ભજનરસ/રમતા જોગી આયા
રમતા જોગી આયા નગર મેં
રમતા જોગી આયા હો જી —
તખત લગાયા સરવર તીરે
ઉપર તવર છાયા,
કચ્ચી માટી કા કુંભ બના વા મેં
અમીરસ ભરભર લાયા હો જી —
જલ બિચ અગન, અગન બિચ પવના
પવના સે પુરુષ બનાયા,
જલ કેરી મછલી થલ મેં વિયાણી
ઈંડા અદ્ધર જમાયા હો જી —
સપ્ત ધાત કાયા કોટ બનાયા,
તા પર ભમરા લુભાયા,
વસ્તા શહેર ઉજ્જડ કર ડાલ્યા,
ઉજ્જડ ફેર બસાયા હો જી
ચાંદા-સૂરજ દોનું મારગ પાયા,
ભમ્મર ગુફા મેં સમાયા,
જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નિદ્રા
તુરીયા મેં તાર મિલાયા હો જી —
પંખી એક વહાં ચણ ચુગત હૈ
ચાંચ પાંખ નહીં કાયા,
અલખ પુરુષ કી અલગ હૈ નગરી
સદ્ગુરુ આય લખાયા હો જી —
નવ દરવાજા વશ કર લીના
દશમેં ડંકા બજાયા,
મછંદર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા
જાગ્યા સો નર પાયા હો જી —
રમતા જોગી આયાછ
રમતા જોગી
આશા-તૃષ્ણાથી પરાણે ખેંચાતો નહીં પણ મોજ ખાતર સ્વતંત્ર વિચરણ કરતો જોગી નગરમેં માયાના વિસ્તારમાં આવ્યો છે. એક પદમાં ગોરખ કાણને જ નગર કહે છે : કાયા હમારે સહર બોલિયે
મન બોલિ હુજદારં.
‘કાયા અમારું શહેર છે અને મન અમારો ખાસ નોકર — હજૂરિયો છે.’
તખત લગાયા
આ કાયાનગરીમાં જોગીએ ક્યાં આસન જમાવ્યું? ‘સરવર તીરે’ — જ્યાં વિવેકરૂપી હંસ શુદ્ધ વિચારનાં મોતી ચરે છે તે માનસરોવર ૫૨ જોગીનું સ્થાનક છે. આ સરોવર પર બ્રહ્માનંદનું ઘટાદાર વૃક્ષ છાયા ઢાળી રહ્યું છે. એ કલ્પવૃક્ષની છાયા નીચે તાપસંતાપ આવી શકતાં નથી.
કચ્ચી માટીકા કુંભ
આ કાયા તો ઘડીપલમાં પડી ભાંગતો કાચી માટીનો ઘડો. પણ તેમાં જ અમૃત છલોછલ ભરીને જોગી બેઠો છે. અમૃતનું પાન કરવા તેને ક્યાંય બીજે જવું પડતું નથી. આવું અમૃત તેણે કેવી રીતે પ્રાપ્ત કર્યું?
જલ બિચ અગન
પહેલાં તો આ કાચી, જલમયી પ્રકૃતિમાં પ્રાણાગ્નિ પ્રગટ કર્યો. આ પ્રાણાગ્નિ બધી જ મલિનતાનો નાશ કરી નાખે એવો છે. ગોરખ કહે છે:
ઊરમધૂરમ જ્વાલા જોતિ
સુરજિ કલા ના છીપે છોતિ,
કંચન કંવલ કિરણિ પરસાઈ
જલ મલ દુરગંધ સર્વ સુખાઈ,
‘ભડભડ બળતી આ જ્વાલા એવી તો સૂરજ જેવી ઝળહળી ઊઠે છે કે તેને નથી છૂપી રાખી શકાતી કે નથી તેને કોઈ છૂતાછૂત સ્પર્શ કરી શકતી. એ સ્વયં શુદ્ધ છે ને પોતાને કિરણે કિરણે માટીની કાયામાં કંચનનાં કમલ ખીલવતી જાય છે. આત્મદર્શનનાં અજવાળાં થતાં જાય છે ને દુર્વાસના, દુર્ભાવના, દુષ્કર્મનો કચરો સાફ થઈ જાય છે.’ આ પ્રાણાગ્નિ પવન સે’ શ્વાસ-ઉચ્છ્વાસ સાથે ઊઠે છે ત્યારે પ્રાણપુરુષ પોતે જ શ્વાસનો કબજો લઈ લે છે. આ નાશવંત નગરીમાં ચેતન-પુરુષ જાગી ઊઠે છે. આ નવો જન્મ કેવી રીતે થાય છે?
જલ કેરી મછલી
જલમયી પ્રકૃતિમાં, સદાયે ચંચલ ને નિમ્નગામી વૃત્તિઓમાં રહેતા જીવાત્માને એક નિશ્ચલ ભૂમિ મળી. પ્રાણની કેવળ-કુંભક અવસ્થા કે મનની સંકલ્પ-વિકલ્પ વિનાની ભૂમિમાં તેણે નવા ચૈતન્યને જન્મ આપ્યો.
ઈંડા અધ્ધર જલાયા
આ ચૈતન્ય એવું અદ્ભુત છે કે તેને કશા આધારની જરૂર રહેતી નથી. એ નિરાલંબ ચૈતન્ય છે. એ સર્વ વૃત્તિથી અધ્ધર આત્મમગ્ન રહે છે. તેને હવે કોઈ જલમયી ધારા તાણી જાય કે ડુબાડી દે તેમ નથી.
સપ્ત ધાત કાયા કોટ
સાત ધાતુનો બનેલો આ કાયાગઢ એવો તો રંગ-બે-રંગી ફૂલોથી ભરેલો છે કે જીવનો ભમરો તેમાં લોભાઈ ગયો છે. એક ફૂલથી બીજા ૫૨, એક રસથી અન્ય ૨સે તે લોલુપ બની મંડરાયા કરે છે. પણ આવી આસક્તિની મધલાળને લીધે તેને માથાં પછાડી મરવું પડે છે. કબીરે આવા લોભી ભ્રમરને ચેતવણી આપતાં કહ્યું છે :
મૈં, ભંવરા તોહિં બરજિયા
બન બન બાસ ન લેઇ,
અટકૈગા કહું વેલસે
તડપિ-તડપિ જિય ઈ.