શાંત કોલાહલ/૧૧ વનમાં વાયરે ઘેરી

From Ekatra Wiki
Revision as of 01:43, 28 March 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૧ વનમાં વાયરે ઘેરી

વનમાં વાયરે ઘેરી’તી આજ મને વનમાં વાયરે ઘેરી;
કિયા જનમનો વેરી તે આજ મને વનમાં વાયરે ઘેરી.
એકલી પળી‘તી અલી ! સોણતળાવના
પાણીની ભરવા હેલ,
આલીલી લ્હેરની જોડે સવારના
તડકે માંડ્યો ખેલ;
ભોળાં લોચનિયે જોતી એ વાંકથી આવ્યો વંકાઈને લ્હેરી,
ઘેલી હું ભાનમાં ન્હોતી ને આજ મને વનમાં વાયરે ઘેરી.

લાલ તો જાસૂદનું મારે અંબોડલે
મૂકેલ ફૂલ જાય ઝૂકી,
એને જરાક હાથ દેવા કરું તી’ ઓલ્યો
અંચલ ઉરાડતો ઢૂંકી;
કેમે શકાય નહિ ખાળી મિજાજનો એવો એ આકરો ઝેરી,
સાથ સંગાથ વણ ભાળી ને આજ મને વનમાં વાયરે ઘેરી.

આડી ઉપાધિઓની યાદ રે ન આવતી ને
ભૂલ્યા જેવું ન જાઉં ભૂલી;
જાગામીઠીની મારી આંખને આવાસ એ તો
શમણાંને દોર રહ્યો ઝૂલી;
કિયા જનમનો વેરી તે આજ મને વનમાં વાયરે ઘેરી !
વનમાં વાયરે ઘેરી’તી આજ મને વનમાં વાયરે ઘેરી.