સુદામાચરિત્ર/કડવું ૧૦

From Ekatra Wiki
Revision as of 08:56, 9 November 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


કડવું ૧૦

[અહીં કૃષ્ણ સુદામાએ ગુરુના આશ્રમમાં ગાળેલા સોનેરી દિવસોની સ્મૃતિનું બયાન કૃષ્ણ દ્વારા કરવામાં આવ્યું છે. જેની વાત કરતાં કૃષ્ણ ગદગદ થઈને પોતે વિદ્યા પામ્યા તેનો યશ સુદામાને આપે છે. ઉત્તરમાં સુદામા એને કૃષ્ણની મોટાઈ ગણાવીને એમનું આભિજાત્ય પ્રગટ કરે છે.]


રાગ-રામગ્રી

પછી શામળિયોજી બોલિયા, તને સાંભરે રે?
હાજી નાનપણાંનો નેહ, મને કેમ વીસરે રે?

આપણ બે મહિના પાસે રહ્યા, તને૦
હા જી સાંદીપનિ ઋષિને ઘેર. મને૦ ૧

અન્ન-ભિક્ષા માગી લાવતા, તને૦
હા જી જમતા ત્રણે ભ્રાત. મને

આપણ સૂતા એક સાથરે, તને
સુખદુઃખની કરતા વાત. મને૦ ૨

પાછલી રાતના જાગતા, તને
હા જી કરતા વેદની ધુન્ય; મને૦
ગુરુ આપણા ગામે ગયા, તને
હા જી કોઈ એકને જાચવા મુન્ય, મને૦ ૩

કામ દીધું ગોરાણિયે, તને
કહ્યું લેઈ આવોને કાષ્ઠ; મને૦
શરીર આપણાં ઊકળ્યાં, તને
હા જી માથે તપ્યો અરિષ્ટ. મને૦ ૪

ગોરાણીએ ખાવું બંધાવિયું, તને૦
ચણા પોચા વળી સાર; મને૦
તમો છાના આરોગિયા, તને
તમે કહ્યો દરિદ્ર મહારાજ. મને૦ ૫

સ્કંધે કુહાડા ધર્યા, તને૦
ઘણું દૂર ગયા રણછોડ; મને૦
આપણે વાદ વદ્યા બેઉ બાંધવા, તને૦
હા જી ફાડ્યું મોટું ખોડ. મને૦ ૬

ત્રણે ભારા બાંધ્યા દોરડે, તને૦
હા જી આવ્યા બારે મેહ; મને૦
શીતળ વાયુ વાયો ઘણો, તને૦
ટાઢે થરથર ધ્રૂજે દેહ. મને૦ ૭

નદીએ પૂર આવ્યું ઘણું, તને૦
ઘન વરસ્યો મુસળધાર. મને૦
એકે દિશા સૂઝી નહીં, તને૦
થયા વીજ તણા ચમકાર. મને૦ ૮


ગુરુજી ખોળવા નીસર્યા, તને૦
કહ્યું સ્ત્રીને, કીધો તેં કેર; મને૦
આપણને હૃદયાશું ચાંપિયા, તને૦
પછે તેડીને લાવ્યા ઘેર. મને૦ ૯

ગોરાણી ગૌ દો’તાં હતાં, તને૦
હતી દોણી માગ્યાની ટેવ; મને૦
નિશાળે બેઠાં હાથ વધારિયો, તને૦
હા જી દીધી દોણી તતખેવ. મને૦ ૧૦

જ્ઞાન થયું ગુરુપત્નીને, તને૦
તમને જાણ્યા જગદાધાર; મને૦
ગુરુદક્ષિણામાં માગિયું, તને૦
હા જી મૃત્યુ પામ્યો જે કુમાર, મને૦ ૧૧

મેં સાગરમાં ઝંપાવિયું, તને૦
તમે શોધ્યાં સપ્ત પાતાળ; મને૦
હું પંચાનન શંખ લાવિયો, તને૦
હા જી દૈત્યનો આણ્યો કાળ. મને૦ ૧૨

જમનગર પછે હું ગયો તને૦
પછે આવી મળ્યો જમરાય; મને૦
પુત્ર ગોરાણીને આપિયો, તને૦
હા જી પછે થયા વિદાય. મને૦ ૧૩


આપણ તે દહાડાના જૂજવા, તને૦
હા જી ફરીને મળિયા આજ; મને૦
હું તુજ પાસે વિદ્યા ભણ્યો, તને૦
મને મોટો કર્યો મહારાજ. મને૦ ૧૪

વલણ
મહારાજ લાજ નિજ દાસની, વધારો છો શ્રીહરિ,
પછી દરિદ્ર ખોવા દાસનાં, સૌમ્ય દૃષ્ટિ કરી. ૧૫