ગુજરાતી કવિતાનો આસ્વાદ/વીરની વિદાય

From Ekatra Wiki
Revision as of 05:56, 29 June 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


વીરની વિદાય

સુરેશ જોષી

મારા કેસરભીના કંથ હો!
સિધાવો જી રણવાટ.
મારા કેસરભીના કંથ હો!

આભ ધ્રૂજે, ધરણી ધમધમે રાજ!
ઘેરા ઘોરે શંખનાદ,
દુન્દુભિ બોલે મહારાજનાં હો!
સામન્તના જયવાદ.
મારા કેસરભીના કંથ હો!

આંગણ રણધ્વજ રોપિયા રાજ!
કુંજર ડોલે દ્વાર,
બન્દીજનોની બિરદાવલી હો!
ગાજે ગઢ મોઝાર.
મારા કેસરભીના કંથ હો!

પૂર પડે, દેશ ડૂલતા રાજ!
ડગમગતી મહોલાત,
કીરત કેરી કારમી હો!
એક અખંડિત ભાત.
મારા કેસરભીના કંથ હો!
નાથ! ચઢો રણઘોડલે રાજ!
હું ઘેર રહી ગુંથીશ
બખ્તર વજ્રની સાંકળી હો!
ભરરણમાં પાઠવીશ.
મારા કેસરભીના કંથ હો!

સંગ લિયો તો સાજ સજું રાજ!
માથે ધરું રણમોડ,
ખડ્ગને માંડવ ખેલવા હો!
મારે રણલીલાના કોડ.
મારા કેસરભીના કંથ હો!

આવતાં ઝાલીશ બાણને રાજ!
ઢાલે વાળીશ ઘાવ,
ઢાલ ફૂટ્યે મારા ઉરમાં હો!
ઝીલીશ દુશ્મનદાવ.
મારા કેસરભીના કંથ હો!
એક વાટ રણવાસની રાજ!
બીજી સિંહાસનવાટ,
ત્રીજી વાટ શોણિતની સરિતે હો!
શૂરાનો સ્નાનઘાટ.
મારા કેસરભીના કંથ હો!

જયકલગીએ વળજો પ્રીતમ!
ભીંજશું ફાગે ચીર,
નહીં તો વીરને આશ્રમ મળશું હો!
સુરગંગાને તીર.
મારા કેસરભીના કંથ હો!
રાજમુગટ! રણરાજવી રાજ!
રણઘેલો! રણધીર!
અધીરો ઘોડલો થનગને નાથ!
વાધો રણે મહાવીર.
મારા કેસરભીના કંથ હો!
– નાનાલાલ દલપતરામ કવિ (કેટલાંક કાવ્યો, 2)

આ કાવ્ય વાંચતાં જ નાનાલાલનાં બીજાં બે કાવ્યોની પ્રતાપી નાયિકાનું સ્મરણ થાય છે. ‘વીરાંગના’ની નાયિકાના વીરનો ગઢ ઊંડા આકાશમાં છે ને એની સાડીના છેડાને શેષ ભીંજવે છે. ને પેલી પંક્તિઓ – ગુજરાતણના મુખમાં આવી પ્રતાપી ભાષા કદાચ મુનશીએ પણ નથી મૂકી! જુઓ, આ રહી એ પંક્તિઓ:

સખિ! મારા ઓઢણામાં ભાતડી કાંઈ યમની ગૂંથી રે,
સખિ! મારી છાંયડીમાં ઝેર લીલું ઊગે છે જો;
સખિ! મારી કાન્તિમાં જો જોગણીનાં ખપ્પર ઝીલે રે,
સખિ! મારાં કંકણોમાં પ્રલયગીત ગાજે છે જો.

ને બીજી તે ‘કાઠિયાણીનું ગીત’માંની કાઠિયાણી. આ કાવ્યમાં નાયિકાનો કેસરભીનો કંથ હજુ તો રણાંગણમાં જવાનો છે; પણ એ કાઠિયાણીનો સાવજશૂરો કંથ તો રણાંગણમાં જ છે. વિપ્રલમ્ભ શૃંગારને વીર રસથી શબલિત કરીને આટલો આસ્વાદ્ય બનાવી મૂકતું બીજું કોઈ કાવ્ય ભાગ્યે જ મળી આવશે. એ કાઠિયાણીને હાથે પણ હેમત્રિશૂળ છે.

આ જવાંમર્દી ને સમર્પણની ભાવના મધ્યકાલીન રાજપુત યુગના પરિવેશમાં મૂકીને બિરદાવવાનું આપણા કવિઓ અને વાર્તાકારોને ગમ્યું છે. બ.ક. ઠાકોરને પણ મહાકાવ્ય રચવાનો પ્રયત્ન કરવાનું મન થયું, ત્યારે આમ જ રાજપૂત યુવકને રણાંગણમાં વદાય કરી દીધો. મુનશી અને ધૂમકેતુની ભાવનાસૃષ્ટિ તો આજે આપણને સૌને પરિચિત છે. જવાંમર્દી ને સમર્પણની ભાવના આજેય આપણામાં છે. પણ જમાને જમાને એના આવિષ્કારના પ્રકારો બદલાતા રહે છે. છેક અભિમન્યુ-ઉત્તરાને યાદ કરીને આપણા કવિએ નવોઢા ઉત્તરા પાસે ગવડાવ્યું હતું જ ને કે,

મને જુદ્ધે ચઢવાના કોડ રે બાળારાજા રે!

નાનાલાલની આ નાયિકા પણ એ ઉત્તરાની જ સગોત્ર લાગે છે. ગૃહજીવનની અધિષ્ઠાત્રી નારી, અનેક પુરુષાર્થો આચરવાને ઘરની સીમા ઓળંગીને બહાર નીકળી જતા પુરુષને પોતાના આગવા આકર્ષણબળે ફરી ઘરમાં લાવીને, પોતાને અધીન કરીને રાખે ને એ રીતે વિજયી પુરુષ ઉપર પણ પોતાનો વિજય ફરી ફરી સિદ્ધ કરવામાં નારીજીવનની સાર્થકતા જુએ, એ તો બહુ જાણીતી વસ્તુ છે. પણ શૃંગાર એ અંગત રીતે માણવાનો રસ છે જ્યારે વીરને પ્રકટ થવાને માટે વ્યાપક ફલકની અપેક્ષા રહે છે. વીરની આ વ્યાપકતાને સ્વીકારીને કાવ્યની નાયિકા આપણો આદર જીતી લે છે.

યુદ્ધની ભયાનકતાની ને વીરોનાં પરાક્રમોની વાત અતિશયોક્તિ રૂપે એણે ઘરમાં બેઠાં બેઠાં સાંભળી છે. આજે એ યુદ્ધ આંગણે આવીને ઊભું છે. કાવ્યની શરૂઆતથી જ વદાયની કરુણતા ઉપર વીરત્વના ઉત્સાહનો વિજય પ્રકટ થાય છે. નાયકનાયિકા પરણ્યાં ત્યારે જે સમારોહ રચાયેલો તેની જ યાદ આપે એવું વર્ણન કવિએ નાયિકા પાસે કરાવ્યું છે. ને એ રીતે પોતાને જેનો પ્રત્યક્ષ અનુભવ નથી તેવા વીરનું પોતાને સુપરિચિત એવા શૃંગારની પરિભાષામાં વર્ણન કરવાથી વીરની આસ્વાદ્યતામાં નવી જ છટા ભળે છે.

શરૂઆતનું સમ્બોધન જ કાવ્યની ભાવભૂમિકા પળવારમાં રચી દે છે. ‘કેસરભીના કંથ’થી જે કહેવાયું તે એને મળતા સંસ્કૃત શબ્દોથી ન કહેવાયું હોત. ખપી જવાની તમન્નાને કેસરી રંગ સાથે અધ્યાસથી જોડીને, ‘ભીના’ શબ્દ ઉમેરીને એથી તરબતર થઈ ગયાનો, રગેરગમાં એ તમન્ના વ્યાપી ગયાની ઉત્કટતાનો અર્થ કવિએ સમર્થ રીતે પ્રકટ કર્યો છે. એની સાથે જ કદાચ નાયિકાના મનમાં એ જ કંથ સાથે હોળી રમતાં કેસરથી એનાં ચીર ભીંજવ્યાની સ્મૃતિ પણ સંકળાયેલી હશે. આમ વીરમાં સૂક્ષ્મ રીતે ભળતી શૃંગારની છાંટ શરૂથી જ આપણને દેખાય છે.

ઘરમાં બેઠાં બેઠાં દૂર ચાલતા કલ્પનાથી જોયેલા યુદ્ધનું વર્ણન નાયિકા કરે છે ત્યારે એમાં સહજ જ અતિશયોક્તિ આવી જાય છે. પણ એનો વીર પતિ કાંઈ જેવા તેવા યુદ્ધમાં ઝૂઝવા થોડો જ જતો હશે! એ યુદ્ધ તો એવું ભીષણ કે એમાં ‘આભ ધ્રૂજે, ધરણી ધમધમે’ છે. પતિ માટેના પ્રેમે જ આ અતિશયોક્તિ કરાવી છે, ને તેથી આપણને પણ એ ગમે છે. એની પછીની પંક્તિમાં તો આપણે તરત ઘરનાં બારણાં સુધી આવી પહોંચીને, યુદ્ધને માટેના પ્રયાણના ઉત્સાહભર્યા સમારોહમાં જોડાઈ જઈએ છીએ. એ સમારોહનું લગ્નમણ્ડપના જેવું વર્ણન નાયિકા પાસે કરાવીને, માત્ર બે જ પંક્તિમાં વીર રસને અનુકૂળ ભૂમિકા કવિ સરજી આપે છે:

આંગણ રણધ્વજ રોપિયા રાજ!
કુંજર ડોલે દ્વાર,
બન્દીજનોની બિરદાવલી હો!
ગાજે ગઢ મોઝાર.