ભજનરસ/એક તું શ્રીહરિ

From Ekatra Foundation
Revision as of 07:33, 15 May 2025 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


એક તું શ્રીહરિ

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે,
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા,
હા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,
વિવિધ રચના કરી, અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે.
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
કનક-કુંડળ વિષે ભેદ નો’થૈ,
ઘાટ ઘડિયા પછી,નામ રૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે..
ગ્રથ ગરબડ કરી, વાત ન કરી ખરી,
જેને જે ગંમે તેને પૂજે,
મન કર્મ. વચનથી આપ માની લહે,
સત્ય છે. એ જ મન એમ સૂઝે.
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરે એ જ પાસે,
ભણે નરસૈયો એ મન તણી શોધના
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.

સચરાચરમાં વ્યાપ્ત એક જ મા ચૈતન્યનું આ પદમાં નરસિંહે મહિમાગાન ગાયું છે, એટલું જ નહીં એક પછી એક નામ-રૂપના પડદા હટાવી તેને પ્રાણ થકીયે પાસે લાવી આપ્યું છે.

અખિલ બ્રહ્માંડમાં

આખાયે વિશ્વમાં આપણે શું જોઈએ છીએ? જુદાં જુદાં અનંત રૂપ. આ અત્યંત વિવિધ લાગતાં રૂપ પાછળ શું કોઈ એક જ તત્ત્વ રમતું હશે? માત્ર વિવિધતા હોત તો તેની પાછળ રમતા એક જ સુંદ૨ને પરખવાનું સહેલુ હતું. પણ આ વિવિધતા સાથે વિરોધ અને સંઘર્ષ પણ એવાં વણાયેલાં છે કે તેમાં એક જ પરમ તત્ત્વને વરી લેવાનું અશક્ય લાગે છે. આપણી સામે લીલા ઘાસનું મેદાન હિલોળા લે છે. પણ એ ઘાસની પત્તી ને ફૂલને ઘેટાં ચરી જાય છે. ઘેટાંને વાઘ ચૂંથી નાખે છે. અને વાઘની પાછળ બંદૂકની ગોળી વછૂટે છે. એ ગોળી પોતાના જાતભાઈ ૫૨ જ કોઈ છોડે એ વળી વધુ વસમી વાત. આમાં ‘એક તું શ્રીહર’ કહેતા જીભ ઊપડી શકતી નથી. અને છતાં આ બધી વિવિધતા, વિચિત્રતા અને વિરુદ્ધતા પાછળ એક જ તત્ત્વને જોઈ શકે તેનાં નેત્રો સ્થૂળ દૃષ્ટિથી ઉપર ઊઠે છે. તે માત્ર જગતના ઉપરના આચ્છાદન જેવા ચર્મને જ નહીં, પણ જીવનના મૂળમાં રહેલા મર્મને જુએ છે. ચર્મદૃષ્ટિ અને મર્મદૃષ્ટિ વચ્ચે આ ભેદ છે. પ્રેમનાં નેત્રો વિરૂપાતાની ને ભયંકરતાની બધી દીવાલો ભેદીને એક જ રસ-સ્વરૂપને નિષ્ફળી શકે છે. નરસિંહ મહેતા આવી જ માર્મિક દૃષ્ટિથી ગાઈ ઊઠ્યા છે : અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હિર.’

દેહમાં દેવ તું

દેહ તો કેટલા વિવિધ! પણ તેમાં રહેલું ચેતન એક. ‘તેજમાં તત્ત્વ તેજના રંગફુવારા તો ભાતભાતના, પણ એ તેજને તેજસ્વિતા આપનારું તત્ત્વ એક. ઉપનિષદ કહે છે ઃ તસ્ય ભાસા સીંમદ વિભાતિ.’ જેના પ્રકાશથી આ બધું પ્રકાશિત છે એ તત્ત્વ એક જ. ગીતાના શબ્દોમાં તે, ‘જ્યોતિષામપિ તજ્યોતિઃ’ જ્યોતિઓની પણ તે ૫૨મ જ્યોતિ. શૂન્યમાં, મહા અવકાશમાં જેમ રંગનો મેળો ભરાય છે તેમ સ્વરોની સહસ્રધારા પણ ઊછળી રહે છે. આ સ્વરોના ગુંજાર પાછળ પણ એક જ સૂર બજી રહ્યોછે : ‘તત્ત્વમસિ, તત્ત્વમસિ, તત્ત્વમસિ’. નરસિંહે એક પદમાં તે જ તું, તે જ તું’નું વેદગાન કર્યું જ છે.

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે

આનો એક આંતિરક અર્થ પણ છે. મન જ્યારે વિચારશૂન્ય બની જાય છે ત્યારે તેમાંથી સહજ પ્રજ્ઞાથી સભર વાણીનો જન્મ થાય છે. આ વાણીમાં સત્યનો પ્રકાશ હોય છે, ઋત, (Rhythm)નું સ્પંદન હોય છે. આવી વાણી એ જ વેદ. પછી તે વાણીનો ઉદ્ગગાતા ને તેનો, ઉચ્ચાર ગમે તે હોય. આવા વિવિધ શબ્દમાં વેદનું એકમ્ સત્’ વસી રહે છે. પણ આ દર્શન શું ત્યાં જ અટકી જાય છે? સ્થૂલ જગતની પાછળ એક જ સૂક્ષ્મ ચૈતન્યનું આ દર્શન વધુ સ્પષ્ટ, વધુ સઘન થતું જાય છે તેમ સ્થૂળ પણ જુદાઈના અંચળા ઉતારી નાખે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું’ - આ પંચ મહાભૂતની પાછળ કોઈ એક તત્ત્વ રમી રહે છે એમ શા માટે? અરે, આ પવન, પાણી, ભૂમિ પણ મારો ભગવાન જ છે. પ્રેમભક્તિનો રસ ઘૂંટાતો આવે છે. અને પછી તો પાત્ર પણ પ્રિયતમની રસઘન મૂર્તિ બની જાય છે. વેદના એક અપૂર્વ દર્શનને નરસિંહે આ પદમાં જેમનું તેમ આપી દીધું છે : વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વૈદિક મંત્ર છે : ‘વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠતિ એક:’ ‘વૃક્ષની જેમ આકાશમાં સ્થિર થઈ ઊભો છે તે એક.’ આખું આકાશ ભરીને આ કોના મહિમાની ડાળ-ડાળીઓ ફેલાઈ રહી છે? કોની ડાળીઓને છેડે નક્ષત્રોનાં ફૂલો ખીલી ઊઠ્યાં છે! કોની મધુગંધથી આ વિશ્વ મત્ત છે! સચરાચરને સભર ભરીને લીલી ઘટાથી સર્વને છાઈ રહ્યો છે આ કોણ? વેદમંત્ર આગળ કહે છે :