ઉમેરણો થતાં રહે; સમય, સંસ્કૃતિ તથા બદલાતી સાહિત્ય-વિભાવનાના સંદર્ભો સાથે એક કાવ્ય સતત તવાતું જાય એટલે જ એ ઉત્તમ નથી બની જતું. કવિની સિસૃક્ષાને પડકાર ફેંકતું રહેલું આ કાવ્ય એના સર્જનના ઇતિહાસ અને સાહિત્યના બદલાતાં રુચિના માપદંડોને ગ્રાહકતાનાં ધોરણોના સંદર્ભમાં આજેય આપણી મોટી વસ છે. સંસ્થાનવાદી નવજાગરણના સમયથી સ્વાતંત્ર્યોત્તર સમયનો ઇતિહાસ જોનારા, બે વિશ્વયુદ્ધોના સાક્ષી એવા બ.ક.ઠાકોરની ચેતના સાથે આ કાવ્ય અવિનાભાવે જોડાયેલું રહ્યું છે. ૧૮૮૮-૮૯માં જેનું ડોળિયું રચાય, ને ૧૯૫૨ સુધી જે સ્વરૂપાંતરની પ્રક્રિયામાંથી પસાર થયા કરે તો એની રચના પાછળ કયા પ્રશ્નો રહેલા છે એની તપાસ પણ રસપ્રદ નીવડી શકે. કેટલાકને મતે ‘આરોહણ’ પર કાન્તના ધર્માન્તરણના પ્રસંગની, ખ્રિસ્તીધર્મ અંગિકાર કરી, વળી પાછા હિન્દુધર્મમાં આવવાની ઘટના રહેલી છે. કાન્તના આ ધર્માન્તરની ઘટનાએ બ.ક.ઠાકોરના ચિત્તમાં અનેક વમળો પેદા કર્યાં હશે. પોતાનું હોવું શાનાથી સાર્થક થાય? ધર્મમાં હયાતીના કયા સત્યને પામવાની માનવી મથામણ કરે છે? જીવનનું અંતિમ શું ધર્મ છે? ધર્મ દ્વારા, જ્ઞાન દ્વારા માનવી પોતાનાં મૂળિયાં તરફ પાછો વળી શકે ખરો? સંસ્કૃતિના ઉતાર-ચઢાવ વખતે ધર્મ, નૈતિકતા કે તેનું આલેખન કરતી સાહિત્યકૃતિ એ શાતા આપનાર તત્ત્વ છે કે ઉદ્વિગ્ન કરનાર, સંશયી બનાવનાર તત્ત્વ છે? આને આપણે pretext ગણીએ. આ રચના આમ તો ઇતિહાસ, સંસ્કૃતિ અને રાજકારણના તે સમયના પ્રશ્નોને નિમિત્તે પોતાની જાત સાથે અને જીવનની આગળ વર્ણવી છે તે સંરચનાઓ સાથ સંવાદ-વિવાદ કરનાર, ખિન્ન શ્રદ્ધાળુ, કવિચિંતકની સ્વગતોક્તિ છે. તેની આ યાત્રા સ્વકીયતાને પામવાની મથામણોનો નિર્દેશ કરે છે. આ એક સૌંદર્યશાસ્ત્રીની સહૃદયતાથી પ્રકૃતિનો આસ્વાદ લેનાર સર્જકની યાત્રા છે. મુક્ત પૃથ્વી છંદના આરોહ-અવરોહભર્યા લયની યાત્રા છે. આ યાત્રામાં ‘સ્વથી સ્વ’ તરફની ગતિ છે, વચ્ચે અન્યો આવે છે ખરા પણ એ તો પોતાની સાથે ક્યારેક જોડાતાં, પોતાનાથી ક્યારેક વિખૂટા પડતાં સ્વનાં જ રૂપો છે. આ આધાર પોતાનાં જ અન્ય રૂપોનો છે, એનાં સ્મરણોનો છે. આ યાત્રા એકલની યાત્રા છે. વિપરીત પરિસ્થિતિમાં સતત લડત કરી સ્વત્વને કઈ રીતે ટકાવી રાખવું તેની મથામણને અહીં આપણે ઓળખી શકીએ છીએ. સર્જકોને ખબર છે કે અન્યોને આધારે જીવનની અખિલાઈ પામી શકાતી નથી. ચાલતા રહેવું, ગતિશીલ રહેવું અને એ દ્વારા હયાતીની અવિરામ શોધ કરતા રહેવું, એ જ એને મન સત્ય છે. સંસ્કૃતિના એક પછી એક મુકામો વટાવતાં વટાવતાં, વચ્ચે પડીએ, આખડીએ, છોલાઈએ, થોડી ફરિયાદો જરૂર કરીએ પણ હાર ન માનીએ, અનુકૂળતા પ્રમાણેનાં સમાધાનો ન શોધીએ પરન્તુ પોતાના સ્વત્વની શોધ અથાક બની કરતા રહીએ એ જ આ કવિતાનો ધ્યાનમંત્ર છે. ‘એકલો જાને રે’ એ ધ્રુવસત્ય આ યાત્રાના કેન્દ્રમાં છે. અંતે તો આ હોવું એ જ પર્યાપ્ત છે. આ પોતાના હોવાને સંસ્કૃતિના કૅપ્ટનો, રખેવાળી કરતા હોવાનો દાવો કરનાર વેપારીઓ, અધર્મીઓ, પાખંડીઓ, ભ્રષ્ટ સમાજ, ઇતિહાસ ને રાજકારણ કે સંસ્કૃતિનાં અનેક પરિબળો છેકવાના પ્રયત્નો કરે છે. આ સર્વના પ્રતિકારની આ કવિતા છે. એક સર્જકની શોધનો આ ‘આરોહણ’ સજીવ મેટાફર છે. અહીં ક્ષયિષ્ણુ થતી જતી આપણી સંસ્કૃતિ, લૂણો લાગેલાં સમાજનાં કેટલાંક મૂલ્યો, ક્રમશઃ વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા સમાજને, સંસ્કૃતિને અને સર્જકને કોરી ખાતાં અનિષ્ટોની વાત આ રચનામાં પ્રતીકાત્મક રીતે કહેવાઈ છે જે આજે પણ બદલાયેલા સંદર્ભો વચ્ચે આગવું મૂલ્ય ધરાવે છે. એક અર્થમાં સર્જક પોતાના સમયમાં મૂલ્ય ધરાવે છે. એક અર્થમાં સર્જક પોતાના સમયમાં પ્રવર્તતા મૂલ્યોનો ટીકાકાર, મીમાંસક રહ્યો છે. આજે પણ સુરેશ જોષીકૃત ‘મરણોત્તર’ નવલકથા, સિતાંશુ યશશ્ચંદ્રકૃત ‘સિંહવાહિની સ્તોત્ર’, ‘ભે’, ‘જળાખ્યાન’, હરીન્દ્ર દવેકૃત ‘ગાંધીની કાવડ’, શિરીષ પંચાલકૃત ‘હવેલી’ અને ‘મજૂસ’ જેવી રચનાઓમાં મૂલ્યહ્રાસની વાત જુદી રીતે આવે છે. લાભશંકર ઠાકરકૃત ‘લઘરો’, સિતાંશુ યશશ્ચંદ્રકૃત ‘મગન કાવ્યો’, રમેશ પારેખ કૃત ‘આલા ખાચરનાં કાવ્યો’, રાવજી પટેલકૃત ‘સ્વ. હુંશીલાલની યાદમાં’ ને બીજા અનેક સર્જકોની રચનામાં પણ સાહિત્યસર્જન, સમાજ અને સંસ્કૃતિમાં આજે જોવા મળતી મૂલ્યહ્રાસની વાત, દરેક સર્જક પોતાની આગવી ભાષામાં કરે છે. ‘આરોહણ’ એ અર્થમાં આજેય સમકાલીન વાચક માટે વિચારવંત, મંથન જગાવે એવી વાચના બની રહેવાની શક્યતા ધરાવે છે. આ જ સંદર્ભમાં બ.ક. ઠાકોરની એક કવિતા ‘કવિનું કર્તવ્ય’નું સ્મરણ થાય. ‘યુગે યુગે તફાવતો જ વિષયે, નહીં તત્ત્વમાં.’ આ કવિતામાં કવિ આગળ કહે છે :
બધા સૂર ખિલાવજે મનુજચિત્ત સારંગીના
બધાં ફલક માપજે મનુજશક્તિ સીડી તણાં
(આ રચનાના એક પાઠમાં ‘ખિલાવજે’ પહેલાં ‘મિલાવજે’ હતું જેનો અર્થ કલાસંયોજન આપણે કરી શકીએ). રચનાને અંતે કહે છે :
‘રખે વિસરતો ક્ષણે ભજન એક સૌંદર્યનું.’
તેથી આ રચનાનું આપણે માત્ર સાંસ્કૃતિક મૂલ્ય જ ન આંકીએ, એનું કલાસૌંદર્ય પણ મનભાવન છે. પૃથ્વી છંદની સરળ પ્રવાહિતા, પ્રકૃતિ-સૌંદર્યના આલેખનની સમાન્તરે ચાલતું સંસ્કૃતિ-ચિંતન; વિશેષણો, અલંકારો અને ક્રિયાપદોનો સાર્થક સર્જનાત્મક વિનિયોગ, કાવ્યબાનીની તેજસ્વિતા, શબ્દાવલિના આરોહ-અવરોહ, પ્રશ્નાર્થ-વાક્યોને કારણે જાત સાથેના સંવાદ-વિવાદ તથા સંશય અને શ્રદ્ધામાં આવાગમન કરતા ચિત્તની સંકુલ સ્થિતિઓ – આ બધાં તત્ત્વો તેની સાહિત્યિકતાને સૌંદર્યને આપણી ચેતનામાં વિલસતું કરે છે. બીજો મુદ્દો છે સળંગ મુક્ત પૃથ્વીની પ્રવાહિતાનો. કાન્તે વિવિધ છંદો પ્રયોજી પોતાના ભાવજગતનું નિર્માણ કર્યું. છંદ પ્રમાણે ભાવાલેખન કર્યું એમ નહીં, પણ ભાવના આલેખન દ્વારા છંદોની સર્જનાત્મકતા તાગી જોઈ. બ.ક. ઠાકોરે એક જ છંદમાં, તેના વિવિધ વળાંકો દ્વારા, પોતાનું narration કેટલું તો કાવ્યસાધક બની શકે છે તે જોવાનો પ્રયત્ન કર્યો. એ અર્થમાં આ રચનાની સાહિત્યિકતા પણ વિસરવા જેવી નથી. આ અભિપ્રાયોનું સમર્થન હવે કૃતિમાંથી જ શોધીએ.
૩
સાહિત્યના ઇતિહાસના અભ્યાસીઓને હવે તો અજાણ્યું નથી કે બ.ક. ઠાકોર વ્યૂહરચનાર અને નવા-નવા આરંભ કરનાર પ્રયોગધર્મી કવિ છે. પોતાના સમયના કવિઓ નાનાલાલ, કલાપી અને કાન્તની કવિતા અને કાવ્યવિભાવનાના પ્રતિકારમાંથી એમની કવિતા રચાતી આવે છે. હઠપૂર્વક તેઓ પોતાના સમયના કવિઓથી જુદા પડવાનું નિશ્ચયબળ ને કાવ્યબળ ધરાવે છે. ‘આરોહણ’૧ શીર્ષકમાં જ બેવડો અર્થ સમાયેલો છે. પોતાનાં જ અન્ય વ્યક્તિત્વો સાથેનો અહીં સંવાદ-વિવાદ છે. સંસ્કૃતિ-યાત્રાના બે છેડા આરોહણ અને અધઃપતન તથા જાત સાથેનાં સમાધાનો અને વિદ્રોહનું ગુંફન આ રચનામાં કલાત્મક રીતે થયું છે. આરંભનાં બે અવતરણો સાંકેતિક છે. ઊંચું ઊડનારને આત્મદૌર્બલ્ય ન પરવડે, એની યાત્રા એકાકી છે, એકલતાની છે એ બન્ને અવતરણોથી પામી શકાય છે. અને કાવ્યની શરૂઆત ‘સખે હૃદય ક્યાં હશો? પથ કયો ચડો આ સમે? ચડે અવર કોઈ સંગ, થઈ કે રહ્યા એકલા?’ આ બે પ્રશ્નાર્થની જોડે સંશય અને શોધની તીવ્રતા ભળેલાં છે. આ ગિરિ-આરોહણના સમયે એક પછી એક સાથીઓ ખરી પડે છે, આત્મવિશ્વાસ ડગમગી ઊઠે છે. આ વિષમ ચઢાણમાં મિત્ર વિનાના એકાકી એવા યાત્રિકનો ઉદ્ગાર છે, આ પ્રશ્નાર્થોમાં સંશય છે. બીજો ઉદ્ગાર નયનો માટે છે. આત્મવિશ્વાસના તેજથી એક વખત આ આંખો જે મધુરતાથી દીપી ઊઠતી હતી, તે તો હજી આ સૃષ્ટિના સૌંદર્યને નિરામય રીતે અવલોકી શકે એવી છે પણ મિત્રોને ન જોઈ શકતી આ આંખો શું હવે તાકી છે? તેનું દૃષ્ટિતેજ શું ઝાંખપવાળું થયું છે? પણ તરત જ નાયકને પ્રતીત થાય છે કે આ ચડાવ વિષમ છે, કઠિન છે. એના બધા જ સાથીઓ થાકીને હારી ગયા છે. જે આ યાત્રામાં પોતાનો સાથ આપી શકે એમ નથી, તેઓ અન્ય માર્ગે વળી ગયા છે. અહીં ‘અન્ય’નો અર્થ મનોરંજન, સમાધાન, શરણ એવો પણ લઈ શકાય.
જરા વિષમ આ ચડાવ, સહુ સાથિ હારી ગયા,
વળ્યા પગથિ અન્ય,
હવે તેઓ ગુરુકુંડ પાસેની હિમશિલા પાસે આરામ કરશે, તેઓની દૃષ્ટિ ઊર્ધ્વગામી નથી; તેઓ નીચેની નદીઓ, છૂટાંછવાયાં ગામ, વનથી વીંટળાયેલી ખેતર-સમૃદ્ધિવાળી ખીણોને જ જુએ છે. કવિને પણ પોતાની સાથે જોડાવાનો આગ્રહ કરે છે. પણ કાવ્યનાયકને તો ‘પરન્તુ ચડવું હજી ચડવું એ જ મ્હારી તૃષા.’ આ આરોહણ દરમિયાન ચારે બાજુ દેખાતી સૃષ્ટિનું સ્થૂળ લાગે એવું વર્ણન છે પણ તેની સમાંતરે આપણને સૂક્ષ્મ આરોહણનો ધ્વનિ કાવ્યમાંથી સતત સંભળાયા કરે છે. અહીં શાપિત સિસિફસ સહેજે યાદ આવે. એ સજા ભોગવે છે, સ્વાતંત્ર્યનું મૂલ્ય જાણે છે. તેથી દેવો સામે બળવો કરે છે, પણ શિલા પહાડ પર લઈ જતાં આનંદથી આજુબાજુની પ્રકૃતિને જુએ છે. અહીં પણ કવિ આજુબાજુની સૃષ્ટિ જુએ છે, વચ્ચે અટકે છે. જગતચિત્રની પલટાતી છાયા પ્રભાના સાક્ષી બની રહે છે. અવઢવથી પોતાની જાતને સંકોર્યા કરે છે. કવિની મનઃસ્થિતિ જુઓ :
વિલોકું નર, ચીનતો પ્રકૃતિસત્ત્વ નારાયણ,
અને વિધિસમુદ્રમાં નિરખું ભંગ સંકલ્પના.
કવિ સાથે સાથે પલટાતાં વિવિધ પ્રકૃતિ દૃશ્યો જોતા જાય છે :
જલો અવનિનાં સજી અનિલપાંખ નિર્મલ બની
તરંત ખગમાલ સંગ નભ ઘુમ્મટે સેલતાં;
સુવે ઢળંતિ ઝાડગોળમય નીલ શય્યા વિશે,
રચે ઝુલતિ લગ્નગાંઠ કર સાહિ તરુવેલના;
ભરે કુસુમ પ્યાલિએ સ્ફટિક, મોતિ વેરે દલે,
શકુંતકલગી ખપે ચળકબુંદ હીરામય;
વિદગ્ધ તરું ઢાંકતાં ક્ષણ કરે કપિ ય શોભતા,
શિલા પણ પરિષ્વજે કઠણમાં સરી કોમલાં.
આ પ્રકૃતિનાં મનોહારી દૃશ્યની પડખે તેને વિરોધાવતું માનવજગત પણ જોવા જેવું છે. અહીં તો મઠોમાં પાખંડી ‘મુરતિયો’ વસે છે. કવિએ એકમાં જ અનેક અનિષ્ટો વસેલાં છે એ દર્શાવવા સભાનતાથી એક-વચનનો વિનિયોગ કર્યો છે. એમના વદન પર વૈરાગ્યનું મહોરું છે, પણ ‘ઉર તો નર્યાં દુન્યવી’ છે. એ બધા લોભી અને લાલચુ છે, ધર્મના વેપાર કરનારા છે. ભાવિકો એને મુગ્ધતાથી ભેટ ધરાવે છે. વિવિધ જાતનાતના અભણ લોકોને આ બની બેઠેલા સાધુ-સંતો અને મહાત્માઓ છેતરે છે. લોકોની ધર્મઘેલછાનું કૃતક અધ્યાત્મની કૃતક ભાષામાં જ અહીં વ્યાપારીકરણ થયેલું છે.
બડાઈ અવરે બકે, કપટ બ્રહ્મચારી, સદા
અધોગતિ સ્વીકારતા ચશચશી જ ગાંજાકળી.
આ બધા ઢોંગી ગંજેરીઓ છે. શું ધર્મ આ જ હશે? શું આ જ આપણી ભવ્ય સંસ્કૃતિ છે? કાવ્યનાયકને સહજભાવે કવિની પંક્તિ યાદ આવે છે : ‘કુદરતે બધું સુંદર, અને ફક્ત માનવી અધમ!’ તે અહીં તો ખરું જ છે. પણ આવા અંતિમ વિચારથી પોતાને ઢંઢોળતો રહે છે અને વિચારે છે; ના, આનોય તે વિકલ્પ તો હતો જ. જ્ઞાની ઋષિઓ ભૂતકાળમાં હતા, તેનાથી તો આ સૃષ્ટિ જીવવા જેવી લાગી હતી. આ રીતે રચના-સ્થળમાંથી સમયમાં, વર્તમાનમાંથી ભૂતકાળમાં વારંવાર આવ-જા કરે છે. અહીં બે સમય એકબીજાની માત્ર સરહદો ઓળંગતા નથી ક્યારેક એકબીજામાં ભળી જતા હોય એવુંય લાગે છે. પોતાના વર્તમાન માટે મોટા ભાગના સર્જકોને, ચિંતકોને સમભાવપૂર્વકની ફરિયાદ તથા અસંતોષ રહેલાં હોય છે. એમને સતત પોતાના વર્તમાન જોડે કશુંક ખોટું થઈ રહ્યું છે, મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે તેની ચિંતા સતાવતી હોય છે. આત્મતૃષ્ટિ નહીં પણ આ અસંતોષ તેને critical બનાવે છે. છતાં એ રાજકારણી કે ઉપદેશક બની રહેતો નથી. પોતાના સમયના વાચનમાં એની aesthetic દૃષ્ટિ સાથે ethical જવાબદારી ભળેલી છે. કવિનો ઉદ્ગાર ઋજુતાભરી વેદનાથી એમાં સંયત રીતે ભળે છે.
ચડૂં ઉપર હા! સખે, વિકટ આ ચડાવે ત્હમે
નહીં નિકટ; કર ચહે તમ ખભો જુની ટેવથી.
અહીં વિરામચિહ્નો વચ્ચે આવતા અવકાશો, ગતિસ્થિતિના, અપેક્ષા ને અપેક્ષાભંગના, નિકટ-દૂરનાં આંદોલનો ભાવકચિત્તમાં જન્માવે છે. ‘વિકટ’ ને ‘નિકટ’ના બે પંક્તિમાં વહેંચાયેલા આ પ્રાસ, સંવાદની ભૂમિકા તૂટી છે, નિકટતા લોપ પામી છે અને વિકટતાનો આરંભ થયો છે તેનું સૂચન કરે છે. આ સ્મરણમાં ભૂતકાળનું સ્મરણ છે તો સાથેસાથે વર્તમાનની એકલતાપૂર્ણ વેદનાનો સ્વર પણ ભળેલો છે. હવે મિત્રોના સંગાથ વિના એકલાએ જ આ યાત્રા કરવાની છે તેની પ્રતીતિ નાયકને થાય છે. અહીં મિત્રોની સ્મૃતિનું સાહચર્ય ભાર વિના પણ વેદનાથી ઉપસાવ્યું છે. આ યાત્રા એકલતાની અને કઠિનતાની છે. હવે પગથિયાં નથી. અણિયારો, કંટક-છાયો, કારમી ઝાડીવાળો માર્ગ છે. જાળાં-ઝાંખરાં છે, ઉઝરડા પડી ગયેલા શરીરવાળો નાયક પગલેપગલે નીચે વળતો થાકે છે. ને એકાએક જાણે ચમત્કાર બને છે. ઝાડી-ઝાંખરાં વટાવ્યા પછીનો અવકાશ અને તેમાં તેજ વેરતો સૂર્ય તે જુએ છે. આ તેને ફરી જીવનબળ આપે છે. કુદરતે રચેલું શિલાનું આસન છે પણ તે સૂર્યના તાપથી તપેલું છે. ‘તપાવ્યું’ ક્રિયાપદ અને વિશિષ્ટ અર્થ રચે છે. આને આપણે સમૃદ્ધ જ્ઞાનપરંપરા ને બુદ્ધિના તેજથી તપેલું હૂંફાળું આસન કહી શકીએ. મિત્રો તો હિમકુંડ પાસે શાતા અનુભવતા હશે, અહીં તાપ છે. આ બધાં ચિત્રાંકનો કવિના ચિત્તને વારંવાર અવઢવમાં ઢાળે છે. સ્થળ ને દૃશ્યોની આ પરિવર્તનશીલતા આમ તો કવિ-ચિત્તની હાલકડોલક થતી ચિત્ત-સ્થિતિઓનાં સંકેતો છે. હવે સરિતાકુલો, ઉટજકુંજ ગામો અને વન-વીંટલ ખેતર-સમૃદ્ધિનાં દૃશ્યો દેખાવાં બંધ થયાં છે. લૅન્ડસ્કેપ હવે બદલાયો છે. કૅમેરા ઉપરથી નીચેનાં દૃશ્યો જુએ છે. શિલા પર બેઠેલો કાવ્યનાયક પોતાનો થાક ઉતારતાં જે જુએ છે તે આ : કાપેલો રસ્તો, નીચે વહેતાં પાણી, નિર્મળ હવા, માછલાં જેવાં વાદળાં, ખીણને ઢાંકી દેતી વાદળોની છાયા. ત્યાં જ કાવ્યમાં વળાંક આવે છે. કવિ એક રણકો સાંભળે છે. દૃશ્યની સાથે અવાજ ભળે છે. આથી ઓડિયોવિઝ્યુઅલની સૃષ્ટિ કવિચિત્ત ક્ષણના ઝબકારમાં ઝીલે છે. તેનું સમગ્ર હયાતી વડે આકલન કરે છે. દૃશ્ય ને અવાજની જાણે જુગલબંદી રચાય છે. પર્વતની અલગઅલગ ટૂકો પર વિવિધ પંથનાં, વિવિધ કાળનાં સ્મારકો જેવાં મંદિરોના ઘંટનો રણકાર સંભળાય છે અને એ ઘંટારવ કવિના વિચારવિશ્વમાં પણ એક રણકો જગાવે છે. આ રણકાર ભલે વ્હેમીલા લોકોને ચકિત કરે પણ કવિના હૃદયમાં તો વિષાદ જગાવે છે :
અહા મધુર ઘંટ મંદિર વિશે યદૃચ્છાનિલે
થતા મુખર, શો વિષાદ પ્રકટો ત્હમે આ ઉરે !
હવે સૂચક રીતે કવિતા ચિંતનના પ્રદેશમાં ગતિ કરે છે. આ ચિંતન-કાવ્યને હાનિ નથી પહોંચાડતું. ઘંટોનો ગુંજારવ કવિને બીજા પ્રદેશમાં ગતિ કરાવે છે. ફરી સ્થળમાંથી સમયમાં, વર્તમાનમાંથી ભૂતકાળમાં કાવ્ય ખસે છે. એક બાજુ ઇતિહાસની કે ભૂતકાળની ભવ્યતા છે તો બીજી બાજુ સામે વર્તમાનની તુચ્છતા કવિને ચિંતિત કરે છે. ધર્મ હવે શું આ મીઠા ઘંટારવરૂપે જ અવશ્ય રહેશે?
રહ્યો શું પૂર્વજ મહાપ્રબલસત્ત્વ આર્યો તણો
ત્રિકાલજિત ધર્મ, — ઘંટારવ મિષ્ટ આ કેવલ?
આ અને આગળની પંક્તિઓમાં રૂપ પામતો ભાવવિચાર શંકિત હૃદયનો છે. ભિન્ન શ્રદ્ધાળુનો છે. ચિંતન કરતા વિચારશીલ બૌદ્ધિકનો છે. હવે ભૂતકાળના મિષ્ટ ઘંટારવને માત્ર મમળાવ્યા કરવાનો? એક નોસ્ટાલજિક વિશ્વમાં ધર્મનાં, જીવનનાં આશ્વાસનો શોધ્યા કરવાનાં? એક રોમેન્ટિકની ઊર્મિમાંદ્યતા અહીં નથી. બૌદ્ધિક અંતર રાખી સમયને મૂલવતા વાસ્તવદર્શી કળાકારનું અહીં દર્શન છે. તેથી આર્યોનો ત્રિકાલજિત ધર્મ કવિને રાખ — કજળ્યા તણખા જેવો, નિઃસહાય, નપુંસક બની ગયેલો લાગે છે.
ન એ નિજ પ્રકાશ, રાખ કજળેલ સ્ફુલિંગ શો
નપુંસક, શકે કરી પ્રકટ અન્ય આત્મા વિશે
આ ‘નિજ પ્રકાશ’નો અભાવ, આ શુષ્ક તેજવિહીનતા આમ જુઓ તો એક પ્રકારનું મરણ જ છે. આમ છતાં મડદાંને સંઘરી રાખવાનું, તેને શણગારવાનું કેટલાકને સતત ગમતું હોય છે, એનું એક સુખ એ હોય છે કે જે સામે હોય છે તેનાથી પલાયન થવાની એક યુક્તિ મોટા ભાગનાને આવડી જાય છે. પ્રજાઓ આવી અને ગઈ, ઘણા ધર્મો આવ્યા, અનેક પ્રજાએ ભારત પર આક્રમણો કર્યાં, ઘણા ધર્મો આવ્યા અને તેનું સુખદ કે દુઃખદ સ્મરણ પણ રહ્યું.
રહ્યાં વચન એમનાં, – ફક્ત કલ્પનાસૃષ્ટિ એ
પુરાવિદતણી પુરાણ ઇતિહાસ સાહિત્યની!
ભૂતકાળની, પુરાણની, ઇતિહાસની ભવ્યતા ટકાવી રાખે એવી તેજસ્વી પ્રજા જ હવે ક્યાં રહી છે? હવે સરસ્વતી, જ્ઞાન એ બધું લુપ્ત થશે, ઇતિહાસની પાદટીપ બની જશે? આ ઘંટારવ ભવ્ય ભૂતકાળની સમૃદ્ધ ધર્મ ને જ્ઞાન-પરંપરાનું આપણને સ્મરણ કરાવવાની સાથેસાથે તેની સાથેના વિચ્છેદને પણ ધ્વનિત કરે છે. જેને ભવ્ય સંસ્કાર વારસો કહીએ છીએ તે ગઈ કાલની ઘટના બની જશે. તો માત્ર તેનું સ્મરણ શા કામનું? જે અતીત વર્તમાનને જીવંત ન બનાવી શકે અને જે વર્તમાન ભૂતકાળ જોડે સંવાદ ન સાધી શકે એ શા કામના? ‘ધર્મ’ અહીં માનવ-સંસ્કૃતિના ધારક બળ તરીકે, ઋત તરીકે આવે છે. આ ધર્મ-લોપના વિચારથી કવિનું હૃદય આઘાત પામે છે.
થશે શું ભારત યુનાનિ હોમરતણાં મહાકાવ્ય શું?
નહીં શશિકલા ધરી, ક્રુસ શું ધારશે મંદિરો?
પછી કવિનો આવેગ એક પછી એક આવતા નકારનાં મોજાંઓ સાથે દ્વિગુણિત થતો જાય છે. સમાજ નર્યો પાર્થિવ જ રહેશે. સંસ્કૃતિ એ ઉપભોક્તાઓની બની જશે. ભૌતિકતા અધ્યાત્મને ગ્રસી જશે. કવિના આ આવેગમાં વિષાદની તીવ્રતા છે. આરોહ-અવરોહની આ મુદ્રા જીવનમુદ્રાના ઉતાર-ચઢાવની શંકિત હૃદયની સાક્ષી બની રહે છે. ખ્રિસ્તી મિશનરીઓ સ્વધર્મથી માનવીને દૂર કરશે એવો ધ્વનિ અહીં કાવ્યના વણાટમાં તિર્યક્તાથી ગૂંથાયો છે. આવા વિચારમાત્રથી કવિનું હૃદય તૂટે છે, જીવ રૂંધાય છે છતાં સ્વ-ધર્મનું સત્ત્વ જળવાઈ રહે એવી પ્રાર્થના તો છે જ.
પ્રભો, કિરણ આશાનૂં! ધરતિ કોરિ દુષ્કાળમાં
ચહે સલિલજ્યોતિ મેઘ, ઉગરે યથા સંતતી!
આ ઋતુનો દુષ્કાળ નથી, મનમાં પણ કશું ઊગતું નથી. આવી વંધ્યતાની ક્ષણે, થાકેલી-હારેલી ક્ષણેય કવિનો આશાવાદ, કવિની શ્રદ્ધા ટકી રહ્યાં છે. પોતાનાં નિજ મંથનમાંથી લડત લડવાના આંતરિક નિશ્ચયમાંથી આ શ્રદ્ધા પ્રગટી છે, એને માત્ર આધાર હોય તો સ્વનો. જોકે હવે ઉપર ચડવાની હોંશ રહી નથી, ઉત્સાહ મોળો પડ્યો છે, ઉમંગમાં ઓટ આવી છે. પણ ટેવવશ પગ ઊપડે છે. સુંદરમે એક સરસ નિરીક્ષણ કર્યું છે. પદાઘાતના પડઘાની કઠોરતા વ્યંજનોની, વર્ણોની કઠોરતા દ્વારા સૂચવાઈ છે. ‘અહીં ચડનારનો પદ-ધ્વનિ પણ આસપાસની નિઃસીમ શાન્તિમાં લીન થઈ જાય છે.’ (અવલોકના, ૮૯–૯૦).
ચડૂં ઉપર હોંસ ના; ફક્ત પૂર્વ નિશ્ચયવશે
વધે પગ, પડે કઠોર પડઘા પદાઘાતના
અવાજ પણ એ સુવે પલમહીં સુના આ સ્થળે,
મળી ડુબિ અશબ્દમાં ગણિ જતો, થતો ના થયો,
વિ
રામચિહ્નોનો અને પ્રલંબ એકીશ્વાસે સડસડાટ વંચાતી આ પંક્તિ હાંફ-થાક ને નિર્વેદનો અનુભવ કરાવે છે. અહીં શાંતિના વસવાટની નહીં તેના શ્વસવાની વાત છે. અહીં સ્થૂળ દુઃખો, જગતનું મેલાપણું, જગતના પાપના ડંખ ક્રમશઃ બધું જ આ શાંતિમાં પીગળી જાય છે. હારેલા, થાકેલા, નિર્ભ્રાંત આત્મરૂપી શિશુને વિશુદ્ધ કરતી શાંતિનું આ ચિત્ર સુંદરમ્ કહે છે એમ ‘અર્થ-માધુર્યથી ભરેલું’ છે. અહીં ક્રિયાપદો તથા વિશેષણોની આવતી ગતિ અવઢવભર્યા, શાતા શોધતા, નિશ્ચય અનિશ્ચય વચ્ચે ઝોલાં ખાતી માનસિકતાનું નિદર્શન કરે છે. આ ક્રિયાપદો, ક્રિયાઓ : વસે, શ્વસે, લસી રહે, ઉતારી, ભુલવી, રુઝવિ જેવાં ક્રિયાપદોનાં કાર્યો અને શાંતિ માટે પ્રયોજાયેલાં વિશેષણો બ.ક. ઠાકોરની શૈલીની વિશદતા, બળકટતા ને ગાંભીર્યને નવું પરિમાણ આપે છે. આ શાંતિભર્યા વાતાવરણને જોઈ ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે એમ કવિ સ્તોત્રવાણી લલકારે છે :
અનંત અવકાશવ્યાપિ હિતવાંછુ ચેતન ઉર!
અનંતપટ કાલના અતુટતંતુ તેજોમય!
અનંત જીવયોનિના સગુણ કોટિ સંકલ્પના
અનન્ય સમ સૌમ્ય આદિ અવસાન શંકર્ષણ!
અનંત મુખ જે સ્ફુરે, સ્ફુરણમાંથી જીવી રહે
વિચાર અભિલાષ ગાન રતિ, તેહના ભાસ્કર!
અનંત શબ્દના વિવિધ રંગછટા, પ્રકૃતિ-રૂપો ધારણ કરતા ધ્વનિઓ જીવન-જગતની વિવિધ સંરચનાઓને ઉજાગર કરે છે. આ સૂર્ય એ નવજીવનનો, નવ્ય વિચારનો, શ્રદ્ધા જન્માવનાર, અતલ નિરાશાને ભ્રાંતિમાંથી ઉગારનાર શ્રદ્ધા-તત્ત્વ બની રહે છે. સૂર્યને માટે પ્રયોજાયેલાં ઉપમાનો અસ્તિત્વ જોડે સંકળાયેલા વિવિધ સમયોની એક અનોખી ભાત રચે છે. ‘અનંત’ શબ્દની પુનરાવર્તન પામતી દ્રુત ગતિ કવિના ભાવજગતની જ નહીં, માનવીમાત્ર જોડે રસમય રીતે સંકળાયેલી વિવિધ અવસ્થાઓને મૂર્તિમંત કરે છે, અને ગતિ જ કવિ પાસે શ્રદ્ધાનો ઉદ્ગાર કઢાવે છે :
‘રંગે રગ વહે ચડે બલખુમારિ શ્રદ્ધા તણી’
અસ્તિત્વના અંશે-અંશમાં વહેતાં – શ્રદ્ધા, આત્મસન્માન, ને નિજત્વ તરફ ફરી વળવાનું, જાતને ઢંઢોળવાનું આ બળ અંદરથી જ પ્રગટેલું છે. હવે જે થવાનું હોય તે થાવ! ભલે પ્રજાઓ જાય, રાજ્યો પડે, અમુક સંસ્કૃતિ અને ધર્મને ભલે ક્યારેક ક્યારેક ગ્રહણ નડે, આ નટરાજ ભલે વિવિધ ખેલ ખેલ્યા કરે, ભલે પ્રલય ઊતરે. પણ જ્યાં સુધી સ્વત્વ છે, માનવમાં શ્રદ્ધા છે ત્યાં સુધી ચિંતાનું કારણ નથી. આ શ્રદ્ધા ઉછીની નથી, જીવવાનાં લોભાવનારાં આશ્વાસનો કે શરણાગતિઓ આ શ્રદ્ધાના પાયામાં નથી, જાત-જગત, આત્મા-મન સાથેની સતત લડતમાંથી, સ્વબળે પ્રાપ્ત કરેલી આ શ્રદ્ધા છે. નટરાજ વિસર્જનના દેવ છે. અધર્મો, પાખંડો, ચારે બાજુથી જીવનને રૂંધતી કૃતકતાઓ, માનવીને નબળો બનાવતી તેને સતત ચૂસ્યા કરતી અમુક સંરચનાઓનું વિસર્જન થવું જ રહ્યું. એમાંથી જ નવસર્જન થશે. પ્રલયનું પાણી ઘણાં નકામી તત્ત્વોને તાણી જાય છે, પછી સત્ત્વશીલ નિર્મળ જળ જ અવશેષ રહે છે. આ ‘તું’ તે માત્ર નટરાજ નથી, પોતાની અંદરનું સ્વત્વ છે; નિજત્વ છે. મનુષ્યથી મોટું કોઈ નથી અને આ સૃષ્ટિનું સકલ સૂત્ર આમ તો એના જ હાથમાં છે. સંબોધન ભલે નટરાજને થયું હોય, માનવીમાં રહેલા એ સત્ત્વને આમ તો સંબોધન થયું છે. આ રીતે આ રચના બ.ક. ઠાકોરની આગવી signature લઈ આવે છે, તેના આગવા inner voiceનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રકૃતિવર્ણન, જાત સાથેના સંબોધનથી આરંભાયેલી આ રચના સંસ્કૃતિચિંતનમાં પર્યવસાન પામે છે. વચ્ચેવચ્ચે અહીં જીવન-ધર્મ, મૂલ્યો, નૈતિકતા વિશેની મીમાંસા છે. અહીં શુષ્ક નિબંધાત્મક કૃતક ચિંતનનો અભાવ છે. કવિની પલટાતી મનોદશાનાં ચિત્રો પ્રકૃતિની પશ્ચાદ્ભૂમાં ઇન્દ્રિય-સંવેદ્ય રૂપો ધારણ કરી, રચનારીતિના ઉન્મેષો પ્રગટાવી અહીં રૂપ પામ્યાં છે. કવિને હવે કોઈ ભોમિયાની જરૂર નથી, કોઈ સાથી-સંગાથીની જરૂર નથી. સર્જકતા ને સંસ્કૃતિના મુકામોની યાત્રાએ નીકળનારે એકલા જ સફર કરવાની છે. એની લડત પોતાની છે તો મૂલ્યો માટેનીય છે. નિષ્ફળ જવાની શ્રદ્ધા સાથે એણે આ લડત લડવાની છે. એ અર્થમાં ‘આરોહણ’ દરેક સમયના ભાવકની, તેના પ્રશ્નોની, તેનાં મંથનોની, પ્રતીકાત્મક રહી, કલાસૌંદર્ય જાળવીને, મીમાંસા કરતું રહેશે. અંતે દેરિદાના શબ્દો યાદ કરીએ, તે કહે છે ‘...democracy to come, which is or, ought to be, the goal of cultural studies.’ આનો એક અર્થ એ પણ થયો કે આપણે આપણા જીવાતા જીવનની અનેક સંદર્ભો સાથે, ઉઘાડા મનથી વાચના કરવાની રહેશે. કૃતિનો સાહિત્યિક અને સાંસ્કૃતિક અભ્યાસ એક વૈચારિક ફોરમ બને જે પોતાના સમયના narrative spaceમાં રહી આપણી સાથે જે ‘અન્ય’ (‘the other’) રહ્યા છે, cultural others છે, તેના પ્રશ્નોને પણ સમભાવથી, માનવ્યથી સમજતા થવાય તો ‘આરોહણ’ની આપણી વાચના વધારે સાર્થક ઠરે.
(ખેવના, ડિસેમ્બર, ૨૦૦૧)
કેટલાક મહત્ત્વના સંદર્ભો :
{{Block center|<poem>૧. ભણકાર : બળવંતરાય કલ્યાણરાય ઠાકોર (૧૯૬૮ની આવૃત્તિ)
૨. Cultural Studies and Reading : J Hills Miller, ADI Bulletin, ૧૧૭, (Fall ૧૯૯૭), p.p. ૧૫–૧૮ આ જ લેખમાં દેરીદાનો સંદર્ભ છે.
૩. The Politics of Culture : Julie Rivkin and Michael Ryan (Literary theory : An Anthology Part Ten – Cultural Studies-ની પ્રસ્તાવના).
૪. અવલોકના : સુંદરમ્
૫. અપરિચિત અ અપરિચિત બ : ચન્દ્રકાન્ત ટોપીવાળા
૬. પ્રો. બળવંતરાય ઠાકોરની કવિતા : ડૉ. હર્ષદ મ. ત્રિવેદી
૭. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : સંપાદક : ઉમાશંકર જોશી અને અન્ય ભા. ૩–૪.
}}
- ‘આરોહણ’ કાવ્યની પંક્તિઓની જોડણી ‘ભણકાર’ પ્રમાણેની છે.
(‘અપૂર્ણ’)</poem>