ભજનરસ/દવ તો લાગેલ
દવ તો લાગેલ ડુંગરિયે,
હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ,
આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,
સંસાર-સાગર મહાજળ ભરિયો, વહાલા,
બાઈ મીરાં કે’ પ્રભુ ગિરિધર નાગર,
આ ભજનમાં આવતા ‘ડુંગરિયે દવ’ વિશે પ્રશ્ન ઉઠાવવામાં છે કે તે ભગવદ્-વિરહનો દાવાનળ છે કે સંસારની અસારતાનો? આ ભજન વૈરાગ્યનું છે કે વિરહનું? ભજનમાં ઓધાજીને સંબોધન છે એ જ દર્શાવે છે કે કૃષ્ણ-વિરહમાં વ્રજની જે અવસ્થા થઈ છે એનું અહીં વર્ણન છે. ઉદ્ધવના જ્ઞાન સંદેશ સામે ગોપીઓના પ્રેમાનલની કથની જાણીતી છે. પણ જ્ઞાનાગ્નિ, વિરહાગ્નિ કે પ્રાણાગ્નિ જાગે છે ત્યારે એકસરખી જ સ્થિતિ થાય છે. જ્ઞાનાગ્નિમાં આત્મચિંતન, પ્રાણાગ્નિમાં શક્તિતત્ત્વ અને પ્રેમાગ્નિમાં ભગવદ્-સ્વરૂપ રાહાયક બને છે. વિરહમાં બધું ભસ્મીભૂત થઈ જાય ત્યારે એકમાત્ર અવલંબન ભગવાનનું સ્મરણ રહે છે. ‘કોને, કેમ કરીએ?’ એ પ્રશ્નમાં કેવી અસહાય આંખોનો પ્રાણપ્રશ્ન છે? જગદીશ વિના જગત સ્મશાન બની ગયું છે અને જગદીશને તો કાંઈ બળજબરીથી બોલાવી શકાતા નથી. ગૌરાંગનું કથન છે :
શૂન્યાયિતં જગત્ સવ ગોવિન્દવિરહેણ મે.
‘ગોવિન્દના વિરહથી સારુંયે જગત મને શૂન્ય ભાસે છે.’ તો પછી, હવે શું કરવું? એનો આ મનોમન પ્રલાપ :
કાહાં મોર પ્રાણનાથ મુરલીવદન?
કાહા રે કહિબ? બા જાને મોર દુઃખ?
મારા પ્રાણેશ્વર મુરલી મોહન ક્યાં છે? હું શું કરું? મને નંદલાલ ક્યાં મળે? કોને વાત કરું? કોણ મારું દુઃખ જાણશે? વ્રજલાલ વિના મારી છાતી ફાટી જાય છે.’ કૃષ્ણની વિદાય પછી વ્રજવાસીની જે સ્થિતિ થઈ તે ‘ડુંગરિયે દવ’માં વ્યક્ત થઈ છે. વનમાં આગ લાગે તો વનવાસી ડુંગર ૫ર ચડી પ્રાણ બચાવે. પણ ડુંગરા જ ભડકે બળવા લાગે તો? વ્રજનો એકમાત્ર આધાર અને આનંદ હતા કૃષ્ણ ગોપાલ. એ તો મથુરા ચાલ્યા ગયા. એ જતાં જાણે ડુંગરિયે દવ લાગી ગયો. ‘સૂરના હેમિયા’ને નામે જાણીતા દુહામાં આવો જ વાક્ય પ્રયોગ છે :
‘લાગેલ હત લા, તો આડા પડીને ય ઓલવત,
આ તો સળગી ગર્ય સગા, હેમિયા ડુંગર હૂકળ્યા.
જો અંગમાં લ્હાય લાગી હોત તો આડા પડી, આળોટીને તેને ઓલવી નાખત. પણ આ તો સમૂકી ગીર સળગી ઊઠી, હેમિયા, ડુંગર જ ભડભડ બળવા લાગ્યા.’ એક તો અસહ્ય અવસ્થા અને વળી એ પણ કેવી અસહાય?
હલવા જઈએ... બળી મરીએ
હવે પગલું માંડવા જેવી યે પગમાં શક્તિ નથી રહી. અને પગલું ભરવા જતાં સામે આગના ભડકા તરે છે. એમ પાછું બેસી શકાય એવું યે નથી રહ્યું. નઝીરે આવી હાલતનું વર્ણન કરતાં કહ્યું છે :
ના મેરે પંખ ના પાંવ બલ,
ઉડ ન સકું ગિર ગિર પડું
તો હવે ઉપાય શો? ઉગાર કઈ રીતે થાય? ઓધાજીને પૂછવામાં આવ્યું છે એમાં જ ક્યાંક ઓધવ જાણે છે તેનો સંકેત છે. ઓધવના મિત્રના હાથમાં જ આ દાવાનળ ઓલવવાનું રહ્યું છે. બીજાનું કામ નહીં. મીરાંની જેમ કબીરે પોતાની આગળ ઠાલવતાં કહ્યું છે :
દૌં લાગી સાઈર જલ્યા, પંખી બૈઠે આઈ,
દાધી દેહ ન પાલવૈ, સતગુરુ ગયા લગાઈ,
‘દવ લાગ્યો, જળાશય જલી ગયાં. પંખી આવીને બેઠાં છે આવા દવ વચ્ચે. દાઝી ગયેલ દેહ હવે પલ્લવિત નહિ થાય. સદ્ગુરુએ પોતે જ આગ લગાડી ત્યાં બીજું કોઈ શું કરી શકે?’
ન ગતિ, ન સ્થિતિ,
એક જ રહી છે શરણાગતિ.
આ રે વરતીએ... પાંખે અમે ફરીએ
ચિત્ત-વૃત્તિની ચાર ભૂમિકા છે : આવૃત્તિ, પ્રત્યાવૃત્તિ સમાવૃત્તિ અને પરાવૃત્તિ. આવૃત્તિમાં તો સંસારનો ચરખો ચાલ્યા કરે છે. એ આવર્તન, પરિભ્રમણ, લખચોરાશીના ફેરાનો પ્રદેશ છે. ભય અને પ્રલોભન તથા સુખ અને દુઃખના ચક્રાવાને લીધે ચિત્તમાં જે પ્રતિભાવ જન્મે, જે પ્રતિક્રિયા થાય તે પ્રત્યાવૃત્તિ. તેનાથી વળી નવો ફાળકો રચાય છે. જ્યારે મારું-તારું, રાગ-દ્વેષ, સુખ-દુઃખ સમાન બને ત્યારે આવે સમાવૃત્તિ અને ચિત્તની આવી સ્વચ્છ અને સુદૃઢ ભૂમિકા પરથી ચિત્ત ઉપર ઊઠે, ચિદાકાશમાં તરતું થવા માંડે એ પરાવૃત્તિ. ચિત્ત પરમતત્ત્વ, પરમાત્મા કે પુરુષોત્તમ ભણી અવિરત, અનાયાસ વહ્યા કરે એ પરાવૃત્તિ. બૌદ્ધ સાધના પરંપરામાં પણ આવરણોથી મુક્ત ચિત્તની જે શુદ્ધિ કે ‘વ્યપદાન’ કહેવામાં આવે છે તે પરાવૃત્તિ ગણાય છે. . મીરાં કહે છેઃ ‘આ રે વરતીએ નથી ઠેકાણું’ આવૃત્તિમાં, આવર્તન-પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો :