સંચયન-૭૦


॥ પ્રારંભિક ॥

એકત્ર ફાઉન્ડેશન : USA
તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (anantrathod@ekatrafoundation.org)
સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૧૨ : જૂન ૨૦૨૬
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૬
![]()
એકત્ર ફાઉન્ડેશન
અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર
મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા
![]()
![]()
(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩
એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org/magazine/sanchayan
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૬
![]()
જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.

“ગણેશપૂજન”, ચિત્ર: અન. એસ. બેન્દ્રે
॥ અનુક્રમ ॥
સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૨ : જૂન, ૨૦૨૬
સમ્પાદકીય
ઈનામોની ભીડભાડ વચ્ચે અટવાતો શબ્દ ~ કિશોર વ્યાસ
કવિતા
મને જો પૃથ્વીની હકૂમત મળે ~ ઉમાશંકર જોશી
નજરુંના કાંટાની ભૂલ ~ સુરેશ દલાલ
અનુભૂતિ ~ સુરેશ દલાલ
રાધાનું નામ તમે ~ સુરેશ દલાલ
લગ્નોત્સુક યુવતીનું ગીત ~ નિરંજન યાજ્ઞિક
લોગઈન: ~ રતિલાલ સોલંકી
ચૂમે છે વ્હાલથી પાની ~ અનિલ ચાવડા
મને છેતરીને કૂવામાં ઊતાર્યા ~ બાબુલાલ ચાવડા ‘આતુર’
ગઝલ ~ હેમંત પુણેકર
વાર્તા
વાવ ~ રામ મોરી
વિવેચન
કાન્ત અને તેમની કવિપ્રતિભા..... ~ ભૃગુરાય અંજારિયા
સમીક્ષા - આસ્વાદ
માણેકચોકની મહામૂલી વાર્તાઓ ~ નરેશ શુક્લ
સ્વરૂપસિદ્ધિના આટાપાટા રચતું રસાળ ગીત ~ સંજુ વાળા
રમેશ પારેખઃ ગુજરાતી ભાષા અને કવિતાને લયબદ્ધ લાડ ~ આર.પી. જોષી
કલાજગત
કલામંદિર અધ્યાય - ૧૧ ~ કનુ પટેલ (કલાબત્રીસી પુસ્તકમાંથી એક અધ્યાય)
એન. એસ. બેન્દ્રે : ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રણી સર્જક ~ કનુ પટેલ
(નોંધઃ આ અંકના મુખપૃષ્ઠ પર અને અન્ય જગ્યાઓ પર ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રણી
ચિત્રકાર એન.એસ. બેન્દ્રે (નારાયણ શ્રીધર બેન્દ્રે)ના સુંદર ચિત્રો મૂકવામાં આવ્યા છે.)
॥ સમ્પાદકીય ॥
ઈનામોની ભીડભાડ વચ્ચે અટવાતો શબ્દ
આપણા કોઈપણ સાહિત્યકારોના ઈન્ટરવ્યૂઝ કે સંવાદમાં એક પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે ‘આપને ઈનામ મળવાથી કે ના મળવાથી કેવી લાગણી થઈ આવે છે ?’ સ્વાભાવિક છે કે સર્જકો મોટાભાગે એનો જવાબ હીરે મઢીને આપતા હોય છે. મનુષ્ય મન સતત અન્યના સ્વીકારને ઝંખતું રહેવાનું એથી ક્યારેક તો કોઈ વાર્તા-નવલકથાકારના લેખમાં એકાદ બે સર્જકના નામ પણ ભૂલેચૂકે જો રહી જવા પામ્યા હોય તો રહી જવા પામેલા સર્જકને પક્ષપાત થયાની લાગણી અનુભવાતી હોય કે દ્વૈષભાવનું ગાણું ગવાતું હોય તો ઈનામ-અકરામ જેવી ચીજ તરફ સૌનું ધ્યાન ચોંટી રહે એમાં કશું અસ્વાભાવિક નથી. સોનું દેખીને મુનિવર જો ચળી જતાં હોય તો મનુષ્યનો શો વાંક ભલા ! પારિતોષિકો લેખન માટેનો ઉત્સાહ વધારે છે. સર્જકને સાહિત્યવિશ્વમાં પ્રતિષ્ઠિત કરી આપે છે. સર્જકની નામનાને કારણે એની ખાસ ઓળખ બને છે. પ્રકાશકો એમના ગ્રંથોને પ્રગટ કરવા હોડ ભણે છે, છાપાઓ કૉલમ લખવાની ઓફર મૂકે છે તેમ વ્યાખ્યાનો કરવા માટેના આમંત્રણો આવા ઈનામોની દેણગી છે. જેમ મોટું સન્માન એમ આગળ વધવાની તક વિશેષ એમ માનનારો વર્ગ પણ હોવાનો જ. કોઈ સર્જકે તો કહેલું કે, ‘આવી બાબતો ઉત્સાહ વધારવાને બદલે તે લેખકોને કાવાદાવાવાળા બનાવે છે.’ ક્ષુલ્લક સન્માન લેવા માટે આવા પ્રપંચો કરવા પડે એ કેવું? સામા પક્ષે ઈનામ-અકરામ કે પુરસ્કાર જેવી બાબતોથી તદ્દન નિસ્પૃહ રહીને જાહેરમાં આવા કોઈ સન્માન ન લેવાનો નિર્ણય આપણા કેટલાક ગણમાન્ય સર્જકો કરી ચૂક્યા છે એથી એવું લાગે કે પુરસ્કારનું પણ એક અટપટું મનોવિજ્ઞાન છે. ‘માણસાઈના દીવા’ માટે ઝવેરચંદ મેઘાણીને ‘મહીડા પારિતોષિક’ આપવાની જાહેરાત થઈ ત્યારે નિર્ણાયક કમિટીએ મેઘાણી સાથે રવિશંકર મહારાજને પણ આ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી! મેઘાણીએ નમ્રતાથી આ બાબતે વિરોધ કરેલો અને મહારાજે પણ એ વાતમાં સૂર પૂરાવેલો. એ જમાનાના ૩૦૦ રૂપિયાનો પુરસ્કાર મેઘાણીએ મહારાજને ધરી દીધો હતો જે મહારાજે પણ સ્વીકાર્યો નહીં! આમ પુરસ્કારો અને વિવાદને ઘણી લેણાદેવી છે. આજે અનેક સ્વરૂપોમાં એટલા પુરસ્કારો અને સન્માનો આપણે ત્યાં મળતા થયા છે કે એની લાંબી યાદી જોઈએ ત્યારે આશ્ચર્ય થયા વિના રહેતું નથી કે ‘ઓહો! આપણે ત્યાં આટલા બધા? આટલા કેમ?’ આપણા પ્રતિષ્ઠિત સામયિકોની ખોટનો આંકડો લાખોમાં હોય એ સમાચાર વાંચીને ચોંકી જવાયું હતું બીજી બાજુએ એ જ સામયિકોમાં દર માસે પ્રગટ થતી ઉત્તમ રચનાઓને અપાતા પુરસ્કારની સંખ્યા જુઓ તો નવાઈ લાગે. આ પુરસ્કાર સામયિકને-સંસ્થાને સ્થિર કરવામાં વપરાતા હોય તો? આપણી દરેક સાહિત્ય સંસ્થાઓના પુરસ્કારો ઉપરાંત આજે અનેક સાહિત્ય સંસ્થાઓ સર્જકોને પુરસ્કૃત કરી રહી છે. સર્જકના શબ્દને માન મળે અને લોકસમુદાય સુધી સર્જક પહોંચે એથી રૂડું શું હોઈ શકે? પણ ક્યારેક તો બેચાર સર્જકોને માનસન્માનો મળ્યા જ કરે અને વૃકોદરની પેઠે એ સન્માનો ઝીલ્યા જ કરે એવું બને છે તેઓ પાછા સન્માન માટે એટલા નમ્ર હોય કે ક્યારેય એમ ન કહે કે હવે કેટલાક સન્માનો યુવાઓ માટે, નવા નિશાન તાકનારાઓ માટે રહેવા દો...એ વાત શોકકારક છે. સન્માન કરનાર કોણ છે? કર્તા નહી, કૃતિ કેટલી યોગ્ય છે? સર્જકનો વિકાસ કે સાહિત્યિક પ્રદાન શું છે? નિર્ણાયકો કોણ છે? જેવી બાબતોને નિરપેક્ષભાવે તેમ ઘણી ઝીણવટથી જોવી-તપાસવી ઘટે, નહીં તો ખોટા ધોરણો ઊભા થશે. સન્માનો, પારિતોષિકોના ભવ્ય સમારોહને બદલે સર્જકની ઉત્તમ રચનાઓના સંચયો, એમની પ્રકાશિત-અપ્રકાશિત રચનાઓના સંકલનો શાળા-કોલેજો સુધી ને સાહિત્યરસિકો સુધી સસ્તા દરે પહોંચાડવા જોઈએ. સર્જકને મળેલું સન્માન એ શબ્દનું, આપણી ભાષાનું ગૌરવ છે પણ તમામ સંસ્થાઓએ ઈનામ આપવાની દોડમાં વિચારવાનું એ રહે છે કે આપણે વિદ્યાજગતનો- સર્જનાત્મક સાહિત્યનો કેટલો પુરસ્કાર કર્યો? આપણી વિદ્યાવૃત્તિને -સર્જનને સંકોરવાનો આપણે કેટલો પ્રયત્ન કર્યો? આપણે દુર્લભ થઈ ગયેલા ગ્રંથોને પ્રકાશમાં લાવવાની કેટલી મથામણ કરી? બાકી રહી ગયેલા કામ તરફ આપણે નજર કરી છે ખરી?
- કિશોર વ્યાસ

“બારીની સામે બેઠલી છોકરી”, ૧૯૮૨, ચિત્રઃ એન.એસ. બેન્દ્રે
॥ કવિતા ॥
![]()
જન્મ : ૨૧ જુલાઈ, ૧૯૧૧
મૃત્યુ : ૧૯ ડિસેમ્બર ૧૯૮૮
મને જો પૃથ્વીની હકૂમત મળે એક ક્ષણ તો
પહેલાં તો કાઢું વટહુકમ કે આ જ ક્ષણથી
પ્રજા મારી પંખી-મનુજ-પશુ ને કીટક
ગણો
બધાને જીવ્યાનો જ હક, હણવાનો હક નથી.
દ્રુમોની ડાળીને નીડ, નગર-આવાસ ભીડમાં
વનોની ઝાડી કે ગિરિકુહરમાં, ભૂમિભીતરે
જહીં આબાદી ત્યાં સહુય મળી મેળા રચી રહો
પ્રજા મારીને ના ફિકર ફરિયાદો કશીય હો.
હું પૃથ્વીનો રાજા, અવર ગ્રહ - શું વિગ્રહ નહિ
કરારો મૈત્રીના કરું, અગર હો આક્રમણ તો,
પ્રીતિનું જેમાં ના જીતવું પણ જિતાઈ જ જવું,
સ્વ-તંત્રે વ્યક્તિના રહું વિરચી હું શાસન નવું.
પ્રજાને એવા તો સ્વનિયમનમાં બાંધી લઉં કે,
પછી ના રાજા કે હકૂમતની એને જરૂર રહે!
‘સમગ્ર કવિતા’માંથી
![]()
જન્મ : ૧૧ ઓક્ટોબર ૧૯૩૨
મૃત્યુ : ૧૦ ઓગસ્ટ ૨૦૧૨
નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગઃ ઊને પ્હોર જાણે પીપળો;
વેણુના વ્હેણ માંહી ડૂલ મારા વ્હાલમાં;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
એકલીને આંહીં બધું લાગે અળખામણું,
તારે તે રંગ, ભલા ટહુકે સોહામણું;
તું જે કહે તે કબૂલ મારા વ્હાલમાં;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
‘ચૂંટેલાં કાવ્યો’માંથી

લીલ લપાઈ બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !
કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !
‘ચૂંટેલાં કાવ્યો’માંથી
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
સાંજ ને સવાર નિત નિંદા કરે છે
ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ !
વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી
કે ખાલી બેડાની કરે વાત,
લોકો કરે છે શાને દિવસ ને રાત
મારા મોહનની પંચાત?
વળી વળી નીરખે છે કુંજગલી પૂછે છે:
કેમ અલી ? ક્યાં ગઈ’તી આમ ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
કોણે મૂક્યું ‘લિ તારે અંબોડે ફૂલ?
એની પૂછી પૂછીને લિયે ગંધ,
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ
જો કે હોઠોની પાંખડીઓ બંધ;
મારે મોઢેથી ચહે સાંભળવા સાહેલી
માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે વાંસળીના સૂર
મહીં
વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
‘ચૂંટેલાં કાવ્યો’ અને ‘ગુગલ’માંથી
‘ચૂંટેલાં કાવ્યો’ અને ‘ગુગલ’માંથી
મારા ફળિયામાં તડકાઓ તૂટતા.
ઘરની વચાળ અમે પાથર્યા ઉજાગરા ને આંગણિયે શમણાંઓ છૂટતાં!
મારા ફળિયામાં તડકાઓ તૂટતા.
ફળિયામાં ઘેરઘેર અવસર ડોકાતા ને ગામલોક સરનામાં પૂછતાં,
કોરાડિબાંગ અમે કાગળિયાં-વણદેખ્યા અક્ષરનાં આંસુડાં લૂછતાં;
દાદાના મોરલાને પાંખો તો ઠીક સખી, પીંછાંયે કેમ નથી ફૂટતાં?
મારા ફળિયામાં તડકાઓ તૂટતા.
મુરઝાતા હાથોને સૂરજ તો ઠીક, કોઈ મેંદીનું નામ નથી દેતું,
મોભારે કાગડાનું પગલું અડકે ને મારી છાતી ફાડીને કશું વે’તું;
દોમદોમ ચોમાસા એક પછી એક વગર હથિયારે સાવ મને લૂટતાં!
મારા ફળિયામાં તડકાઓ તૂટતા.
FB
તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા!
એક મીઠું આંગણે સરવર હતું, મા!
ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા!
સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા!
યાતના વચ્ચે મલકતું ને હરખતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા!
ફાયદા-નુકસાનનો હિસાબ શાનો,
તારું બસ હોવાપણું સરભર હતું, મા!
FB
ચૂમે છે વ્હાલથી પાની, કરે છે ગેલ પગ સાથે,
સડક ભોળી, પડી છે પ્રેમમાં વંઠેલ પગ સાથે.
ગણું આને સતત ઊભા રહ્યાનો લાભ કે નુકસાન?
અચાનક વીંટળાવા લાગી છે એક વેલ પગ સાથે.
હજી ઘરમાં જ છે ઘર ત્યાગવાની વાત કરતું મન,
કરી કાયાએ હડિયાપાટી બહુ હાંફેલ પગ સાથે.
અલગ પણ થઈ જવાનું, ને વળી ખુશ પણ રહેવાનું?
કહો છો દોડવાનું એય તે બાંધેલ પગ સાથે?
ફક્ત એક જ દિવસ ચોમાસું આવ્યું મારા જીવનમાં,
પધાર્યાં’તાં તમે જ્યારે ઘરે ભીંજેલ પગ સાથે.
છતાં મેં દોષ છાલાનો બધો રસ્તા ઉપર નાખ્યો
હતો અવગત પગરખાએ કર્યો છે ખેલ પગ સાથે
તમારો ધર્મ ચીલો છે, તમારાથી ચલાશેને?
અલગ રીતે સ્વયંનો માર્ગ કંડારેલ પગ સાથે?
જમાનાએ મને લાવી દીધો છે કાખઘોડી પર,
ઘરેથી નીકળ્યો’તો હું ઘણા કાબેલ પગ સાથે.
FB
મને છેતરીને કૂવામાં ઊતાર્યા પછી રાશ કાપીને ચાલ્યાં ગયાં છે,
ઠગારા સ્મરણ કંઈ ખબર ના પડે એ રીતે થાપ આપીને ચાલ્યાં ગયાં છે.
પૂરાશે એ ક્યારે અને કઈ રીતે એ વિશે એક પણ શબ્દ બોલ્યાં નથી ને,
અચાનક એ આવીને ચૂપચાપ મારો આ ખાલીપો માપીને ચાલ્યાં ગયાં છે.
કરું એકઠાં ચોતરફથી વીણીને હું સૂક્કાં તણખલાં વીતેલી ક્ષણોનાં,
અને આગ ચાંપી જતા-આવતા સૌ ઘણીવાર તાપીને ચાલ્યા ગયા છે.
હો એક એ પણ સમય કે ઝીલાતા હતા એમનાથી પડ્યા બોલ મારા,
હવે એક આ પણ સમય છે કે એ વેણ મારા ઉથાપીને ચાલ્યાં ગયાં છે.
હજી ચીંથરેહાલ મારું કથાનક ફરે છે જુઓ સાવ રસ્તે રઝળતું,
અને છાપનારા તો આખ્ખોય મારો આ ઇતિહાસ છાપીને ચાલ્યા ગયા છે.
FB
દરિયો સમેટી ટીપું બેઠું
પાંપણ ધારે આંસુ બેઠું
બારેમાસ રહ્યું છે કાયમ
આંખે જે ચોમાસું બેઠું
એણે આંખ કરી એમ ઊંચી
જોઈ મારું હૈયું બેઠું
જનરલ ક્લાસનો ડબ્બો દુનિયા
અહીંયા તો જે બેઠું, બેઠું!
બેઠો નિરાંતે, મનને નિરખતો
એ પળભર ક્યાં સખણું બેઠું!
કોઈ આંધળી દોટ મૂકે છે
કોઈ નિહાળે બેઠું બેઠું
નવનીત સમર્પણ.. મે ૨૦૨૬