અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/તમે ભલે ઘર છોડી ચાલ્યાં

From Ekatra Wiki
Revision as of 08:56, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તમે ભલે ઘર છોડી ચાલ્યાં|મનોહર ત્રિવેદી}} <poem> તમે ભલે ઘર છોડી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


તમે ભલે ઘર છોડી ચાલ્યાં

મનોહર ત્રિવેદી

તમે ભલે ઘર છોડી ચાલ્યાં, તમે છતાં આ ઘરમાં,
તમે ભલે મુખ મોડી ચાલ્યાં, તમે હતાં આ ઘરમાં.

હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ,
ટાંકા લેતી આંગળીયું કંઈ તરવરતી તોરણિયે,
બારસાખ આંખો ઢોળીને જોઈ રહે ઉંબરમાં…

નથી રોટલે ભાત્ય તમારી હથેળીયુંની પડતી,
નથી રોટલે ભાત્ય — યાદ એ વળી વળી ઊપસતી,
નથી તમે-ની સરત રહે ના કોઈ અવરજવરમાં…

ઓળીપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ,
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મૂરઝાઈ,
ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી ભીતરમાં…

તમે ભલે ઘર છોડી ચાલ્યાં, તમે છતાં આ ઘરમાં,
તમે ભલે મુખ મોડી ચાલ્યાં, તમે હતાં આ ઘરમાં
(ફૂલની નૌકા લીને, ૧૯૮૧, પૃ. ૩)