ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદ્ધવદાસ-૧-ઓધવદાસ

Revision as of 08:55, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદ્ધવદાસ-૧/ઓધવદાસ'''</span> [ઈ.૧૬મી સદી] : આખ્યાનકા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉદ્ધવદાસ-૧/ઓધવદાસ [ઈ.૧૬મી સદી] : આખ્યાનકાર. ભાલણના પુત્ર. પાટણના મોઢ બ્રાહ્મણ. ભાલણનો સમય ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ કે ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ મનાય છે. એને આધારે આ કવિને ઈ.૧૬મી સદીમાં થયેલા ગણી શકાય. વાલ્મીકિ-રામાયણના કથાનકને અનુસરતા અને પદબંધનું વૈવિધ્ય દર્શાવતા એમના ‘રામાયણ’(મુ.)ના કાંડવાર અને કડવાબદ્ધ અનુવાદમાં ‘સુંદરકાંડ’ સુધીના બધા કાંડ ‘ભાલણસુત ઉદ્ધવદાસ’ નામ દર્શાવે છે. એમાં ક્યાંય રચનાવર્ષ દર્શાવેલું નથી. પણ એ પછીના ‘યુદ્ધકાંડ’ને અંતે ઈ.૧૬૩૧ રચનાવર્ષ અને ‘મધુસૂદન’ કવિનામ મળે છે. આ મધુસૂદનનું વતન કર્ણપુર અને મોસાળ પાટણ હતું તથા ભીમજી વ્યાસ પાસેથી કથા સાંભળી એમણે પદબંધ રામાયણ રચ્યું - એવી વીગતો પણ એમાં મળે છે. પરંતુ કડવાંની પંક્તિસંખ્યા, કાવ્યની શૈલી ને એનો રચનાબંધ તથા કવિની સંસ્કૃતની જાણકારી - એવાં કેટલાંક આંતરબાહ્ય સામ્યોને લીધે આ ‘યુદ્ધકાંડ’ પણ ઉદ્ધવનો જ હોવાનો અને મધુસૂદને પોતાનું નામ અને રચનાવર્ષ એમાં ઉમેરી દીધાં હોવાનો મત વધુ પ્રવર્તે છે છે. શૈલીની રીતે જુદા પડી જતા છેલ્લા ‘ઉત્તરકાંડ’માં રામજન કુંવરનું નામ છે, એથી તેમાં ઉદ્ધવદાસનું કર્તૃત્વ માની શકાય તેમ નથી. આ ‘રામાયણ’ની હસ્તપ્રતો નહીં મળતી હોવાથી ‘કવિચરિત’ તો એના કર્તૃત્વને જ શંકાસ્પદ લેખે છે. આ ઉપરાંત, કેટલીક મૌલિક શ્લેષરચનાઓ ધરાવતા, લગભગ ૪૨૫ કડીના ‘બભ્રૂવાહન-આખ્યાન’ (અંશત: મુ.)ની રચના પણ કવિએ કરી છે. આ કૃતિની આરંભની પંક્તિઓને આધારે એવો તર્ક થયો છે કે ઉદ્ધવદાસે આખા મહાભારતની કે અશ્વમેધપર્વની રચના કરી હશે એનો આ આખ્યાન એકમાત્ર બચવા પામેલો ભાગ હશે. કૃતિ : ૧. (ભાલણસુત ઉદ્ધવકૃત) રામાયણ, સં. હરગોવિંદદાસ કાંટાવાળા, નાથાશંકર શાસ્ત્રી, ઈ.૧૮૯૩ (+સં.);  ૨. પ્રાચીન કાવ્ય મંજરી, સં. જેઠાલાલ ત્રિવેદી, ઈ.૧૯૬૫. સંદર્ભ : ૧ ભાલણ, ઉદ્ધવ અને ભીમ, રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૪૧; ૨. કવિચરિત : ૧ - ૨;  ૩. સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૭૭ - ‘ઉદ્ધવ રામાયણમાં યુદ્ધકાંડનું કર્તૃત્વ’, દેવદત્ત જોશી;  ૪. ગૂહાયાદી. [ર.સો.]