ચિત્તવિચારસંવાદ/પારિભાષિક અને પૌરાણિક કોશ

From Ekatra Foundation
Revision as of 03:00, 5 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ખ. પારિભાષિક અને પૌરાણિક કોશ

અઢારસિદ્ધિ અને તેનાં અંગ જુઓ સિદ્ધિ

અઢાર પુરાણ જુઓ પુરાણ

અણલિંગી – તર્કની પરિભાષામાં લિંગ એટલે હેતુ અને લિંગ=સાધ્ય. હેતુ વડે સાધ્યનું અનુમાન થાય. જેમકે, ધુમાડાથી અગ્નિનું અનુમાન થાય. અહીં ધુમાડો તે લિંગ અને લિંગી તે અગ્નિ. જેનું લિંગ વડે અનુમાન ન થઈ શકે એવું એટલે કે તર્કાતીત તત્ત્વ તે અણલિંગી. આ રીતે જ્ઞાનમાર્ગમાં બ્રહ્મ અણલિંગી ગણાય.
વેદાંત ચાર પ્રકારનાં લિંગ વર્ણવે છે. ભોગલિંગ (ઇષ્ટલિંગ), યોગલિંગ (પ્રાણલિંગ), જ્ઞાનલિંગ (ભાવલિંગ), મોક્ષલિંગ. આ ચાર વસ્તુતઃ ચૈતન્યની જુદીજુદી અવસ્થાઓ છે. આ બધી લિંગ-અવસ્થાઓથી પર એવી જે બ્રાહ્મીઅવસ્થા તે અણલિંગી અવસ્થા. અખાજી અણલિંગી શબ્દ આ અવસ્થાને સૂચવવા તેમ એ અવસ્થાએ પહોંચેલા બ્રહ્મનિષ્ઠ જ્ઞાનીનો નિર્દેશ કરવા પણ યોજે છે. અહીં કડી ૩૯૯માં ‘જ્ઞાની’નો અર્થ છે તો કડી ૪૦૪માં ‘બ્રહ્મ’ એવો અર્થ છે. છપ્પામાં પણ આ શબ્દ અનેક સ્થાને વપરાયેલો છે.

અધ્યાસ – વસ્તુનું અન્યરૂપે ભાસવું તે, જેમાં જે ન હોય તેમાં તે પદાર્થની બુદ્ધિ થવી તે. જેમકે, છીપમાં ચાંદીનો ભાસ થયો. આત્માનો દેહમાં ભાસ થવો એટલે કે દેહ, ઇન્દ્રિયો વગેરેમાં હું અને મારું એવી બુદ્ધિ થવી વગેરે.

અપંચીકરણ જુઓ પંચીકરણ

અવતાર – (બે પરંપરા મળે છે. કુલ ૨૪ છે) ૧. સનક, સનંદન, સનત્‌કુમાર; ૨. વરાહ; ૩, યજ્ઞપુરુષ; ૪. હયગ્રીવ; ૫. નારાયણ; ૬. કપિલમુનિ; ૭. દત્તાત્રેય; ૮. ઋષભદેવ; ૯. પૃથુરાજા; ૧૦. મચ્છાવતાર; ૧૧, કચ્છપ; ૧૨. ધન્વંતરિ; ૧૩. મોહિનીરૂપ; ૧૪. નૃસિંહ; ૧૫, વામન; ૧૬. હંસપક્ષી; ૧૭. નારાયણ; ૧૮. હરિ; ૧૯, પરશુરામ; ૨૦. રામ; ૨૧, વેદવ્યાસ; ૨૨. કૃષ્ણ; ૨૩, બુદ્ધાવતાર; ૨૪. કલ્કિ.
બીજી પરંપરા
૧. નારાયણ; ૨. શૌનક; ૩. નારદ; ૪. સ્વયંભૂ; ૫. વરાહ; ૬. કપિલમુનિ; ૭. દત્તાત્રેય; ૮. ઋષભદેવ; ૯. હંસાવતાર; ૧૦, હયગ્રીવ; ૧૧. પૃથુરાજા; ૧૨. ધ્રુવ; ૧૩. નરસિંહ; ૧૪. મત્સ્ય; ૧૫. કૂર્મ; ૧૬. વામન; ૧૭, ધન્વંતરી; ૧૮. મોહિની, ૧૯, પરશુરામ; ૨૦, રામ; ૨૧. કૃષ્ણ; ૨૨, બૌદ્ધ; ૨૩, કલ્કિ; ૨૪ વ્યાસ.

અષ્ટસિદ્ધિ જુઓ સિદ્ધિ

અસંભાવના – બ્રહ્મ છે અથવા નથી. જીવ અને બ્રહ્મ એક જ છે કે ભિન્ન છે; એવા સંશયને અસંભાવના કહે છે.

ઇન્દ્રિય(જ્ઞાનેન્દ્રિય) – શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીભ, ઘ્રાણ, મન.

ઈશ્વર – જુઓ આ પૂર્વે પૃ. ૮૪ તથા જુઓ હિરણ્યગર્ભ.

ઉપનિષદ્‌ – પરં સત્યની નજીક લઈ જનારું શાસ્ત્ર. જેમાં વેદનું રહસ્ય રહેલું છે તે શાસ્ત્ર. આવા ઘણા ઉપનિષદો પ્રાપ્ત છે.

ઉપાધિ – જે વસ્તુ મૂળ વસ્તુમાં સ્વભાવે કરીને ન હોય, છતાં તેમાં દાખલ થઈને અથવા તેની સાથે જોડાઈને તે મૂળ વસ્તુને જુદા જ રૂપે દેખાડે તે.

કલા (૬૪) – ૧. ગીત; ર, વાદ્ય; ૩. નૃત્ય; ૪. નાટ્ય; ૫. આલેખ્ય (ચિત્ર-રચના); ૬. વિશેષકચ્છેદ્ય (તિલક કરવાનો સંચો બનાવવો); ૭, તંડુલ-કુસુમાવલિવિકાર (ચોખા અને ફૂલનો ચોક પૂરવો); ૯. પુષ્પાસ્તરણ (ફૂલોની સેજ બનાવવી); ૮. દશનવસનાંગરાગ; ૧૦. મણિભૂમિકાકર્મ (ઋતુ અનુસાર ઘર શણગારવું); ૧૧. શયનરચનાઃ ૧૨. ઉદકવાદ્ય (જલતરંગ વગાડવું); ૧૩, ઉદકઘાત (જલક્રીડા કે પિચકારી મારવી); ૧૪, ચિત્રયોગ (અવસ્થાપરિવર્તન, વૃદ્ધને જુવાન બનાવવા વગેરે); ૧૫. માલ્યગ્રંથવિકલ્પ; ૧૬. કેશશેખરાપીડયોજના (વાળમાં ફૂલ ગૂંથવાં કે મુકુટ બનાવવો); ૧૭, નેપથ્યયોગ (દેશકાલાનુસાર વસ્ત્રાભૂષણ સજવાં); ૧૮. કર્ણપત્રભંગ (પાન વગેરેમાંથી કર્ણફૂલ બનાવવાં); ૧૯, ગંધયુક્તિ (સુગંધી પદાર્થો બનાવવા); ૨૦. ઇંદ્રજાલ (જાદુ); ૨૧. કૌચુમારયોગ (કદરૂપાને સુંદર બનાવવું); ૨૨. ભૂષણયોજના; ૨૩, હસ્તલાઘવ (હાથચાલાકી); ૨૪. ચિત્રશાકાપૂપ ભક્ષ્ય વિકાર ક્રિયા (જાતજાતના ખાદ્ય પદાર્થ બનાવવા).; ૨૫. પાનક રસ-રાગાસવ-યોજન (પેયો તૈયાર કરવાં); ૨૬. સૂચીકર્મ (સીવર્ણ); ૨૭, સૂત્રકર્મ (વેલબુટ્ટીનાં ભરત); ૨૮. પ્રેહેલિકા (સમસ્યા); ૨૯, પ્રતિમાલા (અંત્યાક્ષરી); ૩૦. દુર્વાચયોગ (કઠિન શબ્દના અર્થ કરવા); ૩૧. પુસ્તકવાચન; ૩૨. કાવ્યસમસ્યાપૂર્તિ (પાદપૂર્તિ); ૩૩ પટ્ટિકાવેત્રગણવિકલ્પ (દોરી કે નેતરથી ભરવું); ૩૪. નાટિકાખ્યાયિકાદર્શન; ૩૫. તર્કુકર્મ (ચરખો કાંતવો); ૩૬. તક્ષણ (સુતાર કે કડિયાનું કામ); ૩૭. વાસ્તુવિદ્યા; ૩૮. રૌપ્યરત્નપરીક્ષા; ૩૯. ધાતુવાદ (ધાતુ શુદ્ધ કરવી); ૪૦. મણિરાગજ્ઞાન; ૪૧. આકારજ્ઞાન (ખાણની વિદ્યા); ૪૨. વૃક્ષાયુર્વેદયોગ (ઉપવન તૈયાર કરવાની વિદ્યા); ૪૩. મેષકુકકુટ લાવકયુદ્ધવિધિ; ૪૪. શુકસારિકાપ્રલાવન (પોપટ-મેના પઢાવવાં); ૪૫. ઉત્સાદન (માલિશ); ૪૬. અક્ષરમુષ્ટિકાકથન (કરપલ્લવી); ૪૭. કેશમાર્જન; ૪૮. મ્લેચ્છિતકલાવિકલ્પ (વિદેશી ભાષાજ્ઞાન); ૪૯. દેશી ભાષાજ્ઞાન; ૫૦. પુષ્પ શકટિકાનિમિત્તજ્ઞાન (પ્રાકૃતિક ઘટનાઓને આધારે ભવિષ્ય જાણવું); ૫૧. યંત્રમાતૃકા (યંત્રનિર્માણ); ૫૨. ધારણમાતૃકા; ૫૩. સંપાઠ્ય (બીજાને સાંભળી તે પ્રમાણે બોલવું-ગાવું); ૫૪. માનસી કાવ્યક્રિયા (શીઘ્રકવિત્વ); ૫૫. ક્રિયાવિકલ્પ (વસ્તુ કે ક્રિયાનો પ્રભાવ બદલવો); ૫૬. છલિતકયોગ (ધૂર્તતા); ૫૭. અભિધાનકોશ, છંદોજ્ઞાન; ૫૮. વસ્ત્રગોપન (ફાટેલાં વસ્ત્ર સીવેલાં ન દેખાડવાની કળા); ૫૯. દ્યુતવિશેષ; ૬૦. આકર્ષણક્રીડા (પાસા ફેંકવા વગેરે); ૬૧. બાલકક્રીડનક (બાળકોને રમાડવા); ૬૨. વૈનાયિકી વિદ્યાજ્ઞાન (શિષ્ટાચાર); ૬૩. વૈજયિકી વિદ્યાજ્ઞાન (જય મેળવવાની કળા); ૬૪. વૈતાલિકી વિદ્યાજ્ઞાન (રાગ, પાઘ, પરખ, નાડી, ન્યાય, તરવું, તંતરવું અને ચોરી કરવી) અથવા વ્યાયામ વિદ્યાજ્ઞાન.

ખંડ – (ખંડ નવ છે) પૃથ્વીના : ઇલાવૃત, ભદ્રાશ્વ, હરિવર્ષ, કિંપુરુષ, કેતુમાલ, રમ્યક, ભરત, હિરણ્યમય, ઉત્તરકુરુ; અથવા ભરત, વૃત્ત, રમ્ય, દ્રવ્યમાલ, કેપૂમાલ, હરિ, વિધિમાલ, હર્ણ સુવર્ણ;
અથવા ઇંદ્રદ્વીપ, કસેર, તામ્રપર્ણ, ગભસ્તિમાન, નાગ, સૌમ્ય, ગંધર્વ, વારુણ, ભરત.

ખાણ (ચાર) – ઉત્પત્તિસ્થાન (અહીં) જીવયોનિ – જે ચાર પ્રકારની છે. ૧. જરાયુજ ૨. અંડજ ૩, ઉદ્‌ભિજ્જ ૪. સ્વેદજ

ચાર ખાણ જુઓ ખાણ
ચિત્ત – જુઓ આ પૂર્વે પૃ. ૫૦

ચિદ્‌ – જુઓ આ પૂર્વે પૃ. ૫૦

ચોરાસી લાખ (જીવયોનિ) જુઓ જીવયોનિ

ચોવીસ અવતાર જુઓ અવતાર

સોચઠ કલા જુઓ કલા

ચૌદ લોક જુઓ લોક

ચૌદ વિદ્યા જુઓ વિદ્યા

છ ઇન્દ્રિય જુઓ ઇન્દ્રિય

છ જ્ઞાન જુઓ જ્ઞાન

છ વિષય જુઓ વિષય

જીવયોનિ – (૮૪ લાખ) ૯ લાખ જલચર, ૧૦ લાખ પક્ષી, ૧૧ લાખ કૃમિ, ૨૦ લાખ પશુ, ૩૦ લાખ સ્થાવર, ૪ લાખ મનુષ્ય

જ્ઞાન (છ) – છ વિષયોના છ ઇન્દ્રિયજ્ઞાન જુઓ વિષય

દર્શન (ષટ્‌) – તત્ત્વવિચારના માર્ગો – પદ્ધતિઓ અથવા મત – ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત

દ્વીપ (સપ્ત) – જંબુદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલ્મલીદ્વીપ, કુશદ્વીપ, ક્રૌંચદ્વીપ, શાકદ્વીપ, પુષ્કરદ્વીપ

ધોતી (ધૌતી) – હઠયોગની ષટ્‌કર્મવિધિ પૈકીની એક. શરીરનાં આંતરડાં વગેરે અવયવો સ્વચ્છ કરવા આ ક્રિયા કરવામાં આવે છે. જલધૌતી, વાસધૌતી, દંડધૌતી એના મુખ્ય પ્રકાર.

જલધૌતી : એમાં આકંઠ પાણી પીને ઓકી કાઢવામાં આવે છે. શરીરના કફ કે પિત્તના વિકારો એનાથી નષ્ટ થાય છે.

વાસધૌતી : એમાં વસ્ત્રની લાંબી પટ્ટી જુદાજુદા માર્ગે દાખલ કરી બહાર કાઢવામાં આવે છે. એનાથી કાસ-શ્વાસના દોષ નષ્ટ થાય છે.

દંડધૌતી : એમાં કેળની કે હળદરના પાનની દાંડી પેટમાં નાખીને હળવે હળવે બહાર કાઢવામાં આવે છે. આનાથી હૃદયરોગ નષ્ટ થાય છે. હવે રબરની નળીનો ઉપયોગ થાય છે.
અંતધૌતી, દંતધૌતી, હૃદયધૌતી, મૂલશોધન ધૌતી એવા પણ પ્રકાર.

નવ ખંડ જુઓ ખંડ

નવધા ભક્તિ જુઓ ભક્તિ

નોલી (નૌલી) – હઠયોગની ષટ્‌કર્મવિધિ પૈકીની એક. બંને ઢીંચણ પર હાથ મૂકીને બંને ખભા નમાવીને પેટ ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુ હલાવવાનું. ધેરંડ મુનિએ આને લૌલિકી યોગ કહ્યો છે. નૌલીથી દીપન અને પાચન સારું થાય છે. વાતાદિ વિકારો દૂર થાય છે. પંચીકરણ – આકાશ વગેરે પંચભૂતોના એક એકના પાંચ ભાગ કરી તે પચીસ ભાગનું અમુક પ્રમાણમાં મિશ્રણ કરવું તે, પાંચે ભૂતોનું પંચભૂતાત્મક કરવું તે પંચીકરણ. પંચીકરણથી સૃષ્ટિની રચના થાય છે.

પુરાણ (અઢાર) – પ્રાચીન દેવકથા અને મનુષ્યકથા જેમાં આપેલી હોય તેવું પુસ્તક. મત્સ્ય, કૂર્મ, લિંગ, શિવ, સ્કન્દ, અગ્નિ, વિષ્ણુ, નારદ, ભાગવત, ગરુડ, પદ્મ, બ્રહ્માંડ, બ્રહ્મવૈવર્ત, માર્કણ્ડ, ભવિષ્ય, વામન, વાયુ અને બ્રહ્મ.

પુરુષ – જુઓ આ પૂર્વે પૃ. ૨૨

પ્રકૃતિ – જુએ આ પૂર્વે પૃ. ૨૨

ભક્તિ (નવધા) – ભક્તિના નવ પ્રકાર આ પ્રમાણે છે : શ્રવણ, વંદન, કીર્તન, પાદસેવન, અર્ચન, સ્મરણ, દાસત્વ, સંખ્ય અને આત્મનિવેદન; ઉપરની નવ પ્રકારની ભક્તિના અધિકારીના ચિત્તના સ્વરૂપને આધારે ત્રણ ભેદ પડે છે : (૧) સાત્ત્વિક (૨) રાજસ (૩) તામસ. સાત્ત્વિક મનુષ્ય પ્રભુભક્તિ ત્રણ પ્રયોજન અર્થે કરે છે : કર્મના ક્ષયને અર્થે, પ્રભુની પ્રીતિ મેળવવા અર્થે, ઈશ્વર ભજનીય છે એવા વિધિવાક્યને વશ વર્તવા અર્થે.
રાજસ મનુષ્ય પ્રભુભક્તિ ત્રણ હેતુ સિદ્ધ કરવા કરે છે : ઇષ્ટ વિષયની પ્રાપ્તિ અર્થે, યશને અર્થે, ઐશ્વર્યને અર્થે.
તામસી મનુષ્ય પ્રભુભક્તિ ત્રણ પ્રેયોજન અર્થે કરે છે : અનિષ્ટ પ્રાણીની હિંસા અર્થે, દંભને અર્થે, માત્સર્ય વડે અથવા પોતાની બીજા કરતાં સરસાઈ કરવા અર્થે.
આ ભેદોને નવ પ્રકાર સાથે મેળવતાં ૯x૯ = ૮૧ ભક્તિ થાય છે. આ સર્વ પ્રકારે અપરા ભક્તિના છે. બ્યાસીમી ભક્તિ પરા અથવા સહજા રતિ રૂપ છે, અને તે પરમેશ્વરના આનંદસ્વરૂપ સાથે અખંડ જોડાયેલા રહેવાની ઉત્કટ ભાવના છે. તેને અખંડ ‘વિરહવેદના’ તરીકે અખાજી ઘણે સ્થળે વર્ણવે છે.
જ્ઞાનમાર્ગમાં આ ૮૧ પ્રકારની ભક્તિનો સ્વીકાર નથી. આથી નિર્ગુણની ઉપાસનાને જ્ઞાનમાર્ગીઓ બ્યાસીમી ભક્તિ કહે છે.

લંબક – આ સંજ્ઞા યોગસાધનામાં જાણીતી નથી. એ દ્વારા ખેચરી મુદ્રાની પ્રક્રિયા અભિપ્રેત હોય એવો સંભવ છે. ખેચરી મુદ્રામાં પદ્માસન કરીને દૃષ્ટિ ભવાંના મધ્યમાં સ્થિર રાખીને જીભ ઊલટી કરીને અંદર પડજીભ તરફ લઈ જવામાં આવે છે. આ વસ્તુ સહજસાધ્ય નથી, તેથી જીભની લંબાઈ વધારવામાં આવે છે. જીભની લંબાઈ વધારવાના ઉપાયો : ૧. જીભ ખેંચતા રહેવું. ૨. જીભને મધ અને મરી લગાડવાં ૩. જીભની નીચેનો સાંધો કાપી નાખવો. ૪. લોખંડનો સળિયો લઈને દબાવીને જીભ વધારવી.
આ મુદ્રા સાધ્ય થતાં ક્ષુધાતૃષામાંથી મુક્તિ મળે છે અને દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે.

લોક (ચૌદ) – ૧. બુર્‌ ૨. ભુવર્‌ ૩. સ્વર્‌ ૪. મહર્‌ ૫. જન ૬. તપ ૭ બ્રહ્મ (આ સાત ઊર્ધ્વલોક); ૧. અતલ ૨. વિતલ ૩. સુતલ ૪. તલાતલ ૫. મહાતલ ૬. રસાતલ છ. પાતાલ (આ સાત અધોલોક)

વિદ્યા (ચૌદ) – ચાર વેદ, ૬ વેદાંગ, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર પુરાણ વિપરીત ભાવના – આત્મા દેહાદિ રૂપ છે. અથવા ‘જગત સત્ય છે’ એમ માનવું તે; વસ્તુના વાસ્તવિક સ્વરૂપનો ત્યાગ કરી તેના વિશે જુદા પ્રકારની બુદ્ધિ કરવી તે; મિથ્યા જ્ઞાન.

વિષય – (જ્ઞાનના છ વિષય) શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, (મનનો વિષય) સંકલ્પવિકલ્પ

વેદ – એ નામથી ઓળખાતાં અપૌરુષેય ગણાતાં શાસ્ત્ર. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ

શરીર જુઓ સ્થૂળ શરીર

ષટ્‌દર્શન જુઓ દર્શન

સપ્ત દ્વીપ જુએ દ્વીપ

સિદ્ધિ (અઢાર) ?
(અષ્ટ) યોગની અણિમા (નાના થવું), મહિમા (મોટા થવું), લઘિમા (હલકા થવું), ગરિમા (ભારે થવું), પ્રાપ્તિ (દૂરના પદાર્થને સ્પર્શ કરવો), પ્રાકામ્ય (ઇચ્છા મુજબ મેળવવું), ઈશિત્વ (શરીરને અંતઃકરણ પર પ્રભુત્વ), વશિત્વ (સર્વત્ર વશ વર્તનાર સામર્થ્ય).

સિદ્ધિનાં અંગ ?
સુષુપ્તિ અવસ્થા – સુષુપ્તિ અવસ્થા એટલે સ્વપ્ન વગર નિંદ્રાની અવસ્થા. વેદાંત દૃષ્ટિએ આ અજ્ઞાન અને સુખની અવસ્થા છે. બાહ્યજગતના વિષયો એમાં રહેતા નથી તેથી જીવ એ વિષયોનો જ્ઞાતા પણ રહેતો નથી. આ રીતે એ અજ્ઞાનની અવસ્થા છે. વિષયોને કારણે જન્મતા ક્લેશો નથી હોતા તેથી એ સુખની અવસ્થા છે. પરંતુ એ સાથે એમાં દેહભાન હોતું નથી પણ ચેતના તો હોય છે જેને કારણે માણસ જાગીને કહે છે કે મને ઘણી સારી ઊંઘ આવી એટલે આ આનંદમય આત્મસ્વરૂપની સ્થિતિ છે. વેદાંતની દૃષ્ટિએ સુષુપ્તિઅવસ્થા દેહમાં ન બંધાયેલા અનંત આત્મતત્ત્વનો સંકેત કરે છે એ દૃષ્ટિએ મહત્ત્વની છે.

સૂક્ષ્મ શરીર જુઓ સ્થૂળ શરીર.

સ્થૂળ શરીર – વેદાંતની દૃષ્ટિએ શરીર એટલે પૂર્વજન્મોનાં પુણ્યપાપરૂપી કર્મોથી બંધાયેલું સુખદુઃખના ભોગનું સ્થાન. સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એવા એના ત્રણ પ્રકાર છે. સ્થૂળ શરીર : પંચમહાભૂતનાં ૨૫ તત્ત્વોના સંઘાતથી બનેલું શરીર. તે જામત અવસ્થામાં કર્મફળ, વાસનાભેગ કરાવે છે.

સૂક્ષ્મ શરીર : સૂક્ષ્મ અથવા લિંગ શરીર. જે ૫ કર્મેન્દ્રિયો, ૫ જ્ઞાનેન્દ્રિયો, ૫ પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું બનેલું છે. એ માનસ અથવા ભાવના વડે ભોગવી શકાતા કર્મફળનો ભોગ કરે છે ને સ્વપ્ન અવસ્થામાં સવિશેષ પ્રગટ થાય છે.

કારણ શરીર : કારણ શરીર એટલે સ્થૂલ અને સૂક્ષ્મ શરીરના કારણરૂપ અવિદ્યા. એ ભૂમિકાએ જીવની બધી જ વાસનાઓ અને તેનાં પ્રારબ્ધાદિક કર્મો બીજરૂપે સુષુપ્તદશામાં રહે છે અને આ ભૂમિકા ગાઢ નિદ્રામાં વિશેષ સવિશેષ પ્રગટ થાય છે.

હિરણ્યગર્ભ – વેદાંત બ્રહ્મમાંથી માયા દ્વારા જગતની ઉત્પત્તિ સમજાવે છે. તેમાં ત્રણ તબક્કા માનેલા છે. બ્રહ્મ અવિકારી છે તેથી ખરેખર એમાંથી કશું ઉત્ક્રાંત થતું નથી. બધા વિકારો અને તેથી ઉત્ક્રાંતિ માયાનો વિષય છે. આ સર્જનશક્તિ માયા પહેલાં તો અવ્યક્ત હોય છે અને પછીથી સૂક્ષ્મતત્ત્વો રૂપે અને પછીથી સ્થૂલ તત્ત્વો રૂપે વ્યક્ત થાય છે. અવ્યકત માયાશક્તિને ધારણ કરનાર બ્રહ્મ તે ઈશ્વર કે કારણબ્રહ્મ કહેવાય છે એટલે કે સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં પણ સર્જનની ક્ષમતા ધરાવતી બ્રહ્મચૈતન્યની આ ભૂમિકા છે. માયા (જે બ્રહ્મની શક્તિ છે) જ્યારે સૂક્ષ્મજગતરૂપે પરિણમે છે ત્યારે બ્રહ્મચૈતન્યની એ ભૂમિકાને હિરણ્યગર્ભ, સૂત્રાત્મા, કાર્યબ્રહ્મ કહેવામાં આવે છે. એટલે કે હિરયગર્ભ તે બધા સૂક્ષ્મ તત્ત્વોનો સમુદાય છે. માયા જ્યારે સ્થૂલ તત્ત્વો રૂપે પરિણમે છે ત્યારે બ્રહ્મચૈતન્યને વૈશ્વાનર કે વિરાટ કહેવાય છે. એટલે કે વૈશ્વાનર તે સમગ્ર જીવસૃષ્ટિ સમેત પંચભૂતાત્મક સ્થૂલ પદાર્થોનો સમુદાય છે. આ રીતે ઈશ્વર, હિરણ્યગર્ભ અને વૈશ્વાનર એ સમષ્ટિચૈતન્યની ભૂમિકાઓ છે. તે જ ભૂમિકાઓ વ્યષ્ટિ ચૈતન્યમાં પણ હોય છે અને તે અનુક્રમે પ્રાજ્ઞ, તૈજસ અને વિશ્વને નામે ઓળખાય છે. સમષ્ટિ ચૈતન્ય તથા વ્યષ્ટિચૈતન્યની આ ભૂમિકાઓ અનુક્રમે સુષુપ્તિ, સ્વપ્ન અને જાગ્રત અવસ્થામાં વ્યક્ત થાય છે.