સાહિત્ય પલ્લવ – ભાગ ૩/અખો

From Ekatra Foundation
Revision as of 07:09, 14 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અખો

[અખાના છપ્પા સાહિત્યપલ્લવ ભાગ ૧માં આપણે વાંચ્યા હતા. તેમાં વિશેષે કરીને સમાજના ઢોંગ ધતિંગ ઉપરના કડક પ્રહાર આપણે જોયા હતા. નીચેની પંક્તિઓમાં એની સચોટ દૃષ્ટાંતથી સમજાવવાની રીત જોવા મળશે, દૃઢપણે પોતે અભિપ્રાય કેવી રીતે રજૂ કરી દે છે તે દેખાશે. અને ખાસ તો પોતે આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરેલો છે તેને આનંદ એ કેવો ગાય છે એ સાંભળવા મળશે.

૧. ‘હરિનો પિંડ અખા કોણ શૂદ્ર?’ એ એનો પ્રશ્ન કેવો ચોટદાર છે? ૨. પવન વાતો હોય તે દિશામાં અગ્નિ વધે છે, આ દિશા ડાબી છે એમ કરી અટકતો નથી. ૫-૬. બધી ભાતભાતની વરણ ચલાવવા માટે અભિમાની મૂર્ખાઓએ ગોઠવ્યું કે બ્રાહ્મણ તે પુરુષોત્તમસ્વરૂપ પરમાત્માના મુસ્તક(મુખ)માંથી, ક્ષત્રિય હસ્તમાંથી, વૈશ્ય કટિમાંથી અને શૂદ્રો ચરણમાંથી ઉત્પન્ન થયા. (આ વિચાર યજુર્વેદના પુરુષસૂક્તથી શરૂ થયો.) પણ એ બધું શાસ્ત્ર તે સ્વપ્નમાં કરેલા બકવાદ જેવું છે (પંક્તિ ૯), પછી ભણેલા ને અભણના ભેદની વાત અણઘડ અને ઘાટ ઘડેલી બે શિલાઓનો દાખલો લઈ હસી કાઢી છે. ૧૨. દ્વૈત —બે-નો ભાવ. ફલાણો અભણ છે, અણઘડ શિલા જેવો છે. હું પંડિત છું, ઘડેલી શિલા જેવો છું. એવું રૂપક ક્યાં સુધી નભે? જ્યાં સુધી પ્રભુથી પોતાનું દ્વૈત (બીજા હોવાપણું) ગણે છે ત્યાં સુધી. જો પ્રભુ સાથે એકભાવ રાખે તો પછી પોતે ઘડાયેલી શિલારૂપ છે, ને બીજો અણઘડ શિલારૂપ છે એવાં રૂપક પલકવાર માટે પણ ટકે નહિ. દ્વૈત છે માટે જ રૂપક છે. ૧૫-૧૬. અભણ ભક્તોનાં દૃષ્ટાંત કવિ પંડિતોને સહેજ ટપલી મારતો હોય એમ આપે છે. ૧૭. ભૂરી- બહુ (સં. भूरि). ૧૯, બાવન-મૂળાક્ષર. ત્રેપનમો મૂળાક્ષરોની ગૂંથણીથી એટલે કે ભાષાથી પર જે છે તે. પરમાત્માને ભાષાતીત, શબ્દાતીત (શબ્દથી અતીત-પાર) કહ્યો છે.

૨. ૨૪. જંગી ઢોલ તે મોટા માણસો. ઝીણી વાત તે પ્રભુપ્રાપ્તિના માર્ગની વાત. ૨૫. માટે કહે છે કે જે કોઈ જાતનો દાવો રાખતો નથી તેવાની પાસે જા, એ પેલી ઝીણી વાત અક્ષરેઅક્ષર બેસાડશે. ૨૭. સબુધી - બધી.

૩. ૩૪, આકડાનું રૂ.

આ છપ્પાઓમાં અખાની દૃષ્ટાંત આપવાની શક્તિ ખાસ લક્ષમાં લેવાની છે. લાય લાગી હોય તે કેમ વધે, ઘડી-અણઘડી શિલા, જંગી ઢોલમાં ઝીણી વાત નથી સંભળાતી તે, રેતીમાં વેરાયેલી ખાંડ કીડી ખાય તેમ પોથાંનાં પાનાંમાં લખેલી પ્રભુની વાત સંતો કેમ ખંતથી વીણી લે છે તે, આકાશમાં ઊડતાં પંખીની છાયા જાળમાં આવી જાય, પણ તેથી તે કાંઈ ફસાતાં નથી તેમ જ્ઞાની સંસાર વચ્ચે દેખાતા છતાં કેમ અલગ – નિરાળા રહે છે તે, પોતે ઈશ્વરરૂપી વહાણમાં બેઠો એટલે સંસારમાં પગનો અંગૂઠો પણ બોળવાપણું ન રહ્યું તે – હસતાં રમતાં હરિમાં ભળ્યો તે – બધું જ એણે કેવું જાણે આપણને નજરોનજર ન બતાવતો હોય એમ રજૂ કર્યું છે.

અખા એમ ખરાખરી જાણ, તેને સ્કંધ લઈ ઉતારું સખા, જેને જાણો તો જાણો જન, એમ જાણી અખે ઝાટક્યા હાથ, આવાં વાક્યોમાં એની નિખાલસતા અને સચ્ચાઈનો પ્રભાવ જોવા મળે છે. છેલ્લી લીટીમાં જુસ્સો પણ કેટલો બધો છે?

ખટપટને ખટપટવા દે, ધામધૂમ તે ધનનો ધગા, જેવી પંક્તિઓમાં ‘ધગા’ અને ‘ખટપટવા’ જેવા શબ્દો ઉપજાવી કાઢીને એ પોતાનો આકરો પુણ્યપ્રકોપ ઠાલવે છે. ધગવું - ધખવું - ધીકવું = બળવું, ઊકળવું. એ ઉપરથી ધામધૂમ તે ધનની ગરમી છે. એ કહેવામાં ધગા શબ્દ ગોઠવી વર્ણસગાઈ તો એણે સાધી જ, પણ ભારે તિરસ્કાર પણ દાખવ્યો. ખટપટ ઉપરથી ખટપટવું, અટકળ ઉપરથી અટકળવું એવાં ક્રિયાપદો અખો ચાલતી કલમે ઉપજાવી લે છે. આપણા જમાનામાં કવિ નાનાલાલે એવાં આનંદવું, પ્રસન્નવું, વગેરે ક્રિયાપદો ઉપજાવ્યાં છે.

મારે એમ પડ્યું પાધરું, હીંડતાં લાગે હરિને હાથ, હું હસતો રમતો હરિમાં ભળ્યો, હવે અખા કર ઝાકમઝોળ, - જેવી લીટીઓથી અખાએ આત્માસાક્ષાત્કારના અનુભવમાં કેવો અનહદ આનંદ માણ્યો છે તેની ઝાંખી થાય છે. નીચેના પદમાં પણ આનંદ જ ગાયો છે.

. ૨. અદબદ - અદ્ભુત. ૪. પ્રભુ મારામાંથી જ પ્રગટ થયો. આત્માએ જ આત્માને ઓળખી લીધો. ૭-૮. પોતાનાથી પ્રભુને દૂર ગણી (આઘો નાખી) પછી શોધવા નીકળે છે!! આ અજ્ઞાનની આડ ટાળીને જો, તો તરત તું ને એ પરિબ્રહ્મ બંને એક થઈ જશો.

એક જણ એક રીતે પ્રભુ વિષે સિદ્ધાંત સ્થાપે છે ને બીજો વળી બીજી રીતે. કોઈ એને જીવરૂપ તો કોઈ શિવરૂપ જુએ છે. અખો કહે છે કે બંને એક જ છે. ત્યાં પ્રશ્ન થશે કે તો શિવ જીવ શા માટે થયો? અખાનો જવાબ અત્યંત સુંદર છે : ‘આપ તે આપનો અમીરસ ઘૂંટવા જીવ તે શિવનો વેષ લીધો.’ સરખાવો ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.’]