પરિભ્રમણ ખંડ 1બોળ ચોથ

From Ekatra Foundation
Revision as of 13:31, 20 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બોળ ચોથ|}} {{Poem2Open}} <small>[બોળિયો એટલે વાછડો : તે પરથી ‘બોળ ચોથ’ નામ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બોળ ચોથ

[બોળિયો એટલે વાછડો : તે પરથી ‘બોળ ચોથ’ નામ પડ્યું છે. આ કથામાંથી એવો કંઈક ધ્વનિ નીકળે છેકે કોઈ માંસાહારી પ્રજાનું આ વ્રત હોવું જોઈએ. નહિતર ભૂલથી વાછરડાને મારી નાખવાની મૂર્ખાઈને એ યુગ ચલાવી લે નહિ. આજે પણ હિંદના અન્ય અનેક પ્રાંતોમાં બ્રાહ્મણો માંસાહારી ક્યાં નથી? વ્રતની પ્રાચીનતા ઉપર આ કથાનું તત્ત્વ પ્રકાશ પાડે છે.]

શ્રાવણ માસ આવ્યો છે. અંધારી ચોથ આવી છે. તે દી તો ગામોટીને ઘેર એકરંગી ગા’ ને એકરંગી વાછડો પૂજાય.

ગામોટીની વહુ તો ઊઠીને ના’વા ગઈ છે. વહુ–દીકરીને કહેતી ગઈ છે : “આજ તો તમે ઘઉંલો ખાંડીને ઓરજો.” સાસુ તો ઘઉંનું ગળ્યું ધાન રાંધવાનું કહી ગઈ છે, પણ વહુ–દીકરી તો વાત ઊંધી સમજ્યાં છે. ગામોટની ગા’ના વાછડાનું નામ ‘ઘઉંલો’ છે. નણંદ–ભોજાઈએ તો ભેળી થઈ, ઘઉંલા વાછડાને ઝાલી, કાપી, ખાંડીને હાંડલામાં ચડાવી દીધો છે. એને તો બાફી નાખ્યો છે. ગામોટીની વહુ તો નાહીધોઈને ઘેરે આવી છે. દીકરીને એણે પૂછ્યું છે કે “કાં, ઘઉંલો બાફ્યો?” દીકરી કહે, “હા. પણ માડી, ઘઉંલો તો કાંઈ ભૂંડો ને! ઝાલ્યો ઝલાય નહિ! કાપ્યો કપાય નહિ! અને એણે તો શું રાડ્યું પાડી છે ને! ભાંભરડે ભાંભરડા નાખે! માંડ માંડ કપાણો.” થડક થઈને મા તો પૂછે છે કે “તે તમે ક્યો ઘઉંલો બાફ્યો?” “બીજો ક્યો વળી? આપણો વાછડો.” “અરર! વાલામૂઇયું! તમે તો કાળો કોપ કર્યો! હવે આપણે મોઢું શું દેખાડશું? આ સાંજ પડ્યે તો ગા’–વાછડો પૂજવા ગામની ગોરણિયું આવશે! ગા’ આવીને ભાંભરડા દેવા માંડશે! આપણે એને જવાબ શો દેશું?” મા તો મુંઝાઈ ગઈ છે. ઘઉંલાવાળું હાંડલું લઈને ત્રણેય જણીઓ છાનીમાની ઉકરડામાં દાટી આવી છે. આવીને ખડકી વાસી દીધી છે. ત્રણેય જણીઓ સંતાઈને ઘરમાં બેસી ગઈ છે. આજ તો આઢતી ગા’ પૂજાય છે, પણ આગળ આવતી ગા’ પૂજાતી. ગામોટીની ગા’ સીમમાં ચરતી’તી ત્યાં એને સત ચડ્યું છે. માથે પૂછડું લઈ કાન પહોળા કરતી, ભાંભરડા દેતી, નાખોરાના ફરડકા બોલાવતી ગા’ વાજોવાજ ગામમાં વહી આવે છે. આવે છે ત્યાં તો સામો સાવજ મળ્યો છે. આડો ઊભો રહીને સાવજ કહે કે “તને ખાઈ જાઉં!” ગા’ તો બોલી છે કે “અરે ભાઈ, ગામની ત્રણસો ગોરણિયું સવારની ભૂખી બેઠી છે. હું નહિ જાઉં તો એ ખાશે નહિ. એને ખવાડીને હું હમણાં પાછી આવું છું. પછી મને ખુશીથી ખાજે.” સાવજે તો ગા’ને જાવા દીધી છે. વગડાને ધણેણાવતી ગા’ તો દોડી આવે છે, ગામમાં આવીને એણે તો ઉકરડામાં શીંગડાં ભરાવ્યાં છે. ભરાવે ત્યાં તો હાંડલું ફૂટ્યું છે ને સડાક દેતો વાછડો બેઠો થયો છે. પોતાની માને ચસ! ચસ! ધાવવા માંડ્યો છે, મા તો વાછડાને ચાટવા મંડી છે. અને વાછડાની ડોકમાં તો હાંડલીનો કાંઠો વળગી રહ્યો છે. સાંજ પડી ત્યાં તો ગામ આખાની ગોરણીઓ હાથમાં પૂજાની થાળીઓ લઈ લઈને ગામોટીને ઘેર ગા’ પૂજવા હલકી છે. આવીને જુએ તો ખડકી તો વાસેલી છે. ઘરમાં તો કોઈ કરતાં કોઈ સળવળતું નથી. સમી સાંજે જાણે સોપો પડી ગયો છે. ગોરણીઓ તો ખડકીનું બાર ભભડાવે છે કે “ગોરાણી! એ ગોરાણી! ઉઘાડો, આ સૌ ગોરણિયું ગા’ પૂજવા આવી છે.” પણ કોઈ બોલે કે કોઈ ચાલે! ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણી પારેવડી જેવી ફફડે છે. એનો તો ફડકે શ્વાસ જાય છે. વાટ જોઈ જોઈને વળી પાછી ગોરણીઓ બોલે છે, “અરેરે! આ ગા’ આવીને ઊભી છે. આ વાછડો ગા’ને ધાવી જાય છે. અને આ વાછડાની ડોકમાં આજ તો ફૂલના હાર હોય એને સાટે આ રાંડુંએ તો વાછડાને કાળા હાંડલાનો કાંઠો કાં પે’રાવ્યો છે?” ખડકી બહાર તો આવી આવી વાતો થાય છે. ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણીઓ કાનોકાન સાંભળે છે. સાંભળીને વિસ્મે થાય છે. મા કહે, “દીકરી, છાનીમાની ખડકીની તરડમાંથી જોઈ આવ તો ખરી! આ ગા’–વાછડાની શી વાતું થાય છે?” દીકરીએ તો તરડમાંથી ગા’–વાછડાને જીવતાં દીઠાં છે. દોડતી દોડતી ઘરમાં ગઈ છે. માને કહે કે “માડી! ગા’ ઊભી છે, ને ઘઉંલો ધાવે છે!” “અરે માડી! એ તો કો’ક બીજાનો વાછડો હશે. હવે ઘઉંલો કેવો!” એમ કહીને મા રોઈ પડે છે. દીકરી માને પરાણે ખડકીએ લઈ જાય છે. જઈને જુએ ત્યાં તો સાચોસાચ ઘઉંલો સજીવન દીઠો છે. ઝટ ખડકીનું કમાડ ઉઘાડ્યું છે. ગા’ વાછડો દોડીને ફળિયામાં આવ્યાં છે. સાસુ, વહુ ને દીકરીની આંખે તો હરખનાં આંસુડાં હાલ્યાં જાય છે. ગોરણીઓએ તો બાઈને બધી વાત પૂછી છે, બાઈએ તો બધું કહી સંભળાવ્યું છે. સૌ ગોરણીઓને પગે લાગીને બાઈ તો બોલી છે : “બાઈયું બેન્યું! તમારાં વ્રતને બળે મારો વાછડો બેઠો થયો છે. પગ તો પૂજું તમ ગોરણિયુંના!” ગોરણીઓએ તો ગા’–વાછડાને ચાંદલા કર્યા છે. ફૂલના હાર પહેરાવ્યા છે. ગા’ના જમણા કાનમાં કહ્યું છે,

માતાજી! સત તમારું
ને વ્રત અમારું.

તે દીથી સૌ ગોરાણીએ ઠરાવ્યું છે કે આજથી બોળ ચોથને દા’ડે પાટિયામાં રાંધેલું, છરીનું સુધારેલું કે ખારણિયામાં ખાંડેલું કોઈ ખાશો મા! ઘઉં ખાશો મા!

વળતે દી ગાય તો વગડામાં ગઈ છે. એણે તો સાવજને વચન દીધું, તું એ પ્રમાણે એ સાવજ પાસે પહોંચી છે. જઈને કહ્યું, “લે ભાઈ; તારે મને ખાવી હોય તો હવે ખાઈ જા.” સાવજે તો ગા’ના ગળામાં ફૂલના હાર દેખ્યા છે, વિસ્મે થઈને પૂછ્યું છે : “અરે બાઈ, આ તારા ગળામાં ફૂલહાર શેના?” ગા’એ તો સાવજને બધી વાત કીધી છે. સાંભળીને સાવજ બોલ્યો છે કે “માતાજી! તું તો સતવાળી કહેવા. હું તને કેમ ખાઉં!”

બોળ ચોથ મા એને ફળ્યાં એવાં સૌને ફળજો!