સાહિત્ય પલ્લવ – ભાગ ૩/હરિનાં લોચનિયાં

From Ekatra Foundation
Revision as of 02:21, 18 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હરિનાં લોચનિયાં

એક દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં!

પચરંગી ઓચ્છવ ઊજવ્યો’તો અન્નકૂટની વેળા :
ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા’તા ભેળા!
શંખ ઘોરતા, ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી.
શતશગ કંચન આરતી હરિવર સંમુખ નર્તન્તી,
દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા
દેવદ્વારની બા’ર ભટકતા ટુકડા કાજ ટળવળતા! -
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં!

લગ્નવેદીપાવક પ્રજળ્યો’તો, વિપ્ર વેદ ઉચ્ચરતા;
સાજન મહાજન મૂછ મરડતા પોરસ ફૂલ્યા ફરતા!
જીર્ણ, અજીઠું, પામર, ફિકકું, માનવપ્રેત સમાણું!
કૃપણ કલેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું!
બ્રાહ્મણવચને સૂરજ સાખે કોમળ કળી ત્યાં આણી :
ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી!
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં!

ભય થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા :
વરુનાં ધાડાં મૃત ઘેટાંની માંસ લાલચે ધાયાં!
થેલી, ખડિયા, ઝોળી, ત્રિજોરી : સૌ ભરચક્ક ભરાણાં :
કાળી મજૂરીના કરતલને બે ટંક પુગ્યા ન દાણા!
ધીંગા ઢગલા ધાન્ય તણા સો સુસ્તો માંહીં તણાણા :
રંક ખેડૂનાં રુધિરે ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં!
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં!

હૂંફાળાં રાજવી ભવનોથી મમત અઘોર નશામાં
ખુદ-મતલબિયા મુત્સદ્દીઓએ દીધાં જુદ્ધ દદામાં!
જલ થલ નભ સૌ ઘોર અગનની માળ મહીં ઝડપાયાં,
માનવી માનવીનાં ખૂન પીવા ધાયાં થઈ હડકાયાં!
નવસર્જનના સ્વપનસંગી ઉર ઉછરંગે ઉભરાણા.
લખલખ નિર્મળ નવલકિશોરો ખાઈઓમાં ખોવાણા.
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં!

ખીલું ખીલું કરતાં માસુમ ગુલ સૂમશિક્ષકને સોંપાણાં,
કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં!
વસંત, વર્ષા, ગ્રીષ્મ, શરદના ભેદ બધાય ભુલાણા;
જીવન મોદ તણા લઘુતમમાં પ્રગતિ પદ છેદાણાં:
લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યાં જ સુકાણાં :
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં!
‘આલબેલ’માંથી

સ્વાધ્યાય

૧. હરિની આંખમાં કયે કયે પ્રસંગે કવિ આંસુ જુએ છે? તમે બીજા કોઈ પ્રસંગો સૂચવી શકશો જેમાં હરિની આંખ આંસુભીની બને?
૨. આ કાવ્યને ચિત્રમાં વ્યક્ત કરવું હોય તો તમે કેટલાં ચિત્રો દોરશો અને તેમાં કઈ કઈ વિગતો આપશો તે જણાવો. એ ચિત્રોમાં હરિને તમે કઈ રીતે બતાવશો?
૩. વૃત્તિ-અનુપ્રાસ અને લક્ષ્યાર્થ અલંકારનાં આ કાવ્યમાંથી ઉદાહરણો આપો.