સાહિત્ય પલ્લવ – ભાગ ૩/વૈકુંઠ

From Ekatra Foundation
Revision as of 06:58, 14 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વૈકુંઠ

[પાંડવ કૌરવનું મહાભારત યુદ્ધ શરૂ થવાનું છે એ સાંભળી ભીમને પુત્ર બબ્રિખ માતાની આજ્ઞા અને અનુજ્ઞાથી રણભૂમિ પર આવી ચડ્યો. પણ ઊલટું તેના આવ્યાથી પાંડવોને નવી વિટંબણા ઊભી થઈ. બબ્રિખ ક્ષત્રિયનો ધર્મ પાળનારો, ‘હાર્યાની ગમ’ જનારો, હતો. તેથી કહે કે, હમણાં તો હું ‘બેસી રહું એક ઠાર.’ તો તો છેવટે એ કૌરવોને પક્ષે જઈ પાંડવોનો ઘાણ જ કાઢી નાખે! એનું બળ તો, ત્રણ શરિયાં (બાણ) વધારે પડતાં હોઈ બે રાખી ત્રીજું એણે ભાંગી નાખ્યું અને કૃષ્ણે વિરાટરૂપ કરી પગ સાતમે પાતાળ મૂક્યો તો ત્યાં જઈ એનું બાણ નિશાન કરી આવ્યું, તે ઉપરથી દેખાઈ ગયું. એક બાણ નિશાની કરી આવે ને બીજું મૃત્યુ પમાડે એવી એની ભારે આવડત હતી. આ મુશ્કેલીમાંથી છૂટવા માટે બત્રીસ-લક્ષણાના ભોગની વાત ઉપસ્થિત કરી. કૃષ્ણ, અર્જુન અને બબ્રિખ એ ત્રણ બત્રીસલક્ષણા હતા. કૃષ્ણ કહે મને ચડાવો, અર્જુન કહે મને. બધા ના પાડતા જાય. કૃષ્ણ વગર દોરવણી કોણ કરે પછી?, અર્જુન વગર લડે કોણ? ત્યાં બબ્રિખ સ્વયંસેવક તરીકે આગળ આવે છે, અને એનો ભોગ આપવામાં આવે છે. આ રીતે તેનો કાંટો કાઢી નાખવામાં આવ્યો. પણ કવિએ બબ્રિખનો રણભૂમિ પર ઉમંગભર્યો પ્રવેશ, પોતાના ગુરુની આજ્ઞાને વળગી રહેવાનો એનો નિરધાર, બત્રીસ-લક્ષણાની વાત નીકળે છે ત્યારે કશી ગણતરી કરવા રોકાયા વગર (રોકાય તો બત્રીસલક્ષણો પણ શેનો?) એનું આગળ આવવું, ભોગ માટે એનો સ્વીકાર થયા પછી લડાઈ જોવાનો મોકો પોતે ખોયો એ વનબાલને છાજે તેવી કૌતુકવૃત્તિનો એણે કરેલો એકરાર, અને અંતે એનાં આંખકાન અને જીભને સજીવતાની પ્રાપ્તિ, એ બધું એવી રીતે આપણી આગળ મૂક્યું છે કે, એ કોડીલા યુવક પ્રત્યે આપણને સહાનુભૂતિ રહે છે અને મોટેરાઓ એનો જે રીતે ઘડોલાડવો કરી દે છે એ જોઈ જરી જીવ પણ બળે છે.

૫. અશ્વમેવ — અવશ્યમેવનું તદ્ભવ રૂપ. ૮. વૃકોદર —ભીમ, વૃક-વરુ જેવું ઉદર છે જેનું. અવિનાશ - કૃષ્ણ ૧૮. પ્રાજે—પરાજયનું તદ્ભવ. ૨૨. ઓસરે-ઘટે, શમે (=હારે). ૩૫. સંચ - ઘાટ, તાલ. ૩૯. પૈયાલ - પાતાલ. ૪૧. ધરણ્ય – ધરણી ઉપર. સર૰ ચરણ્ય. ૭૦. ‘અમે ઉલ્લાસવાળા છીએ’નું જૂનું રૂપ. ૮૦. ત્રૂઠા - તુષ્ટ, પ્રસન્ન, થયા. ૮૧-૪. નચિકેતાની વાત કહી છે. પિતા યજ્ઞને અંતે દક્ષિણાદાન દેતા હતા. સારી સારી ગાયો કોરે રાખી દૂબળી દૂબળી દાનમાં આપતા હતા, ત્યારે પિતાને હજી લોભ છે જાણી નચિકેતાએ જઈને પૂછ્યું, ‘પિતાજી, મને કોને દાનમાં આપો છો?’ ‘મૃત્યુને,’ એમણે રોકડો જવાબ આપ્યો. પુત્ર ખરેખર યમને ત્યાં ગયો. પણ તે બહાર હોવાથી ત્રણ દિવસ એને વાટ જેવી પડી. યમ આવ્યો ત્યારે બારણે બ્રાહ્મણને ત્રણ દિવસની લાંઘણ થઈ જાણી અને નચિકેતાનો વૃત્તાંત જાણી પ્રસન્ન થઈ તેને વરદાન માગવા કહ્યું. નચિકેતાએ આત્મજ્ઞાન આપવા કહ્યું. યમે તેને કહ્યું, ‘ભલા જીવ, કાંઈ સુખ, સમૃદ્ધિ, મોજશોખ વગેરેમાંથી કશુંક માગ.’ પણ તે એકનો બે થાય નહિ. આ પ્રેય (પ્રિય થઈ પડતી) વસ્તુઓ તો ક્ષણભંગુર છે. શ્રેય (અંતિમ છેવટનું કલ્યાણ) જેના વડે થાય એ એને તો જોઈતું હતું. આખરે યમ કનેથી શ્રેયનું જ્ઞાન મેળવ્યું ત્યારે જ એ રહ્યો. ૯૬. અભ્યાસ- ફરી ફરી કરવું તે, મહાવરો, પ્રવૃત્તિ. આપણે ભણવા માટે ‘અભ્યાસ કરવો’ એમ કહીએ છીએ તે અધૂરું બોલીએ છીએ, ‘વિદ્યાભ્યાસ’ કહીએ ત્યારે જ ભણવાનો અર્થ તો આવે. અભ્યાસ તો ગમે તેનો હોઈ શકે. પણ આમ ઘણા દાખલામાં-ખાસ કરીને નવા શબ્દો અપનાવતી વખતે આપણે કરકસર કરીએ છીએ. દા. ત. કલમ માટે ‘હોલ્ડર’, નોંધપોથી માટે ‘નોટ’. પેન-હોલ્ડર, નોટ-બુક એ શબ્દો સાચા છે. ‘હોલ્ડર’ એટલે તો ગમે તે પકડનાર. પણ લોકોની જીભની એ ખાસિયત છે કે ટૂંકાં રૂપને પ્રચલિત કરી દઈ ચલણી સિક્કા બનાવી દેવાં; પછી ભલેને તે અધૂરાં હોય, ખોટાં હોય. ચલણી થયા એટલે એની મેળે સાચાં ગણાશે. કેમકે ભાષામાં પણ ચાલે તે સિક્કો.]