રણ તો રેશમ રેશમ/હવામાં ફરફરતું સમયનું રેશમ

From Ekatra Wiki
Revision as of 03:04, 25 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હવામાં ફરફરતું સમયનું રેશમ

મનુષ્યજાતિનો ઇતિહાસ મને જેટલો આશ્ચર્યપ્રેરક લાગ્યો છે, તેનાથી પણ વધારે અહોભાવપ્રેરક લાગ્યો છે. વીજળીના ચમકારાથી કે પછી ઝંઝાવાતથી, અરે! ચંદ્રની કળાની વધઘટથી સુધ્ધાં ડરી જતા ગુફાવાસી આદિમાનવથી આજના ટૅક્નૉલૉજીથી સંપન્ન સુસંસ્કૃત સમાજો સુધીની મનુષ્યની સફરે મને હંમેશાં અભિભૂત કરી છે. યંત્રયુગની શરૂઆત થઈ, તેનીયે સદીઓ પહેલાં નાનકડી હોડીમાં સાતેય સાગરને ખૂંદી વળેલા મનુષ્યની હિમ્મત વિશે; કે પછી બરફાચ્છાદિત દુર્ગમ પર્વતો અને ધગધગતા અફાટ રણને પાર કરીને ધરતીને ખૂણે ખૂણે ફરી વળવાની હામ રાખતા તત્કાલીન મનુષ્ય વિશે વિચારું છું, ત્યારે તેની બુદ્ધિમત્તા તથા હિમ્મત ઉપર ઓળઘોળ થઈ જવાય છે. ઈસુના જન્મના બે શતક પૂર્વે, કદાચિત્ એનીય પહેલાંથી મનુષ્ય પગપાળાં ચાલતો, કે પછી ઘોડા કે ઊંટ જેવાં પશુઓ ઉપર સવાર થઈને વ્યાપાર–વાણિજ્ય અર્થે ચીનથી શરૂ કરીને, આખું મધ્ય એશિયા વીંધતો છેક યુરોપખંડ સુધી પહોંચ્યો, એ માર્ગ – સિલ્કરૂટ પ્રત્યે મનમાં વિસ્મય તો હતું જ, તેમાં વળી એવા સંજોગો બન્યા કે, એ વણજારોનાં પગલાં પર પગલું મૂકવાનો અવસર મળ્યો; અને તે પણ પૂર્વથી પશ્ચિમ તરફ જતા આખાય સિલ્કરૂટ પર એ વણજારો મુકામોના ક્રમ અનુસાર જ પ્રવાસ થયો. સૌથી પહેલાં સિક્કીમ જવાનું થયું. ત્યાં નાથુ-લા ઘાટ પર તથા ત્સો-મ્ગો સરોવર ને કાંઠે બે હજાર વર્ષ પહેલાંથી આ રસ્તે ચાલી આવતી વણઝારોનાં દૃશ્યોને પહેલી વાર આત્મસાત્ કરેલાં. ૧૪૪૦૦ ફૂટ ઊંચાઈ પર આવેલ આ નાથુ-લા ઘાટ એક જમાનામાં સિક્કીમ અને તિબેટને જોડતો એકમાત્ર પર્વતીય રસ્તો હતો. તે જોતાં થયું કે, આજે જ્યાં પાકો ડામર રસ્તો છે, ત્યાં જ અંકાયેલી કોઈ સાંકડી અજાણી કેડી પર સહસ્રાબ્દીઓ પૂર્વે એ વણજારો ચાલી હશે. આશરે પંદરસો વર્ષ પહેલાં આવા જ કોઈ રસ્તે ચાલીને હ્યુ-એન-ત્સાંગ ચીનથી ભારતમાં આવ્યો હશે અને સત્તર વર્ષ ભારતમાં રહી-ફરીને, સંસ્કૃતિદર્શનનો અલભ્ય અનુભવ લઈને, અમૂલ્ય જ્ઞાનસભર સેંકડો સંસ્કૃત ગ્રંથોને ખચ્ચરો પર લાદીને ચીન પાછો ફર્યો હશે. સમૃદ્ધિની કે જ્ઞાનની શોધમાં અજાણ્યા પ્રદેશો ખૂંદી વળવાની મનુષ્યની સાહસવૃત્તિ અને દુર્ગમ પ્રદેશોની વણપ્રીછી ક્ષિતિજો સર કરવાની એની ભ્રમણપિપાસા પ્રત્યે મારું મસ્તક તે દિવસે ઝૂકી ગયું હતું. થોડા સમય પછી ઉઝબેકિસ્તાન જવાનું થયું, ત્યાર બાદ જોર્ડન અને પછી ટર્કીનો પ્રવાસ કર્યો. આમ આખાય મધ્ય એશિયા પર પૂર્વથી પશ્ચિમ તરફ લંબાયેલા ૪૦૦૦ કિલોમીટર લાંબા આ પ્રાચીન માર્ગ ઉપર ક્રમશઃ પસાર થવાનું બન્યું. ઉઝબેકિસ્તાન તથા જોર્ડનના રણપ્રદેશમાંથી પસાર થતો એ પથ જોઈને થયું કે, પર્વતો તો હજીય સમજી શકાય, પરંતુ આ અફાટ રણ સોંસરવો છેક રોમ તથા યુરોપનાં અન્ય સ્થળો તરફ લઈ જતો રસ્તો માણસે શી રીતે શોધ્યો હશે? આપણી સેટેલાઇટ સંચાલિત નૅવિગેશન સિસ્ટમને ટક્કર મારે તેવી તત્કાલીન મનુષ્યની સૂઝબૂઝ આજે પણ મને વિસ્મયાંકિત કરે છે. આજનું મધ્ય એશિયા કહીએ, કે પ્રાચીન સમયના પર્શિયા, મેસોપોટેમિયા અને મેડિટરેનિયન રિજીયન કલ્પીએ, કે પછી તેથી પણ પહેલાં ટોળીઓમાં, કબીલામાં કે પછી સતત બદલાતાં રજવાડાંમાં વસતા મનુષ્યની કલ્પના કરીએ, અવરોધોને પાર કરીને ધાર્યું લક્ષ્ય પ્રાપ્ત કરવાની એની ક્ષમતાની મહત્તા આખરે સ્વીકારવી જ પડે. વળી એ માર્ગ ઉપર પ્રવાસ કરતાં સમજાયું કે, એ સમયમાં રેશમ કે રત્નો, મરી-મસાલા કે હાથીદાંત જેવી સ્થૂળ વસ્તુઓની સાથે સાથે સંસ્કૃતિ તથા જ્ઞાનનું જે વિરાટ આદાનપ્રદાન થયું, તે માનવજીવનની એક સીમાચિહ્નરૂપ ઘટના હતી. જેમ જેમ સિલ્કરૂટ પર પ્રવાસ કરતાં ગયાં, તેમ તેમ એ હકીકત ઊંડી અનુભૂતિનો વિષય બનતી ગઈ. આમ આ પ્રવાસ મનુષ્યજીવનના એક મૂલ્યવાન સીમાચિહ્નનો પ્રવાસ બની ગયો. જાણે મનુષ્યના પુરુષાર્થથી સર્જિત ઇતિહાસનું સુવર્ણપૃષ્ઠ વાંચવાનો અવસર! સિક્કીમથી માંડીને ટર્કી સુધીના બધા જ મુકામ એક પુસ્તકમાં સમાવવા શક્ય નહોતા, એટલે આ પુસ્તકમાં ઉઝબેકિસ્તાન તથા જોર્ડન એમ બે દેશો, જેના રણપ્રદેશમાં સિલ્કરૂટના કાલાતીત કાફલાઓનાં પગલાં સાથે ચાલવાનું થયું, તેની વાત કરવાનો ઉપક્રમ છે. એ રણપ્રદેશમાંથી પસાર થતી વખતે ત્યાંની હવામાં ફરફરતું વીતેલા સમયનું રેશમ મનને સતત સ્પર્શતું રહ્યું. બસ, તે અનુભૂતિને શબ્દઃસ્થ કરવાનો પ્રયાસ એટલે આ રણ તો રેશમ..રેશમ..! ‘હૃદયલિપિ’ના પ્રકાશનથી જ ગૂર્જર પરિવાર સાથે આત્મીયતા સધાઈ છે. હવે આ બીજું પુસ્તક તેઓ પ્રકાશિત કરી રહ્યા છે, ત્યારે એક ઉત્કૃષ્ટ પ્રકાશનગૃહ સાથે પુનઃ સંકળાવાનો અનેરો આનંદ અનુભવી રહી છું. પ્રકાશનગૃહના સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. આદરણીય મુરબ્બી શ્રી મનુભાઈ શાહ તથા તેમનો પરિવાર હવે સ્વજન-સમ લાગે છે. તેમના નવા નિવાસસ્થાને સૌની મુલાકાત થઈ તે ભાવભર્યું આતિથ્ય સદાય યાદ રહેશે. શ્રી રોહિતભાઈ શાહનું સૌજન્ય તથા એમનો સદ્ભાવ કેમ ભૂલી શકાય? પુસ્તકની રંગસજ્જા હોય કે પછી શીર્ષકની પસંદગી હોય, દરેક વાતમાં સહભાગી થઈ ઉત્સાહપૂર્ણ માર્ગદર્શન આપવા માટે તેમનો હાર્દિક આભાર. રવિવાર હોય કે રજાનો દિવસ હોય, મારી વ્યાવસાયિક ફરજોનો આદર કરી, તેઓએ હંમેશાં સમય ફાળવ્યો છે. તેમના આ સૌજન્ય બદલ અમે તેમનાં ઋણી રહીશું. કલાકાર મિત્રો સૌ. ઝૂમૂર ચક્રવર્તી, શ્રી અમ્લાન ચક્રવર્તી તથા શ્રી શૈલેશ બાગલે ઉપર તો જાણે મારો વણલખ્યો હક્ક હોય, તેમ મારા દરેક પ્રકાશનમાં પોતાપણાના ભાવ સાથેનો સહકાર મળતો રહે છે. આવા સરસ નિઃસ્વાર્થ મિત્રો મળ્યા, એ મારું સદ્ભાગ્ય છે. ત્રણેયનો હાર્દિક આભાર માનું છું. મારા જીવનસાથી તથા આજીવન મિત્ર ડૉ. રાજીવ રાણે જો મને ન મળ્યા હોત, તો કદાચ હું પ્રવાસ કે લેખન કાંઈ કરી શકી ન હોત. એમનાથી અલગ જાણે મારું કોઈ અસ્તિત્વ જ નથી. પ્રત્યેક પ્રવાસમાં ને જીવનમાં પ્રત્યેક પગલે મારી સાથે રહેવા બદલ આજે એ સહયાત્રીનો અંતઃકરણપૂર્વક આભાર માનવો છે. મારા ગુરુજી સ્વ. શ્રી રમણ પાઠકની ગેરહાજરીમાં થઈ રહેલું આ પ્રકાશન એમના આશીર્વાદ વગર અધૂરું લાગે છે. એમને હૃદયપૂર્વક વંદન કરી શબ્દોને કાળના વહેણમાં વહેતા મૂકું છું..

ભારતી રાણે સ્નેહાંજલિ હૉસ્પિટલ, શાસ્ત્રી રોડ, બારડોલી - ૩૯૪૬૦૧. ફોન : (૦૨૬૨૨) ૨૨૦૧૨૫ Email: bhartirane1@gmail.com