તપસ્વી અને તરંગિણી/એક

From Ekatra Wiki
Revision as of 15:49, 8 February 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


પહેલો અંક

(રાજમહેલનું સિંહદ્વાર અને ઉદ્યાનનો એક ભાગ દેખાય છે. જોડેના રસ્તા ઉપર ગામડાની સ્ત્રીઓ ઊભી છે.)


ગામડાની સ્ત્રીઓ :

આભમાં છે સૂરજનો અટલ આક્રોશ,
બળે છે રુદ્રની રાતી આંખ,
ધરતીની ફાટે છે છાતી, સુક્કાં છે સૌ જળાશય.
ભાંભરે છે અબોલ જાનવર;
ખાલી છે ખેતર ને વંઝા સધવાઓ
આવે છે એક એકથી કઠણ દહાડા-ખાલી
વરસાદ નથી!

દુઃખ છે અમારી બોલકી નણદી ને મૃત્યુ તે પૂજ્ય બ્રાહ્મણ
તેથી તો કૈં જેવું લાગે જીવન
દેવોને જાણીએ સ્વજન–
તેથી તો પાકે રૂડાં ધાન
માને ખોળે રમે વાલુડાં બાળ
ને અગ્નિ ને જળની ભેરુબંધીથી
અન્ન બને અમૃત.

કહે તો બેન, ક્યારે હવે મીઠડી ગાયનાં આંચળ ફાટ ફાટ થશે?
ઢીંકણીના ગંભીર શબ્દોના તાલથી હાથપગનાં નૃત્ય જાગશે?
બિલાડીની છત્રીઓ ધરતીને ક્યારે શોભા દેશે?
ક્યારે રંગમાં આવી દેડકાં ડ્રાંઉં ડ્રાંઉં કરશે?
આંગણમાં માંડવે ઝાકળભીનાં કોળાં ક્યારે ઝૂલશે?

જીવે છે જેમ કાનખજૂરા ને કીડા
ને ધરતી પર છાતી ઘસડીને સાપ
જોજન ચાલીને ક્‌લાન્ત કાચબો જેમ ફરીથી પહોંચે સાગર
તેમ ઋતુ ને શ્રમના આશ્રયે
અમે જીવતાં આવ્યાં છીએ નચિંત
તેમ છતાં આજ કામકાજ વિનાની વીતે છે સવાર.
સાંજે ઊતરતી નથી શાન્તિ.

અંગરાજ! કહો, અમે શાં પાપ કર્યાં છે?
આ તે કેવા શાપ લાગ્યા છે?
મા ધરતી, ભૂલીશ મા, અમે પણ તારા જ ગર્ભનું સંતાન છીએ.
હે દેવ, હે વરુણ! મહાન ઇન્દ્રરાજ હે!
હવે દયા કરો – વરસાદ આપો –
વરસાદ આપો!

(બે સુંદર અને તરુણ રાજદૂતો સિંહદ્વારેથી બહાર આવે છે.)

પહેલો દૂત  :          કોણ છો તમે લોકો? ગામડાની સ્ત્રીઓ છો કે? રાજધાનીમાં કેમ આવ્યાં છો? પરંતુ આવો પ્રશ્ન જ શા માટે –આજ અંગદેશમાં એવું કોણ છે જેની આશા ભ્રાન્તિ રૂપ નીવડતી ના હોય, જેનું લક્ષ્ય ઝાંઝવાનાં જળ બની જતું ના હોય?... સાંભળો, તમારા જેવાં બીજાં ઘણાં લોકો આવ્યાં હતાં, કોઈનેય પથશ્રમ સિવાય બીજું કંઈ મળ્યું નથી. શ્રેષ્ઠીઓના ભંડારો આજે ખાલી છે; તિલંગુ ગામમાં ત્રણ બ્રાહ્મણોએ કાક-માંસનું ભક્ષણ કર્યાનું સાંભળીએ છીએ.
પહેલી સ્ત્રી : અમે તો એટલું જ જાણવા આવ્યાં છીએ કે મહારાજ તો કુશળ છે ને!
બીજો દૂત          (પહેલા દૂતની સાથે આંખ મેળવી) તો વાત આમને કાને પણ પહોંચી ગઈ છે. પ્રલાપ છે, ભીત આર્ત અને પાગલનો પ્રલાપ છે. મહારાજ બિમાર છે, મહારાજ મરવા પડ્યા છે-એ બધી ખોટી અફવાઓથી કોઈ ભરમાશો નહીં. રાજા લોમપાદનું સ્વાસ્થ્ય બરાબર છે, પરંતુ આજે એ તમારી જેમ દુઃખી છે.
સ્ત્રીઓ           (એક સાથે) મહારાજનો જય થાઓ.
બીજો દૂત           યાદ રાખો, રાજાના ભંડારમાં જે ધાન બાકી છે, તેને લીધે તમારો અમર આત્મા હજી દેહરૂપી પિંજરામાં ધક્‌ ધક્‌ કરે છે. એક મૂઠીને બદલે બે મૂઠી જોઈતી હોય તો યમરાજને ઝાઝા દિવસ છેતરી શકાશે નહીં. યાદ રાખો. તદ્દન ભૂખ્યા રહેવા કરતાં અર્ધા ભૂખ્યા રહેવું સારું, અને આપત્તિના કાળમાં દુકાળ દૂર રાખવો હોય તો મિતભોજન વિના બીજો કોઈ માર્ગ નથી. યાદ રાખો, મુનિઓ પણ અલ્પાહારી હોય છે. સાંભળવાનું બધું સાંભળ્યું, હવે પાછાં ઘેર જાઓ.
બીજી સ્ત્રી :           અમારે બહુ કષ્ટ છે, ભાઈ.
પહેલો દૂત :           અમારું કષ્ટ તેથીય વધારે છે. અમને જોતાં જ સમજી તો ગયાં હશો કે અમે રાજદૂતો છીએ. અમારાં દિવસ, રાત, સ્વાસ્થ્ય, જીવન-બધું જ મહારાજનું છે. તેમના આદેશથી હમણાં અને વીજળીવેગી અશ્વો પર બંગદેશ, કામરૂપ, કલિંગ અને સમુદ્રતટના તામ્રલિપ્તિ સુધી ભમતા હતા. આખો દહાડો સૂર્યના તાપથી બળીજળીને રાત્રે મચ્છરોને પોષતા હતા. આરામનો સમય મળ્યો નથી. ઘોડાની પીઠે જેમ ચાબુક તેમ અમારે માથે ફરજનું ભાન હતું. રસ્તે રસ્તે કાચું કોરું ખાઈ, ગમે તેવા પાણીથી તરસ છિપાવી, ઉજાગરા, તાવ અને પેટની પીડાથી હેરાન થતા અમે મહારાજનો પ્રસ્તાવ લઈને અનેક રાજસભાઓમાં ગયા હતા :
‘યશસ્વી રાજા લોમપાદ આપનું અભિવાદન કરે છે; તેના રાજ્યમાં અનાવષ્ટિને પરિણામે દુષ્કાળ ઝઝૂમી રહ્યો છે, જો કોઈ ઉપાય આપનાથી થઈ શકે તેમ હોય તો આપ પ્રીતિપરાયણ થઈને વ્યવસ્થા કરશો. આપનો મિત્ર અંગરાજ અન્નના વિનિમયમાં સોના-મહોરો આપવા પ્રસ્તુત છે.’
વિદેશના રાજાઓ વિમુખ ન થયા. ઊલટાનું તેમની અનુકંપાથી અમને તો એવું લાગ્યુ કે મનુષ્યો દેવતાનો કોપ પણ દૂર કરી શકે છે. સ્થલમાર્ગે અને જલમાર્ગે તેઓએ પુષ્કળ અન્ન મોકલ્યું પરંતુ – છેવટે દેવતાઓનો જ જય થયો.
બીજો દૂત :          બંગદેશમાંથી પોઠો પર લદાઈને જે ધાન આવતુ હતું તે દસ્યુઓએ લૂંટી લીધું. તામ્રલિપ્તિનાં વહાણ સમુદ્રમાં ડૂબી ગયાં. કામરૂપથી અન્ન લઈને આવતા વાહકો જંગલી પ્રાણીઓનો કોળિયો થઈ ગયા. કલિંગ થી એક સો બળદગાડાં આવતા હતાં, માર્ગમાં વચ્ચે બળદોમાં એક રહસ્યમય રોગચાળો ફાટી નીકળતાં તે આવી શક્યા નહી.
પહેલો દૂત :           રાજમાર્ગો દસ્યુઓથી ઊભરાઈ ગયા છે.
બીજો દૂત :           ગામના સીમાડાઓ પર જંગલી જાનવરોનો ઉપદ્રવ છે.
પહેલો દૂત  :          આટલી મરેલી બિલાડીઓ ક્યારેય જોઈ નથી.
બીજો દૂત : શિયાળવાંની આવી ભયંકર લાળી ક્યારેય સાંભળી નથી.
પહેલો દૂત  :           જ્યોતિષીઓ શિખરશીર્ષ પરથી ક્યારેક ક્યારેક સમાચાર મોકલે છે કે ઈશાન ખૂણામાં કે વાયવ્ય ખૂણામાં – વાદળાંના આભાસે દેખા દીધી છે; પણ કદાચ અમારા જ બળબળતા નિશ્વાસોથી બાષ્પકણો શૂન્યમાં ભળી જાય છે.
બીજો દૂત : અંગદેશનું આકાશ કેવું પથ્થર બની ગયું છે! પેલી બાજુ પંચાલમાં પુષ્કળ વરસાદ થયો છે; બાજુના પુન્ડુદેશની નદીઓ પૂરમાં આવીને ગામનાં ગામ તાણી ગઈ છે.
ત્રીજી સ્ત્રી :આપણો શો વાંકગુનો છે – દેવો કેમ નિર્દય થયા છે?
પહેલો દૂત :           અરેરે, જેટલો યજ્ઞનો ધુમાડો દિવસરાત આકાશ ભણી જાય છે, તે બધો ભેગો થઈને પણ એક ટુકડો મેઘ નહીં બને?
બીજો દૂત :           આપણો શો વાંકગુનો છે – કેમ વિધાતા આમ રૂઠ્યો છે?
બીજો દૂત : રાજરાણીએ તેમની ત્રણસો સખીઓ સાથે ત્રણ રાત ઉપવાસ કરીને મહાપર્જન્યવ્રત રાખ્યું હતું, તોયે ટીપું પણ વરસાદ થયો નહી.
બીજી સ્ત્રી :           આપણો શો વાંકગુનો છે – શા માટે આ સજા?
ત્રીજી સ્ત્રી :          મારો પતિ વાથી હાલી ચાલી શકતો નથી, હું જુવાન હોવા છતાં ય તેની જ સેવા કરું છું.
બીજી સ્ત્રી : મેં કદીય અતિથિને બારણેથી પાછા કાઢ્યા નથી.
પહેલી સ્ત્રી :          મેં કદીય શિવલિંગને અંજલિ આપ્યા વિના જલસ્પર્શ કર્યો નથી.
પહેલો દૂત : તમે મૂર્ખ છો! મૂર્ખ સ્ત્રીઓ છે! તમારા પાપની સજા માત્ર તમને જ મળે; પણ કોના પાપે બધાય લોકો કષ્ટ પામે છે તે જાણતાં નથી?
બીજો દૂત :           (પહેલા દૂતના હાથને અડકીને) થોભ, વધારે પડતું બોલી રહ્યો છે. રાજદૂતના મોંએ રાજદ્રોહ શું ઉચિત છે? (સ્ત્રીઓને) તમે લોકો હવે અહીં કાલક્ષેપ ના કરો; ઘેર જાઓ. ધર્માત્મા રાજા લોમપાદ તમારું રક્ષણ કરશે. કશો ભય નથી.
સ્ત્રીઓ :           પ્રણામ, પ્રણામ અમારા રાજાને.

(સ્ત્રીઓનું પ્રસ્થાન)

પહેલો દૂત :          ‘ધર્માત્મા રાજા તમારું રક્ષણ કરશે. કોઈ ભય નથી.’ – તું શું બોલ્યો તને ખબર છે?
બીજો દૂત : ખોટું આશ્વાસન પણ સાંભળીને તેમના મનને શાન્તિ મળે તો તેમાં નુકસાન શું? કંઈ નહીં તોય રાજભક્તિ અચલ રાખવી જરૂરી છે.
પહેલો દૂત :          હું જાણે આજ ઉદ્‌ભ્રાન્ત થઈ ગયો છું, મારું મન સંશયથી આકુલ છે. રાજા જો સ્વસ્થ અને ધર્માત્મા હોય તો પ્રજાજનોને આટલું બધું કષ્ટ શાનું પડે? – સાંભળ, તેં જે પેલી સ્ત્રીઓને કહ્યું કે રાજા લોમપાદનું સ્વાસ્થ સારું છે–તે શું સાચું છે?
બીજો દૂત : ખબર નથી. પણ તેઓ સાચી હકીકત જાણવા નહોતી આવી, સાન્ત્વના પામવા આવી હતી. અને આપણે પોતે જ આજ સાન્ત્વના શોધતા નથી?
પહેલો દૂત :          તો શું તું જ્યોતિષીઓની વાતમાં શ્રદ્ધા રાખે છે?
બીજો દૂત : જ્યોતિષી? (હસી પડી) યવનદેશ[1] ની વાત શું સાંભળી નથી? રાજા અગ્નિમાણિક્યે[2] જ્યોતિષીઓના કથનથી પોતાની સગી તરુણ પુત્રી ફેનભંગિનીનું પશુની જેમ બલિદાન આપ્યું. યુદ્ધમાં વિજય મેળવ્યા પછી જે ક્ષણે તે પોતાના રાજ્યમાં પાછો ફર્યો, તે ક્ષણે તેની અ-સતી પત્ની અફલમશ્રીએ તેને પાશબદ્ધ મહિષની જેમ હણી નાખ્યો. અને યુવાન પુત્ર અરિષ્ટના હાથે પાપિષ્ઠા જનનીનું મૃત્યુ થયું. કેવી ભયંકર હત્યા અને પ્રતિ-હત્યા! દૈવવાણીનું કેવું બીભત્સ પરિણામ!
પહેલો દૂત :          સાંભળ્યું છે કે યવન દેશમાં દેવતાઓ પણ ધૂર્ત અને આદેખા હોય છે. પરંતુ આર્યાવર્તમાં દેવતાઓ અસુરોને
પણ વરદાન આપે છે. હું તેથી માની શકતો નથી કે અંગદેશના સર્વનાશને નિવારી જ ન શકાય.
બીજો દૂત : પણ આ દેવતાઓ મનુષ્યોની જ કપોલકલ્પના હોય તો?
પહેલો દૂત :          ધિક્‌ પાપવાક્ય!
બીજો દૂત : જો ધર્મ જ ન હોય, જો બધાં શાસ્રો પ્રહેલિકામાત્ર હોય અને જો અંધારામાં આપણો પ્રકાશ માત્ર ભૂત ભડકા હોય, તો.
પહેલો દૂત :           તો પણ કર્મ તો છે. દેવતા અને વેદ મિથ્યા હોય તો પણ કર્મ સનાતન છે. અને કર્મફલનું જ બીજું નામ દૈવ. સાંભળ્યું છે કે આપણા રાજપુરોહિત છેલ્લે છેલ્લે એક બીજી દૈવવાણી મળી છે.
બીજો દૂત :અફવા, તુચ્છ અફવા.
પહેલો દૂત :           પરંતુ કોણ જાણે છે કે તે તુચ્છ છે! ... તને શું લાગે છે, કહે, તો? રાજા લોમપાદે એક બ્રાહ્મણનું અપમાન કર્યું હતું એટલે જ આપણી આવી દુર્દશા છે–એ વાત શું વિશ્વાસયોગ્ય છે?
બીજો દૂત : (વક્ર હસી) તો પછી તો એ પણ વિશ્વાસયોગ્ય ગણાય કે આ ઢેફાને લાત મારતાં આકાશમાંથી નક્ષત્ર ખરી પડશે! પારકાના અન્ને પુષ્ટ, સ્વાર્થી પ્રવંચક બ્રાહ્મણો સિવાય આવી અફવાઓ કોણ ફેલાવે?
પહેલો દૂત :         પણ એટલું તો માને છે ને કે કારણ વિના કાર્ય થતું નથી? એટલું તો માને છે ને કે કારણ વિના આકસ્મિકભાવે આ અનાવૃષ્ટિ આવી નથી અને એટલે જોતે કારણ જડે તો તેનો ઉપાય પણ થઈ શકે.
બીજો દૂત : કાગનું બેસવું અને તાડનું પડવું એવું તો રોજ રોજ કેટલુંય બને છે. કેટલાંય સ્વપ્નાંને સાચાં માની બેસીએ છીએ. સાચું શું છે તે ખાતરીપૂર્વક કોણ જાણે છે?
પહેલો દૂત :           શું બોલે છે તું? ખાતરી નથી? તલવારના પ્રહારથી લોહી વહે છે, પાપના આઘાતથી પીડા પ્રસરે છે. જેમ ઔષધથી દેહનું આરોગ્ય મળે, પાણીથી અગ્નિનું શમન થાય, તેમ પ્રાયશ્ચિત્તથી પાપ ધોવાઈ જાય છે. એના કરતાં સ્વાભાવિક વાત બીજી કઈ હોઈ શકે? – હસે છે શું?
બીજો દૂત : હું વિચારું છું કે કયું પાપ છે તે આપણે જાણતા નથી, એટલે એના પ્રાયશ્ચિત્તનો પણ નિર્ણય થઈ શકતો નથી. પરંતુ દુષ્કાળ તો મોઢા મોઢ આવીને ઊભો છે–પ્રત્યક્ષ છે.
પહેલો દૂત :           (થોડી વાર પછી, નીચા સ્વરે) હવે પાપ અજાણ્યું નથી. રાજપુરોહિતે શોધી કાઢ્યું છે.
બીજો દૂત : (મશ્કરીના સ્વરમાં) રાજપુરોહિતે શોધી કાઢ્યું?
પહેલો દૂત :          (ચારે તરફ જોઈ, નીચા સ્વરે) સાંભળ–આટલી વાર સુધી તને કહ્યું નહોતું, આ નવી દૈવવાણીનો સારાંશ તેં સાંભળ્યો છે?
બીજો દૂત : લાગે છે કે સારા સમાચાર છે...
બીજો દૂત : મેં જે સાંભળ્યું છે તે જો સાચું હોય તો ફરી એક વાર સાબિત થશે કે દૈવ અને કર્મફલ એક જ છે. સાબિત થશે કે રાજાનાં કર્મોનાં ફળ જેમ પ્રજા ભોગવે છે, તેમ પંચભૂતો પણ પુરુષાર્થ અધીન હોય છે.
બીજો દૂત : સંભવિત તો ઘણું ઘણું છે પણ અમુક બનશે જ એ નિશ્ચિત નથી.
પહેલો દૂત :           મેં જે સાંભળ્યું છે તે સાચું હોય તો અંગદેશનો ઉદ્ધાર થશે. અને આપણી પ્રાણદાત્રી થશે એક વારાંગના.
બીજો દૂત : તારી આ મજાક શું સમયોચિત છે?
પહેલો દૂત :          એકદમ સમયોચિત આ પ્રસ્તાવ છે. ઇતિહાસમાં વારાંગનાઓનાં સુકૃત્યો કેટલાં બધાં છે તે કોણ જાણતું નથી! તેમને લીધે જ સ્વર્ગલોભી દાનવો વારંવાર પાછા પડ્યા છે. ઉગ્ર તપ કરનારા ઋષિઓ પાછા સ્વાભાવિક માનવ બન્યા છે તેમને લીધે જ દેવતાઓ રાજ્યભ્રષ્ટ થયા નથી. સ્વર્ગ મર્ત્યની તુલા જળવાઈ રહી છે. તારે ભૂલવું ન જોઈએ કે ભરતવંશની આદિ માતા એક વેશ્યાપુત્રી હતી. એટલે સુધી કે સુંદ ઉપસુંદના મૃત્યુટાણે સ્વયં પ્રજાપતિ– (એકદમ અટકી) આમ આવ પે–લા દેખાય છે?
બીજો દૂત : લાગે છે કે તેઓ આ બાજુએ જ આવી રહ્યા છે.
પહેલો દૂત :           રાજમંત્રી છે, સાથે છે રાજપુરોહિત, કંઈક સંતલસ કરે છે. માથું નીચું છે–પણ ના, આ પેલા રાજમંત્રીએ આકાશ ભણી જોયું – તેમનું મુખમંડલ પ્રસન્ન છે–હોઠ ઉપર આશા ઝળકે છે–તો મારું અનુમાન ખોટું નથી!– આવ આપણે અહીં ઊભા રહીએ, તેઓ આવી રહ્યા છે.

  1. આ નાટકમાં યવન શબ્દનો અર્થ ગ્રીક છે.
  2. અહીં આવતાં સંજ્ઞાવાચક નામ, ક્રમે એગેમેમ્નોન,ઇફિજિનિયા, ક્લીટેમ્નેસ્ટ્રા,ઑરિસ્ટિસ