ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/કરીમ મહમદ માસ્તર

Revision as of 14:33, 3 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કરીમ મહમદ માસ્તર
(એમ. એ; એલ એલ. બી; એસ. ટી. સી. ડી.)

એઓ જાતે સુન્ની વ્હોરા-મુસલમાન કોમના છે; મૂળ વતની ઉમરેઠના અને જન્મ તા. ૧૮ મી ઑગષ્ટ ૧૮૮૪ ના રોજ એજ સ્થળે થયો હતો. એમના પિતાનું નામ મહમદ ઇબ્રાહીમ છે, જેઓ મહમદ માસ્તરના નામથી આખા જીલ્લામાં સુપ્રસિદ્ધ છે. લાંબા સમય સુધી તેઓ ડાકોર મ્યુનિસિપાલેટીમાં સેક્રેટરી હતા અને હમણાં ડાકોરમાં શ્રી રણછોડરાયજીના મંદિરનાં મકાનોનાં બાંધકામની દેખરેખ રાખે છે. પોતે મુસલમાન હોવા છતાં હિન્દુઓમાં પૂરેપૂરા ભળી ગયેલા છે; અને તેમની સાથે તેમનો ભાઈચારો પણ ખૂબ છે; તેથી જ્યાં જ્યાં તેઓ નોેકરીએ રહ્યા છે, ત્યાં ત્યાં સૌની પ્રીતિ સંપાદન કરેલી છે અને સારી નામના મેળવેલી છે, કેળવણીનો જે લાભ પોતે જોયેલો તેનાં મિષ્ટ ફળ પુત્રને પણ પૂરાં મળે એવી તેમણે શરૂઆતથી તજવીજ કરેલી. ભાઇશ્રી કરીમ, એમ. એ. એલ એલ. બી. ની ઉંચી માનવંતી ડીગ્રીઓ મેળવવા શક્તિમાન થયલા છે, તેમાં એમના પિતાને યશ થોડો નથી; અને પોતાને જે લાભ મળ્યો છે તે ભાઈ કરીમે પોતાના પુત્ર ઈબ્રાહીમને અહીં બી. એ. બનાવી સિવિલ સર્વિસ માટે ઇંગ્લાંડ મોકલી આપી, પિતાની જેમ પિતાનું કર્તવ્ય અદા કર્યું હતું. તે પુત્ર લંડન સ્કૂલ ઑફ ઇકોનોમીકસના બી. એસ. સી. તથા બારીસ્ટર-એટ-લૉ થઈ પાછા આવી ગયા છે. પ્રાથમિક અને શરૂઆતનું માધ્યમિક શિક્ષણ તેમણે ઉમરેઠમાં લીધેલું. પછી નડિયાદ હાઈસ્કુલમાં દાખલ થયલા, ત્યાં તેમને કાઝી શાહબુદ્દીન સ્કોલરશીપ મળી હતી. સન ૧૯૦૦ માં મેટ્રીક થયા બાદ તેઓ ગુજરાત-કૉલેજમાં જોડાયેલા. અહિંથી સન ૧૯૦૪ માં બી. એ., ની પરીક્ષા પાસ કરેલી; અને સન ૧૯૦૫ માં દક્ષિણા ફેલો નિમાયલા. સન ૧૯૦૬ માં સ્ટાઇપેન્ડરી સ્કોલર તરીકે સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાં જોડાયલા અને એસ, ટી. સી. ડી ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયલા. તે પછી કેટલોક સમય એલ્ફીન્સ્ટન હાઈસ્કુલમાં આસિ. માસ્તર, અને જુનાગઢ હાઈસ્કુલમાં હેડમાસ્તર તરીકે કામ કરેલું; પણ પાછળથી કાયદાની પરીક્ષા પાસ કરતાં, તેઓ પ્રોસિકયુટીંગ ઇન્સ્પેક્ટર નિમાયલા અને લગભગ સાત વર્ષ સુધી તે કામ કરેલું. પણ એ લાઈન અનુકૂળ ન થવાથી, પાછી સ્વતંત્ર રીતે વકીલાત કરવા માંડી હતી. સન ૧૯૨૮ માં તેમની રાધનપુર રાજ્યમાં જ્યુડિશિયલ ખાતામાં આસિસ્ટંટ ટુ ધિ દિવાન તરીકે નિમણુંક થતાં, તેઓ ત્યાં ગયલા અને હમણાં તેઓ જુનાગઢ રાજ્યમાં સદર અદાલતના જડજના ઓદ્ધા પર છે. આ પ્રમાણે કેળણીખાતું, પોલીસખાતું, વકીલાત અને ન્યાયખાતામાં ફેરફારી થતી રહી; છતાં ગુજરાતી સાહિત્ય પ્રતિ એમનું મમત્વ કાયમ રહ્યું છે, તે એમની છેલ્લી કૃતિ ‘ઇસ્લામની ઓળખ’ પરથી જોઇ શકાશે. કેળવણી ખાતામાં હતા ત્યારે શ્રીયુત હિંમતલાલ અંજારિયાની સાથે તેમણે ‘કવિતા પ્રવેશ’ એ નામનું એક પુસ્તક પ્રસિદ્ધ કરેલું; અને તે સેકન્ડરી સ્કૂલ્સમાં ગુજરાતીના અભ્યાસ માટે ટેકસ્ટ બુક તરીકે પસંદ થઈ તેનો બહોળો પ્રચાર થયો હતો. લંડનની સ્કૂલ ઑફ ઓરીઅન્ટલ સ્ટડીઝમાં ગુજરાતીના અભ્યાસ માટે પણ ટેકસ્ટબુક હતી. વળી મુસલમાન વકફ ઍકટ (૧૯૨૫) એમણે ગુજરાતીમાં ટીકા સાથે પ્રસિદ્ધ કરેલો છે (સન ૧૯૨૭). મુંબાઇ ગેઝીટીઅરના પુસ્તક ૯ મુસલમાન જાતિવિભાગને ગુજરાતીમાં ઉતારેલો છે; પણ બીજા વ્યવસાયમાં પડવાથી તે છપાવી શક્યા નથી. મુસલમાન બંધુઓમાં ઉંચી કોટીના જે વિદ્વાન લેખકો છે, તેમાં એમનું નામ આગળ પડતું અને જાણીતું છે. દિલગીરી માત્ર એ રહ્યા કરે છે કે પોતાની શક્તિ, વાચન અને અભ્યાસનો લાભ આપણને તેમના તરફથી પુરતા પ્રમાણમાં મળતો નથી. તેઓ કેવું સરસ લખી શકે છે, તેની નમુના તરીકે ‘ઈસ્લામની ઓળખ’નો પરિચય બસ થશે. મુસલમાની રીતભાત, ધર્મ, ઇતિહાસ અને સાહિત્ય પર તેઓ ઈચ્છે તે ઘણો સારો પ્રકાશ પાડી શકે એમ છે.

૧. An Analysis of Ingram’s History of સન ૧૯૦૮

Political Economy.

૨. કવિતા પ્રવેશ " ૧૯૦૯ ૩. મુસલમાન વકફ ઍક્ટ (૧૯૨૫) " ૧૯૨૭ ૪. ઇસ્લામની ઓળખ " ૧૯૨૮

: : એમના ગ્રંથો : :

૧. An Analysis of Ingram’s History of Political Economy. સન ૧૯૦૮
૨. કવિતા પ્રવેશ  ”  ૧૯૦૯
૩. મુસલમાન વકફ ઍક્ટ (૧૯૨૫)  ”  ૧૯૨૭
૪. ઇસ્લામની ઓળખ  ”  ૧૯૨૮