સાહિત્ય પલ્લવ – ભાગ ૨/લાઓકોન

From Ekatra Foundation
Revision as of 01:46, 7 April 2026 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
૩. લાઓકોન

ઉમાશંકર જોષી

આ એક શિલ્પકૃતિ છે. ર્હોડઝ ટાપુમાં વૅટિકન અજાયબઘર (મ્યુઝિયમ)માં એ અત્યારે છે, પણ મૂળ ગ્રીક લોકોએ એ ઘડેલી છે. દુનિયાની શિલ્પકૃતિઓમાં એ બીજા નંબરની લેખાય છે. આ શિલ્પરચનામાં એક કથા ગૂંથવામાં આવી છે. ગ્રીક મહાકવિ હોમરના મહાકાવ્ય ‘ઇલિયડ’માં એક પ્રસંગ આવે છે. ટ્રૉય સામે લડવા ગયેલું ગ્રીક સૈન્ય બાર બાર વરસના ઘેરા પછી પણ ન ફાવવાથી કંટાળીને એક નવો બેત રચે છે. લાકડાનો એક ગંજાવર ઘોડો બનાવી, એમાં થોડુંક સૈન્ય છુપાવી, બાકીનું દેશ ચાલ્યા જવાનો ડોળ કરી દરિયાકિનારા તરફ વળે છે. ટ્રૉયના લોકો ગ્રીકોની ખાલી છાવણીમાં આવી, તપાસ કરી, આ ઘોડો બહુ મોટો હોવાથી તેને દરિયાપાર લઈ જવાનો વિચાર ગ્રીકોએ જતો કર્યો હશે એમ હરખભેર માની – પોતાના નગરમાં લઈ જાય તે પછી અંદરનું સૈન્ય બહાર કૂદી પડે અને ટ્રૉયનો કબજો મેળવે, એ રીતનું કાવતરું હતું. ટ્રૉયમાં લાઓકોન નામે નેપ્ચ્યુન – સાગરદેવ – વરુણદેવનો પૂજારી હતો. તેને આ પેચ સમજાઈ ગયો. એણે ટ્રૉયના યોદ્ધાઓને વાર્યા, પણ અણધાર્યા વિજયના ઉન્માદમાં કોઈ એની વાત જ સાંભળે તો ને? આખરે સાગરદેવ આ લોકોને સદબુદ્ધિ પ્રેરે એ ખાતર તેમની ઉપાસના કરવા એ સમુદ્રકિનારે જઈ બલિદાન આપે છે. ત્યાં અંદરથી બે મોટા સર્પ બહાર ધસી આવી એનાં બે બાળકોને વીંટળાઈ વળે છે. લાઓકોન છોડવવા જાય છે તો તેને પણ ચૂડમાં લે છે. વૃદ્ધ પિતાની વેદનાનો તાગ કોણ લઈ શકે? કલાકારે શિલ્પકૃતિ દ્વારા કાંઈક એનું દર્શન કરાવવા પ્રયત્ન કર્યો છે. એના મુખની વિહ્વળતા અને લાચારી જુઓ, મૃત્યુ સામે ઝૂઝતી છાતી અને બાહુની તાકાત જુઓ. ડાબો પગ નાગચૂડથી અસહાયપણે સહેજ ખસ્યો છે, પણ પોતાનાં બાળકોને બચાવવાનો અડગ નિશ્ચય એના જમણા પગની સ્થિરતામાં વરતાયા વગર રહેતો નથી. પાંસળાં ધમણની માફક ફૂલી આવ્યાં છે. સ્નાયુઓ તૂટવાની અણી ઉપર છે. રગો ઊપસી આવી છે. ક્ષણનો વિલંબ થયો તો બીજી ક્ષણે તો સત્યાનાશ વળી ગયું હશે. એવા ખ્યાલથી ઊપજતો કાર્યનો વેગ એની કાયાની રેખાએ રેખાએ અંકિત થયો છે. બાળકો હાથ વડે કમર અને પગ પરની ચૂડ વછોડવા મથે છે. એક બાળકે મદદ માટે પિતા તરફ વેદનાથી હાથ ઉછાળ્યો છે. બીજો ‘આ શું!’ એવી અજાયબીથી જમણો હાથ પિતા તરફ લંબાવી નિર્દોષ અમૂંઝણભરી મુખમુદ્રાથી પિતા તરફ તાકે છે ત્યાં એની મુખાકૃતિ ઉપર પિતાની મુખાકૃતિની કારમી વેદનાનું પ્રતિબિંબ પડે છે. એના કરતાં પિતાને જમણે પડખે લપાયેલો, પિતાની અને ભાઈની વેદનાથી અજાણ જ રહેવા પામતો બાળક તે નસીબદાર નહિ? મહાવ્યથાની એક અરધીઅમથી ક્ષણ કળાકારે પથ્થરમાં બંદીવાન કરી છે.