મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૧૧)

Revision as of 07:34, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs)


પદ (૧૧)

દયારામ

કિયે ઠામે મોહની ન જાણી મોહનજીમાં કિયે ઠામે મોહની ન જાણી?
ભ્રૂકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં કે શું મોહનીભરેલી વાણી રે?
મોહનજીમાં
ખીટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં કે મોરલી મોહનની પીછાણી રે?
મોહનજીમાં
કે શું અંગેઅંગમાં કે લલિત ત્રિભંગમાં કે શું અંગઘેલી કરે શાણી રે?
મોહનજીમાં
ચપળરસિક નેનમાં કે છાનીછાની સેનમાં કે જોબનનું રૂપ કરે પાણી રે?
મોહનજીમાં
દયાના પ્રીતમ પોતે મોહનીસ્વરૂપ છે, તનમનધને હું લૂંટાણી રે?
મોહનજીમાં