ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૪

Revision as of 09:30, 7 March 2023 by Meghdhanu (talk | contribs) (કડવું 14 Formatting Completed)
કડવું ૧૪

[આ જ સમયે વિષયા અને ચંપકમાલિની સખીઓ સાથે નિત્યક્રમ પ્રમાણે જલક્રીડા માટે વાડીમાં આવ્યાં છે. નવપલ્લવિત થયેલી વાડી જોવા વિષયાને એકલી મૂકીને બધી સખીઓ વાડી જોવા જતી રહેતાં એકલી પડેલી વિષયાને પોતાને ગઈ રાત્રે આવેલા સ્વપ્નનું સ્મરણ થાય છે. તે કુતૂહલથી સરોવરની પાળ ચઢે છે ત્યાં જ તેને ઝાડ નીચે સૂતેલ યુવાન દેખાય છે.]

રાગ : ગોડી

નારદ કહે : સાંભળ રે અર્જુન, વાડી તણો વિસ્તારજી.
તે વાડીમાં ભૂલ્યા સેવક જોતાં પેલા ચારજી.         

શયન કીધું છે ચંદ્રહાસે, નિદ્રા અતિશે આવીજી.
દૈવ તણી ગત કોય ન જાણે, થાય વાત જે ભાવીજી.         

તે ધૃષ્ટબુદ્ધિ પ્રધાનની પુત્રી, વિષયા જેનું નામજી.
યૌવનમાતી, રંગે રાતી, પીડે પાપી કામજી.         

ચંપકમાલિની રાજાની પુત્રી, વિષયાની સહિયારીજી.
અન્યોઅન્યે પ્રીત ઘણી, પણ બંને બાળકુમારી જી.         

બેને અનંગ[1] અંતર અતિ પીડે, તાપ તે નવ ખમાયજી.
બેહુ સખી સંગાથે સરોવર નિત્યે નહાવા જાયજી.         

તે દિવસે તો તારુણી આવી, નિત્યનું સ્થાન જ્યાંયજી.
ચંદ્રહાસે શયન કીધું છે વિશ્રામ કારણ ત્યાંયજી.         

સામું ત્રટ[2] સરોવરનું ત્યાંહાં દાસી આવી ઊભીજી.
‘જળ ભરો ને નૃત્ય કરો,’ સર્વ વિષયાને કહેતીજી.         

કો કુસુમ વીણે, કો કંઠે ઝીણે ગુણવતી લાગી ગાવાજી.
કો શરીર સમારે, ઉત્તમ ઓવારે કોઈ ઊતરે નહાવાજી.         

કો તટ બેસે, કો જળમાં પેસે, તારુણી જાય તરવાજી.
કો કેશ ઝાલે તાણી કાઢે, લાગી હાસ્ય વિનોદ કરવા બાળીજી.         

કો આલિંગન દેતી, ‘મૂકો મૂકો’ કહેતી, કો કર દેતી તાળીજી.          ૧૦

એવી વાડી દીઠી નવપલ્લવ, જે પૂર્વે હુતી સૂકીજી.
શ્યામા સર્વ ધસી જોવાને સંગ વિષયાનો મૂકીજી.          ૧૧

ચંપકમાલિની ચાલી જોવા, જાતી વાડી મધ્યજી.
સર્વેને જોવા દેતી રહી એકલી, વિષયાએ વિચારી બુધ્યજી[3].          ૧૨

‘પૂર્વે પિતા મુનિ એમ કહેતા તે પાસેથી હું સાંભળતીજી.
અને આજ નિશાએ સપનું આવ્યું વાત દીસે છે મળતીજી.          ૧૩

સૂકું વન થાશે અતિ લીલું, જ્યારે આવશે વિષયાનો નાથજી.
આજ સ્વપ્ન વિષે ચંદ્રહાસે પરણીને ઝાલ્યો હાથજી.          ૧૪

એવું વિચારી વિષયા નારી ચઢી સરોવર-પાળેજી.
એવે અતિ-ઉજ્જવળ અશ્વ દીઠો, બાંધ્યો આંબાડાળેજી.          ૧૫

તુરીનું તેજ દેખી મનમાં હરખી, જોવા જીવ ત્યાં ખૂત્યો[4]જી.
એવે દક્ષિણ પાસ ચંદ્રહાસ સેવકરહિત દીઠો સૂતોજી.          ૧૬

હરિભક્તને દેખી, હયને પેખી, હરિવદની હરખને પામીજી.
‘શું સ્વપ્ન નિશાનું થાશે સાચું? શકે સૂતો મુજનો સ્વામીજી?’          ૧૭

વિમાસે વાત : ‘જો હોય નાથ તો જોયા વિના કેમ ચાલેજી?
ઘેર કેમ જવાય, શી રીતે રહેવાય? મળ્યા વિના હૃદયા સાલેજી.          ૧૮

વલણ


સાલે હૃદયા મળ્યા પાખે,[5] તે માટે જોતી જાઉં રે,
એને જોઈ ઓળખી, હું નીરખી નિરભે[6] થાઉં રે.’          ૧૯




  1. અનંગ – કામદે
  2. ત્રટ – તટ
  3. બુધ્ય – બુદ્ધિ
  4. ખૂત્યો – ખૂપ્યો
  5. પાખે – વિના
  6. નિરભે – નિર્ભય

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.