સાહિત્ય પલ્લવ – ભાગ ૧/નરસિંહ મહેતાની હૂંડી

From Ekatra Foundation
Revision as of 12:59, 21 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨. નરસિંહ મહેતાની હૂંડી

[પ્રેમાનંદની વર્ણનશક્તિ અજોડ છે તે ‘હૂંડી’ના કાવ્ય પરથી જોઈ શકાશે. નરસિંહ મહેતાએ જુનાગઢમાં બેઠાબેઠા દ્વારકામાં શ્રી. શામળશા શેઠ ઉપર હૂંડી લખી મોકલી. એટલે કે કોઈ તીરથવાસીઓને જુનાગઢથી દ્વારકા જવું હતું તેમણે પોતાની પાસેના પૈસા રસ્તામાં લૂંટાઈ જાય એ ડરથી જુનાગઢમાં નરસિંહને પૈસા આપી દઈ, તે જ રકમ તેની વતી દ્વારકાના શામળશા શેઠ તેમને ચૂકતે ભરી આપે એ રીતની ચીઠી લખાવી લીધી. આવી ચીઠીને વેપારી ભાષામાં હૂંડી કહે છે. હવે નરસિંહની કોઈ પેઢી ચાલતી નહોતી. તેણે તો ભગવાન ભરોસે દ્વારકાના દેવ શામળ કહેતાં કાળા રંગવાળા કૃષ્ણ ઉપર જ હૂંડી લખી મોકલી હતી. તીરથવાસીઓ શામળશાનું ઠેકાણું પૂછી પૂછીને કંટાળી ગયા ને જુનાગઢનો નરસૈંયો પૈસા ઠગી ગયો એમ માનવાની અણી ઉપર હતા ત્યાં તેમને શામળશા શેઠનો પત્તો લાગ્યો. આ કથા ચમત્કારની છે. કૃષ્ણ પોતે પોતાના ભક્ત નરસિંહની લાજ રાખવા નાણાવટી બનીને તેણે લખેલી હૂંડી સ્વીકારી લે છે ને પૈસા ચૂકતે ભરી આપે છે. એવા ચમત્કારમાં આપણી આજની વિજ્ઞાનથી ઘડાયેલી દૃષ્ટિ ઝટ માને નહિ એ સ્વાભાવિક છે. પણ કાવ્યમાં આ ચમત્કારને સ્વીકારી લઈને પછી આપણે એનો આનંદ લઈશું તો ઠીક પડશે. કૃષ્ણ શામળશા બનીને હૂંડી સ્વીકારે—‘શીકારે’ છે એનું વર્ણન કેટલું મનોરમ છે! કવિએ ગુજરાતના કોઈ મોટા નગરના શેઠિયા જેવું શામળશાનું આબેહૂબ ચિત્ર દોર્યું છે.]

જેને વેદ પુરાણે વખાણિયે રે,
મારો વહાલોજી થયો છે વાણિયો રે;
એના આગમની ગત છે ઊલટી રે,
મારો નાથ થયો નાણાવટી રે.
વહાલો ગોમતીજીના ઘાટમાં રે, ૫
મળ્યો તીરથવાસીને વાટમાં રે;
વેશ પૂરો આણ્યો મારે વહાલે રે,
નાથ ચૌટાની ચાલે ચાલે રે.
છે અવળા આંટાની પાઘડી રે,
વહાલાજીને કેમ બાંધતાં આવડી રે! ૧૦
દીસે વાણિયો ભીને વાન રે,
એક લેખણ ખોસી છે કાન રે;
હસતાં ખાડા પડે બહુ ગાલ રે,
મોટું કપાળ જાણીએ ઢાલ રે.
અધર બિંબ જાણો પરવાળી રે, ૧૫
મોટી આંખ દીસે અણિયાળી રે.
બે કાને કુંડળ ઝળકે રે,
નાસિકા તે દીવાની સગ રે;
દીસે દાંત રૂડા હસતા રે,
હીરા તેજ કરે છે હસતાં રે. ૨૦
ત્રિકમજી વણિકની તોલે રે,
નાથ ઉતાવળું ને બોબડું બોલે રે;
સોનાની સાંકળી ને કંઠે દોરો રે,
કેડે પાટીવાળો કંદોરો રે.
ઝળકે ધનરેખા હથેળીમાં રે, ૨૫
આંગળીએ વીંટી ને વેઢિયાં રે;
સાદો એક વાઘો પહેર્યો છે હરજી રે,
એનો સીવનારો કોણ દરજી રે?
સેલું કેડે બાંધ્યું બેવડું રે,
ગુણ ક્યાંથી શીખ્યા પ્રભુ એવડું રે! ૩૦
કરે હીંડતાં હાથના લટકા રે,
સાદી દોરીના કેડે પટકા રે.
પટકે લટકે ફૂમતડાં જ્યોત રે,
કેડે ખોસી પીતળની દોત રે;
કિયાં કિયાં તે કૌતુક ભાળીએ રે, ૩૫
ઠાલી ગાંઠ વાળી બેચાર ફાળીએ રે.
એક ઓઢી પછેડી ખાંધે રે,
નાથ દુંદાળો, ને મોટી ફાંદે રે;
વસ્ત્ર પહેર્યાં તે પાંચે સોજાં રે,
પાયે પહેર્યાં તે સુન્દર મોજાં રે. ૪૦
કાંઈ વાઘો બિરાજે કેસરી રે,
બન્યા મોટો પારીખ લખેશરી રે;
મારો નાથજી નીચે ખામણે રે,
ભટ પ્રેમાનંદ જાય તેને ભામણે રે.
સાથે વાણોતર છે સાત રે, ૪૫
ઓધ્ધવ ને અક્રૂર ભ્રાત રે;
હનુમાન, વિદુર, ગરુડ રે,
ભક્ત સુદામો દીસે દીન રે.
પારથના હાથમાં પાન રે,
આગળ જ્યેષ્ટિકાદાર હનુમાન રે; ૫૦
ચમ્મર સુદામાએ ગ્રહી રે,
છે વિદુરના હાથમાં વહી રે.
બોલી બોલે પ્રભુ તોતળી રે,
ઉધ્ધવને ખાંધે કોથળી રે;
એમ આવ્યા શામળા અવિનાશી રે,
તે જોઈ રહ્યા તીરથવાસી રે. ૫૫
એ તો કોઈ પારખ દીસે નવો રે,
આપણાં અર્થ સરશે હવો રે;
કાંઈક ભારે માણસ ભાસે રે,
ભલા વાણોતર છે પાસે રે. ૬૦
હીંડે સહુને શીશ નમાવતા રે,
દીસે પૈસાદાર કોઈ પામતા રે;
એ તો કારણરૂપ કંઈ મળિયું રે,
એને દર્શને દુઃખડું ટળિયું રે.
હૂંડીવાળા એમ વદે વાણી રે, ૬૫
મળ્યું શામળે અંગે એંધાણી રે;
આઘા આવીને પાછા શાણી રે,
તેના મનની વારતા જાણી રે.
બોલ્યા પોતે તે શાઙ્ર્ગપાણિ રે,
કાંઈક ઓછી લજ્જા આણી રે. ૭૦
તીરથવાસી બોલ્યા શિર નામી રે,
‘જુનાગઢથી આવ્યા છીએ સ્વામી રે,
અમે જુનાગઢથી આવ્યા રે,
નરસૈયાની હૂંડી લાવ્યા રે.’
જ્યારે સાંભળ્યું નરસૈયાનું નામ રે, ૭૫
ત્યારે ધાઈ ભેટ્યા શ્રીશ્યામ રે.
ભર્યાં આંસુ નેત્રાંબુજે રે,
હૂંડી લીધી તે ચતુરભુજે રે;
જ્યારે ઓળખ્યા અક્ષર નાથે,
હૂંડી ચાંપી તે હૈડાં સાથે રે. ૮૦
હૂંડી વાંચી તે વહેલી વહેલી રે,
શ્રીહરિએ તે હૂંડી ઉકેલી રે;
‘શુભ નગર દુવારામતી રે,
જ્યાં વસે છે જાવદપતિ રે.
પેર કરજો દીનદયાળ રે, ૮૫
છો ગૌબ્રાહ્મણપ્રતિપાળ રે.
સર્વે ઉપમા જોગ શ્યામ રે,
નાથ નાણાવટીમાં નામ રે.
પરમારથ કરો તતખેવ રે,
શેઠ શામળશાહ વાસુદેવ રે; ૯૦
છે જુનાગઢમાં વાસ રે,
તે તો પ્રભુજી તમારો દાસ રે;
લખી હૂંડી નરસૈંયો સેવક નામ રે
હૂંડી શિકારજો તમે શ્યામ રે;
એક ઘડીનો કરશો ઉધારો રે, ૯૫
તો જાશે કાર અમારો રે.
છે મોટા શેઠનું ધામ રે,
રાખે વાણોતરનો વિશ્રામ રે;
લખી હૂંડીમાં એંધાણી રે,
નાથ આપીને પીજો પાણી રે. ૧૦૦
ધનના તીરથવાસી ધણી રે,
વિનતિ થોડામાં છે ઘણી રે.
‘એવડું લખવું પડ્યું શાને રે, ‘
મસ્તક ધુણાવ્યું શ્રીભગવાને રે.
‘અમે નરસૈયાના કહેવાઉં રે, ૧૦૫
જ્યાં નરસૈયો વેચે ત્યાં વેચાઉં રે;
આવું લખવું નહોતું લેશે રે,
રૂપૈયા આપત હું સંદેશે રે.’
કહે જાત્રાળુને અવિનાશ રે
‘રૂપૈયા આવ્યા મુજ પાસ રે; ૧૧૦
તમે શોધતા ફરો તે શુંયે રે,
ભાઈ, શામળદાસ તે હુંય રે.
નરસૈંયો વાણોતર મુજ જાણો રે,
આ નગરમાં રહું છું હું છાનો રે;
કરું વૈષ્ણવ જનની સેવા રે,
મુને ઓળખે છે નરસૈંયાના જેવા રે.
મેં તો બીજી વિધિ છોડી રે,
મહેતાને પુણ્યે કોથળી માંડી રે;
પરિવાર જીવે શામળશાહનો રે,
તે તો આશરો નરસૈંયાનો રે.’ ૧૨૦
છોડી કોથળી કરુણા કરી રે,
કાઢ્યા રૂપૈયા તે મૂઠી ભરી રે;
જોવા મળ્યાં ચૌટાનાં લોક રે,
ગણી આપ્યા રૂપૈયાના થોક રે.
સો ઉપર આપ્યા મહારાજ રે,
તે તો ખરચ-ખૂટણને કાજ રે;
‘નરસૈંયાને વિનતિ કહેજો મારી રે,
કાગળ લખજો,’ કહે દેવ મોરારિ રે.
વલણ
મોરારિએ કાગળ લખ્યો, અંતરમાં છે આનંદ રે;
કેવો વિવેક કરે વહાલો, કહે વિપ્ર પ્રેમાનંદ રે. ૧૩૦

સ્વાધ્યાય

૧. દમયન્તીના સ્વયંવરની કંકોત્રી મળતાં ઋતુપર્ણના મનની સ્થિતિનું વર્ણન કરો.
૨. ઋતુપર્ણ અને બાહુક વચ્ચેનો સંવાદ, તેમાંના હાસ્યના અંશો જળવાઈ રહે એ રીતે, તમારા શબ્દોમાં આપો.
૩. બાહુકે પસંદ કરેલા ઘોડાનું વર્ણન કરો.
૪. કળિનું વર્ણન કરી તેના ગુણ અને અવગુણ વર્ણવો.
૫. તમે જો કોઈ ગાગર-ભટ્ટની કથા સાંભળી હોય તો તે પ્રસંગનું વર્ણન કરો.
૬. હાસ્યરસનાં લખાણો લખવા માટે જાણીતા થયેલા ગુજરાતી લેખકોનાં નામ લખો.
૭. શામળશા શેઠનું વર્ણન કરો.
૮. શામળશાએ નરસિંહ ભક્તની શી રીતે લાજ રાખી?
૯. આજના કોઈ પણ વેપારીનું વર્ણન કરો. પ્રેમાનંદ જેવું તદ્દન ઘરગથ્થુ શૈલીમાં વર્ણન કરવા પ્રયત્ન કરો.