ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરભેરામ-૨-નરભો

From Ekatra Wiki
Revision as of 06:28, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરભેરામ-૨/નરભો'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૫૨] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ. પેટલાદ તાલુકાના પીજ ગામના વતની. પાછળથી અમદાવાદમાં વસવાટ અને ત્યાં જ અવસાન. જ્ઞાત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નરભેરામ-૨/નરભો [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૫૨] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ. પેટલાદ તાલુકાના પીજ ગામના વતની. પાછળથી અમદાવાદમાં વસવાટ અને ત્યાં જ અવસાન. જ્ઞાતિએ ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ. છોટાલાલના શિષ્ય. કોઈક પદમાં કવિ પોતાને બેચર ભટ્ટના શિષ્ય તરીકે પણ ઓળખાવે છે. ‘ઘડપણ વિશે’ (ઈ.૧૭૬૮) અને ‘મરણતિથિ’ (ઈ.૧૮૫૨) આ બંને પદરચનાઓ કવિના જીવનસંદર્ભને સમજવામાં ઉપયોગી નીવડે છે. ‘હસતા સંતકવિ’ તરીકે ઓળખાવાયેલા આ કવિનું સર્જન મુખ્યત્વે પદોમાં થયું છે. બાળપણમાં કૃષ્ણે ગોપીઓ પાસે કરેલાં તોફાનને અને તેના નટખટ સ્વભાવને વિનોદી શૈલીમાં આલેખતી ૫ પદની ‘કૃષ્ણચરિત્ર-બાળલીલા’ (મુ.) કવિની આકર્ષક પદમાળા છે. સત્યભામા નારદને કૃષ્ણ વેચે છે એ રમુજી પ્રસંગને આલેખતી ૭ પદની ‘કૃષ્ણ-વિનોદ’(મુ.), ૧૪ પદની ‘નાગદમણ’ (મુ.), ૩૦ પદની ‘રાસમાળા’(મુ.), ૧૮ પદની ‘વામનાખ્યાન’ (મુ.), ૫ પદની ‘સત્યભામાનું રૂસણું’ (મુ.), ૧૪ પદની ‘અંબરીષનાં પદો’ (૧૨ પદ મુ.) વગેરે તેમની બીજી પદમાળાઓ છે. ‘મનને શિખામણ’ (મુ.), ‘જીવને શિખામણ’ (મુ.), ‘નિત્યકીર્તન’ (મુ.) વગેરેમાં નીતિ અને ભક્તિનો બોધ કરનારાં પદો છે. છપ્પા અને ગરબીમાં રચાયેલું ‘બોડાણા-ચરિત્ર’ (મુ.) અને કાફીઓમાં રચાયેલી ‘બોડાણાની મૂછનાં પદ’ (મુ.) એ ભક્ત બોડાણાની પ્રશસ્તિ કરતી ચરિત્રાત્મક કૃતિઓમાં તથા ‘લૂંટાયા વિશે’ (મુ.) અને ‘નાણું આપે નરભો રે’ એ આત્મચરિત્રાત્મક પદોમાં વિનોદની છાંટ છે. એ સિવાય બીજાં અનેક પ્રકીર્ણ પદો, છપ્પા અને ચાબખાની રચના કવિએ કરી છે, તે દરેકમાં કવિની ઉત્કટ રણછોડભક્તિ પ્રતીત થાય છે. ‘નરસિંહ મહેતાના દીકરાનો વિવાહ/શામળશાહનો વિવાહ’, રામ રાજિયાનાં ૫ પદ, ‘સણગાર’ અને ‘સૂરતીબાઈનો વિવાહ’ - એ કૃતિઓ આ કવિની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. શ્રીકૃષ્ણચરિત્ર બાળલીલા, સં. જયંતીલાલ પારેખ, ઈ.૧૯૩૦; ૨. પ્રાકામાળા : ૨૨ (+સં.); ૩. પ્રાકાસુધા : ૩, ૪; ૪. બૃકાદોહન : ૧, ૫, ૬, ૮; ૫. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ પટેલ. ઈ.૧૯૭૬. સંદર્ભ : ૧. અભિરુચિ, ઉમાશંકર જોશી, ઈ.૧૯૫૯-‘હસતો સંતકવિ’; ૨. કવિચરિત : ૩; ૩. ગુમાસ્તંભો; ૪. ગુસાપઅહેવાલ : ૨; ૫. ધૃતિ, મોહનભાઈ શં. પટેલ, ઈ.૧૯૭૫; ૬. પ્રાકકૃતિઓ;  ૭. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથા’, દેવદત્ત જોશી;  ૮. ગૂહાયાદી; ૯. ફૉહનામાવલિ. [ચ.શે.]