પરિભ્રમણ ખંડ 2/ગણાગોર

From Ekatra Wiki
Revision as of 10:43, 20 July 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
ગણાગોર


ચૈત્ર સુદ ત્રીજને દહાડે કુમારિકાઓ ગણાગોરનું વ્રત કરે. ગુણિયલ વરની વાંછાવાળી કુમારિકા આ વ્રત લે છે. બા ઘઉંના લોટના મીઠા સકરપારા કરી આપે. એ સકરપારાને ગમા કહેવાય. ગૌરીને મંદિરે કન્યા બે ગણા ધરે, રૂનો નાગલિયો (હારડો) ચડાવે, કંકુ આલેખે, ને પછી ગાય :

         ગોર્ય ગોર્ય માડી
         ઉઘાડો કમાડી
         પેલડા પો’રમાં ગોર મા પૂજાણાં
         પૂજી તે અરજીને
         પાછાં તે વળી વળી આવો રે ગોર્ય મા!
         ફરી કરું શણગારજી રે.

હે મા ગૌરી! લાવો, હું તમને ફરીથી શણગાર સજાવું.

ગોર મા તો કહે : મારે તો પગ આંગળીએ વીંછિયા, સોનાનાં માદળિયાં વગેરે ઘરેણાંના શણગાર જોઈએ.

         આંજરાં સોંઈ
         મારે પાંજરાં સોંઈ
         મારે વીંછીડે [1] મન મોહ્યાં રે
         વીછીડાનાં અળિયાં દળિયાં
         સોનાનાં માદળિયાં રે
         સોનાનાં માદળિયાંને શું કરું,
         મારે નદીએ નાવાં જાવું જી રે.
         આગરીએ ઘૂઘરીએ
         ગોર્ય શણગારી
         બાપે બેટી ખોળે બેસારી.
         કિયો વર કિયો વર
         કિયો વર ગમશે?
         ઈશવરને ઘેર રાણી પારવતી રમશે.
         ચોથલે છ માસ મારી આંખ દુઃખાશે
         પાટા પિંડી કોણ રે કરશે!
         અધ્યારુનાં ધોતિયાં પોતિયાં
         છોકરાં રે ધોશે.
         ગોર્ય માની છેડી પછેડી
         છોકરિયું રે ધોશે.

દીકરીને ખોળામાં બેસારી બાપ જાણે પૂછે છે કે બેટા, તને કિયો વર ગમશે?

હે પુત્રી, તું વર-ઘેરે ગયા પછી ચાર-છ મહિને મારી આંખો દુઃખશે ત્યારે મને પાટાપિંડી કોણ કરશે?




  1. વીંછી : પગની આંગળીઓ પર પહેરવાના રૂપાના વીંછિયા.