મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા કડવું ૪

From Ekatra Wiki
Revision as of 06:54, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કડવું ૪

અખાજી


જંતે ન જાન્યો જેણે નિજ આતમા,
ભટક્યો ભમિયો માયા સાથમાં;
જ્યમ રયણીનો ભૂલ્યો ઘર પામે પ્રાતમાં,
પણ દિવસે જે દશ મોડ્યો તે ઘણું ભ્રમે રાતમાં.          ૧

ઊથલો:
રાતમાંહે રડવડે, અજ્ઞાને આવર્યો હુતો;
તે નિજ આતમથો ઓતળીને વિચરતો માયાવતો.          ૨

જ્યમ સૂતો નર નિદ્રા વિષે માયા બહુ બીજી રચે;
તે કાર્યકારણ પોતે થઈને નિદ્રાવશ માંહે પચે.          ૩

આપ થકી ઓતળ્યે થકે અસંભાવના ઊપજે;
પછે વિપરીત ભાવના મન આણે, દુ:ખ પામે થોડે ગજે.          ૪

પંચ-પરવા માયા અવિદ્યા, જ્યાં હું – મારું આદ્યે સહી;
તે ફરે ફેરા ભવ વિષે, જ્યમ મણિ નિગમ્યે આંધળો અહી.          ૫

તે ભોગ દેખીને ભૂર થાયે, લડાવા ઇન્દ્રી વિખે;
સંસારનાં સુખ અધિક જાણી, કર્મ માદક નિત્ય ભખે.          ૬

કર્મજડને કર્મ વહાલાં, પણ મર્મ ન પ્રીછે બ્રહ્મનો;
ફરી ફરી તે આચરે, પણ ટળે નહિ દેહચર્મનો.          ૭

પરમાત્માને પૂઠ દેઈ આતમા ઇન્દ્રી જુએ;
ઈન્દ્રીની દ્રિષ્ટિ વિષમ સામી, એમ આપોપું નર ખુએ.          ૮

વિષે વગૂતો કરે હરિથી, નીચપણું દે જીવને;
અજ્ઞાને અવળો ફર્યો તે સન્મુખ નોેહે શિવને.          ૯

સંસારનાં સુખ અધિક દેખી ક્રિપા માને ઈશ્વરી;
પણ અંતરમાંહેનું જાન ન જાણે, જે પ્રાણપતિ ગયો વીસરી.          ૧૦

કહે અખો: સહુ કો સુણો, જો આણો જીવના અંતને;
હીંડો પરમાનંદ પામવા, તો સેવો હરિ-ગુરુ-સંતને.          ૧૧