સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કુરબાન ઈદ

From Ekatra Foundation
Revision as of 15:11, 6 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કુરબાન ઈદ

સૈયદ અબુ ઝફર નદવી

મુસલમાનોના બે મોટા તહેવારો છે; એક રમજાન ઈદ અને બીજો કુરબાન ઈદ. રમજાન એક મહિનાનું નામ છે. તે મહિનામાં મુસલમાનો રોજા રાખે છે. એક મહિના બાદ જ્યારે આ રોજા ખતમ થાય છે ત્યારે મુસલમાનો ઈદનો તહેવાર પાળે છે, કારણ કે કુરાન પહેલવહેલાં આ મહિનામાં મહમ્મદ પેગમ્બર (સલઅમ)ને અર્પણ કરવામાં આવ્યું હતું. આ મહિનાના સવાબે માસ પછી બીજી ઈદ આવે છે. તેનું નામ કુરબાન ઈદ છે. ખરેખર, આ ઈદ યાદગીરી તરીકે માનવામાં આવે છે. તે વિષે કહેવાય છે કે, સિરિયામાં એક પેગમ્બર હતા જેનું નામ હજરત ઈબ્રાહિમ હતું. તેમની ઉંમર બહુ જ મોટી થઈ ગઈ હતી તેમ છતાં તેમને કંઈ સંતાન ન હતું. આથી તેમણે ખુદાની દુઆ માંગી. ખુદાએ તે કબૂલ કરી. ત્યાર પછી તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ તેમણે ઈસ્માઈલ રાખ્યું. પિતાના પ્યારનું શું પૂછવું? પુત્રને જોઈ જઈને તે બેહદ ખુશ થતા હતા. ઈસ્માઈલ જ્યારે મોટા થયા ત્યારે હજરત ઇબ્રાહિમે જાણે ખુદાએ તેમને સ્વપ્નમાં કહ્યું હોય તેમ સાંભળ્યું કે, ‘જે વસ્તુ સર્વથી પ્યારી હોય તે મારા નામ ઉપર કુરબાન કર.’ શરૂઆતમાં તેમણે તે ઉપર લક્ષ આપ્યું નહિ. લાગલાગટ ત્રણ રાત તે જ સ્વપ્ન તેમને આવવાથી તેમણે વિચાર કર્યો કે, ‘મારી સૌથી વહાલામાં વહાલી વસ્તુ તો મારો દીકરો ઇસ્માઈલ છે. ઈસ્માઈલની વય મોટી હતી, તેથી છેતરપિંડીથી તેની કુરબાની આપવાનું બની શકે એમ ન હતું. આ કારણથી પિતાએ પુત્રને કહ્યું કે, ‘મેં સ્વપ્નામાં જોયું કે ખુદા તારી કુરબાનીની માગણી કરે છે.’ દીકરાએ જવાબ આપ્યો કે, ‘જો ખુદાનો હુકમ હોય તો આપણે રાજી છીએ. જે હુકમ આપને આપવામાં આવ્યો છે, તેનો ખુશીથી અમલ કરો.’ આખરે બાપે પોતાના બેટાને બાંધી કુરબાન કરવાનો ઈરાદો કર્યો. અમલ કરવા જાય છે એટલામાં એક ફિરસ્તો આવ્યો અને બોલ્યો, ‘અલ્લાહે કહ્યું છે કે તમે અજમાયશમાં સર્વોત્કૃષ્ટ ઊતર્યાં છો. તેથી એને બદલે ઘેટાની કુરબાની કરો. ખુદા તમ બેઉ ઉપર અતિ આફરીન છે. હવે તેણે તમારા ઉપર તેની બરકત અને રહેમત ઉતારી છે.’ હજરત ઇબ્રાહિમે આ ખુશીમાં એક ઘેટાની કુરબાની આપી બહુ જ આનંદ કર્યો. કુળમાં તમામ માણસો અને ગરીબગુરબાંને દાવત આપી. ત્યાર પછી હર સાલ યાદગીરી તરીકે કુરબાની કરીને તે ઈદ પાળવા લાગ્યા. પરિણામે તેમના વંશમાં આ રિવાજ પડી ગયો. કુરેશ ખાનદાન પણ એના વંશજ હોવાથી તેમાં પણ આ રિવાજ ઇસ્લામ ધર્મ ફેલાયો તે પહેલાં પ્રચલિત બન્યો હતો. ઇસ્લામ ધર્મ ફેલાયા બાદ પણ મહંમદ પેગમ્બર (સલઅમ)એ આ રિવાજને ‘હરેક કોમ માટે એક ઈદનો દિવસ હોય છે અને આપણે માટે પણ આજનો દિવસ ઈદનો છે.’ એમ કહી માન્ય રાખ્યો હતો. ત્યારથી આ ઈદ કુરબાનીનું પર્વ આજ પર્યંત જારી છે. ઈસ્લામ ધર્મના પ્રવર્તક, હજરત મહંમદ પેગમ્બર પોતાના સિદ્ધાંત મુજબ પોતાના ધર્મના પ્રચાર પહેલાંના જે જે રિવાજોમાં કંઈ બૂરાઈ માલુમ પડતી તેને અટકાવી દેતા, બાકીનાને જારી રાખતા; અને જે રિવાજોમાં ખાસ ખૂબી જોતા તેના ઉપર બહુ જ ભાર મૂકતા. કુરબાન ઈદનું પણ તેમ જ હતું. તેમાં સંખ્યાબંધ ખૂબીઓ હોવાથી હજરત મહંમદે તે રિવાજ ચાલુ રાખ્યો. તે પંડે પણ તેનો અમલ કરતા હતા. સૌથી ઉત્તમ વસ્તુ તો એ હતી કે એનાથી આપણને કુરબાનીનો સબક શીખવાનો મળે છે. કારણ કે જ્યાં સુધી એક વ્યક્તિ કે કોમ ભોગ આપી કામ ન કરે ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં તે દુનિયામાં કામયાબ થઈ શકે નહિ. હજરત ઈસ્માઈલે કુરબાની માટે પોતાને અર્પીને આપણને આત્મભોગનો મહાન મંત્ર શીખવ્યો. આ કારણથી મુસલમાનો ઈદનો દિન બહુ જ ઉમંગથી પાળે છે. તે દિવસે એક શહેર કે ગામના તમામ મુસલમાનો એક જગા ઉપર ખુદાનો આભાર માનવાને જમા થાય છે. અને સર્વે સાથે મળી ખુદાની આગળ માથું ઝુકાવી તેની ઇબાદત કરે છે અને દુઆ માંગે છે. આ ઈદથી આપણને બીજો પાઠ સંપ વિષેનો મળે છે. કારણ કે તે દિવસે દરેક ગરીબ અને અમીર એકબીજા સાથે હસ્તધૂનન કરે છે અને ભેટે છે, એકમેકને મુબારકબાદી આપે છે, સાથે મળી ખાય છે, પીએ છે અને મોજ માણવામાં શરીક થાય છે. પરિણામે સર્વના દિલમાં મહોબત અને એકતાની જડ મજબૂત થાય છે; અને તેનાથી આગળ વધી કોમ અને દેશનાં અગત્યનાં કામોમાં આ સંપથી મોટી સહાય મળે છે. તે દિવસે ગરીબ લોકોને ખેરાત કરવાનો ઇસ્લામ ધર્મનો હુકમ છે, જેથી ગરીબ અને તવંગર, અમીર ને ફકીર, દુર્બળ અને અશક્ત, સ્ત્રી અને પુરુષ, બાળક અને વૃદ્ધ, સહુ કોઈ આનંદ માણી શકે, સહુ એક પરવરદિગારનાં સન્તાન તરીકે એકબીજાને ચાહતાં શીખે, ને બધે સ્નેહ, એકતા, અને નિખાલસતાનું વાતાવરણ ફેલાઈ રહે. હમદર્દી એ ઈદના તહેવારનો એક અમૂલ્ય સંદેશ છે. આ તહેવારથી વધુ એક બાબત એ જાણવાની મળે છે કે, જ્યારે ઈદને કારણે જુદા જુદા વિચારો ધરાવનારા લોકો એકબીજાને મળે છે ત્યારે કુદરતી રીતે મનુષ્યના વિચારનો વિકાસ થાય છે. કારણ કે જે વખતે એક માણસ પોતાનું કહે છે ત્યારે તેને બીજાનું સાંભળવું પણ પડે છે — ભલેને તે તેના ખ્યાલની ખિલાફ હોય. આથી મનુષ્યમાં સબૂરી અને સહનશીલતાના સદ્ગુણો કેળવાય છે અને હૃદયને ખામોશ રાખવાની આદત પડે છે. આ દિવસે મુસલમાનો સવારે વહેલા ઊઠી પ્રથમ નાવણધોવણ કરે છે. ત્યાર પછી ઉત્તમ કપડાં પહેરી અત્તર લગાવી ઈદગાહમાં જાય છે. ત્યાં જઈ બધા નમાજના વખતની ઇન્તેજારીથી રાહ જુએ છે, અને તકબીર પઢે છે. (એટલે કે થોડી થોડી વારે કહેવામાં આવે છે કે, અલ્લાહ મહાન છે અને તેના સિવાય બીજો કોઈ ખુદા નથી. અને તેણે જ આપણને આજે આ ખુશીનો દિવસ બતાવ્યો છે.) ત્યાર પછી સર્વ ઊભા થઈ શુક્રિયાની નમાજ પડે છે. તે બાદ ખતીબ ઉપદેશ કરે છે, જેમાં આ દુનિયા તેમ જ બીજી દુનિયાની સારી સારી બાબતોનો બોધ હોય છે. હરેક મોટા મોટા શહેરમાં જ્યાં મુસલમાનોનું રાજ હતું ત્યાં નમાજ ખતમ થયા બાદ લોકોને જાણ કરવા માટે તોપનો અવાજ કરવામાં આવતો હતો; પરંતુ હવે કોઈક ઠેકાણે દારૂગોળો ફોડવામાં આવે છે અને કોઈક જગાએ નગારાં અને સરણાઈ વગાડવામાં આવે છે. નમાજથી ફારેગ થઈ લોકો પોતપોતાને ઘેર આવે છે. અને જમણ કરે છે; કારણ કે સવારથી નમાજ પૂરી થયા પર્યંત તેમણે ઉપવાસ કર્યો હોય છે. ત્યાર પછી તેઓ બહાર નીકળે છે. કોઈક પોતાનાં સગાંસ્નેહીઓને મળવા જાય છે અને કેટલાક બાગ અને બજારમાં સહેલ કરવા નીકળી પડે છે. મુસલમાની રાજ્યોમાં આ દિવસે અગાઉ બજારો શણગારવામાં આવતાં, અને ખાસ બજારો પણ ભરાતાં, જેમાં અજાયબીની ચીજો વેચાતી અને હરેક જાતના ખેલ તમાશા થતા. તે સિનેમાનો જમાનો ન હતો તેથી તેને બદલે ઢીંગલી પૂતળીના નાચ થતા જેમાં એક માણસ પડદા પાછળ બેસી તાર વડે પૂતળીને નચાવતો. રાતે આખા શહેરમાં રોશની થતી, અને રોશની વડે કોઈ ઠેકાણે ચંદ્ર, કોઈ ઠેકાણે સૂર્ય તો કોઈ ઠેકાણે તારા બતાવવામાં આવતા. ઘરનાં બારણાં ઉપર રોશનીનો મહેરાબ કરવામાં આવતો. રસ્તા ઉપર રોશનીનાં ઝાડ, ફળ અને ફૂલ તૈયાર કરવામાં આવતાં, ને ઠેકઠેકાણે ચાર રસ્તા ઉપર રોશનીના દરવાજા ઊભા કરવામાં આવતા. તળાવ અને નદીના કિનારા ઉપર પણ રોશની કરવામાં આવતી; અને જ્યારે તેનું પ્રતિબિંબ પાણીમાં પડતું ત્યારે અજબ દેખાવ નજરે પડતો. અમીર અને દોલતમન્દ લોકો પોતપોતાની હાંડીમાં રોશની કરી, રાતને જાણે કે દિવસમાં પલટાવી નાખતા. બીજા અનેક લોકો હોડી ભાડે લઈ નદીમાં સહેલ કરવા નીકળી પડતા અને નદીમાં આ ચાલતી ફરતી રોશનીની દુનિયાનું પ્રતિબિંબ જોઈ લોકો જાણે કે કોઈ જાદુઈ જગતમાં વિહરતા હોય તેમ હેરત અને આનંદમાં ડૂબી જતા. એ દિવસે પાયતખ્તમાં મીનાબજાર ભરાતું હતું. તેમાં હરેક જાતની ચીજ વેચાતી. ફક્ત સ્ત્રીઓ જ એ બજારમાં જઈ શકતી. બજારમાં વેચાણ પણ સ્ત્રીઓ જ કરતી. ત્યાં. પુરુષોને દાખલ થવાની મનાઈ હતી. બાદશાહની બેગમો, શાહજાદીઓ, વજીરોની પુત્રીઓ, અમારોની સ્ત્રીઓ તેમ જ અન્ય કુટુંબોની ઓરતો પણ આનંદથી ભાગ લેતી હતી. આ બજારમાં સામાન્ય વર્ગનાં બૈરાંથી માંડી ઊંચ ખાનદાનની છોકરીઓ જાતે ચીજની ખરીદી અર્થે આવતી. આજે તો મુસલમાની રિયાસતના ખતમ થવાની સાથે જાણે કે આ બધી બાબતો પણ ઍરેબીઅન નાઈટ્સની કોઈ કથા જેવી બની ગઈ હોય એમ આપણને લાગે છે; પણ ઈદનો સંદેશ તો આપણા સહુ કોઈને માટે હજુ તેવો ને તેવો જ છે ને? દુનિયામાં જ્યાં સુધી દુઃખ છે, જ્યાં સુધી ગરીબાઈ છે, જ્યાં સુધી નાના મોટાના ભેદ છે ત્યાં સુધી આપણા જીવન ઉપરના એ વહેતા ઘા રૂઝવવા ત્યાગના, બલિદાનના દિવ્ય ઘા-બાજરિયાની જરૂર છે. જેણે ઈદનો મર્મ પ્રીછ્યો છે તેણે એ ઘા-બાજરિયું મેળવ્યું છે. તે ખુદાનો સાચો બંદો છે, તે પાક છે, તે સાચો મનુષ્ય છે. તેણે યથાર્થ રીતે ઈદ ઊજવી છે.

સ્વાધ્યાય

૧. હજરત ઇબ્રાહિમની સત્યનિષ્ટાની તમારા મન પર પડેલી છાપ વર્ણવો.
૨. હજરત ઇબ્રાહિમ અને હજરત ઇસ્માઈલના ત્યાગમાંથી તમને કોનો વધુ મુશ્કેલ લાગ્યો?
૩. ‘ઈદના તહેવાર’નું રહસ્ય સમજાવો.
૪. મોગલોના અમલમાં દિલ્હીમાં ઈદનો તહેવાર કેવી રીતે ઊજ્વાતો તેનું વર્ણન કરો.
૫. આધુનિક ઇતિહાસે દેશપરદેશમાં નવા ઉપજાવેલા તહેવારોમાંથી જે જાણતા હો તેનો ઉલ્લેખ કરો.