ભજનરસ/અગમ ભૂમિ દરશાયા

Revision as of 06:29, 15 May 2025 by MeghaBhavsar (talk | contribs)


અગમ ભૂમિ દરશાયા

અગમ ભૂમિ દરશાયા, સંતો, ઐસા અમર ઘર પાયા.
પૃથ્વી જલ તેજ અરુ વાયુ, ઔર ગગનકી છાંયા,
આપ આપનેે ઉલટા પરખ્યા, તુરીયાને ખેલ રચાયા.

કોન ઉપજે ને કોન વણસે, કોન તરે, કોન તારા?
જલ કા તોરિંગ જલસે ઉપજે, ફેર ન જલસે ન્યારા.-

ભરિયા કુંભ જલ હીં જલ કા, બાહર ભીતર પાની,
વણસ્યા કુંભ સમાણા જલ મેં બુઝત વિરલા જ્ઞાની-

હતા અથાહ થાહ સુધ પાઈ, સાયર લહેર સમાની,
ઢિમ્મર જાળ દોર કહા કરી, મીન ભયા જબ પાની-

બિન ગુરુજ્ઞાન કુંવા જિસ બાદલ, એળે જનમ ગુમાવે,
કહે કબીર ડુંગા કી સૈનાં, ગુંગા હું ગમ આવે-

ઐસા અમર ઘર પાયા, સંતો, અગમ ભૂમિ દરશાયા.

દૃષ્ટિ, વાણી, મન અને બુદ્ધિથી પર, ઇન્દ્રિયાતીત અને મનસાતીત ૫૨મ પદનો મર્મ કબીર આ ભજનમાં ખોલે છે. આ પરમ પદ અવિનાશી છે, મનુષ્યનું ‘અમર ઘર’ છે, શાશ્વત નિવાસસ્થાન છે. કબીરે આ ઘરનો પરિચય કરાવતાં એક સાખીમાં કહ્યું છે :

‘અગમ અગોચર ગમિ નહીં,
તહૌં જગમગે જ્યોતિ,
જહાઁ બીરા બંદિગી,
પાપ-પુન્ય નહીં છોતિ.

સામાન્ય બુદ્ધિને જેની સમજ નથી પડતી એવી એક પ્રજ્ઞાથી ઝળહળ થતી સ્થિતિ છે. ત્યાં નથી ભજન-કીર્તન, નથી પાપપુણ્ય કે નથી છૂતાછૂત. પૃથ્વી જલ.. ખેલ રચાયા. સૃષ્ટિક્રમ પ્રમાણે એક તત્ત્વમાંથી અનેકનો વિસ્તાર થાય છે. સંહારક્રમમાં અનેકનો એકમાં લય કરવો પડે છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીનો લય એટલે આ પંચતત્ત્વની તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ૫૨ વિજય. છેવટે શબ્દ, તન્માત્રાનો ગુંજાર-ઝંકાર અનાયાસ, અનાહત થાય છે ત્યારે વર્ણમાત્રનો નાદમાં લય થાય છે. આ નાદનો જ્યોતિબિંદુમાં અને જ્યોતિબિંદુનો પરમ તત્ત્વમાં લય થાય છે. એ જ અસલ ઘરની પ્રાપ્તિ. કબીરે આ અનુભવ એક પદમાં આ રીતે વ્યક્ત કર્યો છે :

પૃથ્વી કા ગુણ પાણી સોષ્યા,
પાણી તેજ મિલાવહિંગ,
તેજ પવન મિલિ, પવન સબદ મિલિ,
સહજ સમાધિ લગાવહિંગે.

આ ‘અગમ પંથ’ જીવતાં જ મરવાનો પંથ છે. પોતાને નામશેષ કરી નિત્ય અસ્તિત્વને, નિત્ય અભયપદને પામવાનો પંથ છે. કબીર વળી કહે છે :

આપ જૉનિ ઉલટિ લે આપ,
તૌ નહીં વ્યાપે તી તાપ.
અબ મન ઉલટિ સનાતન હૂવા,
તબ હમ જાનાં જીવતા મૂવા.
કહૈ કબીર સુખ સહજ સમાઊં,
આપ ન ડર, ન ઔર ડરાઉં.

શબ્દ-સાધનાની ઊલટી ગતિમાં આ મુખ્ય મુકામ આવે છે : મંત્રજાપ, માતૃકા-લય (વર્ણન્યાસ), નાદશ્રવણ, નાદાન્તે જ્યોતિ-દર્શન, જ્યોતિનો પરમ તત્ત્વમાં લય, પરમ તત્ત્વનો ‘બાહર ભીતર સકલ નિરંતર સાક્ષાત્કાર.’ ‘આપ આપનેં ઉલટા પરખ્યા’ એટલે દેહભાવને પલટાવી આત્મભાવમાં પોતાનો સાચો પરિચય પામવો. જ્યારે બહાર-ભીતર સમત્વનો સૂર બજી ઊઠે ત્યારે ‘તુરીયાને ખેલ રચાયા’નો મર્મ હાથમાં આવે. તૂરીયા અખંડ જાગૃતિની અવસ્થા છે. જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે ખંડ-દર્શનની અવસ્થા છે. જાગૃતિ વખતે પણ મન રજોગુણ-તમોગુણમાં અટવાયેલું હોય તો તેને જાગ્રત ન કહી શકાય. તૂરીયા, ચોથી અવસ્થામાં આ ત્રણે અવસ્થાને ભેદતો ચૈતન્યનો સજગ તાર હોય છે. આ ચોથા ઘરમાં પ્રવેશ કર્યા વિના વૈષ્ણવી માયાનો ઉચ્છેદ થતો નથી. કબીરે કહ્યું છે :

તિન લોક પર ચોથા દેશા,
ચોથે ઘર મેં કિયા પ્રવેશા,
તાકા ખોજ કરો જન કોઈ,
રૂદિયા કમલ વિચારી જોઈ.

હૃદય-ગ્રંથિનો ભેદ થતાં માયાસૃષ્ટિ વિલીન થાય છે અને ભગવદ્-લીલા અનુભવી શકાય છે. તૂરીયાનો આ ખેલ અખંડ ચૈતન્યનો વિલાસ છે. કોન ઉપજે... જલસે ન્યારા. પિંડ અને બ્રહ્માંડનો વિચાર કરતાં કોની ઉત્પત્તિ, કોનો વિનાશ, કોણ પાર ઊતરે ને કોણ પાર ઉતારે—આ ખોજનો અંત એક જ અખંડ અસ્તિત્વની પ્રાપ્તિમાં આવે છે. જળનો તરંગ જેમ જળથી જુદો નથી એમ આ જગતનાં વિવિધ, વિરોધાભાસી અને વિનાશશીલ પરિબળો એક જ પરમ તત્ત્વનો ખેલ છે. જગદીશ જગતથી જુદો નથી. આત્મા ૫રમાત્માથી ન્યારો નથી. કબીર કહે છે :

જૈસે જલહિ તરંગ તરંગની
ઐસે હમ દિખલાંવહિંગ,
કહે ક્બીર સ્વામી સુખસાગર
હંસહિ ભેંસ મિલાવહિંગે.

જીવ જ્યારે પોતાના શિવત્વને પામે ત્યારે જ તેની પાંખોને વિશ્રામ મળે અને આંખોને નિત્યનું આનંદધામ. ભરિયા કુંભ... વિરલા જ્ઞાની. જળથી ભરેલો કુંભ જળમાં રાખ્યો હોય તો તેની અંદર તેમ જ બહાર પાણી જ પાણી હોય છે તેમ માટીના કુંભ સમા મનુષ્યની અંદર-બહાર એકમાત્ર પરમાત્મા સચરાચર સભર ભર્યો છે. અને કુંભ ભાંગી જતાં તે જળમાં સમાઈ જાય છે તેમ દેહનો નાશ થતાં મનુષ્ય ૫રમાત્મામાં જ વિલય પામે છે. પણ આ સત્ય કોઈ વિરલ અનુભવી જનો પામી શકે છે. એકને જીવનમુક્તિ કહેવામાં આવે છે, બીજીને વિદેહમુક્તિ હતા અથાહ... જબ-પાની. કેવો અતાગ, અગાધ, કોયડો હતો? કેવું અચિંત્ય ગહન રહસ્ય હતું? કોટિ જન્મે પણ જેનો પાર ન આવે એમ લાગતું હતું તે મોજું ઊછળીને સાગરમાં સમાઈ જાય એમ પલક વારમાં ૫રખાઈ ગયું, ‘હું’નો લય થતાં જીવન અને મૃત્યુનો કોયડો ઊકલી ગયો. માછલી પોતે જ જ્યારે પાણીરૂપ બની ગઈ ત્યારે માછીમાર ને તેની જાળનું જોર ક્યાં રહ્યું? હવે મૃત્યુ કે માયાભાસ જેવું કાંઈ જ રહ્યું નહીં. એક અનંત મહસાગર વિલસી રહ્યો ચોપાસ. માછલી પોતાનું અલગ અસ્તિત્વ મિટાવીન જળરૂપ ક્યારે બની જાય? કબીરની સાખે :

‘સુરત કી બરછી સે મછલા પરોયા,
અગમપંથ ઘર જોયા હો,
ધન્ય ગુરુ જેણે અલખ લખાયા
ધન્ય કબીર જશ ગાયા હો.

શ્વાસ-ઉચ્છ્વાસ રૂપી માછલાંને જ મૃત્યુનો ભય છે ને? તે જ્યારે સુરત-તલ્લીનતાથી પરમાત્મામાં પરોવાઈ જાય ત્યારે મૃત્યુ કોને મારે? માછલીનું મૂળમાં રૂપાંતર, પ્રાણનું પરમાત્મામાં વિલીનીકરણ એ જ સહુ સાધન-ભજનનો સાર છે. બિન ગુરુજ્ઞાન... ગમ આવે. અગમપંથના અનુભવી પાસેથી પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યા વિના મનુષ્ય ધુમાડાનાં વાદળ જેવું નિરર્થક, નીરસ જીવન વિતાવે છે. વળી આ જ્ઞાન વાણીમાં આવી શકાતું નથી. ભૂંગે ગોળ ખાધા જેવી વાત છે. ગોળનો . સ્વાદ કેવો છે, એ કેમ કરી સમજાવે? મૌનથી સાંભળવાની અને મૌનથી સમવાની આ સમસ્યા છે. અહીં ‘બૈન’ – વાણી કામ નથી કરતી. ‘સૈન’ એટલે કે સંકેતમાં બધું જ સમજાઈ જાય છે. કબીરના વિંધાયેલા પ્રાણનો પુકારઃ

ગૂંગા હૂવા બાવરા, બહરા હવા કાન,
પાઊંથે પંગુલ ભયા, સતગુરુ માર્યા બાણ.