ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાવદાસ-માહાવદાસ-માવદાસ-૧

From Ekatra Wiki
Revision as of 09:54, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહાવદાસ/માહાવદાસ/માવદાસ-૧'''</span> [ઈ.૧૭૪૦માં હયાત] : કવિ વૈષ્ણવધર્મના અનુયાયી હતા. તેમની જ્ઞાતિ વિશે બે જુદા જુદા સંદર્ભો જુદીજુદી માહિતી આપે છે. ‘ફાહનામાવલિ’ કવિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મહાવદાસ/માહાવદાસ/માવદાસ-૧ [ઈ.૧૭૪૦માં હયાત] : કવિ વૈષ્ણવધર્મના અનુયાયી હતા. તેમની જ્ઞાતિ વિશે બે જુદા જુદા સંદર્ભો જુદીજુદી માહિતી આપે છે. ‘ફાહનામાવલિ’ કવિને જ્ઞાતિએ વણિક હોવાનું અને ‘ગોકુલેશ પ્રભુના ભક્તકવિઓ’ કવિને જ્ઞાતિએ ઔદિચ્ય સીહોરા બ્રાહ્મણ હોવાનું નોંધે છે. કવિ નવાનગર પાસેના વલા ગામના વતની હતા. પરંતુ આખું જીવન તેઓ ગોકુળમાં જ રહેલા. તેમણે ગુજરાતી તેમ જ સંસ્કૃત બંને ભાષામાં રચનાઓ કરી છે. કવિની ગુજરાતી રચનાઓ આ મુજબ છે : ૧૪ શોભન/કડવાંની ‘ગોકુલનાથજીનો વિવાહ/ખેલ’, ‘બાલ-ચરિત્ર’ (લે.ઈ.૧૭૮૦), ૨૩ કડવાંનું ‘ઓખાહરણ’ (લે.ઈ.૧૭૮૦), ‘ગૂઢરસ’, ‘રસાલય’, કુંડળિયા, સવૈયા તથા ચંદ્રાવળામાં રચાયેલ ગદ્યપદ્યાત્મક કાવ્ય ‘રસસિંધુ’, ‘રસકોષ’, ‘શ્રીવલ્લભચરિત્ર/નિત્યચરિત્ર’, ‘તીર્થમાળા/તીર્થાવલી’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬ આસો વદ ૮ ઉપર ૯, રવિવાર), ‘કૃષ્ણચરિત્ર’(મુ.), ‘સ્વરૂપવર્ણન’, ‘ચટાઈસમયનું ધોળ’ તથા કેટલીક વિનંતીઓ અને અષ્ટકો. કવિની સંસ્કૃત રચનાઓ આ મુજબ છે : ‘રસાર્ણવ’, ‘તાત્પર્યબોધ’, ‘સજ્જનમંડન’ તથા ગીતગોવિંદની પદ્ધતિએ અષ્ટપદીમાં રચાયેલી ‘શ્રીવલ્લભ-ગીત’(મુ.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસારસ્વતો;૩. ગોપ્રભકવિઓ; ૪. પ્રાકકૃતિઓ; ૫. સંબોધિ, ઑક્ટો. ૧૯૭૭-જાન્યુ. ૧૯૭૮-‘કવિ માયા-માવજી રચિત વૈષ્ણવભક્તપ્રબંધ-ચોપાઈ’, સં. અમૃતલાલ મો. ભોજક;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ફૉહનામાવલિ. [કી.જો.]