અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બેફામ’ બરકત વીરાણી/ઘરથી કબર સુધી
ઘરથી કબર સુધી
‘બેફામ’ બરકત વીરાણી
સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.
મારા હૃદયને પગ નીચે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.
શ્રદ્ધાની હો સુવાસ, પ્રતીક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.
આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યાં’તાં નજર સુધી.
મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખૈર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.
મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.
‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
(માનસર, છઠ્ઠી આ. ૧૯૯૩, પૃ. ૧૦૬)