ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભગવદજજુક

From Ekatra Wiki
Revision as of 11:10, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ભગવદજ્જુક : પહેલી સદીથી વહેલું અને કોઈપણ સંજોગોમાં ચોથી સદીથી મોડું ન લખાયેલું બોધાયનનું સંસ્કૃત પ્રહસન. ભગવાન નામે પરિવ્રાજક અને અજ્જુકા નામે વેશ્યાનાં મુખ્ય પાત્રોની આસપાસ આ નાટકનું કથાનક ગૂંથાયેલું છે. ઉદ્યાનમાં પ્રેમીની પ્રતીક્ષા કરતી વેશ્યાનું સર્પદંશથી મૃત્યુ થતાં પરિવ્રાજક પોતાના શિષ્ય સાંડિલ્યને યૌગિક સિદ્ધિ દર્શાવવા વેશ્યાના મૃતશરીરમાં પોતાનો જીવ મૂકે છે. આ બાજુ, યમદૂત ભૂલ સમજાતાં વેશ્યાના જીવને પાછો લાવી પરિવ્રાજકના નિશ્ચેત શરીરમાં મૂકે છે. પરિવ્રાજક અને વેશ્યાના જીવોની અદલાબદલીથી બંનેનાં વર્તન બદલાય છે અને હાસ્યજનક પરિસ્થિતિ ઊભી થાય છે. આડકતરી રીતે અહીં બૌદ્ધધર્મના સિદ્ધાન્તોની ઠેકડી ઉડાવવામાં આવી છે. ચં.ટો.