રાણો પ્રતાપ/પહેલો પ્રવેશ2

From Ekatra Wiki
Revision as of 11:19, 10 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પહેલો પ્રવેશ|'''અંક ત્રીજો''}} {{Space}}સ્થળ : સલીમનો ઓરડો. સમય : સવાર. {{Space}}{{Space}}[શસ્ત્રધારી સલીમ ખિજાયેલો બેઠો છે. સામે શક્તસિંહ ઊભો છે. સલીમની પાસે અંબરપતિ, મારવાડપતિ, ચંદેરીપતિ, અને પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પહેલો પ્રવેશ

'અંક ત્રીજો

         સ્થળ : સલીમનો ઓરડો. સમય : સવાર.

                  [શસ્ત્રધારી સલીમ ખિજાયેલો બેઠો છે. સામે શક્તસિંહ ઊભો છે. સલીમની પાસે અંબરપતિ, મારવાડપતિ, ચંદેરીપતિ, અને પૃથ્વીરાજ, શક્તસિંહની સામે જોતાં, ચિત્રો જેવા ઊભા છે.]

સલીમ : શક્તસિંહ, સાચું બોલો! પ્રતાપસિંહ સહીસલામત બચી નીકળ્યો, તેને માટે જવાબદાર કોણ?
શક્ત : જવાબદાર કોણ? સલીમ! તમે એ શબ્દ બરાબર જ વાપર્યો. પ્રતાપસિંહ રણક્ષેત્રમાંથી પોતાની ઇચ્છાએ નાસી નથી નીકળ્યા. એ બદનામીને માટે એ પોતે તો જવાબદાર નથી.
અમ્બરપતિ : ચોખ્ખો જ જનાબ આપોને, કે એને નસાડવામાં કોણ જવાબદાર છે?
શક્ત : જવાબદાર એનો ઘોડો ચેતક.

[પૃથ્વીરાજ ખોંખારો ખાય છે.]

સલીમ : તમે એને નસાડવામાં કશી મદદ કરેલી નથી કે?
શક્ત : પ્રતાપસિંહને નસાડવામાં તો મેં મદદ નથી કરી.
બિકાનેરપતિ : શક્તસિંહ! અત્યારે તમને આંહીં ઠઠ્ઠામશ્કરી કરવા નથી બોલાવવામાં આવ્યા, આ ન્યાયકચેરી છે.
શક્ત : એમ છે કે, મહારાજ? ઓ...હો, મેં તો જાણ્યું કે આ લગ્નમંડપ છે, હું વરરાજા છું. સલીમ વરલાડી છે, અને આપ સર્વે મારી સાળીઓ ભેળાં મળ્યાં છો.
સલીમ : શક્તસિંહ! સીધો ઉત્તર આપો.
શક્ત : યુવરાજ! સવાલો પૂછવા હોય તો તમે એકલા પૂછો. સીધો જવાબ મળશે. બાકી આ પારકી કઢી ચાટનારા હજૂરિયાના સવાલો સાંભળતાં તો મને તાવ ચઢે છે.
સલીમ : બહુ સારું. બોલો, ખોરાસાની અને મુલતાનીને કોણે મારી નાખ્યા?
શક્ત : મેં.
ચંદેરીરાજ : એ તો મેં પહેલેથી જ ધારી લીધેલું.
સલીમ : શા માટે તમે એને માર્યા?
શક્ત : મારા થાકેલા અને મૂર્છાવશ ભાઈ પ્રતાપને એ અન્યાયની હત્યામાંથી બચાવવા ખાતર.
અંબર : ત્યારે તો તું જ આ કૃત્યનો કરનાર! કૃતઘ્ન! વિશ્વાસઘાતી! ભીરુ!

[પૃથ્વીરાજ ખોંખારે છે.]

શક્ત : જયપુરના ધણી! હું વિશ્વાસઘાતક હોઈશ, કૃતઘ્ની પણ હોઈશ, પરંતુ ભીરુ નથી! એ પઠાણો ભેગા થઈને એક થાકેલા, ધરતી પર ઢળેલા શત્રુને કાપી નાખવા જતા હતા; તે વેળા એ બે જણાને, મેં એકલાએ સામી છાતીએ યુદ્ધ કરીને માર્યા છે — હત્યા નથી કરી.
સલીમ : ત્યારે તમે વિશ્વાસઘાતનું કૃત્ય કર્યું છે, એ કબૂલ કરો છો, ખરું?
શક્ત : કબૂલ. એમાં એટલા અજાયબ શા માટે થાઓ છો, યુવરાજ? વિશ્વાસઘાત કેમ ન કરું? આ પહેલાં તો મારા સ્વદેશની સામે, સ્વધર્મની સામે, સગા ભાઈની સામે પણ મોગલોની સાથે મળી જઈને હું ઘણીયે વાર વિશ્વાસઘાત કરી ચૂક્યો છું. આ વળી એક વધુ વિશ્વાસઘાત કરી નાખ્યો! ખુદ શહેનશાહે પણ મને વિશ્વાસઘાતક જાણીને જ આશરો દીધેલો ને! એકવાર અધર્મ યુદ્ધ કરીને પ્રતાપને મારવા ખાતર હું વિશ્વાસઘાતક બનેલો હતો; આ વખતે વળી એમ કરવાને બદલે પ્રતાપને અન્યાયી હત્યામાંથી ઉગારી લેવા માટે વિશ્વાસઘાતક બન્યો. એમાં પણ વળી એ પ્રતાપ કોણ? મારો માડીજાયો ભાઈ! અને એ ભાઈ પણ કેવો? વિનાહથિયારે પોતાનાથી ચારગણા લશ્કરની સામે ઝૂઝનારો એ ભાઈ!

[પૃથ્વીરાજ માથું હલાવે છે.]

અંબર : પર્વતનો લૂંટારો અને દેશદ્રોહી એ, ભાઈ! ખરું કે?
શક્ત : પ્રતાપસિંહ દેશદ્રોહી, અને તમે દેશહિતેચ્છુ, ખરું કે ભગવાનદાસ?
સલીમ : ત્યારે તમે શું એમ કહેવા માગો છો કે પ્રતાપસિંહ વિદ્રોહી નથી?
શક્ત : પ્રતાપ વિદ્રોહી? અને અકબર પાદશાહ ચિતોડના સાચા માલિક? ખેર! હોઈ શકે.
સલીમ : ત્યારે તમે અકબર પાદશાહને શું કહેવા માગો છો?
શક્ત : હું કહેવા માગું છું કે પાદશાહ આ ભારતવર્ષની અંદર મોટામાં મોટો લૂંટારો છે. તફાવત એટલો જ કે બીજા લૂંટારા સોનુંરૂપું લૂંટે છે અને અકબર આખાં રાજ્યોનાં રાજ્ય લૂંટી લે છે.
સલીમ : હં! પહેરેગીર, શક્તસિંહને કેદ કરો.

[પહેરેગીરો કેદ કરે છે.]

સલીમ : શક્તસિંહ! વિશ્વાસઘાતની સજા શી હોય તે ખબર છે?
શક્ત : બીજી શી! બહુમાં બહુ તો મૉત! હું તો ક્ષત્રિય છું, એટલે મૉતથી ડરતો નથી. જો ડરતો હોત તો જૂઠું જ બોલત ને! જો મૉતથી ડરતો હોત તો રાજીખુશીથી મોગલોની છાવણીમાં પાછો ન આવત. ને જ્યારે હું સાચી હકીકત કહેવા આવ્યો, ત્યારે એમ સમજીને નહોતો આવ્યો, કે સાચું બોલવાથી મોગલો મને છોડી દેશે. મોગલોની સાથે હું ઘણા દિવસ રહ્યો છું. મોગલોને ખૂબ ઓળખ્યા છે. તમારા પિતા અકબરને પણ સારી પેઠે ઓળખી લીધા છે. એ તો કૂટ, અવિવેકી, કપટી રાજદ્વારી છે; તમને પણ પિછાની લીધા છે — તમે એક બેવકૂફ, અભણ, ઝેરીલા, રક્તપિપાસુ પિશાચ છો.
સલીમ : અને તું એક ઘરથી હાંકી કાઢેલો, મોગલોની એંઠ ચાટનારો, નિમકહરામ કુત્તો છે. [આંખો રાતી કરે છે.] શયતાન! વિશ્વાસઘાતની સજા મૉત ખરી. પણ તે પહેલાં આ એક લાત ચાખતો જા. [લાત મારે છે.] લઈ જાઓ એને કારાગૃહમાં. કાલે કૂતરાંની પાસે ફાડી ખવરાવશું.

[સલીમ જાય છે.]

શક્ત : [જોર કરીને છોડાવવા મથતો] એક વાર, એક પળ વાર મને છોડી દો. બસ પળ વાર જ! ત્યાર પછી જે સજા કરવી હોય તે કરજો.

[પહેરેગીરો છૂટવા મથતા શક્તસિંહને લઈને જાય છે